સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે.!!

૧૯૫૩ના માર્ચના એક વર્ષ અગાઉનો સમયગાળો રજનીશ માટે આંતરિક સંઘર્ષનો રહ્યો કેમ કે, તેમના ખુદના શબ્દોમાં, “એક વર્ષ સુધી મારી જાતને જીવિત રાખવી મારા માટે કપરું કાર્ય હતું”. આખરે આ એક વર્ષમાં એવું તો શું બની ગયું?

રજનીશને ભૂખ લાગવી બંધ થઈ ગઈ હતી. એટલે સુધી કે તરસ પણ લાગતી ન હતી. ખાધા-પીધા વિના ઘણા દિવસો પસાર થઈ જતા હતા. ક્યારેક તો એમ લાગતું હતું કે આ શરીર જ નથી રહ્યું. તેમણે પોતાની જાતને વિશ્વાસ અપાવવો પડતો હતો કે “હું જીવિત છું.” તેમણે પોતાનું મસ્તક દીવાલ સાથે ટકરાવવું પડતું હતું અથવા તો ચૂંટીયો ખણવો પડતો હતો કે, તેઓ જીવે છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ૧૨ થી ૧૩ કિલોમીટર દોડતા હતા. તેમના માટે બોલવું પણ અઘરું થઇ જતું હતું. એટલે સુધી કે બોલતાં બોલતાં તેઓ બે વાક્યો વચ્ચે ભૂલી જતા હતા. પુસ્તક વાંચવા બેસે તો થોડીવાર પછી યાદ કરવું પડતું કે, તેઓ શું વાંચી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે તેઓ વધુ ને વધુ સમય રૂમમાં જ વિતાવવા માંડ્યા. ઘરનાંને પણ સમજ પડતી ન હતી કે, આ શું થઈ રહ્યું છે. તેમના શુભચિંતકો પરેશાન થઈ ગયા હતા. તેઓ કાંઈ કરી શકતા ન હતા અને કાંઈ કરવા માટે રજનીશ પોતે પણ સક્ષમ ન હતા.

જેમ જેમ એક વર્ષનો સમયગાળો પૂરો થવાની નજીક આવવા માંડ્યો રજનીશની સ્થિતિ વધારે ખરાબ બની ગઈ. અંતે દસમા અને અગિયારમા મહિનામાં તો તેમને એમ લાગવા માંડ્યું કે તેમનું જીવન મગર જેવું બની ગયું છે. તેઓ હવે આંખ બંધ કરીને કલાકો સુધી બેસી રહેતા હતા. નદી કિનારે આખી રાત આકાશ તરફ મીટ માંડીને બેસી રહેતા હતા. રૂમમાં પણ છત સામે જોતા રહેતા. કોઈ નહાવાનું કહે તો કલાકો સુધી નહાતા રહેતા હતા. કોઈ યાદ કરાવે તો ખાઈ લેતા, નહિતર જમવાનું યાદ પણ આવે નહીં. તેમની સ્થિતિ એક રીતે, હોવા છતાં ના હોવા જેવી હતી. શરીરમાં હોવા છતાં, ઘરમાં હોવા છતાં તેઓ ના તો શરીરમાં હતા અને ના તો ઘરમાં હતા.

ધ્યાન પ્રત્યે રજનીશનું બાળપણથી જ આકર્ષણ હતું. તેઓ માત્ર જમીન પર બેસીને જ નહીં પણ ઝાડ ઉપર બેસીને પણ ધ્યાન ધરી શકતા હતા. હવે એ દિવસે જે કાંઈ બન્યું તે રજનીશના જ શબ્દોમાં વાંચવું યોગ્ય રહેશે. “એક દિવસ ધ્યાનમાં કેટલો લીન થઈ ગયો તેની મને જ ખબર નથી અને ક્યારે ઝાડ પરથી પડી ગયો ખબર નથી. નીચે પડ્યો અને મેં ચોકીને જોયું તો આ શું? હું તો વૃક્ષ પર જ હતો અને શરીર નીચે પડી ગયું. આ અનુભવ વિશે કહેવું કઠિન છે. હું તો વૃક્ષ પર જ બેઠો હતો અને મને દેખાતું હતું કે શરીર નીચે પડી રહ્યું છે. માત્ર એક ચાંદીની નાડ (દોરી) મારા સુધી જોડાયેલી હતી જે એકદમ ચમકદાર શુભ રેખા હતી. કાંઈ સમજાતું નથી કે હવે શું થશે? કેવી રીતે પાછો ફરીશ?” રજનીશે પોતાના આ પ્રસંગના વિશ્લેષણથી જીવનનું એક રાસાયણિક સૂત્ર આપ્યું છે જે આપણા બધા માટે ઘણું કામનું છે. તેને તેમણે પોતાના કાળના બીજા અનુભવનું નામ આપ્યું છે. તે રાસાયણિક સૂત્ર એ છે કે, પુરુષના શરીરમાં સ્ત્રી એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. રીતે પુરુષ પણ સ્ત્રીના શરીરમાં એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે. રજનીશને આ ઘટના પછી એક વાત સમજાઈ ગઈ કે આ દેશમાં જે તાંત્રિકોએ સમાધિ પર અને મૃત્યુ પર પ્રયોગ કર્યા હતા તેમણે ઘણી સ્ત્રીઓને પોતાની સાથે બાંધી રાખી હતી.

આ પ્રસંગ પછી એક નવા રજનીશનો ઉદય થયો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, એ વખતે તેઓ હજી વિદ્યાર્થી જ હતા અને હજી તેમણે થોડા વર્ષ માટે પ્રોફેસરનું કાર્ય કરવાનું હતું. તેનો અર્થ એ થયો કે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તેઓ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરની માફક લોકો વચ્ચેથી ચાલ્યા જાય તે સ્થિતિમાં રજનીશ ન હતા.

રાત્રે ૧૨ની આસપાસ અચાનક ઊંઘ ઉડી ગઈ અને રૂમમાં ચારે તરફ તેમને દિવ્યતાનાં દર્શન થયાં. તેમને એમ લાગ્યું કે, એ નાનકડો ઓરડો પ્રકાશ અને જીવનના તરંગોથી ભરાઈ ગયો છે અને રૂમમાં આનંદની કિલકારી થઈ રહી છે. રજનીશ આ આનંદમાં ડૂબવા લાગ્યા. સાથે સાથે તેમને એમ લાગ્યું કે, તેમનો શ્વાસ રૂંધાય છે. આથી તેઓ દોડીને વૃક્ષની નીચે આવી ગયા. તેમનો શ્વાસ રૂંધાતો અટકી ગયો. તેઓ પોતાની જાતને બ્લેક હોલમાં પડતા જોઈ રહ્યા. તેમને એમ લાગ્યું કે, તેમના શરીરનો ભાર ઓછો થઈ રહ્યો છે અને તેઓ ઉપર ઉંચકાઇ રહ્યા છે. કોઈ એવી વસ્તુ છે જે તેમને ઉપર ખેંચી રહી છે. જો કે, તેઓ એકલા જ હતા પણ તેમને એમ લાગતું હતું કે, તેઓ એકલા નથી. રજનીશની અંદર એક એવી શક્તિ બની રહી હતી જેનાથી તેમને લાગતું હતું કે તેઓ કાંઇ પણ કરી શકે છે.

રજનીશ ચાલતા ચાલતા જબલપુરના ભ્રમરતાલ પાર્કમાં પહોંચી ગયા. જેવા તેઓ પાર્કમાં ગયા એ સાથે ત્યાં બધું પ્રકાશમય થઈ ગયું. તેમના જ શબ્દોમાં “ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. મેં પહેલીવાર વૃક્ષમાં હરિયાળી અને તેની અંદર જીવનરસ નિહાળ્યો. આખો બગીચો સૂતેલો હતો. વૃક્ષો પણ સૂતેલાં હતાં પણ મને તે જીવંત લાગતો હતો. ઘાસનાં નાનકડા પાન પણ મને સુંદર દેખાતાં હતા.”

હવે તે અંતિમ ક્ષણ આવી ગઈ હતી. જેમાં બુદ્ધત્ત્વ પ્રાપ્તિ થવાની હતી, રજનીશના જ શબ્દોમાં આગળ વધીએ- “મેં ચારે તરફ નજર કરી. એક વૃક્ષ ઘણું જ પ્રકાશિત હતું. એ વૃક્ષે મને તેની તરફ આકર્ષિત કર્યો. મેં નહીં પણ પરમાત્માએ જ તેની પસંદગી કરી. હું તેની નીચે જઈને બેસી ગયો. જેવો હું બેઠો એ સાથે બધું શાંત થઈ ગયું. સમગ્ર વિશ્વની ભગવત્તા વરસવા લાગી.” અને અંતે એ ઘટના બની ગઈ, બાળપણથી રજનીશ જેની રાહ જોતા હતા અને તેમને સમજાતું ન હતું કે તેના માટે તેમણે શું કરવાનું છે.

શક્ય છે કે રજનીશ લગભગ ત્રણ કલાક સુધી એ ઝાડની નીચે બેસી રહ્યા હોય. પણ તેમને આ ત્રણ કલાક વીતી ગયાનો ખ્યાલ ના રહ્યો. આમ, રજનીશના જ શબ્દોમાં – “એક રાત્રે હું મરી ગયો અને મારો પુનર્જન્મ થયો પણ જે બીજી વખત જન્મ્યો તેનો આ મૃત્યુ પામનારા સાથે કોઈ સંબંધ રહ્યો નહીં.” કદાચ આ જ અનુભવના અનુસંધાનમાં રજનીશે પોતાના આ વાક્યની રચના કરી છે કે ધર્મ આપણને સંપૂર્ણરૂપથી મારી નાખે છે.”

આ દિવસ એટલે ૨૧મી માર્ચ અને વર્ષ હતું ૧૯૫૩. એ પછી રજનીશમાં ઘણું પરિવર્તન આવી ગયું.

માત્ર ૨૧ વર્ષની વયે કૉલેજના ભણતા વિદ્યાર્થીને એક વૃક્ષ નીચે બુદ્ધત્ત્વ પ્રાપ્ત થયું. એ પછી રજનીશે જે પહેલું કામ કર્યું તે એ કે, તેઓ પોતાના ગામ તરફ ભાગ્યા પણ એ ગામ તરફ નહીં જ્યાં તેમના માતા-પિતા રહેતા હતા પણ એ ગામ તરફ જ્યાં તેમની નાની રહેતી હતી. હવે એ વાત અલગ છે કે, તેમની નાની અને માતા-પિતા એક જ ગામમાં રહેતા હતા, પણ રજનીશની આ માનસિક સ્થિતિ હતી.

આ સાથે જ રજનીશ એ ગામ તરફ પણ ભાગ્યા જ્યાં મગ્ગા બાબા રહેતા હતા. આ પણ યોગાનુયોગ હતો કે, જેમને વહેલામાં વહેલી તકે તેઓ જાણ કરવા માગતા હતા તે બંને એક જ ગામમાં રહેતા હતા જ્યાં રજનીશ પણ રહી ચૂકયા હતા અને એ ગામ એટલે ગાડરવાડા. રજનીશ પહેલાં તો મગ્ગા બાબાને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કર્યા તથા રડવા માંડ્યા. મગ્ગા બાબાએ કહ્યું “શાબાશ બેટા, આખરે તેં   એ કામ કરી જ દીધું. મને ખબર હતી કે તું આમ કરીશ.” રજનીશ તેમને જાણ કરવા ગયા હતા પણ તેમ કરવાની જરૂર જ ના પડી. એ પછી તેઓ નાનીના ઘરે ગયા અને નાનીને તેઓ કાંઈ કહે તે પહેલાં તો રજનીશને જોઈને નાનીએ કહ્યું “તને શું થયું છે? તું પહેલાં જેવો રહ્યો નથી.” આગળ જતાં નાની ખુદ જ રજનીશનાં પ્રથમ શિષ્યા બન્યાં. (ક્રમશ:)