
“હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”… મગ્ગા બાબા
ઓશો હોય છતાં ન હોય !! …એવું તે બને ?? હા, અવશ્ય બને, ઓશોના કિસ્સામાં બને જ.. એક વાર માતા તેની પાસે આવી અને કહ્યું કે, મને ઘરમાં કોઈ દેખાતું નથી. કોઈ વ્યક્તિ એવી જોઈએ જે બજારમાં જઈને શાકભાજી લાવી આપે.’ તેમની સામે બેઠેલા રજનીશે કહ્યું “મને કોઈ દેખાશે તો જાણ કરી દઈશ.” હવે વિચારીએ કે ૧૦-૧૧ વર્ષનું બાળક માતાને આવો જવાબ આપે તો માતા શું કરે.?? માતા તેમને શાક લેવા મોકલે તો સાંજે આવીને કહે કે, હું ભૂલી ગયો અથવા તો મંગાવે કાંઇક અને લાવે કાંઈક તેવો ઘાટ થતો હતો. આ સંજોગોમાં માતાએ રજનીશ અંગે એવું તારણ કાઢ્યું હતું કે, “એમાં તારો દોષ નથી. દોષ અમારો છે. આખો દિવસ અમે રાહ જોતા રહ્યા. અમારે તને કોઈ કામ સોંપવું જોઈએ નહીં.” રજનીશની માતાએ આ તારણને પોતાના વ્યવહારમાં અમલી બનાવ્યું. બીજી તરફ રજનીશે એવું તારણ કાઢયું કે, “મારી હાજરીને ગેરહાજરી માની લેવામાં આવી. હું જેવો છું તેવો તેનાથી કોઈ ફરક પડતો ન હતો.
રજનીશને બાબુનો સંપર્ક થયો. તે શાળામાં ગણિતના શિક્ષક હતા. જેમનું સાચું નામ તો ખબર નથી પણ બધા તેમને કંટર માસ્ટર કહેતા હતા. તેઓ તમામ બાળકને નિર્દયતાપૂર્વક ફટકારતા હતા અને મજાની વાત તો એ હતી કે આટલી બધી ફરિયાદ છતાં વાલીઓ તેમની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી શકતા ન હતા. તેઓ ઘણા સિનિયર હતા અને આજે જેઓ વાલી બની ચૂક્યા હતા તેઓ એક જમાનામાં કંટર માસ્ટરના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આ સંબંધને કારણે વાલીઓ ચુપ હતા. તેમના વિદ્યાર્થી ના હોય તેવા વાલીઓ એટલે ડરતા હતા કે કંટર માસ્ટર અંગે ફરિયાદ કરશે તો તેઓ પોતાના બાળકને નાપાસ કરશે. તેમની આ તાકાત સામે ત્યાંના પોલીસ કમિશનર પણ ડરતા હતા અને વિચારતા હતા કે, કદાચ મારા બાળકોને નાપાસ ના કરી દે.
કંટર માસ્ટર ગણિત શીખવતા હતા અને રજનીશનું ધ્યાન બારીની બહાર હતું. કંટર માસ્ટર ભડક્યા અને રજનીશને ઊભા કરીને પૂછ્યું. “હું ગણિત ભણાવું છું તો તું બારીની બહાર કેમ જોઈ રહ્યો છે ?” હવે આઠ-નવ વર્ષના બાળકનો જવાબ સાંભળો. “ગણિત સાંભળવા માટે છે, જોવા માટે નથી. હું તમારો સુંદર ચહેરો જોવા માંગતો નથી. હું તેનાથી બચવા માટે બારીની બહાર જોઈ રહ્યો છું.ગણિતનો સવાલ છે ત્યાં સુધી તમે મને ગમે તે પૂછી શકો છો. મેં સાંભળ્યું પણ છે અને હું સમજ્યો પણ છું.”
કંટર માસ્ટરે પૂછવાનું શરૂ કર્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમના દરેક પ્રશ્નનો ઉત્તર તેમને મળવા માંડ્યો. આમ છતાં તેમણે કહ્યું “તું સાચો જવાબ આપ કે ખોટો પણ હું તને સજા કરીશ, કેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે બારીની બહાર જોઈ શકાય નહીં.” તેમણે રજનીશને સજા કરી અને એ પણ કડક સજા. રજનીશ સહન કરી શક્યા નહીં અને તેમણે નિર્ણય લીધો કે, કંટર માસ્ટરને આ માટે પરિણામ ભોગવવું પડશે. તેમની ફરિયાદ કરવા રજનીશ હેડ માસ્તર પાસે ગયા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, કંટર માસ્ટર સૌથી સિનિયર હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરાશે નહીં. આમ છતાં રજનીશે પિતાને વાત કરી તો જવાબ મળ્યો કે “તું નાહકની પરેશાની ઊભી કરી રહ્યો છે.” હવે રજનીશ પોલીસ કમિશનર પાસે ગયા તો તેમણે પણ લાચારી દાખવી કે, કદાચ તેઓ મારા પુત્રોને નાપાસ કરી દેશે. આ શાળા નગરપાલિકાની હતી એટલે તેઓ ત્યાં ગયા તો નગરપાલિકાના પ્રમુખ તો સાવ બેકાર નીકળ્યા. અંતે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પંડિત શંભુ રતન દૂબે પાસે ગયા જેમની પાસેથી તેમને સમસ્યાનો ઉકેલ મળવાનો હતો અને તેઓ એવી પહેલી વ્યક્તિને મળવાના હતા જે તેમની મિત્ર હોય.
સમગ્ર વાત સાંભળીને શંભુ રતન દૂબેએ રજનીશનો હાથ પકડીને કહ્યું કે, “હું હંમેશાં વિદ્રોહી વ્યક્તિને પ્રેમ કરું છું પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી ઉંમરનો બાળક વિદ્રોહી બની શકે. હું તને અભિનંદન આપું છું.” બંને મિત્રો બની ગયા. એક અનોખી જોડીની મિત્રતા. આ મિત્રતા શંભુ બાબુના નિધન સુધી ચાલી. શંભુ બાબુએ પોતાનું વચન પાળ્યું કેમ કે તેમના માટે આમ કરવું આસાન હતું. કંટર માસ્તરની નિવૃત્તિમાં એક મહિનો બાકી હતો અને તેમણે આ સમયગાળો લંબાવવા માટે અરજી કરી હતી. યોગાનુયોગે આ અરજી શંભુ બાબુ પાસે હતી અને તેને મંજૂર કરવી કે નહીં એ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તેમણે અરજી નામંજૂર કરી દીધી અને કંટર માસ્તરને રજા પર ઉતારી દીધા. બીજા દિવસે રજનીશ તેમની શાળામાં હીરો બની ગયા. આથી લોકોએ પણ તેમનો આદર કરવા માંડ્યો.
બાળપણથી જ રજનીશને ઉટપટાંગ વાતોમાં રસ હોવાને કારણે ઝડપી અને રહસ્યમય લોકો સાથે સંપર્ક વધારવાની તેમને લાલચ રહી છે જે સ્વાભાવિક છે આમ તો તેઓ આવા ઘણા ગૂઢ સંપ્રદાયોના સંપર્કમાં આવ્યા પણ તેમાં ત્રણ લોકોનો – ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આ ઉલ્લેખ ઘણી શ્રદ્ધા સાથે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે. તેમાં પહેલી વ્યક્તિ હતા મગ્ગા બાબા.
મગ્ગાનો અર્થ થાય છે મોટો જગ. તેઓ પોતાના હાથમાં મોટો જગ (મગ્ગા) રાખતા હતા. આ જગ જ તેમની મિલકત-મૂડી અને સર્વસ્વ હતું. તેથી તેમનું નામ મગ્ગા બાબા પડી ગયું. એ જમાનામાં તમામ સાધુ સંતોનાં નામ તેમની કોઈ ને કોઈ વિશેષતા પરથી પડી જતું હતું. જેમ કે કાળો ધાબળો ઓઢનારા બાબાનું નામ કાલી કમલી વાલે બાબા. લીંબડાના (નીમ) ઝાડ નીચે રહેતા બાબાનું નામ નીમ બાબા. એક પગ ઉપર ઊભા રહેતા બાબાનું નામ ખડા બાબા વગેરે વગેરે…
તો તેમનું નામ હતું મગ્ગા બાબા. તેમની સામે કોઈ આવે એટલે તેઓ જગ ધરી દેતા. તેનો અર્થ એ ન હતો કે તેઓ લાલચુ હતા. તેઓ એક પાસેથી લઈને બીજાને આપી દેતા હતા. તેમાં પૈસા આવતા-જતા રહેતા હતા. તેમનો જગ હંમેશાં ખાલી રહેતો અને તેમને વારંવાર આ જગ સાફ કરતાં રજનીશે જોયા હતા. તેઓ ક્યાંથી આવ્યા અને તેમની જાતિ કઈ હતી તેની કોઈને ખબર ન હતી. એટલું જ કે એક દિવસ તેઓ ગામમાં આવ્યા અને લોકો તેમનાથી આફરીન થઈ ગયા. મોટાભાગે તેઓ મૂંગા રહેતા અને લોકો તેમને વધારે પરેશાન કરે તો અસ્પષ્ટ અવાજ કાઢતા હતા. આખો દિવસ લોકોની ભીડ જમા રહેતી હતી. આવામાં રજનીશ રાત્રે બે-ત્રણ વાગે તેમની પાસે જતા હતા, કેમ કે એ વખતે જ તેમને એકલા મળી શકાતું. રજનીશને તેમની વાત એટલે ગમતી હતી કે, તેઓ સુંદર હતા અને જીવંત હતા. રજનીશે પોતાની ઉપર મગ્ગા બાબાના પ્રભાવને આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. “તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કહયું હતું કે, જીવન દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આથી દેખાય છે તેના વિશે કોઈ નિર્ણય કરવો નહીં, પણ ઊંડી ખીણમાં જાઓ જ્યાં જીવનનાં મૂળિયાં છે. તેમણે મને ઘણો સહકાર આપ્યો. તેમણે ક્યારેય કોઈ આદેશ કર્યો નથી. તેમની હાજરીથી જ મારામાં છૂપાયેલી અજ્ઞાત શક્તિઓ જાગી ગઈ. હું મગ્ગા બાબાનો ઘણો આભારી છું.”
રજનીશને ખુદને આશ્ચર્ય થતું હતું કે, “મગ્ગા બાબા શા માટે તેને આટલો પ્રેમ કરતા હતા. બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો. તેમના માટે એટલું પૂરતું હતું કે, તેમને ઘણી અદ્ભુત વ્યક્તિઓનો પ્રેમ મળ્યો અને રજનીશની આ યાદીમાં મગ્ગા બાબા ‘પ્રથમ’ હતા.
મગ્ગા બાબા ઉટપટાંગ અને ઓઘડ પ્રકારના વ્યક્તિ હતા. જે કદાચ રજનીશના વ્યક્તિત્ત્વ સાથે મેળ ખાતો હતો. રજનીશ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો. મગ્ગા બાબાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેઓ ક્યારેય બોલતા ન હતા. ક્યારેક બોલે તો કાંઇક ઉટપટાંગ બોલતા હતા જે કોઈની સમજમાં આવતું ન હતું. તેઓ અડલ, ફડલ, શડલ આવા આવા શબ્દો બોલતા હતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાતચીત કરતા હતા અને રજનીશ તેમને મળવા દરરોજ રાત્રે એક લીમડાના ઝાડ નીચે જતા હતા. મગ્ગા બાબા આ જગ્યાએ રાત્રે સૂતા હતા. તેઓ એક વખત દિવસે અને એક દિવસ રાત્રે તેમની પાસે જતા હતા. રજનીશ ક્યારેય મગ્ગા બાબાને મળવાથી પોતાની જાતને રોકી શકતા ન હતા. તેઓ બીમાર હોય તો પણ મળવા જતા હતા. રજનીશને ત્યાં આધ્યાત્મિકતાનો ખોરાક મળતો હતો. તેમણે ખુદે કબૂલ્યું હતું કે, “બાબાની હાજરીમાં જ મારી અંદરની અજ્ઞાત શક્તિઓ ખીલે છે.”
એક દિવસ ઓચિંતા જ કોઈએ આવીને ઓશોના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, મગ્ગા બાબાએ રજનીશને બોલાવ્યા છે. અડધી રાત્રે અને એ પણ મગ્ગા બાબા જેવી પાગલ વ્યક્તિએ રજનીશને બોલાવ્યા છે તે સાંભળીને રજનીશના પિતા ચિંતામાં પડી ગયા, પણ રજનીશ ક્યાં કોઈનું માને તેમ હતા. રજનીશ તો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા અને મગ્ગા બાબાની વાત સાંભળીને ચોંકી ગયા. બાબા કહી રહ્યા હતા કે “આ મારી અહીં અંતિમ રાત છે. કદાચ હું કાયમ માટે જઈ રહ્યો છું. તારા સિવાય એવું કોઈ નથી જેની હું વિદાય લઈ શકું.” તેમણે રજનીશને વહાલથી ગળે વળગાડ્યો અને તેમના માથા પર વહાલથી ચુંબન કરતાં પોતાના છેલ્લા શબ્દો કહીને હંમેશાં માટે વિદાય લઈ લીધી કે, “હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”
મગ્ગા બાબાએ વિદાય લેતાં લેતાં કહ્યું કે, તેઓ હિમાલય તરફ જઈ રહ્યા છે. એક વખત રજનીશ હિમાલયની યાત્રાએ હતા ત્યારે મગ્ગા બાબાની કબર હતી તે સ્થળે પહોંચી ગયા હતા. રજનીશ દંગ રહી ગયા કે, મગ્ગા બાબાની કબરની સાથે અન્ય બે વ્યક્તિની કબર હતી. મોઝેઝ અને જીસસ. રજનીશનું માનવું હતું કે, આ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધો અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. ‘આ અંગે રજનીશ કહે છે, “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગ્ગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યો.”(ક્રમશ:)
