મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ

મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ

બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે, અન્ય ન રહે, બધું જ એકાકારબધું આનંદમય, બધું આત્મમય.!!

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

(16)

ગુજરાતના સમર્થ ચિંતક ગુણવંત શાહ તેમના અતિ પ્રચલિત પુસ્તક ‘કૃષ્ણનું જીવન સંગીત’માં છઠ્ઠા અધ્યાયમાં બે વાતો બહુ જ અદકેરી કરે છે. આપણે તેની નોંધ લેતા હર્ષ અનુભવીએ છીએ. તેઓ કહે છે :

“આપણો  ઉદ્ધાર કોઈ બીજો કરે એવી લાચારી ગીતાને મંજુર નથી. એ જ રીતે શત્રુ પણ આપણી અંદર જ બેઠો છે. તેથી જૈન દર્શનમાં કહ્યું છે :  જીતવી જાતને સારી અન્યને જીતવા થાકી. આત્મા સાથેનો બંધુભાવ કેળવાય એને આત્મભાવ કહેવાય. પણ આ આત્મભાવ પ્રગટે એના માટે લક્ષણો છે. ૧) સમાહિત :  જેની વાત ધ્યાનયોગમાં આપણે  સમદ્રષ્ટિ શબ્દથી જાણી. જે સમત્વ પામ્યો એ સમાહિત ગણાય, તમારી સામે જયારે બે વિરોધી પરિસ્થતિઓ હોય ગમા – અણગમા, સુખ – દુઃખ, માન-અપમાન એવી સામસામી સ્થિતિ હોય ત્યારે જો તમે શાંતિ જાળવી શકો તો એને સમાહિત કહેવાય. 2) બીજું લક્ષણ છે કુટસ્થ: લુહારની એરણની જેમ જે સ્થિર રહે છે તેને કુટસ્થ કહે છે. કુટસ્થ જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ સ્પૃહા ન રાખી આત્મતૃપ્ત રહે છે. આત્મભાવ પામ્યા પછી આવી કુટસ્થતા (એટલે કે સ્વસ્થતા) પ્રાપ્ત થાય છે. ૩) સમબુદ્ધિ :  વ્હાલા અને વેરી વચ્ચે, શત્રુ અને મિત્ર વચ્ચે,  પોતાના અને પારકા વચ્ચે,  સાધુ અને અસાધુ વચ્ચે, મધ્યસ્થ અને ઉદાસીન વચ્ચે જે સમાન ભાવ એટલે કે  મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો ભાવ રહે છે એ યોગારૂઢ છે. આ ચારેય લક્ષણો બુદ્ધ ધર્મમાં બ્રહ્મ વિહાર તરીકે ઓળખાય છે. આ લક્ષણો  પતંજલિ સૂત્રમાં પણ જોવા મળે છે. ખરેખર આ ત્રણ લક્ષણોમાં મૂળ વાત તો સમત્વની જ આવે છે.

આપણને પોતાની વાતને સુસ્પષ્ટ કરતા વિનોબાજી બહુ સરળતાથી કેટલીક વાત કરે છે અને ચોખ્ખો આદેશ આપે છે કે,  “ ચિત્તને જરા શાંત રાખો, સૃષ્ટિ તરફ મંગળપણે નીરખવાનું રાખો. આટલું કરશો તો હૃદયમાં આનંદના ઝરા વહેશે. કલ્પનાના દિવ્ય તારા હૃદયાવકાશમાં ચમકવા માંડશે. સમુદ્ર સામે બેસીએ ત્યારે એમ લાગે કે સમુદ્ર જાણે ઓમકારની ગર્જના કરી રહ્યો છે. ગીતાવચનની યાદ અપાવે સમુદ્ર. સમુદ્ર એકધારું સ્મરણ કરતો હોય અને કર્મ કરતો હોય એવું લાગ્યા કરે. એક મોજું આવ્યું અને ગયું, ફરી બીજું આવ્યું અને ગયું.  એક ક્ષણનો પણ વિસામો નહીં. વેદોના ઋષિઓના દિલમાં આવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો આપણે હૃદયમાંના સમુદ્રને જોતા શીખવાનું છે. બહારનું વાદળ વગરનું ભૂરું ભૂરું આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમજ નિર્લેપ કરવાનું છે. ખરું પૂછો તો ચિત્તની એકાગ્રતા એ રમતની વાત છે. ચિત્તની વ્યગ્રતા અસ્વાભાવિક છે. નાના છોકરાની આંખ જોજો. એ બધું એકસરખું તાકીતાકીને જોશે. એમ કહેવાય છે છોકરું ચાર પાંચ મહિનાનું થાય એટલે બહારની લીલીછમ સૃષ્ટિ બતાવવી એ એકીટશે જોયા કરશે. બાળકના ઉછેરના પહેલા બે ચાર વર્ષમાં જે કેળવણી મળે છે એ જ કેળવણી સાચી છે.”

દિવસે દિવસે વિનોબાજીના મનમાં એક ગાંઠ બંધાતી ગઈ કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે. પહેલા સંસ્કારો વજ્રલેપ હોય છે અને પછીની કેળવણી બધું ઉપરનું રંગરોગાન છે. ઉપરનો ઓપ છે. વિચારવા જેવું છે કે પહેલાના આ સંસ્કારો આવા જોરાવર કેમ ? અને ત્યાર પછીના કમજોર કેમ ? કારણ તો સીધું છે નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે. અને એ હોવાથી સંસ્કાર પડે છે, જે ભૂંસાતા નથી.. આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા છે. નાના છોકરાને વિશ્વાસ હોય છે. મા કહે તે વાત તેને માટે પ્રમાણ. તેને જે કહેવામાં આવે તે વાત તેને ખોટી લાગતી નથી. જે કહો તે બધું એને સાચું લાગે. બાળકની મંગલ વૃત્તિને લીધે તેના ચિત્ત ઝટ એકાગ્ર થઇ જાય છે.

આપણે જાણ્યું છે કે  ધ્યાનયોગના ત્રણ પરિમાણની સાથે બે સાધનો પણ વર્ણવ્યા છે. વૈરાગ્ય અને અભ્યાસ. એક વિધ્વંશક સાધન છે,  તો બીજું વિધાયક. ખેતરમાં ઉગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંશક કામ થયું. એને જ વૈરાગ્ય કહ્યું. બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે. મનમાં સદ્દવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું એ અભ્યાસ છે. આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણી વસ્તુમાં રેડીએ તેથી પછી તે ચીજ આપણને મીઠી લાગે. તેથી અંદરની મીઠાશ ચાખતા શીખવું જોઈએ. ધ્યાનયોગ બતાવતા ભગવાને શરૂઆતમાં જ મહત્વની વાત કરી કે,  ‘ મારે મારો ઉદ્ધાર કરવો જ છે, હું આગળ જઈશ જ, હું ઉપર ઉંચો કૂદકો મારવાનો જ. આ મનખા દેહમાં હું આવો ને આવો પડી રહેનાર નથી. પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને કોશિશ કરીશ.’  આવો દ્રઢ સંકલ્પ કરવાનો છે. આ બધું સાંભળીને અર્જુનને તો બહુ શંકા થયેલી તેથી તેણે તો પૂછી લીધું કે,  ‘હે ભગવાન હવે તો મોટા થયા બે દિવસ રહીને મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ ?’  ભગવાને સ્મિત વેરીને કહ્યું,  મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજની મહેનત કર્યા બાદ આપણે સાત આઠ કલાક ઊંઘીએ છીએ ને ? એ ઉંઘનો આપણને ડર લાગે છે ? ઉલટું એ ઊંઘ ન આવે તો ચિંતા થાય છે. એવી જ ઊંઘની જેમ મરણની જરુર છે. ઊંઘી ઉઠીને આપણે આપણું કામ ફરી શરૂ કરીએ છીએ તેવી જ રીતે મરણ પછી પણ પાછલી બધી સાધના આપણને આવીને મળવાની છે.

છઠ્ઠા અધ્યાયના એક શ્લોક ઉપર ખુબ મોટો ભાર સૌએ આપ્યો છે.

યોગે થયેલા યુક્તાત્મા સર્વત્ર સમદ્રષ્ટિનો

દેખે સૌ ભૂતમાં આત્મા ને સૌ ભુતોય આત્મમાં.. 

કહેવાય છે કે આ શ્લોક વાંચીને હેન્રી ડેવિડ થોડો નાચી ઉઠતો. આત્મભાવમાંથી પ્રગટતી સમદ્રષ્ટિનું મહત્વ છે. પ્રત્યેક જીવમાં રહેલો આત્મા આપણને એની સાથે આત્મીયતા કેળવવા પ્રેરે છે. ભગવાને બુદ્ધે બ્રહ્મ વિહારમાં પ્રબોધેલી મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાનો પાયો આત્મભાવ છે. બધું જ આત્મમય બને ત્યારે કશું ય પારકું ન રહે. અન્ય ન રહે, બધું જ એકાકાર,  બધું આનંદમય, બધું આત્મમય આવી નિઃસંગ વ્યાપક્તામાં બધું ઓગળી જાય. સમરસ થઈ જાય, પછી શોધ્યું ન જડે  એવી  સૂક્ષ્મતાને પામે. (ક્રમશ:)

એક  તરફ શૂન્યાગ્રતા છે,  તો બીજી તરફ અનેકાગ્રતા છે

એક તરફ શૂન્યાગ્રતા છે, તો બીજી તરફ અનેકાગ્રતા છે

સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                           (15)

શ્રી ભગવાને કહ્યું, 

‘હે પાંડવ, જેને સંન્યાસ કહે છે, એને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈપણ માણસ યોગી નથી હોતો. જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે.’ 

‘જયારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય. યોગમાં આરૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય.’ 

ભગવાન શ્રીકૃષ્ણ છઠ્ઠા અધ્યાયના આરંભમાં અર્જુનને આટલી સ્પષ્ટતાથી વાત કરે છે અને “ચિત્તવૃત્તિ નિરોધ” એવા શીર્ષક સાથેના છઠ્ઠા અધ્યાયના મંડાણ કરે છે. આપણે એ જોયું છે કે ધ્યાનયોગના મૂળ ત્રણ પરિમાણો છે :: 

ચિત્તની એકાગ્રતા રાખવી

જીવનની પરિમિતતા ટકાવી રાખવી 

અને સમદ્રષ્ટિને જાળવી રાખવી. 

ચિત્તની એકાગ્રતાનો આપણે વિશેષ ઉલ્લેખ કરીને તેમના વિશેની વાત જાણી ગયા છીએ. પ્રશ્ન એ થાય કે એકાગ્રતા તો જોઈએ પણ સધાય કેવી રીતે ? તે સારું શું કરવું ? ભગવાન કહે છે કે,  આત્મામાં મન પરોવી બીજા કશાનું ચિંતન ન કરવું. પણ એવું થાય ખરું ? મન શાંત, સ્વસ્થ કરવાની વાત મહત્વની ખરી પણ વિચારના  ચક્કરો જોર કરીને ફરતા હોય તેને અટકાવ્યા વિના એકાગ્રતા કેવી રીતે આવે ? બહારનું ચક્ર ગમે ત્યારે એકવાર ફરતું અટકાવી શકાય પણ અંદરનું ચક્ર તો ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારના સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધુને વધુ જોશથી ફરવા લાગે છે. એક અગ્ર તરફ લક્ષ્ય સાધી આગળ વધીએ ત્યારે એક  તરફ શૂન્યાગ્રતા છે,  તો બીજી તરફ અનેકાગ્રતા છે.

કોઈકે વિનોબાજીને પૂછ્યું કે ધ્યાનમાં આંખ અર્ધી ઉઘાડી રાખવી એવું કેમ કહ્યું હશે ? વિનોબાજીએ કહ્યું : તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પુરી મીંચી દેવાથી ઊંઘ આવે છે. બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે તે તમોગુણ, જોર કરીને ખુલી રાખવાથી નજર બધે ફર્યા કરે એ રજોગુણ ! આ બંનેમાંથી બચવા માટે થઈને વચલી સ્થિતિ બતાવવામાં આવી છે. એકાગ્રતાને માટે જીવનની શુદ્ધિ જરૂરી, બહારનું ચિંતન જલ્દી છૂટી જવું જોઈએ. ચિત્તની એકાગ્રતા ખુબ જ જરૂરી છે એટલી વાત ગળે ઉતરે તો જ એની શરૂઆત થાય. એક ગૃહસ્થીની બાબતમાં એક ભાઈ કહેતા હતા કે ગમે તેની  ખોલીમાં જાય તો ગમે તેની ખોલીમાં શું ક્યાં છે એ તેના ધ્યાનમાં આવી જાય. સાંભળનાર ભાઈના મનમાં થયું :  ‘હે ઈશ્વર,  આ મહિમા મારે માથે ન મારીશ. પાંચ, પચાસ ચીજોની મનમાં નોંધ રાખનારો હું કઈ તેનો સેક્રેટરી થોડો છું ? કે પછી મારે ચોરી કરવી છે ? પહેલો સાબુ ત્યાં હતો અને પહેલું ઘડિયાળ પણે હતું એ બધું મારે શું કરવા જાણવું ? મારે એ બધું જાણીને કરવું છે શું ? આંખને આમ વધારે પડતી ભટકવાનું મારે છોડવું જોઈશે.’ એવું જ કાનનું. કાન ઉપર ચોકી રાખવાની. કાનની પણ વધારે પડતી નકામી પ્રવૃત્તિ ન થાય. જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવવાની છે. ખરાબ વસ્તુ જોવાની જ નહીં. ખરાબ કંઈ  વાંચવાનું જ નહીં. નિંદા કરતી સ્તુતિ સાંભળવાની જ નહીં. દોષવાળી વસ્તુ ખપે જ નહીં. નિર્દોષ વસ્તુનું પણ  વધારે પડતું સેવન ન જોઈએ. કોઈ ચીજ વધારે પડતી ન ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે પણ તે યથેચ્છ ન હોવો જોઈએ. આ થાય તો જ જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવી શકાય. ત્રીજી ધ્યાનયોગની બાબત છે સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એટલે શુભદ્રષ્ટિ. તમે જ્યાં સુધી દ્રષ્ટિથી શુભ જુઓ નહીં ત્યાં સુધી ચિત્ત કદી એકાગ્ર થાય નહીં.  સમદ્રષ્ટિ ધીમે ધીમે કેળવવી જોઈએ. એટલે કે આખી સૃષ્ટિ આપણને મંગલ મંગલ ભાસવી જોઈએ. અરે સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે. 

એક સરસ પ્રસંગ ટાંક્યો છે વિનોબાજીના ગીતાઈમાં.. સ્વામી રામદાસ રામાયણ લખતા અને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારુતિ પણ તે સાંભળવાને ગુપ્ત રીતે આવીને બેસી જતા. સ્વામી સમર્થે લખ્યું કે,  ‘મારુતિ અશોકવનમાં ગયો. ત્યાં તેણે ધોળા ફૂલ જોયા.’ તે સાંભળતા વેંત મારુતિએ છતા થઈને કહ્યું,  ‘મેં ધોળા ફૂલ જરા પણ જોયા નથી. મેં જોયેલા તે ફૂલ લાલ હતા. તમે ખોટું લખ્યું છે સુધારો કરો.’ સ્વામી સમર્થ કહે,  મેં લખ્યું છે તે બરાબર જ છે. તેં  ધોળા જ ફૂલ જોયા હતા. મારુતિએ સામે દલીલ કરી,  અરે,  હું પોતે જોનારો કહું  છું તો પણ ખોટું ? છેવટે તકરાર રાજા રામ પાસે પહોંચી. રામચંદ્રજીએ કહ્યું,  ફૂલ ધોળા જ હતા. પણ મારુતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઇ ગઈ હતી,  તેથી ધોળા સફેદ ફૂલો તેને  લાલ દેખાયા… આ વાર્તા તો મીઠડી છે પણ એનો સાર એનાથી પણ વધુ મીઠો છે. દુનિયા તરફ જોવાની આપણી દ્રષ્ટિ જેવી હશે તેવી દુનિયા આપણને દેખાશે. (ક્રમશ:)

 

વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે

વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે

સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ.

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

                                                 (14)

છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. વળી, અહીં માનસિક સાધના અંગે પણ સ્પષ્ટતા છે. 

ગીતા કહે છે, ‘અરે જીવ,  તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું  રાખી પાંખ બરાબર મજબૂત રાખ…’

સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે…. 

ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે.. આ  વિવિધ પ્રકારોમાંથી છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.

ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે. 

૧) ચિત્તની એકાગ્રતા 

૨) (ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી) જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું 

અને 

૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ. 

આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય. 

ચિત્તની ચંચળતા ઉપર અંકુશ રાખવાનો અર્થ જ ચિત્તની એકાગ્રતા છે. 

જીવનની પરિમિતતા એટલે શું ? સર્વ ક્રિયાઓ માપસર હોય તે.. કોઈ વધુ નહીં કોઈ ઓછું નહીં.. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ બાબતો મળે એટલે ધ્યાન યોગ થાય. 

ચિત્ત એકાગ્ર થવું જોઈએ એટલે કે એની ચંચળતા ઉપર અંકુશ આવવો જોઈએ. બધી ક્રિયાઓ માપસર કરવી જોઈએ. અને સમગ્ર વિશ્વને ઉદાર દ્રષ્ટિથી જોવું જોઈએ. આ ત્રણેય સાધનાની કેળવણીને માટે બીજા બે સાધનો પણ છે. શ્રીમદ ગીતા તેને અભ્યાસ અને વૈરાગ્ય એવું નામ આપે છે. આમ ધ્યાનયોગના ત્રણ મુદ્દા અને પછી બીજા બે સાધનો એમ પાંચેય બાબતોની ચર્ચા છઠ્ઠા અધ્યાયમાં કરવામાં આવી છે.

ધ્યાનયોગનું પહેલું પગથિયું એટલે ચિત્તની એકાગ્રતા. કોઈપણ કામ કરીએ એમાં એકાગ્રતા ન પરોવીએ તો એ કામ યોગ્ય થતું નથી. વ્યવહાર કરીએ તો એમાં પણ એકાગ્રતા જોઈએ. ઘણા લોકો એવું માને છે કે વ્યવહારના નિયમો જુદા હોય અને પરમાર્થના નિયમો પણ જુદા હોય. એ સાચું નથી. વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વ્યવહાર કેમ ન હોય ? તેમાં જશ અપજશ તમારી એકાગ્રતા ઉપર આધાર રાખે છે.  વેપાર, વ્યવહાર, શાસ્ત્ર શોધન, રાજકારણ, મુત્સદીગીરી ગમે તે લઈ લઈએ. દરેકમાં સફળતા મળશે તેનો આધાર તે પુરુષની ચિત્તની એકાગ્રતા પર છે. 

એકાગ્રતાનો જથ્થો કેટલો હોય એનું એક ઉદાહરણ જોઈએ. 

નેપોલિયન માટે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા ગોઠવી દીધા પછી રણક્ષેત્રમાં તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. પોતાના તંબુઓ ઉપર ગોળાઓ પડે, પોતાના માણસો મરતા હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં જ મશગુલ. આ એકાગ્રતા બહુ જબરી નથી પણ ઉંચા પ્રકારની તો જરૂર અને એનો જથ્થો પણ વધુ સારો… 

ખલીફા ઉંમરની આવી જ વાત છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાની સાથે ખલીફા પ્રાર્થના કરવા માંડતા. અને પ્રાર્થનામાં એમનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોના માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેમને રહેતો નહીં. પહેલા મુસલમાનોની આવી પરમેશ્વર નિષ્ઠા અને કેવળ  એકાગ્રતાને લીધે ઈસ્લામ ધર્મનો ખરેખર ફેલાવો થયો છે. 

એક રોમાંચક વાત જાણીએ. એક મુસલમાન સાધુ હતો તેના શરીરમાં બાણ વાગ્યું તે બાણને લીધે તેને ખુબ વેદના થતી હતી.  બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ શક્ય નહોતું. આજે બેભાન કરવા માટેની જે ક્લોરોફૉમ વગેરે દવાઓ આવે છે એવી દવાઓ ત્યારે નહોતી. એટલે મોટો સવાલ ઉભો થયો.  તે સાધુ વિશે જે લોકોને માહિતી હતી તેમાના કેટલાક જણે આગળ આવીને કહ્યું,  ‘અત્યારે બાણ કાઢવાનું રહેવા દ્યો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું.’ સાંજે પ્રાર્થનાનો વખત થયો, સાધુ પ્રાર્થનામાં બેઠા. એક જ પળમાં તેમના ચિત્તની એકાગ્રતા એવી થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તો પણ તેને ભાન સરખું ન રહ્યું. બસ આ એકાગ્રતા આપણામાં આવે એને ચિત્તની એકાગ્રતા કહેવાય. ધ્યાન યોગનું આ પહેલું પગથિયું છે. ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એક અગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય. એકાગ્રનો અર્થ એવો કે  અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો. (ક્રમશ:)

ચિત્ત એક અગ્ર પર ધ્યાનસ્થ થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય

ચિત્ત એક અગ્ર પર ધ્યાનસ્થ થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય

એકાગ્રનો અર્થ એવો કે  અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો.

ભદ્રાયુ વછરાજાની                             bhadrayu2@gmail.com 

                                             (13) 

છઠ્ઠા અધ્યાયનું શીર્ષક છે ચિત્ત નિરોધ. ઋષિ પતંજલિ ચિત્ત વૃત્ત્તિ નિરોધ કહે છે,  તે આ છઠ્ઠા અધ્યાયનો પાયો છે. આપણે કર્મ અને સંન્યાસ એ બંને બાબતો વિશે પાંચમા અધ્યાયમાં જાણી ચૂક્યા છીએ. કર્મ, વિકર્મ અને અકર્મ મળીને બધી સાધના પૂર્ણ થાય છે. કર્મ સ્થૂળ વસ્તુ છે. જે સ્વધર્મ-કર્મ આપણે કરીએ તેમાં આપણા મનનો સહકાર હોવો જોઈએ. મનની કેળવણીને માટે જે કર્મ કરવાનું છે તે વિકર્મ છે એટલે કે વિશેષ કર્મ છે અથવા તો સૂક્ષ્મ કર્મ છે. કર્મને વિકર્મ બંને જાણવા જરૂરી છે. એ બંનેનો પ્રયોગ કરતા કરતા અકર્મની ભૂમિકા તૈયાર થાય છે. આપણે અગાઉ જોયું કે એ ભૂમિકામાં કર્મ અને સંન્યાસ બંને એક જ રૂપ થઈ  જાય છે. કર્મયોગની ભૂમિકા સંન્યાસની ભૂમિકા કરતા અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે એવું આ છઠ્ઠો અધ્યાય કહે છે. ફક્ત દ્રષ્ટિમાં ફેર છે. શ્રી ભગવાન બોલ્યા : 

ફળનો આશરો છોડી કરે કર્તવ્ય કર્મ જે,

એ સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ નિષ્ક્રિય. 

સંન્યાસ જે કહે લોકો તેને તું યોગ જાણજે

વિના સંકલ્પને છોડી યોગી થાય ન કોઈએ. 

યોગમાં ચડવા કાજે કારણ કર્મ તો કહ્યું

યોગે સિદ્ધ થયેલાને કારણ શાંતિ તો કહ્યું. 

જયારે વિષય ભોગે કે કર્મે આસક્ત થાય ના 

સર્વ સંકલ્પ સંન્યાસી યોગસિદ્ધ થયો ઘણો. 

એક સુંદર સંદેશ છઠ્ઠો અધ્યાય આપણને આપે છે. ગાંઠે બાંધવા જેવો,,,

આપને તારવી આપે, આપને ન ડુબાડવો,

 આપ જ આપનો બંધુ, આપ જ શત્રુ આપનો. 

જીતે જે આપને આપ તે આત્મા આત્માનું સખા 

જો અજીતેલ આત્મ તો આત્મજ શત્રુશો. 

શાંત ચિત્ત જિતાત્માનો પરમાત્મા સમાધિમાં 

ટાઢે, તાપે, સુખે દુખે માનાપમાનમાં રહે,

 વાલા વેરી સખા મધ્ય, ઉદાસી દ્વૈષયને સગા. 

સાધુ અસાધુમાં જેને સમબુદ્ધિ વિશેષ તે. 

મારો આધાર હું છું, મને ડુબાડનારો હું છું, મને તારનારો હું છું, જે કાંઈ કરું તે મારા માટે મારે કરવાનું છે.

છઠ્ઠા અધ્યાયમાં હકીકતમાં પાંચમા અધ્યાયનું વિસ્તૃતીકરણ છે. જે જે અવસ્થાઓનું વર્ણન તે અધ્યાયમાં થયું તેના સાધનો ક્યાં ક્યાં તેનો ઉલ્લેખ આ છઠઠા અધ્યાયમાં થયો છે.

લોકમાન્ય તિલકે ગીતા રહસ્ય લખ્યું છે અને એમાં એમણે એક બાબત તરફ ધ્યાન ખેંચ્યું છે. “ગીતા એ ગ્રંથ સર્વ સાધારણ વ્યવહારુ લોકોને માટે છે. ભગવત ગીતા તમામ દુનિયાને સારું છે. પરમાર્થમાં આવતું એકે એક સાધન દરેક વ્યવહારુ માણસને માટે છે.” આપનો વ્યવહાર શુદ્ધ તેમજ નિર્મળ થાય અને મનને સમાધાન તેમજ શાંતિ કઇ રીતે મળે એ વાત પરમાર્થ શીખવે છે. હકીકતમાં તો વ્યવહાર શુદ્ધ કેમ કરવો તે શીખવા માટે  ગીતા છે. જ્યાં જ્યાં વવ્યહાર કરો ત્યાં બધે જ ગીતા આવે જ આવે. પણ તે તમને ત્યાંને ત્યાં રહેવા દેવા માંગતી નથી. ગીતા તમારો હાથ ઝાલીને તમને છેવટે મુકામ પહોંચાડશે. પેલી કહેવત છે : ‘પર્વત મોહમ્મ્દ પાસે આવતો નહીં હોય તો મોહમ્મ્દ પર્વત પાસે જશે.’ એટલે કે પોતાનો સંદેશો જડ પર્વતને પહોંચે એવી ફિકર મોહમ્મ્દને હતી. પર્વત જડ હોવાથી તેના આવવાની વાટ જોઈને મોહમ્મ્દ બેસી રહેવા માંગતો ન હતો. આ જ વાત ગીતા ગ્રંથને પણ લાગુ પડે છે. ગરીબ, દુબળા, અણઘડમાં અણઘડ જે કોઈ હોય તે સૌની પાસે ગીતા પહોંચી જશે. પણ તે જ્યાં હશે ત્યાંને ત્યાં તેને કાયમ રાખવા માટે નહીં,  તેનો હાથ ઝાલીને આગળ લઈ જવા, ઉંચે ઉઠાવવા ગીતા જશે. માણસ પોતાનો વ્યવહાર શુદ્ધ કરતો કરતો પરમ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે અને હકીકતમાં ગીતાની હયાતી એટલા ખાતર છે.

આપણે લોકો છટકબારી શોધનારા વ્ય્વહારિયા છીએ. ‘હું સંસારી જીવ છું, મારાથી શું થાય ? આ સાડા ત્રણ હાથનો દેહ છે એમાં જે કયો તે બધું આવી ગયું.’ આ બધું બોલવું એ બંધનોની દીવાલ પોતાની આજુબાજુ ઉભી કરીને વર્તવા જેવું છે. આમ તો પશુઓ વર્તે. આગળ વધવાની, ઉંચે ચડવાની હિંમત રાખવી પડે. હું મારી જાતને ઉંચે લઈ જનાર છું એવું તો સતત મનમાં રટણ કરવું પડે. મનની શક્તિને હણવા માટે થઈને આપણે જાણે અજાણે  એવું બોલતા હોઈએ કે,  ‘હું તો શુદ્ર સંસારી જીવ છું.’ એમ કરીને આપણે કલ્પનાની પાંખો તોડીએ છીએ. કલ્પનાને તો વિશાળ કરવાની છે. કલ્પનાની શક્તિથી તો સૂર્ય સુધી પહોંચી જ શકાય  છે આપણે.  સૌ એનાથી ઉલટી રીતે ચાલીએ છીએ. આપણામાં રહેલી શક્તિને આપણે હીનભાવને લીધે મારી નાખીએ છીએ. ખુદ કલ્પનાના પગ તોડી નાખીએ તો પછી નીચે પડવા સિવાય બીજું કંઈ છે ? એટલે જ ગીતા કહે છે,  ધોરી રસ્તો ના છોડીશ. આત્માનું અપમાન ન કરીશ.’’  સાધકમાં તો વિશાળ કલ્પના હોવી જોઈએ. આત્મવિશ્વાસ હશે તો જ તે ટકવાના છે. અને એમ થશે તો ઉદ્ધાર થશે.

આપણે એવું માનીએ છીએ કે ધર્મ કેવળ સંતો માટે છે. અને સંતો પાસે જઈએ ત્યારે પણ એવું પ્રમાણપત્ર લેવાનું કે ‘હું જે રીતે વર્તુ છું તે બરાબર છે’ આ તો દુન્યવી અને ક્ષુલ્લ્ક બાબત થઈ. કર્મની મદદમાં વિકર્મ હંમેશા રહેવું જોઈએ. એ બંનેની મદદથી અકર્મની જે દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની અને તેના પ્રકારોની વાત પાંચમા અધ્યાયમાં કરી છે. છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. માનસિક સાધનાની વાત અહીં બતાવી છે. ગીતા કહે છે,  અરે જીવ,  તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું  રાખી પાંખ બરાબર મજબૂત રાખ… સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ આત્માનાત્મ વિવેક વગેરે વિવિધ પ્રકાર છે. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.

ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે.

૧) ચિત્તની એકાગ્રતા

૨) ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું અને

૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ.

આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય. (ક્રમશ:)

સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com

(12)

પાંચમા અધ્યાયમાં સન્યાસના બે પ્રકારની તુલના કરેલ છે.
1. કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી.
2. ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે.
એક, બોલવા છતાં ન બોલવાની રીત છે તો બીજી, ન બોલવા છતાં બોલવાની રીત છે. સન્યાસના બે પ્રકારની સુંદર સરખામણી અહીં કરવામાં આવેલ છે.
વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે, આજ સુધીમાં માણસની બુદ્ધિએ જે જે ઊંચા કુદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો આ સન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી.

ન કરવા છતાં કરવું અને બધું કરતા રહેવા છતાં લેશમાત્ર કરવું નહીં. આ કલ્પનામાં જે આનંદ , ઉત્સાહ, સ્ફૂર્તિ અને દિવ્યતા છે તે પાંચમા અધ્યાયને ખુબ જ ઊંચી ભૂમિકા પર બેસાડે છે. બધું કરવા છતાં કશું ન કરવું એ યોગ છે અને એ જ રીતે કશું ન કરવું તે છતાં બધુંયે કરવું એ પણ યોગ જ છે. કેવળ, તુલના કરતી વખતે એકને યોગ અને એકને સન્યાસ કહ્યો છે. જેમ ભૂમિતિમાં કે ગણિતના દાખલામાં ‘ધારો કે…’ એમ કહીને જે નથી તે ધારી લેવામાં આવે છે તે જ રીતે ભક્તિમાં પણ ધારો કે કહીને આગળ વધવાનું છે.

યાજ્ઞવલ્કય સન્યાસી હતા. જનક કર્મયોગી હતા. સન્યાસી યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ, એ પાછો સન્યાસી !! આમ, માળા જોડાણી પણ કેવી રીતે તે જુઓ :: સન્યાસી-કર્મયોગી-સન્યાસી !! આનો અર્થ તો એવો જ કે યોગ અને સન્યાસ એક પરંપરામાં આવે છે. હવે જરાક લાબું વિચારીએ. રાજા પરીક્ષિતને શાપ હતો તેને દૂર કરવા સળંગ સાત દિવસ શુકદેવજીએ એક પલાંઠીએ બેસીને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું. કુલ એકસોને અડસઠ કલાક સુધી બેસીને સતત કથા કહેનાર શુકદેવજીને કશો જ ભાર ન લાગ્યો, થાક ન લાગ્યો કે મહેનત કરી એવું પણ ન લાગ્યું. અર્થ એ કે સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.

એક મઝાની કથા છે. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો. એ પત્ર કોરો કાગળ જ હતો. ચાંગદેવ કરતા જ્ઞાનદેવ ઉંમરમાં નાના. “ચિરંજીવી” લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા. “તીર્થસ્વરૂપ” લખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન સૂઝ્યું નહીં. એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલાયો. એ કાગળ પહેલો નિવૃતિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મુક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું : અલ્યા, ચાંગા , આવડો મોટો થયો તો એ હજી કોરો જ રહ્યો!! નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું,: “ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મલ છે અને ઉપદેશ આપવાને લાયક છે.” એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે પાસંઠ ઓવીનો કાગળ મોકલ્યો જે ‘ચાંગદેવ પાસષ્ટિ’ તરીકે ખ્યાત છે. લખેલું વાંચવું સહેલું છે, પણ ન લખેલું વાંચવું અઘરું છે. સાર એટલે જ કે સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.

ભગવાને થોડી ગમ્મ્ત પણ કરી છે. કર્મયોગી એટલે સન્યાસી અને સન્યાસી એટલે કર્મયોગી, એવું સમજાવનાર ભગવાન કહે છે કે, સન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે !! ચિંતકોએ એવી સમજ પાડી છે કે ભગવાન એવું કહે કે, કર્મયોગ ચડિયાતો છે ત્યારે ભગવાન સાધકની દ્રષ્ટિથી કહે છે. એક પણ કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરનાર તો સિદ્ધ જ હોઈ શકે !! સાધકને માટે તો આ ઘણું દૂરનું છે. સાધકની નજરે કર્મયોગ ચડિયાતો છે, જયારે સિદ્ધની નજરે સન્યાસ આગળ છે. કર્મયોગ રસ્તા પર પણ છે ને છેક મુકામ પર પણ છે. સન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્ર આ વાત આમ કહે છે : કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે. સન્યાસ એકલી નિષ્ઠા છે. આ નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.

કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે.

કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે.

પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? ‘જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી.’

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com

(11)

મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગમાં આઠ પગથિયાં ચડ્યા પછી સમાધિનું સ્થાન છે. આગળના સાત આયામો સિદ્ધ કર્યા વગર આઠમું સ્થાન દુર્લભ છે અને આ સાતેય પગથિયાં સહજ કર્મ કરી અને મનને કર્મથી પ્રભાવિત થવા દીધા સિવાય હાંસિલ કરવાના છે. ખુદને ખબર ન પડે અને ચિત્ત કોઈ કર્મ કરે તે સાચી ઉપલબ્ધી ગણાય. 

કર્મની વાત આવે એટલે સૂક્ષ્મ જ્ઞાન ધરાવનારાઓ કર્મના અનેક પ્રકારો ગણાવવા લાગશે અને એ નામો આપીને કર્મની ઓળખને ગૂંચવી નાખશે. આ અલ્પજ્ઞાનને છાંટવાની પ્રવૃત્તિ અહંકાર તરફ લઇ જાય છે. કેવળ માહિતી પૂરતું જો આ કર્મોને સમજવા હોય તો….. 

બેન્કનું ચાલુ ખાતું એટલે કે કરંટ  એકાઉન્ટ તે ક્રિયમાણ  કર્મ ..

બેન્કનું બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ તે સંચિત કર્મ…

બેન્કનું બાંધી મુદ્દતનું ખાતું એટલે કે ફિક્સ્ડ ડિપોઝીટ તે  પ્રારબ્ધ કર્મ…   

એક વડીલ મિત્રએ બીજા વડીલ દોસ્તને પત્ર લખી કહ્યું કે, પોતે અમુક લાખ રામનામ જાપ કરવાના છે. તમે પણ તેમાં ભાગ લો અને રોજ કેટલા જાપ કરો છો તે મને જણાવજો એટલે હું તે પ્રમાણે ગણતરી રાખીશ. પેલા ભાઈ પોતાની સમજ પ્રમાણે લખી રહ્યા હતા પણ જેમને પત્ર મળ્યો તેમણે  એમ વિચાર્યું કે રામનામના જાપ લેવાના હોય, ગણવાના ન હોય. રામનામ કંઈ  ગણવાની ચીજ નથી. બાળકની સેવા કરનાર મા ક્યાં ગણે છે કે મેં કેટલી વાર ભીનું બાળોતિયું બદલ્યું ? મન પરોવીને અને હૃદય રેડીને જો કર્મ કરીએ તો કર્મ રહેતું જ નથી. જે કરીએ તે અકર્મ બની જાય તો પછી તેમાં ક્લેશ કે કષ્ટ કે વાંધો કશું રહે જ ક્યાંથી ? સૂર્ય ઉગે છે ને આથમે છે, પવન વાય છે, પંખી ઉડે છે, નદી ખળખળ વહે છે, વરસાદ વરસે છે કે પ્રકૃતિ કોઈના કહ્યા વગર નિત્ય કાર્યરત છે, બસ આ સઘળા કર્મો સહજ કર્મો છે, તેની કોઈ ગણતરી નથી કે તેનો કોઈ ભાર નથી એટલે તો એ અકર્મનો દરજ્જો પામે છે. 

અકર્મની એક બાજુ યોગ છે અને અકર્મની બીજી બાજુ સન્યાસ છે. સન્યાસ એટલે સર્વ કર્મો છોડી દેવા. સર્વ કર્મોમાંથી મુક્ત થવું. કર્મો બિલકુલ ન કરવા તે સન્યાસ….પણ અહીં કર્મ ન કરવું એટલે શું ? તે સમજી લેવાની ખાસ જરૂર છે, અન્યથા મોટી ગડબડ થશે. 

એક માણસની વાત છે. તેની પાસે સોનાના મોટા મોટા કીમતી દાગીના હતા. તે બધા તેણે  એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા, નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો. તે જોઈને દાગીનાના ધણીએ કહ્યું, કેવો મૂરખો છે ! અરે ડફોળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં ? આવા સુંદર કીમતી દાગીના તે આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય ? જા, મજાની સોનાની પેટી કરાવી લાવ. નોકર સોનાની પેટી કરાવી લાવ્યો. હવે એનું તાળું, તે પણ સોનાનું લાવ. સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે. પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો. પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું ? ચોરને દાગીના શોધવાની માથાફોડ જ રહી નહીં! પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું. સારાંશ કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. આટલું વ્યાપક કર્મ આપણને ઘેરી વળ્યું હોય ત્યાં તેમાં સન્યાસ કઈ રીતે શક્ય બને ? હા, છે એક તરકીબ..જેટલા કર્મો કરવાના છે તે કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી યુક્તિ હસ્તગત કરી લેવી. સૂર્ય રાત દિવસ તપે છે. એક ગોળાર્ધમાંથી નીકળી બીજામાં.. પણ સતત પ્રકાશતો જ રહે છે. ચોથા અધ્યાયમાં ભગવાન આખે છે કે : “મેં આ યોગ પહેલા સૂર્યને બતાવ્યો અને તેની પાસેથી મનન કરનાર મનુએ એ યોગ શીખ્યો.” સૂર્ય ચોવીસેય કલાક પ્રવૃત્ત છે છતાં જાને કોઈ જ કર્મ કરતો જ નથી !! 

વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે એક વ્યક્તિ મોજમાં રહીને કર્મ કર્યા  જ કરે છે અને તેનો આનંદ લૂંટે છે અને   બીજી વ્યક્તિ એક બાજુ મૌન ધારણ કરીને બેઠો રહે છે, તો પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા  સો વાર સન્યાસી છે. ટૂંકમાં, સન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી. (ક્રમશઃ)

સંસાર છોડીને ચાલ્યા જનાર તો જ્યાં જાય  ત્યાં સંસાર ઉભો કરે જ છે.!!

સંસાર છોડીને ચાલ્યા જનાર તો જ્યાં જાય  ત્યાં સંસાર ઉભો કરે જ છે.!!

વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે. જો  કર્મ સહજતાથી થતું રહેશે તો તે અકર્મ બની જશે.

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com

(10)
ચોથા અધ્યાયનું શીર્ષક છે જ્ઞાનકર્મસન્યાસયોગ તો પાંચમા અધ્યાયનું શીર્ષક છે કર્મસન્યાસયોગ.
ભગવાનશ્રી કૃષ્ણ એક પરમ શિક્ષકની અદાથી એક પછી એક વિષયાંગ પર આગળ ધપીને આપણને
પાથીએ પાથીએ તેલ નાખતી મા ની જેમ વર્તે છે.  જુઓ, બીજા અધ્યાયમાં જ્ઞાનમાર્ગ ની સમજ
આપી તો ત્રીજા અધ્યાયમાં આપણને કર્મમાર્ગનું પગથિયું ચડાવ્યું. ચોથા અધ્યાયમાં જ્ઞાનના માર્ગે કર્મ
કરીને સન્યાસ તરફ વળવા કહ્યું તો હવે પાંચમા અધ્યાયમાં કર્મયોગના રસ્તેથી સન્યાસ કેમ પ્રાપ્ત થાય
તે સમજાવે છે. એટલે આમ જુઓ તો બીજા અધ્યાયના મર્મને  વિસ્તારતા વિસ્તારતા શ્રી કૃષ્ણ
પાંચમા અધ્યાય સુધી આવ્યા છે. આપણી દ્રષ્ટિએ અર્થ એવો થયો કે, જ્ઞાન માર્ગે કે કર્મ માર્ગે આપણે
જવાનું તો છે સન્યાસ તરફ.. ગુણવંત શાહના મતે : સન્યાસ એ જ્ઞાનરૂપી ગંગા અને કર્મરૂપી યમુનાનું
પ્રયાગ આગળનું મિલનસ્થળ છે.
સાંખ્ય (એટલે કે જ્ઞાન) અને યોગ અલગ નથી, બંને માર્ગના સાધકની પ્રાપ્તિ એક જ છે, એવું એક જ
નાના શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ એકદમ ચોખ્ખું કરી આપે છે :
એકં સાંખ્યમં ચ યોગં ચ ય: પશ્યતિ સ પશ્યતિ
(એક જ સાંખ્ય ને યોગ, દેખે જે, તે જ દેખતા)
સંસાર સમુદ્ર સમાન છે. સમુદ્રમાં ચોતરફ પાણી જ પાણી હોય તેમ જ આપણી ફરતે જ્યાં જુઓ
ત્યાં સંસાર જ છે. હું સંસાર છોડીને ચાલ્યો જાઉં તો હું જઈશ ક્યાં ?? જ્યાં જઈશ ત્યાં સંસાર તો
મને ઘેરી જ લેવાનો છે. કશુંક છોડ્યું એટલે સંસાર છૂટ્યો એમ માનવું ભૂલ ભરેલું છે. ઘરમાં બેસીએ
કે વનમાં બેસીએ આસક્તિ આપણને છોડતી નથી. પોતાના મસમોટા આશ્રમો ખોલી ‘સન્યાસ લીધો
છે’ એવું  કહેતા મહંતો ત્યાં એક બીજો સંસાર ઉભો કરી તેમાં અટવાય છે. એ ઘરનો વહીવટ કરીને
થાક્યા પણ હવે તેઓ આશ્રમનો વહીવટ કરવામાં પ્રવૃત્ત થઇ ગયા છે !! અનુભવ છે કે આપણે ઘરે
લોકો સાથે ઝાઝો વ્યવહાર કરીને થાકીએ ત્યારે તેઓથી દૂર થવા માટે આપણે હિલસ્ટેશન ભાગીએ
છીએ પણ ત્યાં જઈને પહેલું એ જાણીએ છીએ કે કોઈ આપણું પરિચિત છે ? પ્રવાસનું સુંદર સ્થળ
જોવાને બદલે ત્યાંથી સ્થળના ફોટા લઈને આપણે વોટ્સઅપના સ્ટેટસમાં શેર કરીએ છીએ કે જેથી
‘આપણા’ (જેને છોડીને આવ્યા છીએ તે) મિત્રોને ખ્યાલ આવે કે હું ક્યાં છું..!! જગ્યાની અને
પરિચિતોની ભીડથી ભાગ્યા પણ મનમાંથી એ જગ્યા કે પરિચિતો ગયાં  નથી !! સંસાર તો હવેલીમાં
ય હાજર હોય અને ઝુંપડીમાં પણ હાજર જ હોય. કર્મ કરતા કરતા જે દોષ થાય છે તેને દૂર કરવા
માટે વિકર્મને સાદ દેવો પડશે.

તાત્પર્ય એટલું છે કે મનના સહકાર વગર કોઈ વાતનો પાર આવતો નથી. રોજીંદુ કામ કરીએ કે સાધના
કરીએ માનસિક સહકાર અતિ આવશ્યક છે. સાધના તો બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનના
વિકર્મ બંનેથી શક્ય બને. બહાર જે કર્મો થાય છે તેમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે.  મનનું
અંત:સરોવર તો ઢગલાબંધ કચરો સાચવીને પડ્યું છે. જેવી કશીક બહાર ઘટના ઘટે કે તરત અંદરનો
કચરો બહાર નીકળી આવે, જેને આપણે ગુસ્સો-ક્રોધ-અજંપો એવા નામથી ઓળખીએ  છીએ.
અગાઉ કહેલું તે ફરી યાદ કરીએ કે, ચર્મચક્ષુ બંધ કરીને માળા  હાથમાં લઈને નામજપ કરવા બેસનાર
અચાનક કૂતરાને ડેલીમાં ઘૂસેલું સમજીને  બરાડા પાડી કોઈને કૂતરું હાંકવા કહે તો શું સમજવું ? અરે,
સાધુ કે વૈરાગી લોકો પણ ભિક્ષા માંગવા જાય ત્યાંની સ્થિતિ પોતાના મન-ખ્યાલોથી અલગ હોય તો
ગુસ્સે થઇ જાય છે ત્યારે પ્રતીતિ થાય કે સંસારને એમ છોડી શકાતો  નથી.
આમાંથી મુક્ત થવાના ઉપાય ખરા ?? હા, જરૂર. આપણે નિર્મળ  કર્મ કરવાના સતત સતત પ્રયાસો
કરતા જ રહેવા જોઈએ તો જ નિર્મળ  કર્મ સહજ રીતે થશે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે કે : રિપિટેડ
એક્શન બીકમ્સ હેબિટ. (વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે.) જયારે કર્મ સહજતાથી થતું રહેશે
ત્યારે તે અકર્મ બની જશે. નાનું બાળક પહેલીવાર ચાલતા શીખે ત્યારે તેને બહુ કષ્ટ પડે છે પણ તે
પછીથી સતત કર્યા જ કરશે તો કશી જ મુશ્કેલી વગર ચાલી શકશે. ઘરમાં દીકરીને માતા રોટલી વણતાં
શીખવે છે ત્યારે શરૂઆતમાં તો બહુ મુશ્કેલી પડે જ છે, પણ જો દીકરી રોજ રોટલી બનાવવામાં
લાગી પડે તો તેની હથોટી બંધાય જાય છે. વિનોબાજી સરસ વાત  કરે છે કે, ‘માણસ તરવાની
શરૂઆત કરે છે ત્યારે તેને બહુ થાક લાગે છે, પરંતુ પછીથી જયારે થાકે છે ત્યારે તરવા જાય છે.!!’ કર્મો
સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી અને તેથી કર્મ અકર્મ બનીને આનંદમય બને છે.
કર્મયોગની આ કૂંચી છે. કૂંચી જડી જાય એટલે એક જ ક્ષણમાં કામ હર્ષભેર પૂર્ણ … (ક્રમશઃ)

ગીતા ચાર વર્ણો અંગે જુદું જ કહે છે..

ગીતા ચાર વર્ણો અંગે જુદું જ કહે છે..

ચંડીદાસ કહે છે :સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ’. જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                                            (09)

ચોથો અધ્યાય જ્ઞાન દ્વારા કર્મનું શરણ લેવા સૂચવે છે. શરણ એટલે સન્યાસ. ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ સન્યાસ છે. ન્યાસ એટલે ત્યાગ. સન્યાસ એટલે સંપૂર્ણ ત્યાગ !! જ્ઞાન મેળવીને કર્મ કરવાનું અને એ કર્મ મેં કર્યું છે તેવા ભાવમાંથી નીકળી જવાનું એ થયો જ્ઞાનકર્મસન્યાસયોગ. ગુણવન્ત શાહ બહુ મઝાની વ્યાખ્યા આપે છે : સન્યાસ એટલે મૃત્યુને મહોત્સવમાં ફેરવી નાખવા માટેની સાધનાની ચરમ  સીમા.

ચોથા અધ્યાયમાં તેરમો શ્લોક થોડી છણાવટ માંગે છે,  કારણ તે શ્લોકને ટાંકીને ઘણા ભ્રમ ફેલાવાઈ  રહયા છે. તેરમા શ્લોકમાં કહ્યું છે કે : 

ગુણ ને કર્મના ભેદે, સર્જયા મેં ચાર વર્ણને

હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તાય તેમનો.

આપણા ચાર આશ્રમો : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ 

માનવના જન્મથી લઈને યુવાની સુધીનો ગાળો જ્ઞાન મેળવવાનો, સમજ કેળવવાનો અને પુખ્તતા પ્રાપ્ત કરતાં  વિકાર રહિત જીવન જીવવાનો ગણાયો છે. અને એ બ્રહ્મચર્યાશ્રમ કહેવાયો. 

માનવના બીજા જીવન ગાળામાં પોતાના દ્વારા કુટુંબ અને તેનું ગુજરાન ચલાવવા માટે,  ગૃહ નિર્માણ કરવા માટે અને કુટુંબ જીવનનો આનંદ લેવા માટે જે પ્રવૃતિઓ થાય છે તે ગૃહસ્થાશ્રમ છે. 

સામાન્ય રીતે પચાસમાં  વર્ષમાં પ્રવેશને વન-પ્રવેશ કહેવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જીવાયેલા જીવનને નિહાળી તેની સ્મૃતિઓને વાગોળી ધીરે ધીરે તેમાંથી મુક્ત થવા માટે વ્યાયામ થાય છે અને બાહ્ય યાત્રા સંપેટીને અંતરની યાત્રાનો આરંભ થાય છે, તે વાનપ્રસ્થાશ્રમ  કહેવાય છે. અહીં વનમાં જવાનું નથી,  પણ જીવનમાં સઘળી માયા છોડતા જવાનો આરંભ છે. 

આપણા ચાર વર્ણો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

આ વર્ણો અંગેની જુદા જ પ્રકારની ફિલસુફી જાણવા જેવી છે. 

જે જ્ઞાનશક્તિથી જીવનપ્રવૃત્ત છે તે બ્રાહ્મણ છે.

જે દંડશક્તિથી સર્વોચ્ચતા મેળવવા જીવે છે તે ક્ષત્રિય છે. 

જે વિત્તશક્તિથી સભર રહી જીવન ગુજારે છે તે વૈશ્ય છે.

જે શ્રમશક્તિથી સમાજમાં વ્યાપ્ત છે તે શુદ્ર છે.

આપણે કમનશીબે આ સમજને ધર્મ સાથે ચોંટાડી દીધી અને તેના આધારે આપણે કોઈને ઉચ્ચ તો કોઈને નીચ ગણાવા લાગ્યા. શ્રમ  કરે તે પ્રસ્વેદ પાડે છે અને જ્ઞાન દ્વારા વ્યવહાર ચલાવે છે તે ન દેખાય તે રીતે બુદ્ધિ પ્રસ્વેદ પાડે છે અને એટલે શરીરથી શ્રમ કરી સમગ્ર સમાજને સ્વચ્છ અને સુઘડ રાખવા મથતો માણસ નીચો નથી જ નથી અને જેને બ્રાહ્મણ  ગણીએ તે ઊંચો જ, એવું પણ નથી. 

થોડું ઊંડાણથી વિચારીએ તો, પ્રત્યેક માણસ આ ચારેય વર્ણો સ્વયં જીવે છે. વિચારો તો કે જ્ઞાન વગર કોણ આગળ વધે છે ?? કોઈક ઘટનામાં કોણે  દંડશક્તિનો ઉપયોગ નથી કર્યો ? વિત્ત વગર તો જીવન વીતે જ કઈ રીતે ? અને શરીર શ્રમ તો આપણે રોજ એક યા બીજી રીતે કરીએ જ છીએ ને ? 

આથી ઉલટું, વિત્ત કે નાણું  મેળવવા કોઈપણ શરમજનક હોય  તેવું કામ કરનારો શુદ્ર  કેમ ન કહેવાય ? કર્તવ્ય આપણો  ધર્મ છે. હવે જે કર્તવ્યને ગૌણ  ગણીને કેવળ ધન માટે જ જીવે તે વૈશ્ય કેમ ન કહેવાય ? સામે પક્ષે કર્તવ્ય અને ધનલાભ બંનેમાંથી એકને પસંદ કરવાનું આવે ત્યારે જે કર્તવ્યને પ્રાધાન્ય આપે તે  ક્ષત્રિય કહેવાય કે નહિ ? તો જ્ઞાન સામે દ્રવ્યલાભને જતો કરનાર માનવ બ્રાહ્મણ કેમ ન કહેવાય ? ચંડીદાસ કહે છે : સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાઈ. આ જગતમાં માણસથી ઉપર કે ચડિયાતું કોઈ નથી.

શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો આ તેરમો શ્લોક આપણે જો વર્ણો પાછળની મૂળભૂત શક્તિઓને આધારે મૂલવી ન શકીએ  તો ખાનાખરાબી જ થશે. 

ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં કહેલી ઉપયોગી વાતોની યાદી બનાવીએ તો…

# જ્ઞાનયજ્ઞ એ દ્રવ્યોના યજ્ઞથી રૂડો છે. 

# જ્ઞાન પામવા માટે નમન કરવું, પ્રશ્ન પૂછવો અને ફરી ફરીને પૂછતાં રહેવું.

# તત્ત્વના દ્રષ્ટાઓ સાથે સંવાદ કરતા રહેવો.

# જેમ ભભૂકતો અગ્નિ લાકડાને  ભસ્મ કરી નાખે છે તેમ જ પ્રગટેલ જ્ઞાનનો અગ્નિ કર્મને ભસ્મ કરી નાખે છે. 

# જે શ્રદ્ધાળુ જ્ઞાન મેળવે છે તે ઇન્દ્રિયોને જીતી લે છે અને તેથી તે પરમ શાંતિને પામે છે.

# જેમ યોગથી કર્મ છૂટે તેમ જ જ્ઞાનથી શંકાઓ દૂર થાય છે. આમ,  આત્મને વશ થયેલને કોઈ કર્મો બાંધી શકતા નથી.

# અજ્ઞાનથી હૃદયમાં સંશય થશે તેને જ્ઞાનથી જ હણી શકાશે. (ક્રમશઃ:)

મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી  જશે ??

મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી જશે ??

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : કર્મ, વિકર્મ, અકર્મ 

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com 

                                              (08)

ગીતાજીના ત્રીજા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગનું વિશ્લેષણ થયું. કર્મફળની અપેક્ષા વગર થતું કર્મ એટલે નિષ્કામ કર્મ. ગાંધીજીની સરળ સમજ પણ આપણને  ટેકો કરી ગઈ કે, 

કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે પડે.” 

હું ધંધો કરું છું તો મારે નજદીકમાં કે મારે ત્યાં જે મળી રહે છે તે માલ વેંચવાનો ધંધો કરવો જોઈએ. એટલે કે મારે સ્વદેશી માલનો વેપાર કરવો જોઈએ. હવે તેની સામે હું જો દૂર-સુદૂરથી માલ મંગાવું અને તેને મંગાવવામાં પુષ્કળ નાણું  ખર્ચુ તો મને  ઝાઝો નફો રળવાની લાલચ રહે જ. આ દ્રષ્ટાંતથી સ્વધર્મ અને પરધર્મનો પણ ખ્યાલ આવી જશે. જો કે,  નિષ્કામ રહેવું એ મનનો ધર્મ છે. પણ તેને પ્રગટ કરવા માટે એકલું સ્વધર્મનું આચરણ પૂરતું નથી. મારી પાસે દિવેટ છે અને તેલ છે, તેથી શું દીવો પ્રગટી  જશે ?? જ્યોત વગર અંધારું કેમ મીટશે ? પ્રશ્ન અહીં જ છે કે એ જ્યોત પ્રગટાવવી કેવી રીતે ?? એ માટે તો મનનું નિરીક્ષણ કરવું પડે. આત્મપરીક્ષણ વગર ચિત્ત પરનો જામી ગયેલો મેલ ધોવાતો નથી. આ સૂચના આપીને પછી ભગવાન શ્રીકૃષ્ણ આપણને ચોથા અધ્યાય તરફ દોરી જાય છે. શ્રી ભગવાન ત્રીજા અધ્યાયના  અંતમાં સુંદર વાત કરે છે, તે સમષ્લોકીમાં માણીએ :

ધુમાડે અગ્નિ  ઢંકાય, રજે  ઢંકાય દર્પણ ,

ઓરથી ગર્ભ ઢંકાય, તેમ જ્ઞાન કર્મથી.

ગીતામાં કર્મ શબ્દ આપણા સ્વધર્મ ના અર્થ તરીકે જ વપરાયો છે. સ્વધર્માચરણરૂપી કર્મ કરતા કરતા આપણે કામ અને ક્રોધને જીતવાના છે. ચિત્ત ગંગાજળ જેવું નિર્મલ થવું જોઈએ, પ્રશાંત થવું જોઈએ, તો અને તો જ નિષ્કામતા કેળવી શકાય. આપણા ચિત્તનું સંશોધન કરવા માટે જે કર્મો કરીએ તેને ગીતાજી ‘વિકર્મ’ કહે છે. 

ચોથો અધ્યાય આપણને ત્રણ શબ્દો વચ્ચેના અનુબંધને સમજાવે છે : 

કર્મ, વિકર્મ, અકર્મ 

સાવ સહેલી રીતે સમજીએ તો…

બહારની સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા એટલે કર્મ. 

બહારની ક્રિયાઓમાં ચિત્ત રેડવું તે વિકર્મ. 

કર્મમાં વિકર્મ રેડવાથી તે  અકર્મ બની જાય.

કર્મ વગર તો આપણને ચેન જ નહિ પડે. કશું જ ન કરવું તે પણ કશુંક કરવા બરાબર  જ છે. સમર્થ ભાષ્યકાર શ્રી ગુણવંત શાહે પોતાના ગીતાભાષ્યમાં ચોથા અધ્યાયના  આરંભે એક વાત ટાંકી છે : 

એક માણસ મરી ગયો પછી સુન્દર જગ્યાએ પહોંચી ગયો. ત્યાં કોઈ સુખ-સગવડની કમી  ન હતી. સફેદ પોશાકમાં સજ્જ એવા માણસે એની પાસે આવીને કહ્યું : ‘ તમે જે જોઈએ તે માણી શકો-ખોરાક,મનોરંજન, ગમે તે. માણસને તો મજા પડી ગઈ. થોડા દિવસ પછી નોકરને બોલાવીને એણે કહ્યું : ‘મને હવે આ બધી વાતોનો કંટાળો આવે છે. આખો દિવસ શું કરવું તે સમજાતું નથી. તું મને કંઈ કામ આપ જેથી કંટાળો દૂર થાય.’ માણસે ડોકું હલાવી કહ્યું : ‘માફ કરજો, એ એક એવી ચીજ છે જે હું  ન આપી શકું.’ પેલા માણસે એને કહ્યું : ‘આના કરતાં તો નરકમાં રહેવું વધારે સારું.’

નોકરે કહ્યું: ‘તે સાહેબ ! તમે નરકમાં જ છો ને !’

કર્મ એટલે શિવજીના લિંગ પર યંત્રવત પાણી રેડી અભિષેક કરવો,,પણ પાણીની એ ધારની  સાથોસાથ માનસિક ચિંતનની અખંડ ધાર ચાલતી ન હોય તો એ અભિષેકની કિંમત જ શી ?? પછી તો સામેનું લિંગ પણ પથ્થર અને અભિષેક કરનારો હું પણ પથ્થર.  બહાર થઇ રહેલા કર્મની સાથે અંદરની ચિત્તશુદ્ધિનું કર્મ જોડાય તો જ એ વિકર્મ  બને અને તો જ નિષ્કામ  ભક્તિયોગના દર્શન થાય. કર્મ અને કર્મની સાથે મનનો મેળ જયારે સધાય ત્યારે તેને ગીતાજી વિકર્મ કહે છે. બહાર થાય તે સાદું કર્મ. અંદર થાય તે વિશેષ કર્મ. આ ચોથા અધ્યાયમાં ભગવાને વિકર્મ ના અનેક ઉદાહરણો આપ્યા છે. 

આ ચોથા અધ્યાયના સોળ-સત્તર-અઢાર શ્લોકોનું સમશ્લોકી વાંચીએ એટલે મૂળ ગીતાભવ પ્રગટ થશે : 

પંડિતોએ મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું ;

તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી(16)

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;

જાણવું જે અકર્મેય, ગૂઢ છે કર્મની ગતિ(17)

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;

બુદ્ધિમાન તે મનુષ્યોમાં, યોગી તે પૂર્ણ કર્મવાન(18)   

મન એક બાજુ અને શરીર બીજી બાજુ એવું આપણું ચાલતું હોય છે. શરીર બેઠું છે  ડાઇનિંગ ટેબલ પર અને શરીર કરે છે  ભોજન પણ મન તો ઓફિસમાં મૂકીને આવ્યા છીએ  !! આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોએ ભક્તિયોગમાં માર્ગ બતાવ્યો કે બહાર તપ ત્યારે અંદર જપ.. બહાર ઉપવાસ ભલે ચાલે,  પણ મન ત્યારે સતત નામસ્મરણમાં વ્યસ્ત હોવું જોઈએ. હોઠેથી નામસ્મરણ ચાલતું હોય અને ચિંતા કૂતરું ઘરમાં ઘુસી ગયાની થતી હોય તો તે  નિરર્થક છે. (ક્રમશ:)

શ્રીમદ્દ ભાગવતમાં પ્રત્યેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

શ્રીમદ્દ ભાગવતમાં પ્રત્યેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ઘોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

                                                          (07) 

‘ગીતાઈ’  શીર્ષકથી ધૂળીયાની જેલમાં વિનોબાજીએ જે ગીતા પ્રવચનો આપ્યાં તેમાં ગીતાજીના ત્રીજા અધ્યાયમાં  ‘કર્મમાં ભાવના ભળે તો શું ફર્ક પડે’ તે  બહુ રસપ્રદ  રીતે સમજાવવામાં આવેલ છે. તેઓ કહે છે કે…ધારો કે બે જણ ગંગામાં સ્નાન કરવાને જાય છે. તેમાંનો એક કહે છે. “અરે, આ ગંગા ગંગા કરો છો, પણ તે છે શું ? બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજન, એ પ્રમાણમાં બે વાયુ એકઠા કરો કે થઈ ગંગા!” બીજો કહે છે, “ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી એ નીકળી, શંકરની જટામાં અટવાઈ પડી, હજારો બ્રહ્મર્ષિ અને હજારો રાજર્ષિઓએ એને કાંઠે તપ કર્યાં, અને પાર વગરના પુણ્યનાં કામ એને કાંઠે થયાં. ત્યારે જે અવતારી છે એઆ પવિત્ર ગંગામાં છે” આવી ભાવનાથી ભીંજાઈને તે સ્નાન કરે છે. પેલો ઑક્સિજન-હાઈડ્રોજનવાળો પણ સ્નાન તો કરે છે. દેહશુદ્ધિનું ફળ બંનેને મળ્યા વગર ન રહ્યું. પણ બીજા ભક્તને દેહશુદ્ધિની સાથે સાથે ચિત્તશુદ્ધિનું ફળ પણ મળ્યું. ગંગા-સ્નાનથી  શરીરનો મેલ ધોવાશે પણ મનનો મેલ ક્યાંથી ધોવાશે? એકને દેહશુદ્ધિનું નજીવું ફળ મળ્યું, બીજાને તે ઉપરાંત ચિત્તશુદ્ધિનું અમોલ ફળ પણ મળ્યું. 

કર્મયોગીનું કર્મ તેને આખાયે વિશ્વની સાથે સમરસ કરે છે. તુળસીના છોડને પાણી પાયા વગર જમવું નહીં, એ નિયમમાં વનસ્પતિ-સૃષ્ટિ સાથે જોડાયેલા પ્રેમનો સંબંધ છે. તુલસીને ભૂખ્યાં રાખી હું પહેલો કેમ જમી લઉં ? ગાય સાથે, વૃક્ષ-વનસ્પતિ સાથે અને એમ કરતાં કરતાં આખા વિશ્વ સાથે એકરૂપતાનો અનુભવ લેવાનો છે. મહાભારતની લડાઈમાં સાંજ પડતાંવેંત બધા લડનારા સંધ્યા વગેરે કર્મ આટોપવાને જતા. પણ ભગવાન શ્રીકૃષ્ણ રથના ઘોડા છોડી તેમને પાણી પાવાને લઈ જતા, તેમને ખરેરો કરતા, તેમનાં શરીરમાંના કાંટા વીણી કાઢતા. આ સેવામાં ભગવાનને એવો તો આનંદ આવતો ! પોતાના પીતાંબરમાં ચંદી લઈ જઈ ધોડાને આપનારા તે પાર્થસારથિની મૂર્તિ નજર સામે લાવીએ તો  કર્મયોગમાં રહેલા આનંદનો ખ્યાલ આવે. અહીં હરેકેહરેક કર્મ જાણે કે એકએકથી ચડિયાતું આધ્યાત્મિક કર્મ છે.

મહાભારતમાં તુલાધાર વૈશ્યની કથા છે. જાજલિ નામનો એક બ્રાહ્મણ તુલાધાર પાસે જ્ઞાન લેવાને જાય છે. તુલાધાર તેને કહે છે, “ભાઈ, આ ત્રાજવાની દાંડી સીધી રાખવી પડે છે.” એ બહારનું કર્મ કરતાં કરતાં તુલાધારનું મન પણ સરળ, સીધું બન્યું. નાનું છોકરું દુકાને આવે કે મોટું માણસ આવે પણ દાંડીનું રૂપ તેનું તે, નહીં નીચી, નહીં ઊંચી, કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે. તેમાંથી ચિત્તશુદ્ધિ થાય અને પછી નિર્મળ ચિત્તમાં જ્ઞાનનું પ્રતિબિંબ ઊઠે છે. ત્રાજવાની દાંડીમાંથી તુલાધારને સમવૃત્તિ જડી. 

  1. સેનો નામનો હજામ. બીજા લોકોનાં માથામાંનો મેલ ઉતારતાં ઉતારતાં સેનાને જ્ઞાન થયું. “બીજાના માથા પરનો મેલ હું કાઢું છું. પણ મારા માથામાંનો, મારી બુદ્ધિમાંનો મેલ મેં કાઢ્યો છે ખરો ?” એવી આધ્યાત્મિક ભાષા તેના મનમાં તે કર્મ કરતાં કરતાં સ્ફૂરવા લાગી.
  2. ખેતરમાં વધી પડેલું નીંદણ કાઢતાં કાઢતાં હૃદયમાં પેદા થનારું વાસના તેમ જ વિકારનું નીંદણ કાઢવાની કર્મયોગીને બુદ્ધિ ઊગે છે.
  3. માટી ગૂંદી ગૂંદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરાં પાડનારો ગોરો કુંભાર પોતાના જીવનનું પણ પાકું વાસણ કરવું જોઈએ, એવી મનમાં ગાંઠ વાળે છે. હાથમાં ટીપણી રાખી, “માટલાં કાચાં કે પાકાં” એવી સંતોની પરીક્ષા કરનારો તે પરીક્ષક બને છે.

જે તે કર્મયોગીને પોતાના જે તે ધંધાની ભાષામાં ભવ્ય જ્ઞાન મળ્યું છે. એ કર્મો તેમની અધ્યાત્મની નિશાળો હતી. તેમનાં એ કર્મો ઉપાસનામય સેવાવાળાં હતાં.

કર્મયોગીનો પરમેશ્વર તો ઘોડાને ખરેરો કરતો ઊભો છે, રાજસૂય યજ્ઞ પ્રસંગે તે હાથમાં છાણ લઈ વાસીદું કાઢે છે, વનમાં ગાયો ચારવા જાય છે., દ્વારકાનો રાજા ફરી કોઈવાર ગોકુળ જતો ત્યારે મોરલી વગાડીને ગાયો ચારતો. આ ઘોડાની ચાકરી કરવાવાળો, ગાયો ચારવાવાળો, રથ હાંકવાવાળો, છાણાં થાપનારો કર્મયોગી પરમેશ્વર સંતોએ ઊભો કર્યો છે. ખૂબી તો જુઓ કે એ  સંતો પણ કોઈ દરજીકામ તો કોઈ કુંભારકામ, કોઈ કાપડ વણવાનું કામ તો કોઈ માળીકામ, કોઈ દળવાનું કામ તો કોઈ વાણિયાનું કામ, કોઈ હજામનું કામ તો કોઈ મરેલા ઢોર ખેંચી જવાનું કામ કરતાં કરતાં મુક્ત થઈ ગયા. (ક્રમશ:)

કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

આપણે ગુરુને જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                       (06) 

કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે.” 

મહાત્મા ગાંધીજીએ કહેલી આ વાત આપણને હવે સ્પષ્ટ થઈ ગઈ છે. શ્રીમદ્ ગીતાજીનો ત્રીજો અધ્યાય એક સવાલનો જવાબ આપે છે. તે સવાલ છે : કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો, પણ પછી ફળ મળે છે કે નહીં??’ સવાલ કર્યા પછી  આ જ ત્રીજો અધ્યાય જવાબ પણ આપે છે કે : ‘કર્મના ફળનો ત્યાગ કરનાર કર્મયોગીને અનંતગણું ફળ મળે છે.’ હા, આ જવાબની વિશદ છણાવટ એટલે ત્રીજો અધ્યાય.

વિનોબાજી  લક્ષ્મીજીની વાત યાદ અપાવે  છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. લક્ષ્મીજીએ પસંદગીની શરત જાહેર કરી નહોતી. સભામંડપમાં આવીને તેણે કહ્યું. “જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું.” ત્યાં  તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મીજી  ઈચ્છા વગરનો વર શોધતાં  શોધતાં  નીકળી પડયાં !! . શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેમણે જોઈ. લક્ષમીજીએ વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતાં બેઠા છે. એમ કહેવાય છે કે :  – ‘ન માંગે ન માગે  તેની રમા થાય દાસી,’  આ  જ તો ખરી ખૂબી છે નિષ્કામ કર્મ કરનારને મળનાર ફળની !! 

કર્મફળની ગતિ સમજીએ તો…  

૧) એક સામાન્ય માણસ કર્મ કરતાં પહેલાં તેનું કેવું અને કેટલું ફળ મળવું જોઈએ તેનો અંદાજ માંડીને એક રીતે સીમિત વાડો બાંધી લે છે. 

૨) સંસારી માણસ ગધ્ધા વૈતરું કરવા છતાં પણ સાવ નજીવું ફળ મેળવે છે.

૩) કર્મયોગી આમ જુઓ તો થોડું સરખું કર્મ કરીને અનંતગણું મેળવે છે.

આ ત્રણેયમાં ફર્ક તો કેવળ ભાવનાનો છે. સામાન્ય કે સંસારી માણસ માટે જેવી વાસના તેવું ફળ. મારી ચીજની કિંમત હું કરું તેનાથી વધુ જગતમાં બીજું કોણ કરે ??

હવે વિચારો..

સુદામા ભગવાનની પાસે તાંદુલ  લઈને ગયા. એ મૂઠીભર તાંદુલના પૌઆની કિંમત પૂરી એક પાઈ પણ નહી હોય. પણ સુદામાને મન તે અણમોલ હતા. તે પૌઆમાં ભક્તિભાવ હતો. તે અભિમંત્રિત હતા. તે પૌઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. 

ચલણી  નોટનું વજન કેટલું હોય છે? સળગાવીએ તો તેના તાપથી એક ટીપું પાણી યે ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે, એ છાપથી તેની કિંમત થાય છે. કર્મયોગમાં આ જ મુખ્ય ખૂબી છે. કર્મનું ચલણની નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની અને છાપની કિંમત થાય છે. 

આપણે ઇચ્છીએ તો  મૂર્તિપૂજાનો મર્મ પણ આ ઉદાહરણ પરથી સમજી શકીએ. મૂર્તિ પૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. મૂર્તિ પહેલાં તો એક પથ્થરનો ટુકડો જ હતો ને.આપણે  તેમાં પ્રાણ રેડ્યો, આપણી  ભાવના રેડી. એ ભાવનાના ટુકડા થાય ખરા ? ટુકડા તો પથ્થરના થાય!!  મૂર્તિમાં મૂર્તિ મહત્ત્વની નથી પણ તેમાં રેડાયેલ આપણી ઉદાત્ત ભાવના અને શ્રદ્ધા અગત્યની છે. 

એક સાદી વાત વિચારીએ… બહારગામ જવાનું થાય ત્યારે આપણી માએ પોતે બનાવેલી સુખડીનો ડબ્બો ભેગો આપ્યો હોય અને મિત્રએ કૂર્કુરેનાં મોંઘાં પડીકાં લઈ આપ્યાં હોય તો તે બેમાંથી કોનો સ્વાદ ચાખવાનું પહેલાં મન થાય ?? કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

બાર વરસ ગુરુને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો છે. હવે તેણે ગુરુને આપવું શું? પહેલાંના વખતમાં ભણાવવાને માટે આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ મહારાજ કહે છે. “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે.” આમ કેમ કહ્યું હશે ?  કારણ સીધું છે… જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. ફૂલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે. રૂક્ષ્મણીજીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા પણ  સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. ભાવભક્તિથી ભરેલું એક તુલસીપત્ર રૂક્ષ્મણીજીએ પલ્લામાં મૂક્તાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર અભિમંત્રિત હતું. તે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે. (ક્રમશ:) 

શ્રી કૃષ્ણ આપણને પણ અંગો સંકોરવાનો  ઈશારો કરે છે.

શ્રી કૃષ્ણ આપણને પણ અંગો સંકોરવાનો ઈશારો કરે છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે. 

ભદ્રાયુ વછરાજાની                 (05)                         bhadrayu2@gmail.com 

આપણે શ્રીમદ્દ  ગીતાજીના બીજા અધ્યાયમાં કર્મ અને તેના ફળ વિષે સ્પષ્ટ વાત જાણી.

એમ કહેવાયું કે …

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે.

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે.

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?….

પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે

છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ અહીં વિનોબાજી તો એવું કહે છે કે,  ‘તમે કર્મ કરતી વખતે જે આનંદ પ્રાપ્ત કર્યો તે જ તો કર્મનું ફળ છે, તો બીજા ફળની અપેક્ષા શા માટે ?? ‘

શ્રી કિંશૉરલાલ ઘ. મશરૂવાળા એ 1946માં ‘ગીતાધ્વનિ’ શીર્ષકથી ગીતાજી સમગ્રને ગુજરાતીમાં સમ-શ્લોકી  અનુવાદ બહુત ચાયત રાખીને કર્યો છે. જે લોકો એવી ફરિયાદ કરે છે કે ગીતાજીના સંસ્કૃત શ્લોકો ને સમજાવ બહુ અઘરા પડે છે, તેમના માટે આ સમશ્લોકી બહુ જ સરળ ટેકો ઉભો કરે છે. આપણે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન…જાણીતા શ્લોકનું સમશ્લોકી વાંચીએ…

કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દ્રષ્ટિ, મા હો રાગ અકર્મમાં”…(47)

કર યોગે  રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;

યશાયશ સમા  માની, –સમતા  તે જ યોગ છે.”…(48) 

અને હા આપણે પુંડરિકના ‘પણ સિદ્ધાંત’ નું ઉદાહરણ પણ જાણ્યું.

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર શું તેમાં જ

હતો ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ શું ખાલી મડદું હતી ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.

એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું, “મોક્ષને માટે શું ઘરે છોડવું જ પડે ?” સાધુએ કહ્યું, “એવું કોણ કહે છે ? જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે ઘર છોડવાની જરૂર શી?” ત્યારબાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો, “મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?” સાધુએ કહ્યું કે, “કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે બેવકૂફ હતા ?” પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું, “બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેને જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરું છે અને ઘર છોડવાની જરૂર છે એ પણ ખરું છે.” આનું નામ “પણ-સિદ્ધાંત” છે.

જ્ઞાન અને યોગનું મહત્ત્વ સમજાવતા ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ભગવાન ક્રિસ્ટલ ક્લિયર કરીને અર્જૂનના ગળે  ઉતારવા મથે છે.

# મનની કામનાઓને છોડવાની છે, તો જ આત્મ એટલે કે અંત:સ્વ તરફની યાત્રા  શરુ થશે. અને જે આત્માથી સંતુષ્ટ રહ્યો તેને સ્થિપ્રજ્ઞ  કહેવાય.

# દુઃખમાં ઉદ્વેગ નહીં , સુખોની ઝંખના નહીં, રાગ-ભય-ક્રોધ જતા રહે તેવી  વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

# જે ક્યાંય પણ આસક્ત નથી, શુભ કે અશુભ જે ઘટે તેનો ન તો એ હર્ષ કરે કે ન તો દ્વેષ કરે તે વ્યક્તિની પ્રજ્ઞા સ્થિર થઇ છે, તેમ માની  શકાય.

# શ્રી કૃષ્ણ ઉદાહરણ  આપતા કહે છે કે, કાચબો કોઈનો સ્પર્શ થાયને તરત જેમ પોતાના અંગોને સંકોરીને બેસી જાય છે તેમ, વિષય-ભોગ જેની નજદીક આવે ને જે પોતાની બધીજ ઇન્દ્રિયોને સંકોરી લે છે તે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

આપણામાં કહેવત છે કે ‘પાંથીએ પાંથીએ  તેલ નાખતા હોય તેમ સમજાવ્યું !’ બસ બરાબર એમ જ શ્રી કૃષ્ણ બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવીને કેવળ અર્જુનને જ નહી,  પરંતુ આપણને પણ અંગો સંકોરવાનો  ઈશારો કરે છે. (ક્રમશઃ)

‘તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું ‘પણ’ ઈશ્વર છે.’

‘તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું ‘પણ’ ઈશ્વર છે.’

ભક્તનો સ્વધર્મ ભક્તિ છે, ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા દેવા તેની જીવનકળા છે.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

                                                       (04) 

ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંતો બતાવ્યા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી ચાલતું  નથી. આવા સિદ્ધાંતો તો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં પણ દર્શાવેલા છે. ગીતાએ એ ફરી રજૂ કર્યા છે અને એની સાથે આ સિદ્ધાંતો કેમ આચરણમાં મુકવા એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. 

આપણને થતો એક મહા પ્રશ્ન કે ‘કરવું છે પણ કરવું કેમ ?’,  એ ઉકેલવામાં ગીતા કાબેલ રહી છે. જીવનના સિદ્ધાંત અમલમાં મુકવાની હથોટી અથવા યુક્તિને યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર અને યોગ એટલે કળા. યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવું જ્ઞાનદેવ કહે છે. દેહને તુચ્છ ગણાવો અને  આત્માનું અમર-અખંડ પણું ધ્યાનમાં રાખી સ્વધર્મનું આચરણ કરવાની કળા કઈ છે તે આપણને બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.

કર્મ કરનાર વ્યક્તિ બેવડી વૃત્તિ ધરાવતો જોવા મળે છે. 

(પહેલી વૃત્તિ) અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, એ અમારો હક છે. 

(બીજી વૃત્તિ) અમને ફળ ચાખવા ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઉઠબેઠ અમારે શા માટે કરવી ?…. પણ શ્રીમદ ભગવત ગીતા એક  ત્રીજી વૃત્તિ આપણી સમક્ષ રજૂ કરે છે. ગીતા કહે છે,  ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ કર્મ કરનારને ફળનો હક છે પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો,  એવું ગીતા કહે છે. આ જ વાત રજોગુણ કહેશે કે.. ‘લઈશ તો ફળની સાથે લઈશ.’  તમોગુણ કહેશે, ‘ફળ છોડી દઈશ, ફેંકી દઈશ તો ફળ સાથે સાથે કર્મને પણ ફેંકી દઈશ.’  શુદ્ધ સત્વજ્ઞાની કહેશે, ‘કર્મ કરીશ  અને તેનું ફળ છોડીશ.’ કર્મ કરતા પહેલાં કે તે પાર પડ્યા પછી ફળની આશા નહીં રાખીએ. પણ આવું  કહેતી વખતે ‘કર્મ સારામાં સારું થવું જ જોઈએ’ એવું ગીતા આપણને ઢોલ વગાડીને કહે છે. એટલે કે જે ફળ મળશે તેવી આશાથી કર્મ કરે છે તેના કરતા ફળ નહીં મળે તેવી આશાથી જે કર્મ કરે છે તે વધારે સારું હોવું જોઈએ. કારણકે ફળની આસક્તિવાળો તો ફળ બાબતના ચિંતનમાં તેનો થોડો સમય બગાડ્યા  વગર રહેતો નથી. પણ ફળની ઈચ્છા વગરનાની એકે એક ક્ષણ કર્મ પાર પાડવામાં રોકાશે. 

ક્યારેય વિચાર્યું છે કે નદીને, પવનને, સૂર્યને કોઈ દિવસ રજા હોય છે ? એ સતત કર્મ કરે છે એ નિષ્કામ કર્તાઓ છે. સતત સેવા કર્મ કરવાનું બીજી કોઈ ફિકર નહીં રાખવાની. ફળ ત્યાગના બે ઉદાહરણો સરસ રીતે વિનોબાજી પોતાના ગીતા પ્રવચનોમાં આપે છે.

  1. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી થતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાના સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, મારી ભક્તિનું આ ફળ? આને સારું હું ઈશ્વરની ભક્તિ કરું છું? તેમને થયું કે,  માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગો કરવા માગે છે. તેમણે કહ્યું, “મારું અંતર જાણવા છતાં તું મારી ઝંઝટ ટાળવાનો પ્રયાસ કરશે? હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લાલચ બતાવી મને કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારું ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ.” ભક્તનો સ્વધર્મ ભક્તિ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા દેવા તેની જીવનકળા છે.
  1. પુંડરીકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે ઊંડો આદર્શ બતાવે છે. પુંડરીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેના માટે સાચી ઈશ્વરભક્તિ હતી.

કોઈક દીકરો બીજાને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે અથવા કોઈક દેશસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડરીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. 

ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પુંડરીકને પ્રશ્ન થયા કે પરમેશ્વર માત્ર તેમાં જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડરીકે ઈશ્વરને કહ્યું, “હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું “પણ-સિદ્ધાંત” માં માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.” આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો.(ક્રમશ:) 

શ્રી ગીતાજીનો બીજો અધ્યાય આપણને જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપે છે.

શ્રી ગીતાજીનો બીજો અધ્યાય આપણને જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપે છે.

આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

                                                   (03)

આપણે એવું જાણ્યું કે ગીતામાં દરેક શબ્દનો અર્થ આપણા જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલો છે. શબ્દનો અર્થ જાણીએ તો આપણને બહુ સ્પષ્ટ રીતે ગીતાનો સંદેશ પ્રાપ્ત થાય છે. જેમ ગીતામાં રહેલા શબ્દને વારંવાર વાંચવાથી અર્થ બદલાય છે એવું જ ગીતાના ખુદના કિસ્સામાં પણ છે. 

મહાભારતમાં ગીતા એક નથી અનેક છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને જેવો વિષાદ થયો એવો વિષાદ મહાભારતમાં અન્ય પાત્રોને પણ વારંવાર થયો છે. 

  1. યુદ્ધની પૂર્વ સંધ્યાએ રાજા ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચે જે સંવાદ થયો છે તેને ‘વિદુર ગીતા’ કહેવામાં આવે છે. 
  2. મહાયુદ્ધ પૂરું થયા પછી શાંતિકાળની એ ક્ષણે અર્જુને પરમ સખા શ્રી કૃષ્ણને કહ્યું : કૃષ્ણ, તમે કુરુક્ષેત્રમાં મને પ્રબોધેલા શબ્દો મારે ફરીથી સાંભળવા છે. આ પ્રશ્નના જવાબમાં એના એ શબ્દો પોતે ફરીવાર સંભળાવી શકે એ વિષે શ્રીકૃષ્ણે અસમર્થતા દાખવી. એ સમયે પોતે યોગયુક્ત થયેલા અને એવી યોગયુક્તતા હવે સ્વૈછિક ધોરણે પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી, એટલે કુરુક્ષેત્રની રણભૂમિમાં જે કહેવાયું હતું એ પુનઃ તો કહી શકાય એમ નથી. પણ પ્રાચીનકાળમાં બનેલી એક ઘટનાનો આશરો લઇને એવી જ બીજી થોડીક વાતો કૃષ્ણે અર્જુનને સંભળાવી અને આ સંવાદ ‘અનુગીતા’ના નામથી ઓળખવામાં આવ્યો. 
  3. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ દ્વારા જે ગોપી પ્રેમની અનુભૂતિ વિષે કહેવાયું તે ‘ઉદ્ધવ ગીતા’ના નામે પ્રચલિત છે.

એમ કહેવાય છે કે ગીતાની સંરચના એ વિશ્વ સાહિત્યમા બહુ અજોડ છે. આમ તો ગીતાના ૭૦૦ શ્લોક શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ તરીકે છે. એમની વચ્ચે જે સંવાદ થઇ રહ્યો છે એ સંવાદ રણભૂમિથી દૂર હસ્તિનાપુર રાજમહેલમાં બેઠેલો સંજય જોઈ અને સાંભળી શકે છે અને રાજા ધૃતરાષ્ટ્ર જે આજીવન અંધ છે એમની સમક્ષ સંજય પોતે જે જોવે છે અને સાંભળે છે એનું વર્ણન કરી રહ્યો છે. જે ગીતાનું જ્ઞાન કૃષ્ણે ગુહ્યતમ કહ્યું છે અને પૂર્વે તો માત્ર સૂર્ય મન અને ઈશ્વાકુ  જ જાણતા હતા એ જ્ઞાન ધૃતરાષ્ટ્ર જેવા મોહના  આવરણથી વ્યાપ્ત અને અંધના અંતઃકરણ સમક્ષ પણ વ્યક્ત થાય એ કેવો યોગાનુયોગ ? ગીતાની આ લાક્ષણિકતા સમજાવતા સાક્ષરવર્ય શ્રી દિનકર જોશી કહે છે કે,  આ ચાર વચ્ચે જે કંઈ બનતું રહ્યું એની સમગ્ર તસ્વીર મહર્ષિ વ્યાસે શબ્દબદ્ધ કરીને આપણને આપી. આમ ગીતાનું રચના કૌશલ્ય ભારે અભિભૂત કરે તેવું છે. ક્યાં અઢાર અક્ષૌણી વચ્ચે થઇ રહેલો સંવાદ, ક્યાં હસ્તિનાપુરના રાજમહેલમાં થતું એનું પુનરાવર્તન અને ક્યાં મહર્ષિ વ્યાસ દ્વારા શ્રી ગણેશની કલમે આલેખાઈને શબ્દબદ્ધ થયેલું કાવ્ય !!  આપણે જયારે કાવ્ય શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને સાહિત્યની વાત અવશ્ય યાદ આવે છે. શું ગીતા એ કાવ્ય હતું ? કાવ્ય પાસે હકીકતમાં રસ અને ચોક્કસ સંદેશની અપેક્ષા રાખવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ગીતાનો ગ્રંથ એ કાવ્ય છે. 

ગીતાના બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત આપણને આપવામાં આવ્યા છે. 

૧) આત્મા અમર છે અને અખંડ છે. 

૨) દેહ ક્ષુદ્ર છે, નાશવંત છે 

અને 

૩) સ્વધર્મ અબાધ્ય છે. 

આ ત્રણમાં સ્વધર્મનો સિદ્ધાંત એ કર્તવ્યરુપ છે એટલે કે એને અમલમાં કે આચરણમાં મુકવાનો છે,  જયારે બાકીના બે જાણવા માટેના છે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવીને મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતા ઊભા  થઇ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હતો, આપણા મા બાપ હતા, આપણા પાડોશી હતા. આ અસ્તિત્વના બધા જ તત્ત્વો હાજર હતા.  આમ આપણો જન્મ ચાલુ પ્રવાહમાં થયો છે એટલે જે મા બાપને પેટ મેં જન્મ લીધો તેની સેવા કરવાનો ધર્મ જન્મથી મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ અને પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવીને મળ્યો છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે. ક્યારેક તો એવું લાગે કે તે આપણા  જન્મની આગળથી આપણા માટે તૈયાર હોય છે. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. કોઈ નિયત હેતુ પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. વિનોબાજી સ્વધર્મને મા ની ઉપમા આપે છે. તેઓ કહે છે મારી મા ની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઇ ચુકી છે. સિદ્ધ છે. મા ગમે તેવી હોય મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણા માટે  સ્વધર્મ વગર બીજો કોઈ આધાર નથી. સ્વધર્મને કોઈ ટાળવાનો પ્રયાસ કરે તો એ તો સ્વ ને ટાળવા જેટલું આત્મઘાતી પગલું છે. (ક્રમશ:)

વિષાદનું હોવું પણ એક યોગ જ છે ને ?

વિષાદનું હોવું પણ એક યોગ જ છે ને ?

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે તો ગીતાનો જન્મ છે.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com                                                    

                                                   (02)

અર્જુનનો વિષાદયોગ એ એની નબળાઈ નથી તો પછી શું છે ? અર્જુને કહેલી વાત એ કોઈ એની ફિલસુફી ન હતી, કારણ એ અનેક યુદ્ધો ખેલી ચુક્યો હતો અને અનેકને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો. અત્યારની તેની દલીલો તો તેનો ‘કોરો પ્રજ્ઞાવાદ’ (વિનોબાજીનો પ્રયોગ)  હતો. શ્રી કૃષ્ણ આ વાત એકદમ જાણી ગયા હતા તેથી તેઓ આ વાતને ધ્યાનમાં જ લેતા નથી. અર્જુન તો યુદ્ધપ્રવૃત્ત જ હતો એટલે  અહિંસાવૃત્તિની કોઈ વાતને ધ્યાનમાં  લીધા વિના શ્રી કૃષ્ણ કહે છે કે : ‘અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી.’ ટૂંકમાં, ભગવદ ગીતાનું પ્રયોજન જ  સ્વધર્મવિરોધી મોહનું નિરસન કરવાનો છે. 

આ સ્વધર્મ શબ્દ એ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર છે. મારી નાનકડી  દ્રષ્ટિએ ગીતા એ બે વિચાર-શબ્દોનો સરવાળો છે : સ્વધર્મ આચરણ અને સર્વ ઈશ્વરાર્પણ . અન્યના ધર્મ વિષે મારે વિચારવાની જ જરૂર નથી, કારણ મને જન્મની સાથે જે મળેલ છે તે મારો સ્વધર્મ જ છે અને તેને મારે જીવનભર વફાદાર રહેવાનું છે. બીજાનો ધર્મ મને સારો લાગે તો પણ એ બીજાનો છે, મારો નથી, એટલે તેને અપનાવવાની જરૂર જ નથી. એમ કરવા જઈશ તો હું મારો ધર્મ ચુકી જઈશ. માછલીને કોઈ કહે કે, પાણીમાં રહે છે તેની બદલે તને હું દૂધનો હોજ ભરી દઉં તો ? માછલી એ વાત સ્વીકારશે ખરી ? ના જી, કારણ માછલી જેવો નાનો જીવ પણ સમજે છે કે પાણીમાં હું સલામત રહીશ અને દૂધમાં તો હું મરી જઈશ. 

સ્વધર્મની આડે આવતો જે મોહ છે, તેના નિવારણ માટે ગીતાનો જન્મ છે એમ માનીને આગળ ચાલીએ તો અર્જુનનો વિષાદ ખરેખર તેનો મોહ છે, અને  તેમાં ન લડવાનું કોઈ લક્ષણ નથી એવું સ્પષ્ટ થશે.  પેલા ન્યાયાધીશ હવે મૂંઝાયા છે,  કારણ કે કેટલાયને ફાંસીની સજા કરી ત્યારે મોહનો પડદો ન હતો અને હવે પોતાના દીકરાની વાત આવી એટલે મામકાઃ થયું છે. આખી ગીતા સંભળાવ્યા પછી ભગવાન પૂછે છે કે, ‘અર્જુન, મોહ ગયો ?’ અર્જુન સરસ  જવાબ આપે છે કે,’ભગવાન, મને હવે સ્વધર્મનું ભાન થયું.’ આમ એનો વિષાદ એ નબળાઈ નથી પણ સ્વજન મોહ છે. 

આપણને સહેજે પ્રશ્ન થાય કે વિષાદ  તો બરાબર પણ એની સાથે ‘યોગ’ શબ્દ લગાડીને ભગવાન શું કહેવા માંગે છે ?? અહીં આપણને અર્જુન જ મદદ કરે છે. અર્જુન બહુ ઋજુ હતો અને સદા હરિશરણ હતો. આ બે ગુણ  હોય તો ગમે તેવો વિષાદ પણ યોગ બની જાય. અને જો આનંદ યોગ હોય, પુરુષોત્તમ યોગ  હોય તો વિષાદનું હોવું પણ એક યોગ જ છે. વિષાદ પછી જ આનંદનું મૂલ્ય સમજાય છે ને ?? સાચા માણસના હૃદયનું મંથન તો વિષાદથી જ થાય છે. વળી વિનોબાજી તો એવું માને છે કે અર્જુનને જ વિષાદ હોય એવું કેમ માની  લેવાય, માણસ માત્રને વિષાદ થાય છે, અર્જુનને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણ  આપણને  વિષાદની પાછળ છુપાયેલ મોહનું દર્શન કરાવે છે. 

ગીતાના બીજા અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત છેડીને ભગવાન સમત્વ બુદ્ધિ માટેના લક્ષણો ગણાવે છે. એમ કહો ને કે, ભગવાન આપણને જીવન જીવવાના સિધ્ધાંતો સમજાવે છે. આપણે ઇચ્છીએ તો આ સિદ્ધાંતો ઉપર આપણે જીવનની ઇમારત ચણી  લઇ શકીએ. આ અધ્યાયમાં  વપરાયેલ શબ્દ ‘સાંખ્યબુદ્ધિ’ એટલે જીવનના મૂળભૂત સિદ્ધાંત. ગીતામાં પ્રયોજાયેલ એકે એક શબ્દ આપણી સાથે કનેક્ટ થયેલ છે, તે યાદ રાખવા જેવું છે. પછી આપણે આપણી સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરીએ તે આપનો ગુણ  કે દોષ, જે ગણો તે. 

ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ, દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં “द” એટલો એક જ અક્ષર આપ્યો. તેનો અર્થ કરતાં દેવોએ કહ્યું, “અમે દેવો કામી રહ્યા, અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ “द” અક્ષરથી દમન કરો એમ શીખવ્યું.” દાનવોએ કહ્યું, “અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ “द” અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું.” માનવોએ કહ્યું, “અમે માનવો લોભી, અમે સંઘરો કરવા પાછળ પડેલા. “द” અક્ષરથી દાન કરો, એવું પ્રજાપતિએ અમને શીખવ્યુ.” પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમકે બધાયને તે પોતાના અનુભવમાંથી લાધ્યા હતા. અનુભવમાંથી લાધે તે અક્ષર  સાચો. (ક્રમશ:) 

 

અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી

અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી

મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

                                              (01)

મહાભારત આપણો રાષ્ટ્રીય ગ્રંથ છે. એમાં આવતી  વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે. વિનોબાજી મહાભારતને ‘વ્યાપક  સમાજશાસ્ત્ર’ કહે છે. એક લાખ શ્લોકો છે મહાભારતમાં.. જેના દ્વારા વ્યાસજીએ કેટલાંય ચિત્રો, ચરિત્રો  અને ચારિત્ર્યો દોરી આપ્યા છે અને તે પણ આબેહૂબ. ભીષ્મ અને યુધિષ્ઠિરના દોષો બતાવેલા છે તો પછી કર્ણ  અને દુર્યોધનના ગુણો  પણ દર્શાવ્યા છે. આટલું મોટું મહાભારત છે  પણ તેમાં વ્યાસજીનો ઉપદેશ કે તેમનું ખુદનું કશુંક ક્યાં જોવા મળે છે, એવું કોઈ પૂછે તો સ્પષ્ટ જવાબ છે કે,  શ્રીમદ ભગવદ્દ ગીતા !!   સમગ્ર મહાભારતનું નવનીત તે ભગવદગીતા.

 સાતસો શ્લોકોમાં કહેવાયેલ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ,  તેના સખા અને શિષ્ય અર્જુનને કહી રહ્યા છે. અહીં એક નોંધવા જેવી ખૂબી છે કે વ્યાસજીએ આ ગીતાના ઉદ્ગાતાને જ મહાભારતનું એક મહત્વનું પાત્ર પણ બનાવેલ છે. શ્રીમદ ભાગવતના નાયકનું નામ શ્રી કૃષ્ણ છે. પ્રખર અભ્યાસુ સાક્ષર શ્રી દિનકર જોશી નોંધે છે કે,  ‘વિષ્ણુપુરાણ’, ‘અગ્નિપુરાણ’ અને ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં પણ કૃષ્ણ નામનો સતત ઉલ્લેખ થતો રહે છે. તો ‘છાન્દોગ્યઉપનિષદ’માં ઘોર આંગિરસના શિષ્ય તરીકે પણ દેવકીપુત્ર  કૃષ્ણનો  ઉલ્લેખ થયેલ છે અરે, છેક ઋગ્વેદકાળમાં સ્તુતિમંત્રોમાં પણ કૃષ્ણ  નામના ઋષિનું સ્મરણ છે. આમ છતાં એ સ્વીકારવું રહ્યું કે,  આપણે તો જે કૃષ્ણને ઓળખીએ છીએ તે તો ‘મહાભારતના કૃષ્ણ’ છે.  

ગીતાનું સ્થાન મહાભારતમાં બરાબર મધ્યમાં છે. સમગ્ર મહાભારત પર પ્રકાશ ફેલાવનાર દીવાદાંડી તે ગીતા છે. પાછી આ દીવાદાંડી તો કિનારે નથી, પણ મધ્યમાં છે. એક બાજુ મહાભારતના છ પર્વો છે તો બીજી બાજુ બાર પર્વ છે. એક તરફ સાત અક્ષૌહિણી સેનાઓ છે તો બીજી તરફ અગિયાર અક્ષૌહિણી સેનાઓ  છે અને તેના  મધ્ય ભાગે ગીતાનો ઉપદેશ થયો છે. મહાભારતના મધ્યમાં ગીતાનો ઉપદેશ ઘણું સૂચવી જાય છે.

       ગીતાનો પહેલો જ અધ્યાય લાચારીની મનોદશાથી શરુ થાય છે જે ઉત્સાહવર્ધક નથી તેવું  ઘણાને લાગે છે. અર્જુન જેવો ખરો બાહુબલી નિરાશાના અને શરણાગતિનાં વચનો ઉચ્ચારે તે પણ ઝટ દઈને મનમાં બેસતું નથી. જેને આજે ‘મોટિવેશન’ નું રૂપાળું નામ અપાયું છે તે મોટીવેશનના ભંડાર જેવી ગીતાનો આરંભ આવો કેમ ?? શું અર્જુન નામર્દ અવસ્થામાં મુકાય શકે ? સેંકડો લડાઈઓ ખેલી ચુકેલો અર્જુન અચાનક બીકણ કેમ ભાસે છે ?? વિરાટની ગાયો છોડાવવા માટે એકલે હાથે ભીષ્મ, દ્રોણ  અને કર્ણને હરાવી તેનું બળ હરી  લેનાર અર્જુન આમ ઢીલો થઇ જાય ખરો ?? જેના રોમેરોમમાં વીરવૃત્તિ છે તે અર્જુન હાથિયાર હેઠા મૂકીને કેમ બેસી ગયો ?? આ અને આવા અનેક પ્રશ્નો એક સહજ માણસ તરીકે મને અને તમને થાય છે અને થાય તે સ્વાભાવિક પણ છે. અર્જુનનો વિષાદ આસક્તિજન્ય હતો તેમ તો કહેવા શ્રી કૃષ્ણ ઈચ્છે  છે. અને એટલે તો પહેલા અધ્યાયમાં અર્જુન જેવા વીરને પણ આસક્ત થતા વાર લાગતી નથી તેવું સમજાવીને શ્રી કૃષ્ણ અનાસક્તિયોગ તરફ આપણને લઇ જાય છે. અર્જુનનો વિષાદયોગ એ અર્જુનની નબળાઈ નથી.

         એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી. પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશને માથે આવ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો. એટલે તેણે બુદ્ધિવાદભરી વાતો કરવા માંડી. “ફાંસીની સજા અમાનવીય છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી, માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી, ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું પણ તેનું ઝનુન ઊતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું તેમ જ ડાધ લગાડનારું છે.” આ ને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. પોતાનો છોકરો સામો આવ્યો ન હોત તો મરતાં સુધી ન્યાયાધીશ સાહેબ ખાસ ફાંસીની સજાઓ  ફટકારતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું એ બોલવું અંતરનું નહોતું. તે આસક્તિજન્ય હતું. “આ મારો દીકરો છે” એવા મમત્વમાંથી જન્મેલું એ કથન હતું…

           બસ, આ ન્યાયાધીશ તે ગીતાનો અર્જુન..અને ન્યાયાધીશનો વિલાપ તે અર્જુનનો વિષાદ… (ક્રમશઃ)