
“મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”..ઓશોની અનુભૂતિ
જેમની સાથે રજનીશનાં પ્રારંભનાં કેટલાંક વર્ષ પસાર થયાં હતાં તે રજનીશના નાના ઇચ્છતા હતા કે, કોઈ મોટા જ્યોતિષીને રજનીશના જન્માક્ષર દેખાડવામાં આવે અને તે માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તેઓ તૈયાર હતા. આ માટે તેઓ કુચવાડાથી લગભગ એક હજાર કિલોમીટર દૂર બનારસ સુધી ગયા હતા. તેઓ જ્યોતિષને મળ્યા અને હવે રજનીશના શબ્દોમાં ”મારા નાનાએ આપેલા જન્માક્ષર અને જન્મસ્થળ પર નજર રાખીને જ્યોતિષે નાનાને કહ્યું કે, મને દુઃખ છે કે હું આ જન્માક્ષર સાત વર્ષ પછી જ બનાવી શકીશ, આ બાળક જીવતો રહેશે તો તેના જન્માક્ષર વિનામૂલ્યે બનાવી આપીશ. પણ મને નથી લાગતું કે, તે જીવતો રહે. જો તે બચી જશે તો એક ચમત્કાર કહેવાશે અને પછી તો તે બુદ્ધ બની જાય તેવી શક્યતા છે.
અને પછી એક દિવસ એવો આવ્યો જયારે નાનાને પોતાની આંખ ઉપર વિશ્વાસ બેસતો ન હતો. કેમ કે બનારસમાં મળ્યો હતો તે જ જ્યોતિષ તેમના ઘરના દરવાજે આવીને ઉભો હતો ત્યાં સુધીમાં રજનીશ પણ સાત વર્ષના થઈ ગયા હતા. રજનીશને પણ આશ્ચર્ય થયું હતું કે, કોઈ જ્યોતિષ માત્ર જન્માક્ષર બનાવવા માટે આટલે દૂર સુધી સામે ચાલીને શા માટે આવે ?? જ્યોતિષે જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કરી દીધી કે, “આ બાળકને દર સાત વર્ષે મૃત્યુના સંકટમાંથી પસાર થવું પડશે. અત્યારે તો તે બચી ગયો છે પણ હવે તે ૧૪ વર્ષનો થશે ત્યારે ફરીથી તેના મૃત્યુના યોગ છે. જો ફરીથી બચી જશે તો ૨૧ વર્ષની વયે મૃત્યુયોગ છે.”
તેનું પરિણામ શું આવ્યું ? શું રજનીશ આ ભવિષ્યવાણીને કારણે ભાંગી પડ્યા ? તેમના જ શબ્દોમાં- “જ્યોતિષની આ ભવિષ્યવાણીએ મારી ઘણી મદદ કરી, કેમ કે તેમણે અગાઉથી જ મને મોત અંગે ચેતવી દીધો હતો અને આ જ કારણથી હું જીવનમાં મૃત્યુનો સ્વીકાર કરી શક્યો અને ધ્યાન પણ ધરી શક્યો કે મૃત્યુ આવી રહ્યું છે.”
ગામમાં એક નાનકડા મંદિરમાં એક પૂજારી હતા. ઘણા સંત સ્વભાવના હતા. તેઓ ગુજરી ગયા. રજનીશ તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે તેઓ બાળક જ હતા અને એ સમયે બાળકોને શબની નજીક કે સ્મશાને જવાની મનાઈ હતી. પણ રજનીશને કોણ રોકી શકે ? તેઓ ત્યાં ગયા ત્યાં સુધીની વાત હોત તો વાંધો ન હતો. વાત વિચિત્ર બની ગઈ કેમ કે, રજનીશ નામના આ બાળકે ત્યાંના ઉદાસ વાતાવરણમાં રડવાનું અથવા તો કમ સે કમ ચૂપ રહેવાનું પસંદ ના કર્યું પણ જોરજોરથી હસવાનું શરૂ કરી દીધું ત્યાં ઉપસ્થિત લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ બધું વ્યર્થ. અંતે તેમના પિતાએ રજનીશને આ રીતે હસવાનું કારણ પૂછ્યું તો રજનીશનો આ જવાબ હતો, “મને લાગ્યું કે મરતી વખતે તેઓ ખૂબ જ આનંદિત હતા અને શાંત હતા તેથી જ તેમના હાસ્યમાં સામેલ થવા માંગું છું. તેઓ હસી રહ્યા હતા અને તેમની વિદાય લઈ રહેલી ઉર્જા પણ હસી રહી હતી.” આ પૂજારીના મૃત્યુથી નીકળેલી હાસ્યયુક્ત ઉર્જા પરથી રજનીશે તારણ કાઢ્યું કે “મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”
બાળપણથી જ સમય પસાર કરવાના રજનીશના અનેક ઉપાયોમાં એક ઉપાય હતો કોઈની પણ સ્મશાનયાત્રામાં સામેલ થઈ જવું. તેઓ એ મૃત વ્યક્તિને ઓળખતા હોય કે ના ઓળખતા હોય તેનાથી કોઈ ફરક પડતો ન હતો. માત્ર એટલું જ પૂરતું હતું કે કોઈ મરી ગયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળવાની છે.
મૃત્યુની ખરી અનુભૂતિ ક્યારે થાય છે ? જ્યારે આપણા પ્રિયજનનું નિધન થાય છે, આપણા કોઈ સૌથી નજીકના સ્વજનનું મૃત્યુ થાય છે. રજનીશ હજી યુવાન જ હતા ત્યારે તેમના એક મિત્રનું નિધન થયું. તે મિત્રનું નામ હતું શશી, જેને રજનીશ ગુડિયા કહેતા હતા. આ એ જ શશી હતી જેને રજનીશે પ્રેમ કર્યો હતો. એટલો બધો પ્રેમ કર્યો હતો કે, તેમને ક્યારેય એવું લાગ્યું ન હતું કે તેઓ અન્ય કોઇને આથી વિશેષ પ્રેમ કરી શકશે. કદાચ આ જ કારણથી રજનીશે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આધુનિક ભીષ્મ પિતામહના રૂપમાં. તેમના માટે અન્ય કોઈને શશીના સ્થાને જોઈ શકાય તેમ જ ન હતું અને તેમની પ્રિય સખી શશી તેમને છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. આમ એક રીતે રજનીશ માટે પોતાની જાતથી અલગ થવું, જાતે જ ખંડિત થવા બરાબર હતું.
શશીના મૃત્યુએ રજનીશના મૃત્યુ બોધને વધારે મજબૂત કરી દીધો. એટલો બધો મજબૂત કરી દીધો કે તેમના માટે જીવનનો અર્થ બદલાઈને મૃત્યુ બની ગયો. કેમ કે શશી હવે ‘વિવેક નિર્વાણો’ બનીને રજનીશ પાસે પરત આવી ગઈ હતી, તેમની દેખભાળ, સારસંભાળ લેવા માટે તો પછી શશી ક્યાં ગઈ હતી ? તે તો અહીં જ છે. થોડા રૂપ-રંગ બદલાઈ ગયા છે અને હા, નામ પણ બદલાઈ ગયું છે. આથી જ રજનીશે ક્યારેય મૃત્યુનો અસ્વીકાર કર્યો નથી અને મૃત્યુને ભયનું કારણ પણ માન્યું નથી, પણ તેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે “હું મૃત્યુ શીખવું છું.”
રજનીશનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ભાવ સદા છલકતો રહ્યો. બાળપણમાં તેમણે નદીમાં પડ્યા રહેવાનું પસંદ હતું. તેમને જે ગૂઢ જ્ઞાની બાબા મળ્યા તે પણ નદીમાં તરતી વખતે મળ્યા !! નદી પર રજનીશે આપેલા પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે, રજનીશ જયારે અનુભવ વર્ણવે ત્યારે એક નાનકડી વાત કેટલી મોટી બની જાય છે. કેવી રીતે એક કણમાં, અણુમાં સંપૂર્ણ બ્રહ્માંડ વસે છે, તે રજનીશ શબ્દોમાં વણી આપે છે. ‘હું તેની સાથે વહેવા માંડયો, કેમ કે ધીમે ધીમે મને આખું અસ્તિત્ત્વ જ નદી જેવું દેખાવા લાગ્યું. તેણે તેની કઠોરતા ગુમાવી દીધી, એ તરલ બની ગયું.’
‘તમે જ્યારે પણ કોઈ વહેતી ચીજના પ્રેમમાં બંધાઈ જાઓ છો તો તમારા જીવનનું એક અલગ જ રૂપ જોવા મળે છે. આધુનિક માનવી સડક પર સિમેન્ટ અને કોન્ક્રીટના બનેલા ઘરમાં રહે છે. યાદ રાખો કે, આ બધી ‘સંજ્ઞા’ છે, ‘ક્રિયા’ નથી. ગગનચુંબી ઈમારત વહેતી નથી, સડક ત્યાં ને ત્યાં જ રહે છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી પણ એક પ્રક્રિયા છે. હું નદીના છેક છેલ્લા કિનારા સુધી જતો હતો ફક્ત ત્યાં બેસવા માટે. ત્યાં કાંઈ કરવાની જરૂર જ ન હતી. ત્યાં માત્ર હાજરી જ પર્યાપ્ત હતી. ત્યાં હોવું એ જ સુંદર અનુભવ હતો. ત્યાં હું ફક્ત નદીની સાથે રહેતો હતો, કાંઈ કરતો ન હતો. માત્ર વસ્તુઓ નિહાળતો હતો, ક્રિયા થઈ રહી હતી પણ કોઈ ક્રિયા કરનારું ન હતું અને મારા પ્રારંભિક અનુભવ આ નદી પાસે જ શરૂ થયા, માત્ર ત્યાં હાજર રહેવાથી, ત્યાં લાખો ચીજો, પ્રસંગો બન્યા હતા. હું તેને ઘણો પ્રેમ કરતો. હું ચોમાસાની રાહ જોતો. તરતાં તરતાં એક એવી ક્ષણ આવતી જ્યારે હું અનુભવતો કે હું મરી રહ્યો છું. કેમ કે હું થાકી જતો અને મને બીજો કિનારો દેખાતો ન હતો. એ વખતે હું પાણીની ઉપર હતો અને મારું શરીર પાણીની અંદર હોતું. આમ પહેલીવાર બન્યું તો તે ડરાવી દેતો અનુભવ હતો. મેં વિચાર્યું કે હું મરી ગયો છું પણ મેં જોયું કે શરીર હજી પણ બીજા કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મેં શરીરને સાથ આપ્યો.'(ક્રમશ:)
