
“તમારું સત્ય હરિશ્ચંદ્ર પર અટકી જાય છે !! સત્ય તો હરિશ્ચંદ્રથી ક્યાંય મોટું છે.”
ઓશો મૃત્યુ અંગે બહુ ગંભીર હકીકત આપણી સામે મૂકે છે. તેઓ કહે છે :: “જયારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડી કે, મૃત્યુ એ મંગળ છે. અને મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.” એમના દાદા વખતે એવું બન્યું કે રજનીશ નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે એ મૉટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું, શું કરે છે? મારા બાપ ગુજરી ગયા છે ને તું હસે છે ?? તો કહે, “એ તો તમને લાગે છે. હું તો એમ માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને પાછા સરસ રીતે બોલાવી લીધા એટલે હું હસું છું.” આ અંગે એમનું પુસ્તક બન્યું ” मैं मृत्यु सिखाता हूँ” આ બધા જ અનુભવો એમણે એમાં લખેલા છે.
સુરતમાં મોરારીબાપુએ ઓશો ચેરનું ઉદ્દઘાટન કર્યું. સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં ત્યારે મોરારીબાપુએ ઓશોનો સુંદર અર્થ આપ્યો.. એમણે કહ્યું ”osho” શબ્દ ઉપરથી હું એવું સમજું છું – ”Own silence and holiness own”.. સ્વયંની શાંતિ, સ્વયંનું ધ્યાન. ટૂંકમાં, પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે.
ઘણા પૂછે છે કે, ઓશો નામ શા માટે રાખ્યું હશે ? તો કહે, એમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. મારો ઓશો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં પાંત્રીસ શ્રોતાઓની વચ્ચે થયો. હું આઠમું ધોરણ ભણતો હતો. ત્રણ દિવસના એના પ્રવચનો હતા, બે-બે કલાકનાં રોજ અને એ વખતે એમના વક્તવ્ય અંગે વિવાદ થયો હતો. બીજે દિવસે છાપામાં આવ્યું હતું. મને નોહ્તું સમજાણું કે એમણે વિવાદ શો કર્યો હતો ? હું તો બહુ નાનો હતો. જીજ્ઞાશાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે तुम्हारा सत्य हरिशचंद्र पे अटक जाता है… हरिशचंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात कहे, आप उससे भी आगे जा सकते हैं . અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે, રજનીશે હરીશચંદ્ર રાજાનો વિરોધ કર્યો.!!
મોટી-મોટી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હતાં. તમને એમ લાગે કે, એમના ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવો અમને થયા છે કે, જેમાં તેમના વ્યાખ્યાન ડોમ ઉપર મચ્છરદાની રાખવામાં આવતી હતી. એક વક્તવ્ય શ્રેણી એમણે આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી અને અમે બંન્ને જયારે સાંભળવા ગયા ત્યારે પૂછ્યું : કેમ આમ છે? તો કહે, એક મચ્છર ઓશોની નજદીક આવી ગયું હતું. એટલે એમણે કીધું ये तो disturb कर रहा है, मच्छर नहीं आना चाहिए. તો શિષ્યોએ નક્કી કર્યું કે, આખા ડોમને જ મચ્છરદાની બાંધી દ્યો. આખું ડોમ મચ્છરદાનીથી ઢાંકી દેવામાં આવ્યું !! એક વખત ગયા ત્યારે દરવાજા ઉપર સાધકો હોય અને એ તમને સૂંઘે… તમારી પાસે આવે અને પેલા સ્નિફરડોગની જેમ તમને સૂંઘે. પૂછ્યું કે, કેમ આવું કરો છો ? તો કહે, ભગવાનને સ્પ્રેની ઍલર્જી છે. એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહિ આવવાનું !!. આપણને એવું લાગે કે, આ બધી તો વર્ણાગી છે. પણ એ વખતે આવી વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદખન્નાને તમે ઑરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો, બોલીવુડની અભિનેત્રીઓને તમે દરણા દળતી જોઈ શકો !!
વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે તેઓ પ્રખ્યાત હતા. એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈકે કહ્યું કે, તમારી પાસે રોલ્સરોય્સ કેમ છે? તો કહે છે, એમાં શો વાંધો? તો કહે, એક જ કેમ છે ? તો કહે, ઓછી જ છે એવું મને લાગે છે. અને બીજા દિવસે શીલાને ઓર્ડર કર્યો કે, બને એટલી વસાવી લ્યો. કુલ 93 રોલ્યરોય્સ ઉભી રાખી દીધી. અને એણે કહ્યું કે मैं जानता हूँ कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा, जब तक है, सामने कोई वस्तु है तो आनंद ले, तो मैं ने आनंद ले लिया.
આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એમની ઘણી વાત આપણને એવી લાગે કે, જે આજે આપણે આજેના કાળમાં સ્વીકારી શકીએ છીએ પણ એ ત્યારે તો તે કાળમાં સ્વીકારાયેલ. ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ બનાવ્યા હતા કે, એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. આ સઘળું આયોજન કર્યું શીલાએ, કે જે એમની સેક્રેટરી હતી. જેમણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું. અને બહાર નીકળીને એમણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે જેથી એમના ગયા પછી એમના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું, એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એમ કહે છે કે, she has been sold to that channel !! ઓશોની વિદાય વખતે શીલા ત્યાં નથી, 84-85 માં શીલા જર્મની ભાગી ગયેલ. પણ એવું કહેવાય છે કે, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાને પોતાની તરફ ખેંચી લીધું.
સાવ નજીકની વ્યક્તિ તમારી અંગતમાં અંગત બધું જ જાણતી હોય છે, એટલે તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે.
કારણ કે, ‘જીવનની સમી સાંજે મેં જખ્મોની યાદી જોઈ હતી,
બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત–અંગત નામ હતા.’
એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનમાં શીલા હતી. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો આપણે જાણીએ તો એમ થાય કે, શીલા ના હોય તો એ ન બની શકે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઓશો અંગેની કેટલીક પર્સનલ વાતો આપણે સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય. મને એ અંગે જાણવાનો લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી.. સત્ય વેદાંત સ્વામીને એક જીવન સંદેશ ઓશોએ લખીને આપ્યો એ હું ખાસ પેશ કરું. સત્યવેદાન્ત સ્વામી ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર હતા અને તેઓ અમેરિકા પરત જઈ રહ્યા હતા ત્યારે ઓશોએ તેમને જીવનનો એક સંદેશો આપ્યો. ત્યારે એમણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું,
”बहते हुए पानी के ऊपर पड़े हुए सूखे पत्ते की तरह बहो”.
અર્થ કરીએ :: પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર પર્ણ થઈ એની મેળે પડવાનું છે, વળી પર્ણ સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે તેમાં પોતાનો ભાર ન હોવો જોઈએ અને પછી એ પાણીની સાથે વહેતા રહો. ન આગળ જવાનો યત્ન કરો કે ન તો અટકી જવાનો પ્રયત્ન કરો… આ એમનો સંદેશ હતો. વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે, એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મ અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. આપણને ખુબ આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ઓશોની વિદાય પછી ઘણા ઓશો કોમ્યુન શરુ થયાં છે. મેં મારી આજુબાજુમાં કેટલાયે ઓશોપંથી સગા- સંબંધીઓને જોયા છે કે કે જેના ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જયારે જે હોય ત્યારે આનંદમા જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એમણે શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે never sit on a seat off a judge. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહિ.
હવેના લેખમાં ઓશો અને તેમના જીવનની રહસ્યભરી રોચક વાતો જાણીશું. (ક્રમશ:)
