ઊંધું ઘાલીને વાંચનાર, પ્રયોગખોર શિક્ષક અભ્યાસુ સંશોધક અને નોખી માટીનો જીવ. ડો મહેન્દ્ર ચોટલીયા

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

ધોરાજીની એ. ઝેડ. કનેરિયા હાઈસ્કૂલમાં એક નવા શિક્ષક જોડાયા. અંગ્રેજી ભણાવે. બી.એડ્.ની ડિગ્રી લઈને આવેલા તાજા શિક્ષક. એવું જ માને કે બી.એડ્.ની તાલીમમાં શીખ્યા તે બધું જ સાચું. તે પ્રમાણે જ વર્તે. આચાર્ય કાંતિભાઈ હાંસલિયા ગણિતના બહુ સારા શિક્ષક. એમણે બહુ ફ્રીડમ આપી પેલા નવા શિક્ષકને. બીજા શિક્ષકો અંગ્રેજી પહેલાં લખાવે પછી બોલતાં શીખવે. પણ આ નવા શિક્ષક પહેલાં બોલતાં શીખવે. પોતે બોલે. વિદ્યાર્થીઓને બોલવા પ્રેરે. અંગ્રેજીમાં વાતચીત કરવાની છૂટ આપે. તેમની વચ્ચે જઈ બેસે અને ગ્રુપમાં વાતો કરે. નામથી બોલાવે સૌને. બોર્ડ પાસે વિદ્યાર્થીને બોલાવી હાથમાં ચોક આપી લખવા કહે. ક્લાસમાં અવાજ બહુ થાય. દર દસ મિનિટે શિક્ષકે બોલતા બંધ થઈ જવું પડે ત્યારે છોકરાઓ શાંત થાય. બીજા શિક્ષકો છોકરાઓને મારે – બહુ મારે. પણ આ ભાઈસાહેબ એવું ન જ કરે. વિદ્યાર્થીઓ પણ કહે કે સાહેબ તમે અમને મારો તો જ અમે શાંત રહીશું. પણ એ કહે : “મા૨વાથી થોડું આવડે? હું મારીશ નહીં. ધીમે ધીમે વાતો કરતા જઈશું અને તમને મઝા આવવા લાગશે એટલે તમે વાતો કરી જ નહીં શકો!’ ખરેખર એવું થયું. છ મહિના પછી સ્થિતિ પલટાઈ ગઈ. વિદ્યાર્થીઓને જાણવાની – પોતાની જાતે શીખવાની મઝા આવવા લાગી. શિક્ષક મિત્ર થઈ ગયા અને મિત્રના ક્લાસમાં અવાજ થોડો કરાય? આ જોઈને બીજા શિક્ષકોએ પણ મારવાનું ઘટાડ્યું. નવા શિક્ષકે તેઓને સમજાવ્યું : તમે વીસ વર્ષોથી માર્યા જ કરો છો તો શું વિદ્યાર્થીઓ હોંશિયાર થઈ ગયા ખરા? મારવું એ પદ્ધતિ નથી. બે શિક્ષકો તો મારતા સાવ બંધ થયા! આચાર્ય બહુ છૂટ આપે એને. એના ક્લાસની અંગ્રેજીની પરીક્ષા નહીં લેવાની! પેપર કાઢે તો ચિત્રવાળું કાઢે. મૂલ્યાંકનની પોતાની પેટર્ન! ત્રેવીસ જેટલી પ્રવૃત્તિઓ કરાવે, તેનું મટીરિયલ બનાવે. છોકરા સાથે વૉલીબૉલ-ક્રિકેટ રમે. સાથી શિક્ષકો સાથે કેરમ પણ રમે… આ શિક્ષક પ્રાર્થનાસભા પોણો કલાકની ગોઠવે. તેમાં પુસ્તક પરિચય કરાવે. નવી નવી ચોપડીઓ છોકરાઓને બતાવી તે વાંચવા પ્રેરે! જે છોકરો પુસ્તક વાંચે તેને ઊભો કરી કહે

ચાલ પ્રાર્થનામાં તેં વાંચેલી ચોપડી વિષે વાતો કર… આચાર્યએ ત્રણસો પુસ્તકોવાળી લાઇબ્રેરી એને સોંપેલી અને એને સત્તા આપેલી કે તમને જ્યાં જે સારું પુસ્તક મળે તે ખરીદી લઈ બિલ આપી દેજો. પાંચ વર્ષે આ શિક્ષક અધ્યાપક તરીકે વલ્લભવિદ્યાનગર ગયા ત્યારે ધોરાજીની કનેરિયા હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા પાંચ હજારની હતી! બારમા સાયન્સની અંગ્રેજીની ટૅક્સ્ટ અઘરી હતી તો તેને એમણે ફરી લખી. અંગ્રેજીનું પરિણામ ૩૫માંથી ૫૫ ટકા અને છેલ્લે ૮૫% સુધી પહોંચાડ્યું એમણે. આ શિક્ષકે દસમા-બારમાના વિદ્યાર્થીઓને ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, જે. કૃષ્ણમૂર્તિનાં અને ભાષાંતરનિધિનાં પુસ્તકો વાંચતા કર્યા!! લાઇબ્રેરીમાં સ્કૂલ પહેલાં – રિસેસમાં – સ્કૂલ છૂટ્યા પછી પુસ્તક ઇસ્યુ કરાવવા માટે બારી પાસે લાંબી લાઇન થતી અને ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતું અદ્ભુત દૃશ્ય સર્જાતું!

ઊંધું ઘાલીને વાંચવા ટેવાયેલ આ અભ્યાસુ સંશોધક શિક્ષક ડૉ. મહેન્દ્ર ચોટલિયા શિક્ષકત્વનાં એ પાંચ વર્ષોને ભર્યુંભાદર્યાં ગણે છે. આ ફાયદો મળ્યો કુટુંબને કારણે. પોતે Second Generation Teacher. માતા-પિતા બન્ને શિક્ષક. પિતાજી પહેલાં સ્વીપર હતા! ભણ્યા. ગાય-ભેંસનું છાણ ભેગું કરી છાણાં વેંચી જીવન ચલાવતા. શાળાંત થયા. પીટીસી થયા. હટકે સ્વભાવના શિક્ષક થયા.

મહેન્દ્રનો જન્મ જ શાળાની આસપાસની ઘટના. ધોરાજી પાસેનું ફરણી ગામ. ગામમાં મકાન ન હતું. શાળામાં જ રહેવાનું. દિવસે ક્લાસરૂમ અને સવાર-સાંજ ઘર. મહેન્દ્ર ત્યાં જ જન્મ્યો-ઊછર્યો-રહ્યો. ક્લાસરૂમ સાથે તેનો નાભિનાળનો સંબંધ! મહેન્દ્ર ચોટલિયા ગંભી૨ અને ઈન્ટ્રોવર્ટ લાગે. સાદો-સીધો-સુધડ વસ્ત્રોધારી. unassuming personality. પણ રમૂજ-વ્યંગ-સહજતાથી ભરપૂર. તે કહે છે : હું ક્લાસરૂમમાં જ ઊછર્યો એટલે જે નુકસાન થવાનું હતું તે નાનપણમાં જ થઈ ગયું! હું ઘણાના હાથમાં ફર્યો હોઈશ એટલે જીવનની શરૂઆતમાં જ અચેતન લર્નિંગ થયું, તેની મૅટ્રિક્સ ઊભી થઈ અને પછી તેમાં જીવનભર ભરતકામ થતું ગયું!” મા-બાપનું પહેલું સંતાન. બા કન્યાશાળામાં ત્યાં ચાર ધોરણ સુધી અને બાપુજી તાલુકાશાળામાં ત્યાં પાંચથી… અઢી વર્ષે કક્કો બારાખડી શીખ્યા વગર વાંચતાં પિતાએ શીખવી દીધું. બળદનું ચિત્ર બતાવે. નીચે લખ્યું હોય ‘બળદ.’ પછી બોલાવે. પછી છેલ્લા બે અક્ષરો દાબી દે અને ‘બ’ની ઓળખાણ કરાવે! સાઇકલ ૫૨ ગામમાં લઈ જાય તો દુકાનનાં બૉર્ડ વંચાવે. દોરેલું ચિત્ર જોઈ ખબર પડે કે આ સાઇકલની દુકાન છે! બા ઘરે સેવ-ગાંઠિયા બનાવે. તેમાંથી બગડો ને ચોગડો શોધવાનું કહે… આમ થયું મહેન્દ્રનું inceidental learning! પહેલા ધોરણમાં દાખલ નહોતો થયો ત્યારે મહેન્દ્રને પિતાએ જયભિખ્ખુની નાની નાની બત્રીસ પાનની મોટાં અક્ષરોવાળી બસ્સો પુસ્તિકાઓનું ખોખું ખોલી આપ્યું.રામાયણ-મહાભારતનાં પાત્રોનાં જીવન એમાં. પહેલા ધોરણમાં દાખલ થતાં પહેલાં આ બધી પુસ્તિકાઓ વાંચી કાઢેલી… (ત્યારે કોઈપણ શિક્ષક કરતાં મહેન્દ્રની લિટરસી વધુ હતી!) વળી ચૌદ પડોશીવાળા ડેલામાં રહેવાનું પછી બન્યું. એટલે ચો૨ના માથાની જેમ ૨ચ્યા. રખડ્યા પણ ખરા. પડોશમાં બીડી વાળના૨નું ઘર. તો મદદ કરવા બીડી પણ વાળી. તે વખતે નંબર ગેઇમ નહીં. માર્ક કે ટકાની ટકટક નહીં. પાંચમા ધોરણ સુધીમાં તો ગંભી૨ વાચક બની ગયો. મહેન્દ્રએ ત્યારે ક. મા. મુનશીની લોપામુદ્રા – કૃષ્ણાવતાર, દર્શકની દીપનિર્વાણ, હિન્દી નવલ ‘નિર્મલા’ વાંચી નાખી હતી. બારીમાં બેસીને ‘નિર્મલા’ વાંચતા વાંચતા રડ્યાનું મહેન્દ્ર આજે યાદ કરે ત્યારે કંઠ ગળોગળો થાય છે. મહેન્દ્રના પિતાજી અરજણભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઍક્સટર્નલ બી.એ. કર્યું સંસ્કૃત મુખ્ય વિષય સાથે ત્યારે મહેન્દ્ર છઠ્ઠા ધોરણમાં. પિતાને વાંચવાનો કંટાળો આવે એટલે લંબાવે ને મહેન્દ્રને કહે તું વાંચ હું સાંભળું છું. કાલિદાસભાસ ત્યારે વાંચી સંભળાવેલા! આ બધાંથી મહેન્દ્રમાં ચોપડી વાંચવાની સ્પીડ આવી. ચારસો કે છસો પાનાની બુક તો તે ઝટ ઉપાડે!

વૅકેશન વીતે ખેતરમાં. પાસા પાડવા, ઓઘો વાળવો, પાણી વાળવું, હાલનું હાંકવું, બાજરી બનાવવી, અને એ કરતાં-કરતાં કોળી-વાઘરીના છોકરા સાથે રખડવાનું આંબલી-કેરી પાડવાના! પંચમહાભૂત સાથે નાતો બંધાયો તેમાંથી ઘણું બધું ડિપૉઝીટ થયું. ઘરમાં સૌ એને મનુ કહે. વૅકેશનમાં ઘરે સૌ રાહ જોવે મનુની. કારણ મનુને ફરમાઈશ થાય. ‘વાર્તા કહે અને એકાદો ટુચકો મેલ’ મનુના ઘરમાં એક નોટ રાખેલી. ઘ૨ના કોઈ ટુચકો સાંભળે તો એમાં લખી લેવાનો. આમ, મનુ નાનપણથી ટુચકા સમૃદ્ધ. ડોંગરે મહારાજની કથા સાંભળી. બીજીવાર બાપુજીએ કહ્યું : સાંભળે છે તે લખ. લખવાને કા૨ણે શિફ્ટિંગ થયું, અર્થગ્રહણ થયું. પાંચ ભાઈ-બહેનો. બે-બે વર્ષ નાનાં. બાપુજી ભૂત પલિતમાં ન માને. ક્યાંય ભૂત થાય છે એવું સાંભળે તો મનુને લઈને ઊપડે જોવા. એકવાર કરશનભાઈના ખેતરે મામાના ખીજડાનો ભડકો જોવા લઈ ગયેલા. પિતાજીએ ભૂતના ટેકરા પર લઘુશંકા કરાવેલી, પછી ભૂત વિષે કોઈ શંકા રહી નથી’ એમ ખડખડાટ હસતાં મહેન્દ્ર કહે છે. મહેન્દ્ર આઠમા ધો૨ણમાં ત્યારે બાપુજી પોરબંદરની આર.જી.ટી.માં બી.એડ્. કરવા ગયા એટલે ઘ૨ ચલાવવાની જવાબદારી આવી. હિસાબ લખવાનો, કકસ૨ ક૨વાની, ભાવતાલ કરાવવાના એવું બધું કર્યું. ધોરાજીની લાઇબ્રેરીનાં બધાં પુસ્તકો નવમા ધોરણ સુધીમાં વાંચી નાખ્યાં. બાર વર્ષે શાળાંત કર્યું. ભગવતસિંહજી હાઈસ્કૂલ, ધોરાજીમાંથી મૅટ્રિક થયો. સાયન્સમાં જઈ શકાય તેમ હતું પણ પિતાજીએ ગજબ ગણિત ગણાવ્યું. ‘ડૉક્ટર થઈશ તો ખાવાનો ટાઇમ નહીં મળે, પૈસા કમાવામાં પડી જઈશ, પોતાનો નહીં રહે અને ઇજનેર થઈશ તો સરકારમાં જઈ ખોટાં કામમાં ભાગીદાર થવું પડશે; એનાં કરતાં આર્ટ્સમાં જા,

અંગ્રેજી રાખીને ભણ, મજા પડી જશે…’ મહેન્દ્ર માટે સાહિત્ય અધ્યયનનું નવું જ ક્ષેત્ર ખૂલ્યું. એક વર્ષ ધોરાજી, એક વર્ષ રાજકોટ ક૨ી, અધ્યાપકો સાચું છે માટે’ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ! પી. પી. મહેતા, પ્રભુ દેસાઈ, અશ્વિન ભટ્ટ બહુ સારા અધ્યાપકો. પ્રભુ દેસાઈએ વિવેચનની, અનંત ભટ્ટે શેક્સપિયરની, મુકુંદભાઈ વેએ અમેરિકન લિટરેચરની, જગદીશભાઈ દવેએ ઍલિયટની બારીઓ ઉઘાડી દીધી. પ્રભાકર રાવળે માણસ તરીકેની કોમળતા શીખવી. જો કે, મહેન્દ્ર ચોટલિયા મોટી વાત હળવાશથી કહે છે કે : ત્યારે એમ.એ.માં એક જ વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ હતો. મને પચાસ ટકા ન આવ્યા, એટલે સારું થયું કે હું અંગ્રેજીનો અધ્યાપક ન થયો.’ Radio Journalism સાથે પત્રકારત્વમાં દોઢ વર્ષનો પી.જી. ડિપ્લોમા મેળવ્યો. ભૂપત વડોદરિયા સાથે કામ કર્યું. નોકરીની ઑફર થઈ પણ જર્નાલિઝમમાં ડેડલાઇન’નું બંધન! વલ્લભવિદ્યાનગરથી બી.એડ્. કર્યું ત્યાં મળ્યા સંસ્કૃત ભાષા અને શિક્ષણ દર્શનના ધૂરંધર પ્રા. શાસ્ત્રી જ્યેન્દ્ર દવે અને પ્રિ. આર. એસ. ત્રિવેદી. વર્ગમાં એકલા બેસી સાત્રની નવલકથા ‘લોજિયા’ વાંચતા મહેન્દ્રને જોઈ દવેસાહેબે પાસે આવી પૂછ્યું : આ શું વાંચે છે? સાત્રે તું વાંચે છે? ભલે, પછી મળજે.’ પછી તો દવેસાહેબે મહેન્દ્રને માર્ટિન બુબરનું I am Thou આપ્યું. બી.એ.માં તે અધૂરું રહ્યું, તો એમ.એ.માં લઈ ફરી વાંચ્યું અને શાસ્ત્રી દવેજીનાં માર્ગદર્શનમાં તેના ૫૨ જ Ph.D. કર્યું. હા, બી.એડ્. ભણતી વખતે મહેન્દ્રને રાજકોટની સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીનો ઑર્ડર મળ્યો. પિતાજીએ કહ્યું : તને ઠીક લાગે તેમ કર. મહેન્દ્રએ બી.એડ્. ભણાવતા બધા જ અધ્યાપકોને પૂછ્યું તો બધાએ બી.એડ્. પડતું મૂકી બૅન્કમાં જોડાય જવા આગ્રહ કર્યો! મહેન્દ્રને મૂંઝારો થયો : “આ બધા વર્ગમાં તો એમ કહે છે શિક્ષક ઉત્તમ વ્યવસાય છે. પોતે ય શિક્ષક છે, છતાં મને કેમ ના પાડે છે? એમને ભણાવવાની મઝા નહીં આવતી હોય?’ ધોરાજીમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નાવીન્યપૂર્ણ કાર્ય કર્યાં પછી જ્યાં ભણ્યા ત્યાં જ બી.એડ્.ના અધ્યાપક થવાની તક મળી. જેની પાસે ભણ્યા, તેની સાથે ભણાવ્યું. એ જ ધોરાજીવાળી સ્ટાઇલથી અને ખુમારીથી બી.એ.માં પ્રયોગશીલતા જાળવી રાખી. ભાવિ શિક્ષકો સાથે આત્મીયતા કેળવી. જેવા છો તેવા વ્યક્ત થાવ અને હેતુવિહીન સંબંધ રાખો’ની બુબરની ફિલસૂફી અમલમાં મૂકી. Love and Relationship in Education Dialogue in Educational ssl 444 કરી શિક્ષકોને જીવનભરના મિત્રો બનાવ્યા. પહેલાં જે જિવાયું, તેનું પછી થિયરાઇઝેશન થયું. એમ.એ.માં પ્રાધ્યાપક થવાની તક મળી તે છેલ્લાં દસ વર્ષથી સ્વીકારી. ત્યાં સમજાયું કે ઃ તમારો ‘આઇ’ બદલે તે શિક્ષણ છે. આપણામાં જીવનનું નિર્માણ થાય તો સાચા શિક્ષક. સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલિયાને હમણાં રાજ્ય સરકારની સ્વપ્નિલ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે આમંત્રણથી બોલાવવામાં આવ્યા છે. દસ મિનિટમાં પંદર પુસ્તકોની વાત જેની જીભે આવ્યા વગ૨ ન રહે તે મહેન્દ્ર ચોટલિયા સ૨ળ છે, સહજ છે, પુષ્કળ વાંચનાર છે, ધરમપુરનાં આદિવાસી બાળકો વચ્ચે જઈ ભણાવનાર નિજાનંદી શિક્ષક છે, ગહન વિચારોમાં પ્રવૃત્ત રહેવા છતાં હળવોફૂલ માણસ છે. ઓછી પિછાણ અને વ્યાપક વિચાર- પછેડીવાળા મહેન્દ્ર ચોટલિયા સાથે ગોઠડી માંડવી તે જીવનનો લ્હાવો છે, કારણ તે માને છે કે : હું કંઈ કરવા નથી આવ્યો. જે કંઈ થઈ જાય છે તે મારા આનંદનો વિસ્તાર છે.’