શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ પણ વક્તવ્ય આપી ચુક્યા છે !!
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ્ઞાન પ્રદાન કરવામાં અને ધર્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસારમાં મોખરે કામ કરતી લગભગ શતાબ્દીના આરે ઉભેલી સંસ્થા છે.
‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના 1929માં થઈ. પણ એનું પ્રદાન નોંધવા જેવું રહ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રતિમાસ ‘પ્રબુદ્ધ જીવન‘ નામથી એક અતિ ચીવટ પૂર્વક સંપાદિત થયેલ માસિક કે જેને ગ્રંથ કહીએ એટલી ઊંચાઈ ધરાવતું હોય, તેનું પ્રકાશન થાય છે. છેલ્લા 97 વર્ષથી ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નું માસિક ‘પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થઈ રહ્યું છે.
પ્રબુદ્ધ જીવનની સમૃદ્ધ ધારા સાથે જોડાયેલા વિદ્વાનોમાં પંડિત સુખલાલજી, મણિલાલ મૂકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનભાઈ ચકુભાઇ શાહ, ડો. રમણલાલ શાહ અને ડો. ધનવંત શાહને આપણે યાદ કરવા પડે. આ 97 વર્ષથી પ્રકાશિત થઈ રહેલા પ્રબુદ્ધ જીવનમાં અત્યાર સુધીમાં લગભગ દસ તંત્રી મહાશયો સેવા આપી ચુક્યા છે. અને હાલ 2016થી ‘પ્રબુદ્ધ જીવન’ નાં માનદ તંત્રી તરીકે મુંબઈના ગુજરાતીના અધ્યાપિકા, જૈન શાસ્ત્રનાં ઊંડા અભ્યાસી અને અનેક લોકો સાથે સહજતાથી અને મિઠાશથી નાતો બાંધનાર ડો. સેજલ શાહ છે. તેમણે હવે અધ્યાપકની કારકિર્દી માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી છે. એટલે એવું માની શકાય કે ‘પ્રબુદ્ધ જીવન’ ને એક લાંબા ગાળાના તંત્રી હવે મળી ગયા છે. દીર્ઘ દ્રષ્ટિવાન આ તંત્રીએ અનેક કર્યો કર્યા છે પણ એની વાત કરીએ તો એમને ગમશે નહિ. એટલે આપણે વાત કરીએ જૈન યુવક સંઘનાં પર્યુષણ વ્યાખ્યાન માળાની.
1929 માં સંઘની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૈચારિક પ્રવૃત્તિ થાય એવું આપણે કશું કરવું. અને એ ત્યારનાં સ્થાપક મહાનુભાવોનો વિચાર હતો. પરંતુ ધીમે ધીમે કરતાં આ વિચારને નક્કર આકાર આપવામાં આવ્યો 1931થી. જ્યારથી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાન માળનો પ્રારંભ થયો. એમાં એક પછી એક અનેક ક્ષેત્રના વક્તાઓ, મુનિશ્રીઓ, સંતો, મહંતો, ડિપ્લોમેટ્સ વગેરે આવતા રહ્યા અને પર્યુષણ વ્યાખ્યાન દરમિયાન જૈન અને જૈન શાસ્ત્રોની તથા જીવન અને કૌશલ્યને સ્પર્શતા અનેક વિષયો ઉપર પોતાની છણાવટ કરતાં રહ્યાં. આચાર્ય રજનીશ પણ અહીં વ્યાખ્યાન આપી ગયા છે. 1931થી આજે 2024 સુધી આ પર્યુષણ વ્યાખ્યાન માળા અવિરત ચાલે છે. એમાં એક સરસ મજાનું મોરપીંછ ઉમેરાયું.
સંઘને વિચાર આવ્યો અને એમણે અનુકંપા પ્રોજેક્ટ શરુ કર્યો. છેલ્લા 39 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘ ગુજરાત રાજ્યના પછાત વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને દર વર્ષે દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. બનતું હોય છે એવું કે, પર્યુષણ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ ઠેર-ઠેર દાન કરતા હોય છે. પણ એનું સારી રીતે વિતરણ ન થાય તો એ દાનનો ઉપયોગ યથાર્થ ન થાય તેની બદલે ‘શ્રી મુંબઈ જૈન યુવક મંડળ’ મધ્યસ્થી બન્યું અને એમણે આ છેલ્લા 39 વર્ષમાં દર વર્ષે એક-એક સંસ્થાની મુલાકાત લઈ, તેની સ્થિતિ જાણી, તેની આવશ્યકતાઓની નોંધ કરી, અને યથાર્થ વિગત પર્યુષણ વ્યાખ્યાન માળા પહેલા અને દરમ્યાન જૈનો સુધી પહોંચાડી અને તેમને વિનંતી કરી કે, આ વર્ષનું પર્યુષણ પર્વ દરમિયાનનું આપનું દાન આ અનુકંપા પ્રોજેક્ટમાં આપો. એની બહુ ધારી અસર થઈ. ઘણીવાર એવું બને છે કે, દાન આપવું હોય પણ ક્યાં આપવું, દાન પાત્ર કોણ છે, એ જાણવું મુશ્કેલ હોય છે. સહજતાથી જેણે જાજી પિષ્ટપિંજણમાં પડ્યા વગર દાન આપવું છે તેને કોઈ આંગળી ચીંધે કે આ રહી એ સંસ્થા, તો એ દાતાનો માર્ગ સરળ બની જાય છે. એમાં અનુકંપા પ્રોજેક્ટ બહુ જ ઉપયોગી નીવડ્યો. દર વર્ષે સંઘ દ્વારા આશરે 40 લાખ જેટલી માતબર રકમ સંસ્થાઓને પહોંચાડવામાં આવી. આજ સુધીમાં અંદાજ ગણીએ તો લગભગ 37 જેટલી સંસ્થાઓને આ સંઘ દ્વારા સાડા સાત કરોડની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે.
પ્રબુદ્ધ જીવન માનવીય જીવનનો સંવાદ છે, એવી એની ટેગ લાઈન કહે છે. એનો અર્થ એવો છે કે, એ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાં આ માસિકનો ઉદેશ્ય માનવ જીવનને સ્પર્શવાનો છે. માનવ જીવનનનાં ઉત્તમ પાસાઓને ઉજાગર કરવાનો છે. તો માનવ જીવનના તામસિક પાસાઓ તરફ આંગળી ચીંધીને તેને ધીમે-ધીમે ઘટાડવાનો છે. અને તેથી જ એની ટેગલાઈન ‘માનવીય જીવનનો સંવાદ‘ એવું આપવામાં આવ્યું છે. બહુ સહજ છે કે, તે અંકને કોઈ ને કોઈ જૈન અગ્રણી સૌજન્ય પૂરું પાડે છે અને પરિણામે આ પ્રબુદ્ધ જીવન દ્વારા અનેક વિશેષાંકો પણ થયા છે. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે, આજે જયારે દૈનિક પત્રો ચલાવવામાં પણ કસોટીનો સમય આવ્યો છે અને સામયિકો બંધ કરવા પડે અથવા સમાજની મદદ માંગવી પડે એવો સમય આવ્યો છે ત્યારે પ્રબુદ્ધ જીવન છેલ્લા 97 વર્ષથી અણનમ આપણી વચ્ચે આવી રહ્યું છે એ એક બહુ મોટી સિદ્ધિ છે અને સિદ્ધિની સમગ્ર સમાજે નોંધ લેવા જેવું છે.
આપણે ઘણીવાર ફરિયાદ કરતાં હોઈએ છીએ કે સાત્વિકતા ક્યાંય બચી નથી. મને એમ લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણા સૌ માં સાત્વિક્તાનાં ઝીણા-ઝીણા બીજ રોપવાની એક પ્રક્રિયા છે. પ્રબુદ્ધ જીવનનો દાન વિશેષાંક એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સંયુક્ત અંક છે અને એ પ્રબુદ્ધ જીવનનાં આ અંકનું ટાઇટલ છે, ‘માનવતાની મિશાલ દાન–ધર્મ‘. દાન એકત્ર કરીને અનુકંપા પ્રોજેક્ટ ચલાવ્યા પછી સેજલ અને તેની ટીમને એવો વિચાર આવ્યો કે, આ દાન વિશેની ગ્રંથસ્થ અને વ્યવહારસ્થ સ્પષ્ટતા લોકો સુધી પહોંચે તો ઘણું સારું અને એમાંથી જન્મ થયો આ ‘માનવતાની મિશાલ દાન-ધર્મનો’. આપણી પાસે આ અંક આવ્યો તે શ્રવણ સુદ 11 અને વીર સંવત 2550નો અંક, આપણને દાન ઉપરનાં એકદમ તળથી લઈને શીર્ષ સુધીના વિચારોને પ્રસ્તુત કરી આપે છે. ભગવતગીતા શું કહે છે, ઇસ્લામ ધર્મમાં દાન શું છે, ખ્રિસ્તી ધર્મમાં દાનની ભૂમિકા શું છે, ગૌતમ બુદ્ધનાં દાનના વિચારો ક્યા છે, આટલું જ નહિ પણ એવા કેટલાક માતબર દાનવીર લોકો કે જેણે પોતાનાં જીવનમાં આંખો મીંચીને દાન કર્યું છે એવા શ્રેષ્ઠીઓના જીવન વૃતાંતને નહિ પણ કર્તવ્યવૃતાંતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ એકસો પચાસ પાનાંનો અંક આપણને દાન વિશેનું તલસ્પર્શી જ્ઞાન આપે છે એમ કહું તો અતિશયોક્તિ નથી.
જૈન મુનિઓ, જૈન સાધ્વીઓ, અને જૈન અભ્યાસના ધુરંધરો પોતાના લેખ દ્વારા અને કેટલાક દાન-ધર્મ સાથે સીધા વર્ષોથી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા લગભગ 60 લેખ આ દાન વિશેષાંકમાં આપણને મળે છે. હું માનું છું કે, આ દાન વિશેષાંક ભલે પર્યુષણ પર્વમાં આપણી સામે આવ્યો પણ આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ આપણા મકર સંક્રાંતિ કે દિવાળી કે કોઈ તહેવાર ઉપર દાન કરીએ છીએ તે દાનની ભૂમિકા શું છે અને દાન કોને, ક્યારે, કેટલું, કેવી રીતે આપવું જોઈએ તેની ખુબ જ ઊંડાણથી માહિતી જાણવી હોય તો આ અંક બહુ ઉપયોગી નીવડશે. આપણે દાન વિશેના કેટલાક વિચારો પણ આ અંકમાંથી જાણવા છે પણ અત્યારે ઝડપથી પર્યુષણ પર્વ વીતી રહ્યું છે ત્યારે અને વરસાદ આપણી ઉપર હેતનું દાન કરી રહ્યો છે ત્યારે આપણા હૃદયની અંદર તેવા કોઈ અંકુરણ ફૂટે અને આપણે પણ દાન આપવામાં કંજુસાઈ ન કરીએ પણ આભ ફાટે એટલું દાન આપણે આપતા થઈએ એવી શુભ ભાવનાથી આ પરિચય અહીં મુક્યો છે.
સાહેબ નમસ્કાર 🙏,
ખુબજ ખુબજ સુંદર, ખુબજ ખુબજ અભિનંદન, શુભેચ્છાઓ અને અહોભાવ સાથે કોટી કોટી સહૃદય, સહર્ષ સાદર વંદન, પ્રણામ સાહેબ 🙏🕉️🙏
Can you please send one copy of prabuddha jivan , for reference.
Kanaiyalal keshavlal Thakker manek khimani chartered accountants
N1003 iscon platinum Bopal cross road near samarpan bungows Bopal Ahmedabad 380058
Mobile.9426519515
આપના પ્રતિભાવ બદલ આનંદ સાથે અહોભાવ
નીચેના સરનામાં પરથી અંક મંગાવી શકશો.
Shree Mumbai Jain Yuvak Sangh, 33, Mohamadi Minar, 14th Road, Khetwadi, Mumbai, Maharashtra 400004
Phone: 022 2382 0296
અહોભાવ
સુન્દર લેખ આપ્યો
🙏🙏