
“તમારામાં અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો.”
આજથી આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરિત કર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. એ હતા ત્યારે વિદ્રોહ જગવવા માટે ખ્યાત હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ શરુ છે. આવા “સદા કાળ ગુજરાત”ની જેમ સદા કાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે. એ કહેતાં આનંદ થાય છે કે, હું તેર વર્ષની ઉંમરથી તેઓશ્રી સાથે સંકળાયેલો છું.
જાન્યુઆરી 1990 ની 19મી તારીખ તેઓની વિદાય, 35 વર્ષ જેમના ગયા પછી પણ તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે ફિલ્મની જેમ મારે ફ્લેશબેકમાં જવું પડશે.
1990ની 19મી જાન્યુઆરી ની સાંજ,, લગભગ પાંચ કે સવા પાંચ વાગ્યાનો સમય. ઓશો બીમાર છે અને પથારીવશ છે. એની નજીકમાં ત્રણ કે ચાર જ લોકો બેઠા હતા. એમને તપાસનાર તબીબ નજીકમાં હતા અને એમના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે, તેને તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે, જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે ત્યારે ઓશો જાગૃત અવસ્થામાં ડોક્ટરને પૂછે છે કે, ‘ઈઝ ઈટ ડેથ ??’ ડોક્ટરે હા પાડી અને ઓશોએ દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિવિશેષના આદેશ પ્રમાણે અને પહેલેથી કરી રાખેલ બધી જ તૈયારીઓ પ્રમાણે તેમના દેહને બુદ્ધહોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ એટલે કલ્પના ન કરી શકીએ તેવો !! એમની યાદમાં છેક શ્મશાનગૃહ સુધી રંગો ઉડાડતા અને ખૂબ નાચતાં કુદતા અને આનંદ સાથે..
આવા વિરલ બુદ્ધપુરુષ ના જીવન વિષે આપણે વિગતે વાત કરીએ. જેમણે સ્કૂલ લાઈબ્રેરી આખે આખી સ્કૂલમાં વાંચી કાઢેલી ! સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000 થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એમણે કશું જ લખ્યું નહિ છતાં આજે પણ દર એકાંતરે એમના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંકને ક્યાંક બહાર પડે છે. સૌથી વધુ ભાષાઓમાં તે પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ 50 હજારથી વધુ પુસ્તકો વાંચ્યા છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અન્ડરલાઇન કરી છે !! અને પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે !! જે વ્યક્તિએ લગભગ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે, એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ લગભગ સાડા ત્રણ હજાર કલાકનું એમના ઓડિયો અને દોઢ હજાર કલાક નો વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે !! આવી અકલ્પનીય વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે પણ જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય એમ યાદ કરીએ છીએ.
ઓશોના સ્મરણ સાથે મારી વાતની શરૂઆત કરું. આપણે જરા ઝડપથી યાત્રા જોઈશું કારણ કે, લગભગ લગભગ સાત સમુંદર ભેગા કરો અને જેટલું થાય એટલા વિપુલ પ્રમાણમાં ઓશો જીવનની વાતો છે. એથી પ્રશ્ન એ છે કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી ? હું આપનું ધ્યાન દોરું કે “મુક્ત ગગનનું મસ્ત પંખી” પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક તેમણે લખ્યું નથી. એમના વિવિધ પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને આ પુસ્તક તૈયાર થયું. જેમ “સત્યના પ્રયોગો”માં ગાંધીજી નું આખું જીવન આવતું નથી, એમના શરૂઆતના કાર્યોની વાત આવી પણ જેને આપણે માઈલસ્ટોન કહીએ તેવી વાતો બાકી રહી ગઈ છે. તે જીવન વિષે ઘણાએ અલગથી લખ્યું છે. નારાયણ દેસાઈએ તો ચાર ભાગમાં “મારું જીવન એ જ મારી વાણી” માં ઘણું બધું આવરી લીધું છે. એ રીતે આ પુસ્તક જેને આપણે “મુક્ત ગગનનું મસ્ત પંખી” કહીએ છીએ કે જે “ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઈન કરેક્ટ મિસ્ટિક” પુસ્તકનું ગુજરાતી છે અને સ્વામી સત્ય પ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને મા યોગ કુન્દને એનું પ્રકાશન કર્યું છે, આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા આવે છે. જો કે, એમની ફિલોસોફીને પણ જોડી છે પરિણામે જીવનની કેટલીક વાતો છૂટી ગઈ છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે, એ પુસ્તકના છેલ્લા પાનાઓની અંદર એમનાં જીવનની આખી તવારીખ ક્રમબદ્ધ તરીકે ટૂંકમાં આવરી લીધેલ છે. એટલે ઓશોના જીવનને ‘એટ એ ગ્લાન્સ’ જો જાણવું હોય તો છેલ્લા પાનાઓમાંથી મળી રહે છે.
મારે જે વાત કરાવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેમને દીક્ષા આપી અને જયારે ઓશોએ દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને આ કામ સોંપ્યું તે ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર અને જેમની જહેમતથી ગુજરાતમાં સુરતમાં ઓશો ચેરની સ્થાપના થઈ હતી કે જેમણે હમણાં થોડા સમય પહેલાં જ વિદાય લીધી અને જેને આપણે વસંત જોશી ના નામથી ઓળખીએ છીએ તે સ્વામી શ્રી સત્યવેદાંતજી સાથેનો મારો ગાઢ નાતો રહ્યો એટલે તેમના સાનિધ્યથી મને ઓશો જીવનની જવલ્લેજ જાણવા મળતી વાતો જાણવા મળી તે પણ થોડી હું અહીં આવરી લેવાનો છું.
આ પુસ્તકના પહેલા જ પાના પર ઓશોએ પોતાનો પરિચય વિશિષ્ટ શૈલીમાં આપ્યો છે. “હું તો માત્ર હું છું. ન કોઈ અવતાર છું કે ન કોઈ પયંગબર છું કે ન ઈશુ છું. એક સર્વ સામાન્ય માનવી, તમારા જેવો જ છે. પણ હા, તમારામાં અને મારામાં ફર્ક છે કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો અને જાગી જશો તો જ માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાનો ” ઘણી બધી વિચિત્ર ઘટનાઓ છે ઓશોના જીવનમાં, પણ આપણે એ વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.
ઓશો એક સુંદર મજાની વાત કરે છે,
ગજબકા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયાકા
લોગ બટોરનેમેં લગે હૈ, ખાલી હાથ જાને કે લિયે!!
11મી ડિસેમ્બર 1931 થી 19 મી જાન્યુઆરી 1990… 59 વર્ષનું જીવન..પ્રમાણમાં ઘણું ઓછું કહેવાય એવું જીવન !! મધ્ય પ્રદેશનું કુચવાડા ગામ. મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતાએ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. પાંચ વર્ષની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો વાગે છે. અને પોતાના ચાહિતા નાનાબાપુ પાસે ઉછરે છે. નાની પાસે મુખ્ય..પોતે કહે છે કે, મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. સંન્યાસ લીધા પછી પણ એમણે નાનીને આપેલું વચન પાળ્યું. એમણે નાનીને કહેલું કે, તું મરી જઈશ ત્યારે ગમે ત્યાં હોઈશ પણ દોડીને હું આવી જઈશ, એ વચન એમણે પાળ્યું. કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કહેવું હોય તો ઓશો જે કાંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાની લઈને થયા છે.નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલ પણ છે !! નાના ધર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા..ધર્મમાં ન માનવાનો વારસો એમને નાની તરફથી મળેલો. એના ઘણા પ્રસંગો આપણી પાસે છે. ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો નાની ઉપર ચીંધી શકાય.(ક્રમશ:)
