ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયા અને ઓશોનો જન્મ થયો….

નદી અંગેના અનુભવમાં રજનીશ ઉમેરે છે કે, ‘આ પહેલો પ્રસંગ હતો જયારે મને મારી જાત ‘શુદ્ધ’ હોવાનો તથા શરીર અંગેનો અહેસાસ થયો. તે નાભિથી નીચે, બરાબર બે ઈંચ નીચે એક ચાંદીની રસ્સી સાથે જોડાયેલું છે. તે પદાર્થ નથી પણ ચાંદીની માફક ચમકે છે. હું જેટલી વાર સામે કિનારે પહોંચતો, જે ક્ષણે કિનારે પહોંચતો ત્યારે મારી હાજરી અને તેની હાજરીનો મારા શરીરમાં પ્રવેશ થતો. પહેલીવાર તો આ બાબત ડરાવનારી લાગી પણ પછી તે આનંદદાયક લાગવા માંડી. તે ખતરનાક હતું, પુલ ઘણો ઊંચો હતો અને ત્યાંથી કૂદીને નદીના તળિયે પહોંચવું આસાન ન હતું. આ સમયે નદી અને પુલની વચ્ચે-એક ક્ષણ એવી આવતી જ્યારે મન અચાનક રોકાઈ જતું હતું.’ મારા ધ્યાનની આ પહેલી અનુભૂતિ હતી. આ રીતે હું ધ્યાન તરફ વધુને વધુ ખેંચાતો ગયો. મેં એ શોધવાનું શરૂ કરી દીધું કે પર્વત, નદી કે પુલ ઉપર ગયા વિના આ ક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે કોઈ વ્યક્તિ ક્યાંય ગયા વિના માત્ર આંખો બંધ કરીને આ ક્ષણમાં પ્રવેશ કરી શકે છે.’

સ્પષ્ટ છે કે રજનીશ માટે નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં આપણે બધા નદીને ઓળખીએ છીએ. આ નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં ગંગા, ગોદાવરી, નર્મદા આપણા માટે નદી છે. સકર નદી તો તેમના માટે જીવનની એક કુદરતી પ્રયોગશાળા બની ગઈ હતી.

આશ્ચર્ય થાય તેવી વધુ  એક ઘટના.. માનવેન્દ્ર નિધિ રાયને લોકો એમ.એન. રાય તરીકે ઓળખતા હતા. તેઓ રશિયાની ક્રાંતિ વખતે લેનિન અને ટ્રોટસ્કીની સાથે હતા. તેઓ ઇન્ટરનેશનલ કમાન્ડિંગ બોડી ઓફ કમ્યુનિસ્ટના સદસ્ય બનવાનું સન્માન હાંસલ કરનારા એકમાત્ર ભારતીય હતા. ૧૯૧૭માં રશિયામાં ઝારશાહી સામે લેનિનની આગેવાની હેઠળ ક્રાંતિ સફળ થઈ તો આવી જ ક્રાંતિનું સ્વપ્ન લઈને એમ.એન. રાય ભારત આવ્યા.

એક સુખદ સંજોગ રચાયો  કે રજનીશ જબલપુર જવા માટે ગાડરવાડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને એમ.એન. રાય એ જ પ્લેટફોર્મ પર સિગારેટ પીતા પીતા આંટા મારી રહ્યા હતા. રાયને એ જોઈને આશ્ચર્ય થયું કે ૧૭ વર્ષનો એક છોકરો બેંચ ઉપર બેસીને આટલી તલ્લીનતાથી પુસ્તક વાંચી રહ્યો છે અને એ પુસ્તક પણ પાછું લેનિનનું હતું. તેમના મનમાં આ છોકરા સાથે વાત કરવાની ઇચ્છા થઈ અને પરિણામ એ આવ્યું કે, બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને એટલી ગાઢ મિત્રતા થઈ ગઈ કે, એમ.એન. રાય જ્યારે પણ જબલપુર આવતા ત્યારે રજનીશને અચૂક મળતા હતા. રજનીશે સ્પષ્ટતા કરી દીધી હતી કે, ‘હું સામ્યવાદનો અભ્યાસ કરી રહ્યો છું પણ હું સામ્યવાદી નથી. આ સ્પષ્ટતા છતાં એમ.એન. રાય રજનીશને મહત્ત્વ આપતા હતા. હજી તો મારે ઘણા વિષયનો અભ્યાસ કરવાનો છે. સમાજવાદ, મૂડીવાદ, અધ્યાત્મવાદ વગેરે વિશે મારે જાણવાનું છે તેમ રજનીશ ખુલાસો કરતા હતા. આ અગાઉ મારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. હજી તો હું જિજ્ઞાસુ છું.’

એમ.એન.રાયે  રજનીશ સમક્ષ પોતાની નિરાશાને આ શબ્દોમાં રજૂ કરી હતી, “મેં રશિયાની ક્રાંતિમાં ભાગ ભાગ લીધો છે. હું લેનિનનો ગાઢ મિત્ર છું, પણ ભારતમાં તો હું કાંઈ નથી. મારી વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી.”

એમ.એન. રાય માટે આ વાત ચોંકાવનારી હતી પણ રજનીશ માટે નહીં. રજનીશની પારખુ આંખ અને સચેત મગજે ભારતીય સમાજ અને ભારતીય માનસિકતાને સારી રીતે ઓળખી લીધી હતી. આ વાતને પોતાના નિષ્કર્ષનો આધાર બનાવીને જ રજનીશે પોતાની વાત રજૂ કરી. તેમનાં જે તારણો હતાં તે તેમણે એમ.એન. રાય સમક્ષ રજૂ કર્યા જેથી તેમની નિરાશા ઘટી શકે. રજનીશના શબ્દો હતા, “ભારતમાં સૌ પ્રથમ તો તમારે તમારી જાતને બદલવી પડશે. તમારે પાખંડી બનવું પડશે. બધાંની સામે, જાહેરમાં સિગારેટ ના પીઓ. બાથરૂમમાં સંતાઈને સિગારેટ પીઓ અને જાહેરમાં ધુમ્રપાનની ટીકા કરો. મહાત્મા ગાંધીની માફક ઢીંચણ સુધી ધોતી પહેરો. માથે મુંડન કરાવી નાંખો. દેશમાં મહાત્મા બન્યા વિના કોઇપણ વ્યક્તિ અન્યનું ધ્યાન ખેંચી શકતી નથી. અહીં તો ફક્ત દેખાવ કરવાનો હોય છે, સચ્ચાઇનું તો કોઇ મૂલ્ય નથી.” એમ.એન. રાયે રજનીશની આ સલાહ સામે તરત જ કહી દીધું કે, હું આમ કરી શકીશ નહીં. પછી પરિણામ પણ એ જ આવ્યું. ભારતીય પ્રજાએ પણ મૌન રહીને કહી દીધું કે, અમે તમને સાંભળવા માગતા નથી.

હવે રજનીશ જબલપુર વિશ્વવિદ્યાલયમાં ફિલોસોફીના પ્રોફેસર હતા પરંતુ અન્ય પ્રોફેસરો જેવા પરંપરાગત પ્રોફેસર ન હતા. પ્રોફેસર તરીકે પણ તેમણે પરંપરાથી અલગ હોવાનો પ્રયાસ કર્યો અને એ વખતની સ્થાપિત પરંપરાના છોતરાં કાઢી નાખ્યાં. દાખલા તરીકે વર્ગમાં એક પિરીયડની ૪૦ મિનિટને તેમણે બે ભાગમાં વહેંચી દીધી. ૨૦ મિનિટ સુધી તેઓ બોલતા અને બાકીની ૨૦ મિનિટ તેઓ વાર્તાલાપ અને તર્ક-વિતર્ક કરાવતા હતા. તેઓ પોતાના વિચારો પ્રગટ કરતા હતા અને વિદ્યાર્થીઓ તેમના વિચારો રજૂ કરતા હતા. આમ થતાં તેમના વર્ગો પ્રવચનના વર્ગને બદલે વાદ-વિવાદ અને ચર્ચાનું સ્થળ બની ગયા.

સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ હતો અને તેઓ આ પસંદ પણ કરતા હતા પરંતુ તેમને એ બાબત સ્વીકારવામાં અડચણ પડતી હતી કારણ કે, તેમને એ ચિંતા હતી કે આમ થશે તો અભ્યાસક્રમ ક્યારે પૂરો થશે અને આ ચિંતા વાજબી પણ હતી. વિદ્યાર્થીઓએ પોતાની આ ચિંતા રજનીશ સમક્ષ રજૂ કરી તો તેમણે એમ કહીને સમજાવી દીધા કે, “તેની ચિંતા કરશો નહીં. તમારી બુદ્ધિને કુશાગ્ર કરવાની જરૂર છે. અભ્યાસક્રમ તો ઘણી મામૂલી બાબત છે. એ તો તમે એક રાતમાં વાંચી શકો છો. તમારી બુદ્ધિ તીવ્ર છે તો વાંચ્યા વિના પણ તમે જવાબ આપી શકો છો પણ બુદ્ધિ તેજ નહીં હોય તો વાંચ્યા પછી પણ તમને આવડશે નહીં.’

એ જમાનામાં કલાસમાં છોકરા અને છોકરી અલગ અલગ બેસતાં હતાં. આગળની થોડી જગ્યા કદાચ પ્રોફેસરનો આદર કરવા માટે ખાલી રાખવામાં આવતી હતી. રજનીશને આ વિચિત્ર લાગતું હતું. તેમણે છોકરાઓને ચોખ્ખું ચોખ્ખું કહીને ચોંકાવી દીધા અને ડરાવી પણ નાખ્યા કે “બધા એક સાથે બેસો. મારા કલાસમાં તમે અલગ અલગ બેસી શકશો નહીં. તમે છોકરીને સ્પર્શી રહ્યા છો કે કોઇ છોકરી તમારું શર્ટ ખેંચે તેનાથી મને કોઈ વાંધો નથી. જે સાવ સ્વાભાવિક છે અને તેનો હું સ્વીકાર કરું છું. આથી જ હું નથી ઇચ્છતો કે તમે આમ સંકોચાઈને બેસો. મારા કલાસમાં આવું નહીં બને. મને ખબર છે કે તમે બધા એકબીજા તરફ કાગળ ફેંકો છો, અન્ય ચીજો ફેંકો છો પણ તેની જરૂર નથી. છોકરીની નજીક બેસો અને તેનો પત્ર તેને આપી દો. તમે બધાં શરીરથી વયસ્ક બની ગયાં છો, તમારે બધાએ તો આમ કરવું જ જોઈએ.”

1953ના 21મી માર્ચનો દિવસ હતો.આ દિવસને રાજનિસજના જીવનનો પ્રથમ દિવસ પણ કહી શકીએ. જે દિવસે અગાઉના રજનીશનું મૃત્યુ થયું અને ફિનિક્સ પંખીની જેમ તેઓ રાખમાંથી બેઠા થયા અને ઓશો રજનીશનો જન્મ થયો. એ વખતે તેઓ 21 વર્ષના હતા. જે પ્રસંગ ભગવાન બુદ્ધના જીવનમાં 35 માં વર્ષે બન્યો તે અહીં રજનીશ માટે 21માં વર્ષે બન્યો. જે બન્યા પછી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર 45 વર્ષ જીવિત રહ્યા. રજનીશના જીવનમાં આ પ્રસંગ ઘણો વહેલો એટલે કે ૨૧ મા વર્ષે બન્યો અને તેમને પોતાના અનુભવ પ્રજા સમક્ષ રજૂ કરવા માટે અન્ય કરતાં ઓછો એટલે કે ૩૭વર્ષનો સમય મળ્યો. આમ જોવા જઈએ તો ૩૭ વર્ષનો સમય ગમે તેટલાં મહત્ત્વનાં કામ પૂરાં કરવા માટે ઓછો કહી શકાય નહીં. મોહમ્મદ પયંગબર સાહેબને પણ અલ્લાહે આ બધા માટે ફક્ત આઠ વર્ષ આપ્યાં હતાં. (ક્રમશ:)