
ઈતિહાસ ગવાહ છે છે કે, ‘હું-તું કરનારા હણાયા છે, પરંતુ ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે અને હજુ જીતશે.
“નિષેધ કોઈનો નથી, સર્વનો સમાસ છે.”…આ પંક્તિ નવા ભારતનો રાજધર્મ છે.
આફ્રિકાના એક ખોબા જેવડા પણ પ્રકૃતિસભર રમણીય દેશ રવાન્ડામાં પચીસ-ત્રીસ વર્ષો પહેલાં બે જાતિઓની આંખો વઢી. એક જાતિ “હૂતી” નિર્દય બની તૂટી પડી બીજી જાતિ “તુત્સી” પર ને થયો જાતિસંહાર એટલે કે જિનોસાઈડ.
ત્યાંનું ‘હુ તુ’ એટલે આપણું “હું ને તું’ ને ‘તુત્સી’ એટલે ‘તું ત્વં અસિ’
હું-તું એટલે દ્વૈત, બે, અલગ, જુદારો, હુંસાતુંસી, દ્વેષ, વેર ને છેવટે વિનાશ,
પણ ‘તું ત્વં અસિ’ એટલે તત્ત્વમસિ, તું તે જ હું, હું તે જ તું, પ્રેમ, સમાસ, સ્વીકાર, એકત્વ ને છેવટે વિજય!
ઈતિહાસ ગવાહ છે કે, ‘હું-તું’ કરનારા હણાયા છે ને ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે. કાળચક્ર કોઇપણ રીતે ફરે અંતે તો સર્વનો સમાસ કરનાર જ જીતશે, એ વિધિ નિર્માણ છે. જિનોસાઈડના પચીસ વર્ષથી હવે રવાન્ડામાં કોઈપણને પૂછો કે ‘તમારી જાતિ કઈ?” તો એક ને માત્ર એક જવાબ મળશે, ‘રવાન્ડિયન’! રવાન્ડામાં જે વસે છે તે બધા ‘રવાન્ડિયન’. આપણે પણ જો મોટા જાતિસંહાર કે નરસંહાર તરફ ન જવું હોય તો જ્ઞાતિ-જાતિના લેબલ તોડી એકમાત્ર ‘ઈન્ડિયન’ બનવું પડશે. હિન્દુસ્તાનમાં જે વસે તે બધા માત્ર ને માત્ર ‘હિન્દુસ્તાની’. નામ અનેક, પૂજા અનેક પણ જાતિ તો કેવળ ‘ઇન્ડિયન’ જ!..
1988માં મનુભાઈ પંચોલી ‘દર્શક’ એ ‘સાચો હિન્દુ ધર્મ’ પુસ્તિકાના પ્રવેશમાં લખ્યું છેઃ ‘કોઈ પણ લોકશાહીમાં તેના મતદારો કેળવાતા રહે તે બહુ મહત્ત્વની વાત છે. બંદૂક આપવાથી જ કામ પતતું નથી. બંદૂક કેમ વાપરવી તેની પણ તાલીમ આપવી અનિવાર્ય છે. નહીંતર એ જ બંદૂક નરહત્યા કે આત્મહત્યામાં વપરાય. તેવું જ આપણા મતનું છે. આ અગત્યનું કામ આપણે કર્યું નથી ને કરવા ગયા તેમણે પ્રચાર કર્યો છે. કેવળ તટસ્થતા, કડવી કે મીઠી પણ હકીકતોને જ પોતાના સાધન તરીકે વાપરે છે. ગમાઅણગમાને તે બાજુ પર મૂકે છે. આ નિયમ ન સમજાય ત્યાં પ્રચાર રહે અને પ્રચાર એટલે કોઈકના મગજનો કબજો લેવાનો પ્રયાસ.’ મતદારો ચૂંટણી વખતે મત આપનારા છે, પણ પછી તો તેઓ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ છે, તેઓ માતા-પિતા છે તો મિત્ર પણ છે. આવો સ્વીકાર એ બહુ મોટું ચઢાણ છે અને આવું મોટું ચઢાણ રાષ્ટ્રપ્રેમનો ઓક્સિજન માગે છે. રાષ્ટ્રપ્રેમ એટલે હું કેવળ ભારતીય, ન હિન્દુ ન મુસ્લિમ, ન ગુજ્જુ કે ન મલ્લુ, ન હું ન તું… રાષ્ટ્રપ્રેમ એટલે તું તે જ હું‘.
મોહમ્મદ ગઝની સાથે એક વિચક્ષણ અભ્યાસી અલબેરૂની આવેલો. તેણે તે વખતના હિન્દુ ધર્મનો અને હિન્દુઓનો સારો અભ્યાસ કર્યો હતો. તેણે બે ભારે લાક્ષણિક વાત કરેલી. તે કહેઃ ‘હિન્દુઓ ભલા ને આતિથ્યશીલ લોકો છે, પણ તેમનામાં બે એબ છેઃ એક એ કે તેઓ એવું માને છે કે તેમણે બીજા પાસેથી કશું શીખવાનું જ નથી, તેમના વડવાઓએ બધું જાણી લીધું છે અને બીજું તેઓ પોતાને ઊંચા માની કોઇની જોડે ભળતા જ નથી. તેમના પૂર્વજો આવા નહોતા.’ તે વખતના ધર્મ દ્વારા આ બે એબ વિકસાવવામાં આવી છે અને આપણે આજ સુધી પોતાના કોચલામાં જ પુરાઈ રહેવામાં આપણું રક્ષણ માન્યું છે ! ધર્મના અધિપતિઓ આવ્યા ને તેમણે ‘ધર્મમાં રાજ્ય દખલ ન કરે તો…” એટલું સ્વીકારી બધું થવા દીધું. પરિણામે મંદિરો રહ્યાં, પણ દેશ ગયો, દેશ નિચોવાયો, દેશ વગોવાયો, પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોનો સાર અનુભવ્યો અને બતાવ્યું કે, ‘બધા ઝઘડા નામના ને સ્થળકાળના છે. ધાર્મિક માણસ બધે જો ભગવાન છે તેમ કહેતો હોય તો તે બધાને માટે ઘસાય, કશાય ભેદભાવ વિના ઘસાય!’
તેમના અંતકાળે વિવેકાનંદે સમાધિસુખ માગ્યું તે ચપટીક દર્શાવ્યું ને ચોવીસ કલાક પછી તેમને જગાડ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું: ‘મને શા સારું જગાડયો? હું કેવા અપૂર્વ સુખમાં હતો?’ રામષ્ણદેવે તેને ઠપકો આપ્યો: ‘અલ્યા સ્વાર્થી, આટલા આટલા લોકો ઘોર તમસમાં છે અને તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી? હવે આ સમાધિસુખ હું તાળા કૂંચીમાં મૂકી દઉં છું. તારે જવાની વેળા આવશે ત્યારે ઉઘડશે.’ અને સમાજનું ધારણપોષણ કરવાની રીત બતાવે તેવા ધર્મનું પુનઃસંસ્થાપન થયું.
એક વિશાળ ધર્મ કે જેમાં સંસાર છે, ત્યાં કર્મ છે, પણ બોજ નથી; ભક્તિ છે, પણ વેવલાઈ નથી; જ્ઞાન છે, પણ આડંબર કે ઈજારો નથી; પરંપરા મજબૂત છે છતાં સૌમ્ય છે. જ્યાં નિષેધ–વિરોધ–તિરસ્કાર કોઈનો નહીં, પણ સર્વનો આવકાર–સ્વીકાર ને સમાસ માત્ર છે ! પ્રજા અને રાજા વચ્ચે અદ્વૈતનો અનુબંધ રહે તેવા રાજધર્મનું પ્રભાત ખીલી રહે તેવી ઉદાત્ત ભાવના હતી, પરમહંસ શ્રી રામકૃષ્ણદેવની. શ્રી ઠાકુર ફરી ભારતવર્ષને આશિષો આપે તેવી વિનમ્ર પ્રાર્થના.
