સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી.

મુગલ સમ્રાટ શાહજહાં નો મોટો દીકરો એટલે દારાશિકોહ. દારાશિકોહને સનાતન હિંદુ ધર્મના ઉપનિષદો કેવી પ્રેરણા આપી ગયા છે, તે આપણે જાણ્યું છે. એમને જે ફકીરો મળ્યા, જે ગુરુઓ મળ્યા, એમાં અનેક ગુરુઓ પાસેથી એણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મિયા જીવ અને મુલ્લા શાહ આ બે મહાનુભાવોએ અથવા પ્રબુદ્ધ વ્યક્તિઓએ દારાશિકોહને એવું કહેતા ટાંક્યો છે કે, ઉપનિષદો ‘એસીર -ઇ-અકબર’ નામે ફારસી માં ભાષાંતર છે. અને એવું પણ કહેવામાં આવ્યું અને સમજાવ્યું કે, અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે

દારાશિકોહ પોતે જ લખે છે કે, એમનું હૃદય ઉપનિષદોમાં શમી ગયું છે. મુલ્લા શાહ ઉપરાંત હિન્દુ તત્વજ્ઞાનનું કેટલું રહસ્ય દારા એક બાબાલાલ નામના સાધુ પાસેથી પામેલો. બાબાલાલ પંજાબના હતા અને તેમને લાલ દયાળ પણ કહેતા હતા. આ લાલ દયાલ મિયા જીવના મિત્ર હતા. દારા એમને મળવા ઇચ્છતો હતો, એવામાં દયાલ પોતે લાહોર આવ્યા અને દારા અને તેમનો ભેટો થયો. દારાએ ‘હસરત-ઉલ-આરિફિન’ એ નામના પોતાના એક પુસ્તકમાં લાલ દયાળ વિશે સરસ ઉલ્લેખ કર્યો છે. બાબાલાલ એક આરૂઢ  યોગી છે. એમના જેવો પ્રભાવશાળી અને ઉંચી કોટી નો બીજો કોઈ મહાત્મા મેં હિન્દુઓમાં જોયો નથી. બાબાનું કહેવું છે કે, દરેક ધર્મમાં ઊંચી કોટીના મહાત્માઓ છે, જેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે. લોક સમૂહના ઉપર ઉપકાર કરવા પ્રભુ સર્જે છે, એવું દારા માને છે. બાબાલાલ કયા પંથના હતા તે સ્પષ્ટ નથી. પરંતુ દારા પોતાના પુસ્તકમાં એમને કબીર પંથી  માને છે. આ સમર્થ હિંદુ તપસ્વી માટે અંગ્રેજ લેખક બિનીયલ આ પ્રકારે શબ્દો ઉચચ્ચારે છે:: લાલ સ્વામી ક્ષત્રિય હતા. જહાંગીરના રાજ્ય સમયમાં તેઓ માળવામાં જન્મ્યા હતા. નાનપણમાં યોગ દીક્ષા પામી તેઓ પંજાબ ચાલ્યા ગયા અને સરહિંદ આગળ આશ્રમ સ્થાપી ગયા. તેમની પાસે મનુષ્યની ધારા ચાલી આવતી. તેમના અનેક શિષ્યો હતા. શાહજાદા  દારાશિકોહ પણ તેમની પ્રતિભા અને યોગ શક્તિથી ખેંચાઈ તેમના શિષ્ય થયા હતા.

ઉપનિષદો ઉપરાંત દારાએ ઘણા પુસ્તકો રચ્યા અને રચાવ્યા. શ્રીમદ્ ભગવત ગીતાનું તથા યોગ વાશિષ્ટનું એમ બે ભાષાંતરો તેણે પોતે ફારસીમાં કરાવ્યા. કેટલાકના મતે ગીતાનું ભાષાંતર દારાએ પોતે જ કર્યું છે. ગીતાનું ભાષાંતર ઉપનિષદોના ભાષાંતરના સમયનું  છે એટલે કે હિજરી સંવત 1067 ની આસપાસનું હોઈ શકે છે. દારાના ધાર્મિક વિચારોના સંબંધમાં ઘણો ઉહાપો થયો છે. એનું વલણ સૂફી મત તરફ હતું. અને મીયાં જીવ તથા મુલ્લા શાહના સંપર્ક પછી તે પાક્કો સૂફી બન્યો હતો. આ સમય હિજરી સંવત 1043 થી 1050 ની આસપાસ ગણી શકાય. એને બચપણમાં જે ધાર્મિક સંસ્કારો ચુસ્ત ઇસ્લામના મળેલાં તે વિશાળ  વાંચન અને અનુભવના પરિણામે મોળા  પડ્યા. અને તેની દૃષ્ટિ સંકુચિત અને સાંપ્રદાયિક મટી જઈને ઉદાર અને વ્યાપક બની ગઈ. આ ફેરફારનું માન મીયાં જીવ, મુલ્લા શાહ અને લાલ સ્વામીને ફાળે જાય છે. દારા પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે અને બીજા ધર્મોના અભ્યાસ તરફ વાળનાર મુલ્લા શાહની ‘ઉપનિખત’ નામના પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે  સ્તુતિ કરે છે.

બાબા લાલના તત્વજ્ઞાન વિશેના એ  પુસ્તકમાં તે ઉચ્ચારે છે કે, સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી. આ એક જ વાક્યથી દારા પોતાના જમાનાથી ઘણો આગળ ગયો સિદ્ધ થઇ શક્યો છે. એનું છેલ્લું અને પ્રસન્ન ગંભીર શૈલીનું પુસ્તક ‘મજંમ્બૂમબહરે’ એનો અર્થ બે સાગરોનું મિલન થાય છે. આ પુસ્તક હિજરી સંવત 1065 નું છે. દારાના અભ્યાસના પરિપાકનું એક ફળ છે. વિચારો એટલાં તો ગહન, વ્યાપક અને ઉન્નત છે કે દારાને આપણે ભારતના એક મહાન વિચારકની કક્ષામાં મૂકી શકીએ. દારા કહે છે કે, ‘ચેતનાની ઉન્નત અનુભૂતિના વિષયમાં સત્યના નિતાંત શુદ્ધ દર્શન પણ હિન્દુ ધર્મ અને ઇસ્લામ એક જ છે.’  જે યુગમાં તેણે આ સત્ય ઘોષણા કરી તે યુગનો કોઈ પણ હિન્દુ કે મુસલમાન વિચારક આ અવાજને સાખી શકે તેમ હતો નહિ. જમાનો ધર્મથી નહીં પણ ધર્મજનુનોથી ભરેલો હતો. દારાના અવાજથી પંડિત વર્ગ અને મુલ્લા વર્ગ બંને ખળભળ્યા. હિન્દુઓને તેના વિચારો વસમા  લાગ્યા. મુસ્લિમોને પણ કારમાં લાગ્યા. કોઈની દ્રષ્ટિમાં સમન્વય તરફ એ સમયે સદ્ભાવ ન હતો. આ ભય  તેની દ્રષ્ટિની બહાર ન હતો. દારા પુસ્તકમાં લખે છે કે, આ કિતાબ નથી હિન્દુ માટે કે નથી મુસ્લિમ માટે. આ કિતાબ મારા મિત્રો અને કુટુંબીજનો માટે છે. જનસમૂહની માન્યતાઓ સાથે મારે કશી  લેવા દેવા નથી.

દારા આખર સુધી મુસલમાન હતો. તેણે ઇસ્લામમાં જ શાંતિ જોઈ હતી. અલ્લાહનું સ્મરણ શ્વાસેશ્વાસે કર્યા કરતો. પોતાના દરેક પુસ્તકમાં ઈશ્વર મહાન છે એ વાક્ય ને એ અગ્રે રાખતો. પયગંબર સાહેબને એ સૌથી આગળ મુકતો. ઇસ્લામમાં એણે  કદી અશ્રદ્ધા ધરાવી ન હતી. એના કોઈપણ પુસ્તકમાં ઇસ્લામ છોડ્યાનો એક શબ્દ પણ લખાયેલો નથી. એટલું જ નહીં પરંતુ પોતે એ શુદ્ધ મુસલમાન છે એવા તેના એકરાર છે. તેણે  ફક્ત એટલું જ કહ્યું કે, વેદો પણ પરમાત્માની વાણી છે. પોતાની શ્રદ્ધા કુરાનમાં જ હતી. તેણે  તો ફક્ત એટલું જ કહ્યું કે, ‘વેદો કુરાનના વિરોધી નથી, સહાયક છે. કુરાન ઉપરના જાણે  વિવરણો છે.’  આટલું કહેવાથી જ દારાની ગણના  મુલ્લાઓએ જો કાફરમાં  કરી હોય તો તેમાં ધર્મજનુન  સિવાય બીજું કશું નહોતું. બ્રાહ્મણોએ માન્યું કે, દારા મ્લેચ્છ છે, માટે વેદો અભડાઈ  ગયા. આ સંત પુરુષ લખે છે,  પરમાત્માએ અત્યંત કરુણાથી વિશ્વનો ઉપકાર કરવા વેદોની વાણી ઉચ્ચારી છે. વેદને અનુસરનારો હિન્દુ ધર્મ એક અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વરને માનનારો છે. દારાશિકોહ જેવા મહાનુભાવને એ જમાના ના રાંક દેશોએ ગરદનથી માર્યો. એમ પણ કહી શકાય કે દારા શિકોહ પછી જમાનો લગભગ એક સૈકો આગળ વધી ગયો. રાગ-દ્વેષો ઘટ્યા. હિન્દૂ મુસલમાનોની આંતરિક એકતા મજબુત બનવા લાગી.

જો કે, ધર્મજનુન  વિચિત્ર વસ્તુ છે. સૂફી સંત મન્સૂરનો વધ થયો. શાહબુદ્દીન સુરાવર્દી પણ વધ ને માંચડે ચડ્યો. એવી રીતે દરશિકોહ પણ દેહાંત પામ્યો. સાચી હકીકત એ છે કે દારાસિકોહનો કુનેહ ધર્માંધતાનો એટલો જ ઔરંગઝેબની ઈર્ષાનો ભોગ બન્યો. ઇસ્લામને નામે પોતાનો અર્થ સારવા ઔરંગઝેબે જે કર્યું તેવું આપણે નહિ કરીએ એવી કોઈ પણ વિચારકને પાક્કી ખાતરી નથી. અહિંસા, સત્યને એ બધા મહાન સિદ્ધાંતોના પાલનમાં જો જનુન ઉમેરાશે, સ્વતંત્ર વિચારને ગરદન મારવાની તામસી વૃત્તિ પ્રગટશે તો આપણા યુગની પણ આ દશા થશે. ઔરંગઝેબના જમાના કરતા આપણે બહુ આગળ છીએ તેવી આપણી માન્યતા સાચી પડે એવી આપણે પ્રાર્થના કરીએ.

5478 5471