ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો અને જરાપણ સૂતો નહીં …!!!”

(આપણે સ્વામી શ્રી સત્યબવેદાંતજી સાથે સંવાદ માણી રહ્યા છે. તેઓ ન્યૂયોર્કથી પેલા ભિખારીઓને માંડ માંડ સમજાવીને બસમાં બેસાડીને નીકળ્યા છે.)

સ્વામી સત્ય વેદાંતજી: ન્યૂયોર્કથી આગળ પેન્સિલવેનિયા આવે, તો પેન્સિલવેનિયાથી નીકળતા હતા ત્યારે વરસાદ પડ્યો હશે તો રસ્તો ચીકણો થઈ ગયો હશે.  ડ્રાઈવર ઘણા સારા હતા એટલે કોઈ ચિંતા નહોતી. પણ એક ગાડી હતી એણે બસની આગળ જવા માટે કોશિશ કરી તો બસ ડ્રાઈવરે બ્રેક લગાવી. એટલે અમારી બસમાં પાછળ બેઠેલા બધા એકબીજા ઉપર પડયા. ગુસ્સે થયેલા બધાએ ડ્રાઈવરનું ગળું પકડ્યું અને કહે કે, “તને મારી નાખીશું.  ફરી જો આવું થશે તો તને મારી નાખીશું.”  એને બહુ ગુસ્સો આવ્યો કે, તમે આવી રીતે ગાડી કેમ ચલાવી?  મેં એમનો હાથ પકડી કહ્યું: ‘સર, માફ કરી દો એને પ્લીઝ…હવે નહીં થાય એવું…’ તો મને ન ધક્કો મારી દીધો. પુનિત ખૂણામાં બેઠો હતો એ આ બધું જોઈને આવ્યો જ નહીં…! મેં એમને કહ્યું, ‘પ્લીઝ…પ્લીઝ…માફ કરી દ્યો અમને, સોરી…સોરી…’  પછી શાંત થયા અને કહ્યું જો ફરી આમ થયું તો મારી નાખીશું. પછી એ બેઠા અને અમે બીજે દિવસે શિકાગો પહોંચ્યા. હવે વાત ફેલાઈ ગઈ કે આવી રીતે એક બસ જાય છે, એમાં આવા વિચિત્ર લોકો છે. અને ડ્રાઈવર સાથે આવી ઘટના બની છે. હવે કોઈ ડ્રાઈવર તૈયાર નહોતો અમારી સાથે આવવા… એમાં એવું થયું કે ૧૦ – ૧૨ લોકો એવા હતા જેને શિકાગો જવું હતું એ ત્યાં ઉતરી ગયા… અમે રાહ જોતા હતા અને એ ગાયબ થઈ ગયા. પછી સવાલ એ કે, હવે પહોંચવું કેવી રીતે? ડ્રાઈવર વગર આગળ કેવી રીતે પહોંચવું? કોઈ ડ્રાઈવર આવે નહીં. મેં અમારી બ્રાન્ચમાં ફોન લગાવ્યો વકીલને, તો એણે કહ્યું વેદાંત, ચિંતા ન કરો., ડ્રાઈવર આવશે. પછી એમણે શું કહ્યું એ ખબર નહીં પણ ડ્રાઈવર આવવા માટે તૈયાર થયો અને એ આવ્યો પછી બસ આગળ ચાલી. જેવી બસ આગળ ચાલી એવો એક માણસ ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો: દરવાજો ખોલો મારે બહાર જવું છે…  દરવાજો ખોલો મારે ઉતરી જવું છે! અમે કીધું અહીં હાઈવે છે તું ઉતરીને ક્યાં જશે? તો કહે દરવાજો ખોલો નહિતર હું દરવાજો તોડી નાખીશ. મેં ડ્રાઈવરને કહ્યું અહીં નજીકમાં કોઈ બસ સ્ટોપ છે? તો એણે કહ્યું હા, જરા ફરીને જઈ શકાય. તો મેં કહ્યું જેવી રીતે હોય તું ત્યાં બસ લઈ જા…  પછી બસ એ તરફ વાળી. રાત થઈ ગઈ હતી એટલી વારમાં તો એ માણસ તો સુઈ ગયો હતો … વચ્ચે એક રેસ્ટોરાં પાસે બસ લીધી. એને ઉઠાડયો કહ્યું આ તમારું સ્ટેશન આવી ગયું .. એ ગાળો આપતા આપતા નીચે ઉતર્યો. પેલા રેસ્ટોરાંવાળાને મેં પૈસા આપી વિનંતી કરી કે ભાઈ, આને ન્યુયોર્ક જવું છે તો એની બસમાં બેસાડી દેજે.

અમને કહેવામાં આવ્યું હતું કે એમને માત્ર વેજ જમવાનું આપવાનું.  અમે એને ચિઝ સેન્ડવીચ આપતા હતા, પીનટ બટર સેન્ડવીચ આપતા હતા, બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ, લંચમાં સેન્ડવીચ, ડિનરમાં સેન્ડવીચ કોઈ પણ સમયે સેન્ડવીચ! ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો હતો અને જરાપણ સૂતો નહીંહું કલ્પના નથી કરતો કે, હું ૩ રાત સુઈ શક્યો નહોતો. એ લોકો ક્યારે શું કરે એનો કોઈ ભરોસો નહોતો. અને ૪ દિવસ સેન્ડવીચ ખાઈને કોઈ પણ માણસ પાગલ થઈ જાય. પછી એ લોકોએ હોબાળો મચાવ્યો કે અમારે સેન્ડવીચ નથી ખાવી.  અમે ઉતરી જઈએ. અમે એક રેસ્ટોરન્ટ પાસે ઉભા રહ્યા તો એને પણ ખબર પડી ગઈ કે આ બસ એ જ છે જેની ચર્ચા ચાલે છે એટલે એણે પણ ના પડી દીધી કે હું આ લોકોને અંદર નહીં આવવા દઉં. મેં આજીજી કરીને કહ્યું, તમે ડબલ પૈસા લઈ લો પણ આ લોકોને કંઈક જમવાનું આપો, એટલે આ લોકો શાંતિથી બેસે.  એ માની ગયા અને જમવાનું આપ્યું તો એ બધાએ જે ખાવું હતું તે ખાધું ને નોનવેજ પણ ખાધું ને ફરીથી બસમાં બેઠા. હવે મારા પૈસા તો પૂરા થઈ ગયા. તો મેં ફોન કર્યો કે પૈસા પૂરા થઈ ગયા છે એટલે કહ્યું કે,વેદાંત, ચિંતા કર. આગળના સ્ટેશને તને જોઈએ એટલા પૈસા મળી જશે. ત્યાંથી આગળ સ્ટેશને પહોંચ્યા તો એક સન્યાસી ત્યાં પૈસા લઈને આવ્યા.  એ સન્યાસી તો મને દેવદૂત જેવા લાગ્યા… આ લોકોની ગાળો સાંભળીને અને એમના મોઢા જોઈને એટલો થાકી ગયો હતો કે જેવું એ સન્યાસીએ ‘વેદાંત’ એમ કહ્યું તો જાણે અમૃત વરસ્યું હોય એમ મને લાગ્યું અને હું જઈને એમને ભેટી પડયો. એણે મને કહ્યું ‘વેદાંત આ લે પૈસા તારી પાસે રાખ… આમ કરતા અમે ચોથે દિવસે રજનીશપુરમ પહોંચ્યા. અને સન્યાસીઓને કહ્યું હવે આને ઊતારો, સારા કપડાં પહેરાવો, નવડાવો અને કહો કે અહીં બાથરૂમ છે, અહીં રહેવાની વ્યવસ્થા અલગથી કરેલી છે. કહેવાનો અર્થ કે આ બધા ડિવાઈઝ છે જે માસ્ટરે મળીને બનાવ્યા છે. કુલ મળીને બધા સિટીમાંથી ૫૦૦૦ લોકો આવ્યા અને બધી વ્યવસ્થા જમવાનું, રહેવાનું બધું ફ્રી. પણ એ વાતાવરણમાં રહેવું એમના માટે બહુ મુશ્કેલ હતું કારણ કે તે તો રસ્તા ઉપર રહેતા હતા. તો છેલ્લે કુલ પાંચ હઝારમાંથી ૧૫૦૦ રહ્યા…અને બીજાને નહોતું જ રહેવું એમને અમે પૈસા આપ્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.  અમે ટિકિટ માટે પૈસા આપી દીધા અને એ નીકળી ગયા….

પણ જ ૧૫૦૦ રહી ગયા એ બધામાંથી કોઈ ખેતરમાં કામ કરે છે, કોઈ બીજું કામ કરે છે અને પ્રેમથી રહે છે…. અશિક્ષિત લોકો છે, પણ કેટલા પ્રેમથી રહે છે…એ અમને અનુગ્રહિત થઈને કહે છે કે આટલું સન્માન કોઈએ નથી આપ્યું અમને, આટલો પ્રેમ કોઈએ નથી આપ્યો, ‘સર’ કહીને કોઈએ વાત જ નથી કરી અમારી સાથે, નામ લઈને કોઈએ બોલાવ્યા નથી, રસ્તા ઉપર કૂતરાની જેમ વ્યવહાર થતો હતો. પોલીસ મારતી હતી. સન્યાસીઓએ એ સૌને એટલો પ્રેમ આપ્યો કે ન પૂછો વાત! કારણ એ પંદરસો લોકો અમારા સાથીદાર બન્યા અને અમારા જીવનનો એક ભાગ બની ગયા! ઓશોએ આ અનુભવથી અમારામાં ‘ટ્રાન્સફોર્મેશન’ની શક્તિનો સંચય કર્યો…રજનીશપુરમ, ઓરેગોન એક અદ્વિતીય શહેર બન્યું અને ઓશોની ચેતનાએ વિશ્વ સમક્ષ એક અભૂતપૂર્વ ઉદાહરણ મૂકી આપ્યું. (ક્રમશ:)