
“મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ…કોઇએ તેને ગુમાવવી જોઈએ નહીં.”
ઓશો માટે નદી એક આશ્ચર્યસ્થાન પણ હતું. જ્યારે પણ તેમને ખૂબ ઊંડા દુ: ખની લાગણી થતી ત્યારે તેઓ નદી પાસે આવી જતા અને ધ્યાનમાં બેસી જતા. તેમના મિત્રો ખાસ કરીને બે પ્રસંગો નોંધતા. તેમના કિશોરાવસ્થાની સાથી શશીનું અવસાન અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં જ્યારે ગાંધીજીની હત્યા થઇ, ઓશોએ તેમના મિત્રોને કહ્યું હતું કે એમને એટલું બધું લાગી આવ્યું હતું કે તેઓ રડી પણ શકતા ન હતા. એ સાંજે તેઓ અને તેમના મિત્રો નદીએ આવ્યા અને ધ્યાનમાં બેઠા.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કર્યો. તેમના કાકા, મિત્રો અને સંબંધીઓએ વર્ણવ્યું છે કે તેઓ ભયાનક રીતે વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા અને સામે કિનારે તરીને જતા હતા અથવા સિત્તેર ફૂટ ઊંચો પુલ ચડીને ત્યાંથી પૂરમાં ભરપૂર વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા. રૂંવાડાં ઊભાં કરી દે એવા અનુભવોમાંનો એક તો એ છે કે, તેઓ વમળમાં કૂદકા મારતા હતા. તેઓ માટે વમળમાં પડવું, “સુંદરતમ અનુભવોમાંનો એક અનુભવ હતો.” ઓશો પોતે વમળના સ્વભાવ અને તેના અનુભવ વિશે જણાવતાં કહે છે કે “વિશેષ કરીને વરસાદમાં પૂરમાં વહેતી નદીઓમાં. પ્રચંડ શક્તિશાળી અને તાકતવર, ઘણાં વમળો સર્જાય છે. પાણી સ્કૂની જેમ ગોળગોળ ફરે છે. જો તમે એમાં જકડાઈ જાઓ, તમને તળિયે ખેંચી જવા માટે ધક્કો લગાડવામાં આવે અને જેમ જેમ તમે વધુ નીચે જાઓ, વમળ વધુ તાકતવર બનતું જાય. અહંની સ્વાભાવિક વૃત્તિ એ હોય કે તેની સાથે લડીએ, ચોક્કસ, કેમ કે એ મૃત્યુ જેવું ભાસતું હોય અને અહં મૃત્યુથી ખૂબ જ ડરતો હોય. અહં વમળ સાથે લડવાનો પ્રયાસ કરે અને તમે પૂરમાં વહેતી નદી અથવા ધોધની નજીક જ્યાં ઘણાં જ વમળો સર્જાતા હોય. તેમાં ખોવાઈ જાઓ કેમ કે વમળો ખૂબ જ શક્તિશાળી હોય છે. તમે તેની સાથે ન લડી શકો. ‘અને વમળનું આ એક લક્ષણ છે, સપાટી પરથી તે મોટું લાગે, પણ જેમ જેમ ઊંડા જાઓ તેમ તેમ નાનું અને નાનું થતું જાય- વધુ તાકતવર પણ નાનું. અને જ્યારે લગભગ તમે વમળના તળિયે જતા રહો ત્યારે તે એટલું નાનું થઇ ગયું હોય કે તમે એમાંથી સરળતાથી લડ્યા વગર જ બહાર આવી શકો. વાસ્તવમાં, તળિયાની નજીક, વમળ જ તમને જાતે બહાર ફેંકી દે. પણ તમારે તળિયા માટે રાહ જોવી પડે. જો તમે સપાટી પરથી જ લડવાનું શરૂ કરી દો, તો તમે પતી ગયા, તમે બચી ન શકો. મેં ઘણી વખત ઘણા વમળો સાથે પ્રયત્નો કર્યા છે; જે અનુભવો ખૂબ જ સરસ છે.’
આ વિવરણ ઓશોની મૃત્યુ વિશે આંતરસૂઝને વર્ણવે છે. જેમ જેમ મૃત્યુ સાથે લડો, તેમ તેમ તમે વિખેરાઇ જાઓ અને તેનાથી ચહેરાઇ જાઓ; પણ તેનો પ્રતિકાર કરવાને બદલે, કોઇ તેમાં ધ્યાનપૂર્વક ઊંડા જવાની પરવાનગી આપે, તો તે/તેણી જબરદસ્ત રોમાંચક અનુભવમાંથી બહાર આવી શકે. જો કોઇ રહસ્યોને વીંધીને જવાની કોશિશ કરે અને તેના પાયા સુધી પહોંચી શકે, તો તે નુકસાન વગર તેમાંથી સ્વયંભૂ બહાર આવી શકે અને ભયથી પણ મુક્ત થઇ જાય.
એક બાળક તરીકે, ઓશોનું મૃત્યુ સાથેનું અનુસંધાન અસાધારણ હતું. મૃતદેહને ઊંચકીને અગ્નિસંસ્કાર માટે લોકો લઇ આવતા એ એમનો સામાન્ય અનુભવ હતો. જ્યારે એમનાં માતા-પિતા એમને પૂછતાં કે એ અવારનવાર અજાણ્યા લોકોના અગ્નિસંસ્કાર માટે શા માટે સ્મશાન ગૃહે જાય છે, તો તેઓ કહેતાઃ “માણસ મારી ચિંતાનો વિષય નથી. મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ. કોઇએ તેને ગુમાવવી જોઇએ નહીં.” એને વધુ વર્ણવતાં ઓશો કહે છે કે: એટલે જે ક્ષણે મને ખબર પડે છે કે કોઇનું અવસાન થયું છે, ત્યાં શું બની રહ્યું છે તે જોવા માટે, તેનો સાક્ષી બની રહેવા અને તેનું અવલોકન કરવા માટે હું જતો. લોકો મૃત્યુને કેવી રીતે શાસ્ત્રીય અર્થ આપતા અને શાસ્ત્રોમાં લખાયેલાં ટાંચણોને જે રીતે રજૂ કરતા તેને તેઓ ધ્યાનથી સાંભળતા અને અવલોકતા. આ પ્રકારની મૂર્ખતા ઓશોને ઉશ્કેરતી. ‘મને લાગતું કે તેઓ એને અવગણી રહ્યા છે, જે ઘટના બની રહી છે તેને જોવાને બદલે ચર્ચામાં વ્યસ્ત રહીને તેને અવગણી રહ્યા છે. તેઓ મૃત વ્યક્તિ તરફ જોતા નહોતા. અને એ ત્યાં જ હતું, મૃત્યુ સામે જ હતું અને તમે તેની ચર્ચા કરી રહ્યા છો, કેવા મૂર્ખ લોકો!!
ઓશોની મૃત્યુ જંખનાને લઈને પરિવારના સૌ લોકોને તેની ચિંતા થવા લાગી. ઓશો ભલે ભૌતિક રીતે મૃત્યુ માંથી બચી ગયા પરંતુ એમણે ચેતના સ્તરે મૃત્યુનો એક વખત વધુ સામનો કર્યો. તેમણે પરિવાર ને કહ્યું કે જો જ્યોતિષે જે કહ્યું હોય તે મુજબ મૃત્યુ નિશ્ચિત જ હોય તો તેઓ એના માટે પહેલે થી તૈયાર થઈ જાય એ હિતાવહ છે. પરિવારના લોકો આ સાંભળીને આઘાત પામ્યા. પણ એમના આયોજનમાં હસ્તક્ષેપ કોઈએ ન કર્યો. ઓશો એમના આયોજનને આગળ ધપાવવા મક્કમ હતા. તેઓ શાળાના આચાર્યને મળવા ગયા અને સાત દિવસની રજા માટે વિનંતી કરી. તેઓએ આચાર્યને કહ્યું કે તેઓ મૃત્યુ પામવા જઇ રહ્યા છે. આચાર્યને એમના કાન પર જ વિશ્વાસ પડ્યો નહીં. એમણે વિચાર્યું કે, ઓશો આપઘાત કરવા જઈ રહ્યા છે, એટલે વધુ સમજાવટ માટે પૃચ્છા કરી. ઓશોએ એમના ચૌદમાં વર્ષે મૃત્યુની શક્યતા વિશે જ્યોતિષીએ કરેલી ભવિષ્યવાણી વિશે આચાર્યને જણાવ્યું. તેઓએ આચાર્યને એ પણ કહ્યું કે, “હું સાત દિવસ માટે મૃત્યુની રાહ જોવાના આનંદ માટે જઇ રહ્યો છું, જો મૃત્યુ આવે અને હું તેને ચેતન અવસ્થામાં મળી શકું તો એ સારો અનુભવ કહેવાય.”
આચાર્ય સ્તબ્ધ બની ગયો અને રજા પણ મંજૂર થઇ ગઇ. પછી ઓશો એમના ગામની નજીક એક જીર્ણશીર્ણ એવા એકાંત અને પુરાણા મંદિરે ચાલ્યા ગયા. એક પૂજારી પોતે જેટલી દેખભાળ રાખી શકતા હતા તેટલી રાખતા હતા. ઓશોએ પૂજારીને સૂચના આપી દીધી કે કોઇ એમને વિઘ્ન ન પહોંચાડે અને એમ પણ કહ્યું કે એમને દિવસમાં એક જ વખત ખાવા પીવા માટે કંઇક પૂરું પાડે, જ્યારે તેઓ મંદિરમાં મૃત્યુની રાહ જોઇ રહ્યા હોય. ઓશો માટે એ ખૂબ સુંદર અનુભવ રહ્યો. હા! સાચેસાચ મૃત્યુ તો કદાપિ ન આવે, પણ ‘મૃત્યુ પામવા માટે‘ શક્ય હોય તેટલું બધું જ કરી છૂટ્યા. તેઓ અસાધારણ અને વિચિત્ર લાગણીઓમાંથી પસાર થયા. ઘણી બધી બાબતો એમની સાથે બની, પણ ઓશો જેમ કહે છે તેમઃ “પાયાની વાત એ છે કે જો તમને એમ લાગતું હોય કે તમે મૃત્યુ પામી રહ્યા છો, તો તમે શાંત અને મૌન બની જશો.”
એમના કેટલાક અનુભવો તો ઘણા આશ્ચર્યચકિત કરનારા હતા. મૃત્યુના ભયના સંબંધમાં એક વાત આ પ્રમાણે કરે છે: ‘હું ત્યાં પડી રહ્યો હતો. ત્રીજા કે ચોથા દિવસે મંદિરમાં એક સાપ આવ્યો. મને દેખાતું હતું, હું સાપને જોઇ રહ્યો હતો. પણ ભય નહોતો. અચાનક મને બહુ અચરજ જેવું લાગ્યું, સાપ નજીક અને નજીક આવતો હતો અને મને ઘણું જ નવાઇભર્યું લાગતું હતું. ભય બિલકૂલ નહોતો. તો મેં વિચાર્યું કે જ્યારે મૃત્યુ આવવાનું જ હોય તો, એ સાપ દ્વારા પણ આવી શકે, તો ભય કેમ પામવાનો? રાહ જુઓ! સાપ મારી ઉપરથી પસાર થઇને ચાલ્યો ગયો. ડર અદ્રશ્ય થઇ ગયો હતો. જો તમે મૃત્યુને સ્વીકારી લો તો પછી ભય નથી રહેતો. જો તમે જિંદગીને વળગેલા રહો તો પછી ત્યાં દરેક પ્રકારનો ભય રહે છે.’
એક વખત મૃત્યુને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લો, એ સ્વીકાર તરત જ એક અંતર સર્જે છે. એ બિંદુ જ્યાંથી જિંદગીમાં બનતી ઘટનાઓના પ્રવાહને એક દ્રષ્ટા તરીકે નિહાળી શકાય. સામાન્ય રીતે ઘટનાઓની સાથે આવતાં દુ: ખો, યાતનાઓ, ચિંતાઓ અને વિડંબનાઓને આ સઘળું પરે લઇ જાય છે. ઓશો આ પ્રકારની અલગાવની સ્થિતિના સંબંધમાં એમના અનુભવને વર્ણવતા કહે છેઃ ‘ઘણી વખત માખીઓ મારી આજુબાજુ ઉડતી, મારી આસપાસ મંડરાતી, મારા ચહેરાની આસપાસ. ઘણી વખત હું ઉશ્કેરાઈ જતો, અને તેમને ઉડાવી દેવાનું ચાહતો, પણ મેં વિચાર્યું, આનો શો ઉપયોગ છે? વહેલા કે મોડા હું મરી જવાનો છું પછી આ શરીરને બચાવવા માટે કોઇ રહેવાનું નથી. તો તેઓને તેમનો રસ્તો કરવા દો. જે ક્ષણ મેં એમ વિચાર્યું કે, તેઓને તેમનો રસ્તો કરવા દો, કે તરત ઉશ્કેરાટ જતો રહ્યો. તેઓ શરીર ઉપર હતી પણ જાણે મને એમની પરવા નહોતી. તેઓ ફરતી હતી, જાણે કોઈ બીજાના જ શરીરની આસપાસ ફરતી હતી. તરત જ એક અંતર નિર્માણ થઈ ગયું. જો તમે મૃત્યુને સ્વીકારો તો અંતર નિર્માય જાય છે. જિંદગી એની બધી જ ચિંતાઓ, ઉશ્કેરાટો અને બધાંથી દૂર, આગળ નીકળી જાય છે.'(ક્રમશ:)
