પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન શ્રી ગફુરભાઈ બિલખિયા

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

સેવા, સમજ, સમાનતા, પડે. સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા… આમથી શરૂ થતા બધા જ હકરાત્મક શબ્દો જેના રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફુરભાઈ બિલખિયા. એમને પોતાના વિશે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.

“મારાં મા છે, એ દામનગરનાં હતાં. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ, અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સ૨કારે ઘણી બધી મહેનત કરેલી. મારાં માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલાં. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દળણું (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો હાય તો મૂકી જાય અને પાછો લઈ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી માની વેઠ બંધ. મારા ઘરમાં ને મારાં સગાંવહાલાં બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.

હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું. લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો. મેં કીધું, હું શેરો નહીં બાંધું, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સૂતરની અને ચપ્પલ પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે, એ કહે તે કરવા દે ને, જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દુ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈ ઓરડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું, તમે રડો એટલે હું રહું છું. હું પહેલેથી કોઈક કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારે રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.

અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઈ આવ્યા છો તમે ? કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, કંઈ એને પગ દાબતાં આવડે નહીં. કંઈ નથી તારી વધુમાં. હા, છે રૂપાળી. પણ ખાય-પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયાં આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, ‘હું તો હિંદુના ઘરનું ખાતી નથી.’ તો કહે, મેં કહ્યું કે, જો એમને ઘરેથી છાશ લઈ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે, આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે, એટલે મુશ્કેલી બહુ પડશે. તો કહે, ના હું બધું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ, તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલાં તો બહુ મોટો આંચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ, તમે મૂંઝાતા નહીં, એમને બહુ ગમ્યું. જોકે ભદ્રાયુભાઈ, આજે તો અમારા ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકનાં થઈને રહે છે.”

પોતે હજ પઢવા જાય તો હજ પઢીને બહાર આવે ને મને ફોન કરે. કહે, “ભાઈ, આજે અલ્લાહ્વાલા પાસે આજે હજ પઢતી વખતે આપના માટે દુઆ માંગી છે, તે થયું કે આપને અહીંથી જ સલામ પાઠવી દઉં.”

**

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ