
પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી મંદિર જતી વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’
એકવીસમી સદીના વૈશ્વિક બુદ્ધપુરુષ ‘શ્રી રજનીશ’ એટલે ‘ભગવાન રજનીશ’ એટલે કે ‘ઓશો’ ના જીવનનું આપણે વિહંગવલોકન કર્યું. ઓશોનું જીવન અગાધ દરિયા સમાન હતું એટલે તેઓશ્રી વિષે માંડીને વાત કરવા બેસીએ તો તો પાર જ ન આવે. આપણે શ્રી રજનીશના બાળપણથી લઈને તેઓની વિદાય સુધીના જીવનમાં જે જે રોમાંચક ઘટનાઓ ઘટી તેમાંથી કેટલીક અગત્યની ઘટનાઓ જાણવાનો પ્રયત્ન કરીએ.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એ વખતે એક ખૂબ જ નાનકડું ગામ હતું. કુચવાડા નામના આ ગામની વસતી માંડ ૨૦૦ જેટલી હતી. એ વખતે ત્યાં થોડાં વૃક્ષો હતાં, ઝૂંપડીઓ હતી અને એક નાનું તળાવ હતું. ભારતનાં મોટાભાગનાં ગામડામાં હોય છે તેમ આ ગામમાં પણ એક મંદિર હતું. ગામના જ એક પ્રતિષ્ઠિત જૈન ધર્મીએ મંદિર બનાવ્યું હતું. આ મંદિર બંધાવનાર ૫૦ વર્ષની એ વ્યક્તિ જ્યારે પણ મંદિર જાય તો લગભગ સાતેક વર્ષનો તેનો પૌત્ર પણ તેની પાછળ પાછળ મંદિરે પહોંચી જતો. પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી દર વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’ નાનાના આ શબ્દો એ સાત વર્ષના નાના બાળકના અજ્ઞાત માનસમાં એટલી હદે ઘર કરી ગયા કે, તે તેના જીવન, કાર્યો અને વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયા. જો કે, એ શબ્દો એટલા ઊંડા કે તાર્કિક ન હતા કે તેની આટલી જોરદાર અસર થવી જોઈએ. નાનાએ તો માત્ર એમ જ અમસ્તા કહી દીધું હતું પરંતુ આપણે જાણીએ છીએ કે, કમાલ તો લેનારો કરે છે, આપનારો નહીં. એ વખતે નાનાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “તું જઈ શકે છે. મનમાં આવે તો પૂજા–અર્ચના પણ કરી શકે છે પણ તારે એકલાએ જવું પડશે, મારી પાછળ પાછળ આવીને નહીં. કોઈની પાછળ ચાલવું એ ઘણો મોટો ગુનો કહેવાય છે.”
પોતાના માતા પિતા અંગે ઓશોનું કથન ભણેલી-ગણેલી અને સમજદાર વ્યક્તિને ભાગ્યે જ વિશ્વાસ બેસે કે, “મારા માતા પિતા તરીકે આ યુગલની મેં પસંદગી કરી.” ટૂંકમાં, આ સ્વરૂપમાં જન્મ લેવા માટે તેમણે જ એ વાતની પસંદગી કરી કે, કોણ તેમના પિતા હશે અને કોણ તેમની માતા હશે. ઓશોની આ વાત ઉપર વિશ્વાસ કરવો એટલા માટે અઘરો છે કે, આપણે ભારતીયોની ચેતના ‘જન્મ-મરણ વિધિ હાથ’ વાળી ચેતના છે. આમ, છતાં ઓશો આ વાત કહી રહ્યા છે તો તે સાવ ફાલતુ તો નહીં જ હોય !!
ઓશોએ પોતાના માતા-પિતા તરીકે જે દંપતીની પસંદગી કરી તે યુગલ સાવ સીધું, સાદું, સરળ અને ગામડામાં રહેનારું યુગલ હતું. તેઓ ભણ્યા-ગણ્યા ન હતા અને આધુનિક પણ ન હતા. પસંદગી શ્રી રજનીશના હાથમાં હતી તેથી તેમણે ઇચ્છયું હોત તો કોઇ રાજા-રાણીની પસંદગી પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે જેની પસંદગી કરી તેઓ માત્ર ગ્રામીણ કે અભણ જ નહીં, પણ ગરીબ પણ હતા. એટલા ગરીબ હતા કે એમની કુલ મૂડી માત્ર ૭૦૦ રૂપિયા હતી. તો અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે તેમણે આમ કેમ કર્યું? તેઓ ખુદ બૌદ્ધિક વ્યક્તિ હતા. પાખંડના અત્યંત વિરોધી હતા. ખાસ કરીને તેમણે એ ધર્મનાં તો ચીંથરાં ઉડાવી દીધાં છે જે ધર્મમાં માનનારા દંપતીને ત્યાં તેમણે જન્મ લીધો. ઓશોનું જીવન પણ વૈભવશાળી હતું. તો પછી પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં ઓશોએ આવી ખોટી પસંદગી કેમ કરી, તે પ્રશ્ન તો સાચો જ છે.
ઓશો ઇચ્છતા હતા કે, તેઓ એવા દંપતીનું સંતાન બને જેમની વચ્ચે ગાઢ પ્રેમ હોય. આ જ તર્ક સાથે તેઓ મોટાભાગનાં સંતાનો અંગે ટીકા કરે છે કે, તેઓ પ્રેમની નહીં પણ વાસનાની દેન (પરિણામ) છે. ઓશો સાથે આવું ન હતું. ઓશોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેમણે ક્યારેય તેમના માતા-પિતાને પરસ્પર ઝઘડતાં જોયાં નથી. તેઓ એકબીજાને ક્યારેય હેરાન પણ કરતાં ન હતાં. આ એક ચમત્કાર છે, કેમ કે સદીઓથી પુરુષોએ હંમેશાં મહિલાનું શોષણ કર્યું છે અને એટલી હદે કે તેણે પરોક્ષ માર્ગ શીખી લીધો છે. મારી માતાએ ક્યારેય મારા પિતાને હેરાન કર્યા નથી. મહિલાઓ પુરુષનું માથું ખાઈ જાય છે અને માથું ખાવું એ હકીકતમાં હિંસા જ છે.
સૌથી મોટી વાત એ છે કે તેમના માતા-પિતા અંતે બુદ્ધત્વ પામ્યા. હવે આથી વધુ શ્રેષ્ઠ ગર્વ બીજો શો હોઈ શકે? બુદ્ધત્વ પામેલાં દંપતીએ એવા સંતાનને જન્મ આપ્યો જેને બુદ્ધત્ત્વ મળ્યું.!!
રજનીશનું ખુદનું કહેવું હતું કે, આ જન્મ ૭૦૦ વર્ષ અગાઉ તિબેટમાં થયો હતો. તિબેટમાં નવાણું શરીર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેમાંથી સતાણુમું શરીર તેમનું હતું. રજનીશે કહ્યું છે કે, તેમના જન્મ પછી ત્રણ દિવસ સુધી તેમણે માતાનું દૂધ પીધું ન હતું. તેનું કારણ તેઓ જણાવે છે કે, ૭૦૦ વર્ષ અગાઉ તેમના મૃત્યુ પહેલાં તેમણે ૨૧ દિવસના ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ત્રણ દિવસ બાકી હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાંખી. એ વખતે તેમની ઉંમર ૧૦૬ વર્ષની હતી. તેમનું માનવું છે કે, એ ત્રણ દિવસના ઉપવાસ પૂરા કરવા આ જન્મમાં તેમણે પ્રથમ ત્રણ દિવસ માતાનું દૂધ પીધુ નહીં અને ત્રણ ઉપવાસ પૂરા થઇ ગયા એટલે બધું બરાબર થઈ ગયું.
રજનીશ માટે ગામનાં બાળકો સાથે રમવાની મનાઈ હતી. આમ તેની સાથે માત્ર ત્રણ જ વ્યક્તિ રહે. નાના–નાની અને તેમનો નોકર, જેનું નામ હતું ભૂરો. ૨૦૦ લોકોની વસતીવાળી દુનિયા જ રજનીશ માટે સર્વસ્વ હતું. રજનીશે લખ્યું છે કે, “મારાં નાના-નાની ઇચ્છતાં ન હતાં કે, હું ગામનાં બાળકો સાથે હળી-મળીને રહું. તેઓ ગરીબ હતાં અને ઘણાં ગરીબ. આથી મિત્ર બનાવવાનો કોઈ ઉપાય ન હતો. આની મોટી અસર પડી કે જીવનભર હું કોઈ મિત્ર બનાવી શક્યો નહીં. મારાં પ્રારંભિક વર્ષોમાં હું એકલો હતો અને મે એકલા એકલા જ ખુશી મનાવવાનું શરૂ કરી દીધું અને આ પ્રસન્નતાની વાત હતી. અંતે આ બાબત મારા માટે અભિશાપને બદલે આશીર્વાદ પુરવાર થઈ. હું તેમાંથી જ આનંદ મેળવવા માંડ્યો અને મને લાગ્યું કે, હું મારામાં જ સંતુષ્ટ છું અને કોઈ પર આધારિત નથી.” (ક્રમશ:)
