ઓશોએ જેમને ઓશો મલ્ટીવર્સીટીના ચાન્સેલર નિમ્યા હતા તે સ્વામીશ્રી સત્ય વેદાંતજી રોમાંચક ઘટના નું વર્ણન કરે છે….

શ્રી સત્ય વેદાંત સ્વામી, આમ તો એ પૂર્વાશ્રમના ડો. વસંત જોષી, બે વખત Ph. D. કર્યું અને તે પણ શિક્ષણમાં!! વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી અને યુનિવર્સીટી ઓફ મિશિગન, યુ.એસ.એ. થી, એમનું કાર્યક્ષેત્ર ભારત અને અમેરિકા રહ્યું. વિશ્વ ઘુમ્યા અને અનેક પરિષદો તથા સંગોષ્ઠિમાં પ્રવચનો આપ્યા. તેઓના સદગુરુ શ્રી ઓશો. 1975 માં ખુદ ઓશોએ તેઓને સન્યાસ-દીક્ષા આપી અને ડો. વસંત જોશીનો ‘સ્વામી સત્ય વેદાંત’ ના નામથી નવો જન્મ થયો. ત્યારપછી સ્વયં ઓશોએ સત્ય વેદાંતજીને ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર પદે નિયુક્ત કર્યા.

ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે તે જવાબદારી સ્વામી સત્ય વેદાંતને સોંપી.  બહુ ચર્ચિત અને વિશ્વના અદભુત સર્જન સમાં રજનીશપુરમ માટે અથાક પરિશ્રમ કરનાર શ્રી સત્ય વેદાંતજી ઓશોના નિર્વાણ પછી તેમના પાર્થિવ દેહને કાંધ આપનાર ચાર માંહેના એક હતા, કે જે નિયુક્તિ પણ ખુદ ઓશોએ પહેલેથી ઘોષિત કરેલ હતી. જીવનના નવમાં દશકમાં પણ સ્વસ્થતાથી આજે સત્ય વેદાંતજી સમગ્ર ભારતમાં ફરીને સદગુરુના સંદેશને વહેતો રાખવાનું અતુલ્ય કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રો ઓશોધામ, દિલ્હી ખાતે કેન્દ્રસ્થ રહીને પરિભ્રમણ કરે છે. ગુજરાત પ્રત્યે તેઓને બહુ લગાવ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ‘ઓશો ચેર’ શરુ કરવાનું શ્રેય પણ તેઓને જાય છે.

રજનીશપુરમ એક સ્વપ્ન છે કે જે હતું-છે અને હશે. તેના વિષે ઘણી વાતો ચેનલો પર ચર્ચાણી છે, પણ આજે સત્ય વેદાંત સ્વામી રજનીશપુરમના સર્જનની પરિશ્રમકથા વિષે વાત કરી રહ્યા છે. દિલ્હીના ઓશોધામ કોમ્યુનમાં સત્ય વેદાંતજી સાથે રહેવાનું મળ્યું અને તેઓશ્રી મુક્તવિહાર કરતા અમારાં ‘પ્રેમમંદિરે’ વસ્યા ત્યારે ત્યારે ઓશોની અનેક વિશિષ્ટતાઓ તેઓશ્રી પાસેથી એક ચિત્તે સાંભળવાનો લ્હાવો મળ્યો છે. મારી સાથેના તેઓના સંવાદમાંથી રજનીશપુરમની રસપ્રદ કહાની અત્રે પ્રસ્તુત છે:

પ્રશ્ન: સ્વામી, પ્રણામ. આપને અંતરથી જેનો અપાર આનંદ છે તે રજનીશપુરમની વાતો સાંભળવી છે. વિવાદની વાત નથી કરવી પણ તેનું નિર્માણ કે જે દુનિયા માટે એક અજાયબી જેવું છે તેમાં આપ સ્વયં સદેહે પૂરો સમય હતા. આપ અમને આપની પરિશ્રમકથા કહેશો?? 

સ્વામીશ્રી: “સ્ટ્રગલ ઘણી હતી, ઘણી એક્સાઈટિંગ અને અદભુત હતી, ત્રણ વર્ષ સુધી રજનીશપુરમમાં એ સુંદર વાતાવરણમાં રહ્યા એ આખી વાત કરવા બેસું તો આખો દિવસ નીકળી જશે. પણ હું એ કહાની સંક્ષેપમાં કહીશ.

રજનીશપુરમ ઓરેગોન સ્ટેટમાં.  શીલાએ જઈને જમીન ખરીદી હતી. ૬૪૦૦૦ એકર, ૧૨૬ માઈલ્સ, ઘાસ નું એક પત્તુ નહોતું. પુરેપુરી બંઝર જમીન. અને એ જમીન એણે ખરીદી લીધી હતી. એ વખતે ઓશો ન્યુયોર્કમાં કમ્મર દર્દની ટ્રીટમેન્ટ માટે હતા. એ ત્યાં જ હતા એટલે એને નિવેદન કરવામાં આવ્યું હતું કે તમે અહીં આવી જાઓ કદાચ તમારી સહીની જરૂર પડી જાય એટલે. એક અદભુત પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો હતો! કોઈને ખબર નહોતી કે શું થવાનું છે પણ ૫૦૦૦ સંન્યાસીએ મળીને ૩ વર્ષમાં એક શહેર ઊભું કર્યું અને તે પણ માત્ર ત્રણ વર્ષમાં… બંજર જમીન પર અમે ખેતી કરી, કેટલાક પ્રયોગો કર્યા, ઈકોલોજિકલ પ્રયોગ કર્યા, રીક્રીએશન પ્રયોગ કર્યા, ફળ ફૂલ ઉગાડયા, ડેમ બનાવ્યો, મકાન બનાવ્યું. અમારી રજનીશપુરમ પોસ્ટ ઓફિસ હતી. અમેરિકાના મેપમાં એક સીટી હતું જેનું નામ ‘રજનીશપુરમ’ હતું. અમારું પોતાનું ફાયરબ્રિગેડ હતું અને ત્યાં ૫૦૦૦ સંન્યાસી રોજ ૧૪ કલાક કામ કરતા હતા. સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી!! વચ્ચે બે કલાક મળતા હતા, તો ઓશો લંચ લઈને જયારે ડ્રાઈવ પર નીકળતા હતા કારણ એમને ડ્રાઇવિંગનો બહુ શોખ હતો, એ વખતે અમે સડક ઉપર ઉભા રહેતા અને પ્રણામ કરતા હતા અને ઓશો જતા રહે પછી અમે ફરી કામ પર લાગી જતા હતા. બધા પોતપોતાને સોંપેલું કામ કરતા હતા. ત્યારે ચારસો ડિપાર્ટમેન્ટ્સ હતાં! ઓશો માત્ર વિઝન આપતા કે શું કરવાનું છે? પછી કેવી રીતે કરવું, કોણ કરશે એ બધું અમે, શીલા અને એની સાથે જે આસિસ્ટન્ટ કામ કરતા એનું કામ હતું. અને સૌએ એ કામ ખુબ સારી રીતે કર્યું. ત્રણ વર્ષમાં શહેર ઊભું કરવું એ કંઈ નાની વાત નથી. અમારી પાસે અમારું એરપોર્ટ હતું, ‘એર રજનીશ’ નામની ૧૩ ફ્લાઇટ હતી. કોઈ વસ્તુની કમી નહોતી. આપ બોલો અને તે ત્યાં હતું. મોલ પણ હતો, કેશલેસ સોસાયટી હતી. જેમ કે લંચ કરવું હોય, જમવું હોય તો જમી લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! કોઈ પૈસાની લેવડદેવડ નહોતી. ઠંડી લાગે છે? જેકેટ જોઈએ છે?  તો મોલમાં જઈને જેકેટ લઈ લેવાનું, સારું લાગ્યું જેકેટ તો લઈ લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ!  ના કોઈ ટેગ જોવાનો, ના પૈસાની ચિંતા… જે જોઈએ તે લઈ લેવાનું…. Everything belongs to everyone, there is no personal property, યુટોપિયા જેવી સ્થિતિ હતી ત્યાં!

કોઈ વસ્તુ પર કોઈની માલિકી નહોતી બધી વસ્તુ બધાની હતી. લોકો ૧૪ કલાક કેટલી ખુશીથી કામ કરતા હતા, નાચતા, ગાતા, રમતા, કોઈ બોજ નહીં, કોઈ જબરજસ્તી નહીં કે અરે કેટલું કામ છે… એક મજાની વાત હતી કે બધાને અલગ અલગ કામ સોંપવામાં આવતું. કોને શું કરવાનું એ નક્કી ન હોય તમે ડોક્ટર પણ હો તો પણ કહેવામાં આવે કે ટોયલેટ સાફ કરવાનું કામ છે તો તમારે કરવાનું. ક્લિનિકમાં જરૂર નથી તો કિચનમાં સબ્જી કાપવાનું કામ કરવાનું. જે સમયે જે જરૂર હોય તે કરવાનું. નાના મોટાનો તો સવાલ જ નહોતો, કારણકે અમે બધા સન્યાસી હતા. બધા ઓશોના પ્રેમી હતાં.

પ્રશ્ન: સ્વામીશ્રી, ત્યાંનો માહોલ તો મુક્ત અને મસ્ત હશે ને?? 

સ્વામીશ્રી: હું તમને કહું ભદ્રાયુ, એકવાર હું ઓશોના વ્યાખ્યાન ‘મેં મૃત્યુ સિખાતા હૂં ‘નો અનુવાદ કરતો હતો.  મારી સામે સ્વામી આનંદ બેઠા હતા. એ ‘જીનખોજા તીન પાઈયાં ‘નો અનુવાદ કરતા હતા. એ મને પૂછે, હું એને પૂછું એમ અમે સાથે મળીને અનુવાદ કરતા અને સહજતાથી એ વિચારતા અને કહેતા કે આ શબ્દનો અનુવાદ ઓશો અંગ્રેજીમાં કેવી રીતે કરશે? …

એક વાર હું એ કરતો હતો એટલામાં હું થાક્યો અને થયું હું જરા આંટો મારીને, રિલેક્સ થઈને આવું. તો બહાર નીકળીને જોયું તો મોલની સામે સન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું: શું થયું? કેમ નાચી રહ્યા છો? તો કહે, આજે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા! કોઈ ફર્ક નથી પડતો હારી ગયા તો હારી ગયા, નાચવાનું તો બને જ છે… અને બીજે દિવસે જીતીને આવ્યા તો પણ નાચી લેવાનું.  અમારી પાસે ૧૩ એટર્ની હતા, જર્મન, કેનેડિયન, ઈન્ડિયન, ઈટાલિયન, અમેરિકન, બ્રિટિશ એવા ૧૩ અને બધાએ લાઈસન્સ લીધું હતું. કોર્ટમાં દલીલ કરી શકે.  કારણ કે અમે બધું કાયદેસર કરી રહ્યા હતા બિનકાયદેસર કશું જ નહોતું. કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની તૈયારી પણ હતી.  અમારી પાસે ડોક્ટર હતા, વકીલ હતા, એન્જીનીયર હતા. (ક્રમશ:)