by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | Uncategorized, દીપોત્સવી લેખ |
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક.
ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં.
ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે.
એમનો પગ ક્યાંય ઠરીને ઠામ ન થયો. યુવાવસ્થા દરમિયાન કરેલા દેશાટનથી સ્વામી લગભગ આખો દેશ ઘુમી વળ્યા છે અને એમ થતાં તે કંઇ કેટલાય પ્રદેશો અને પ્રજાઓ, એમની સંસ્કૃતિ અને પ્રકૃતિ, રીત અને રિવાજો, રીતિ અને તહેવારો તથા ભાષા અને ભાવના ઊંડા અનુભવમાં મુકાયા છે.
પોતાની પહેલી પચ્ચીસી સ્વામીએ સન્યાસ્તમાં વિતાવી હતી. આ વર્ષો મહાસાગરમાં તરતી હિમશીલાની માફક બહુધા અછતા રહ્યા છે. સ્વામીની જીવન તવારીખમાં એ વર્ષોનો ચોક્કસ હિસાબ-કિતાબ મળતો નથી પણ સત્તાવીસ વર્ષની ભરયુવાનીમાં ઠરેલા મન અને મજબૂત શરીર સાથે એ ગાંધીજીનો સંપર્ક પામે છે. સ્વામી ગાંધી પરિવારના સદાયના સદસ્ય બને છે. એમણે પોતાની જાતને હંમેશા ગાંધીના કાસદ તરીકે ઓળખાવી અને એનું ભારોભાર ગૌરવ પણ કર્યું. જેમના પગે ભમરો હતો કે જે વર્ષો સુધી ક્યાંય પગ વાળીને બેઠા નહોતા એ જ સ્વામી ગાંધીજીના છાપા છાપવા 32 કલાક એક આસને બેસીને પ્રુફ વાંચે છે. જેવી સ્વામીની કર્મનિષ્ઠા એવી જ એમની સમયની ચોકસાઈ અને નિયમિતતા એવી કે સહકાર્યકર મિત્રોએ સદાય જાગતા રહેવું પડે. એમની એક સમય સૂચકતા પ્રસંગે ગાંધીજીએ બેધડક કહી દીધેલું કે, “કાં તો ટ્રેન ખોટાકાઈ હશે અથવા સ્વામી મરી ગયો છે, એ સિવાય સ્વામી મોડો ન પડે.”
આશ્રમનું જે પ્રકારે કામ સોંપાય તે બધું જ કામ એમણે કરવાનું નક્કી કર્યું. મીટીંગ અને બેઠકોની નોંધ લેવી, એમના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ જેવા છાપ છાપવા, ‘નવજીવન’ સંભાળવું, ગ્રામ ઉદ્યોગ અને ગો સેવા સંઘનો વહીવટ કરવો, કસ્તુરબા રાષ્ટ્રીય સ્મારક ફાળાની જવાબદારી સંભાળવી.. એવા અનેક કામ એમણે ગાંધીના ઈશારે સ્વીકાર્યા અને એક નિષ્ઠાથી પૂર્ણ કર્યાં. બિહારનો ધરતીકંપ, ગુજરાતનું રેલ સંકટ અને બારડોલીનો સત્યાગ્રહ આ બધા એવા મોરચા હતા જેમાં સ્વામીએ મોખરાની લડત આપેલી અને બધા કિલ્લા પર ફતેહ કરેલી.
ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ કચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડા ઉતાર, તત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.
જીવનભર સતત કંઈ ને કંઈ લખતા રહેલા સ્વામીએ વર્ષો સુધી પોતાનું કશું લખાણ ગ્રંથસ્થ થવા દીધું નહોતું. વળી સ્વામી ખાલી કાગળ શાહીના બગાડના પણ પાકા વિરોધી. છે. “મારી કેફિયત”માં એમણે લખ્યું છે: કશા ઉપકારક કાર્યનો રેકોર્ડ કર્યા વગર નકરું જીભ-કલમનું ડહાપણ ડોળી ને માણસ સંસારનો કશો ઉપકાર કરી ન શકે અને નકરા લેખન કે વકતૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી, એટલે કે માણસ કશી સત્કાર્યની મૂડી નિપજાવે એ પછી જ એણે શબ્દનો વેપલો કરવો જોઈએ.” એક વરિષ્ઠ સાક્ષરે કહ્યું હતું કે સ્વામી મૌલિક લેખક છે અને પછી મૌલિક લેખકની વ્યાખ્યા એમણે આ રીતે કરી : “મૌલિક લેખક તે એ નહિ કે જે કોઈની નકલ ન કરતો હોય, પણ તે કે જેની કોઈ નકલ કરી શકે નહીં.”
સ્વામી આનંદ સાધુ ખરા પણ ઉત્તમના ઉપાસક. જીવન, રહેણીકરણી, બોલચાલ, લખાણ બધું જ સંઘેડા ઉતાર કે પાસાદાર ન હોય તો એમને ન ચાલે. લખવા માટેની જાડી ડયૂફોલ્ડ પેન પણ નીબ ઝીણામાં ઝીણી.. આ બધા દ્વારા ઉત્તમ કરવા જીવડો તોડીને મહેનત કરે. એકવાર ગુજરાતના ઉત્તમ કોટિના સાહિત્યકારને સ્વામીએ કહ્યું કે, તમારું લખાણ બેનમૂન હોય છે અને આવું ચીથરાં જેવું છાપકામ કરાવો છો તે કેમ ચાલે ? જવાબમાં સાહિત્ય ઉપાસકે કહ્યું કે: “બાળોતિયાં ધોવાનું કામ મારું નહીં ..” ત્યારે સ્વામીને ઘણું ખોટું લાગેલું કે, જે માધ્યમ તમારું સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે તેમાં છાપકામમાં તમે રસ જ ન લો તે કેમ ચાલે?
“જૂની મૂડી” નામથી સ્વામી આનંદે ગુજરાતી ભાષાને એક શબ્દકોશ આપ્યો છે એની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે:
“ભાષા એ ધરતી પરનો પાણી વીરડો છે. જનવાણી એ અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડા પાણી ભરી લો.ન ઊલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે. એમ વાડકી છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે. એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વિરડો મેલો અને બંધારણ બની જશે. ભાષા રૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઈને પ્રજાના વાપરવા માટે નરવું થયું ગણાય.”
સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા લેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા સ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.
આ ઉપરાંત તેઓના વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો અદભુત ભાષાકર્મ વાળાં ચરિત્રોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ (૧૯૭૭) માં પ્રગટ થયો છે. આજના કોઈ નવાસવા વાચકને જો સ્વામી આનંદની શૈલીને માણવી હોય તો “ધરતીની આરતી” હાથમાં લઈને બેસી જવું જોઈએ, પછી તેને છોડી શકાય તો કહેજો !!
સ્વામી આનંદ એટલે નરવા ઉદગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે, અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય !! સ્વામી આનંદને સૌ પ્રેમથી સ્વામીદાદા કહેતા. સ્વામીદાદાનું શબ્દચિત્ર શ્રી વાડીલાલ ડગલી આમ આલેખે છે :
“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા એક્ટર – એક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”
આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી. વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.” પાના સામું જોયું તો લાગ્યું કે, આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે, આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.
આપણી ગુજરાતી ભાષાના એક સમર્થ સાહિત્યકાર યશવંત શુક્લ સ્વામી આનંદને આ રીતે ઓળખે છે : “સ્વામી આનંદ જેવું વ્યક્તિત્વ આપણા સાધારણ દુન્યવી વ્યવહારોમાંથી જડવું મુશ્કેલ છે. આ તો જે નાના છોકરાને ભગવાન દેખાડવાની લાલચ આપીને પેલો અજાણ્યો બાવો ભગાડી ગયો હતો એ બાવાનો હેતુ ગમે તે હોય પણ એ છોકરાની ભગવાનને પામવાની લગન એણે જીવનમાં ક્યારેય છોડી નહોતી. એ કદી સંન્યાસી મટયા ન હતા. સંસાર સાથેનો સંબંધ કાપ્યા વિના રાત દિન પોતાના સંન્યસ્ત ધર્મમાં જ રત એવા સ્વામી આનંદે ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર અનહદ ઉપકાર કર્યો છે. સ્વામી દાદા ખપ વગર બોલે નહીં અને મૂંગા હોય ત્યારે સહેજ કરડા પણ લાગે, પણ સદાય નિજ કામમાં નિમગ્ન. તેમ છતાં પોતાના માર્મિક અનુભવો જેમની આગળની ખોલવું ગમે તેમને કહેવા ને સદા તત્પર !”
સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.
ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”
ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી. સ્વામી આનંદ વર્ષો સુધી અમદાવાદમાં સરદાર પટેલના પાડોશી તરીકે રહ્યા. વળી મહાદેવભાઈ દેસાઈના અંગત મિત્ર. 1942, ઓગસ્ટની નવમીએ વહેલી સવારે મુંબઈમાં બિરલા હાઉસ પર ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના “ક્વીટ ઈંડીયા”વાળા પ્રવચનની નકલો પ્રીંટ કરી દેશભરમાં પહોંચાડવાની જવાબદારી સ્વામીજીને સોંપેલી. તેમણે સફળતાથી અઘરું કામ પાર પાડ્યું.
1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું.
સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિગરી સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.” એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.
1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે, સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા.
સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે, આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે, એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તો પણ વાક્યે–વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.
સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે, સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :
“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.”
તિથલના દરિયાકિનારે વસેલા અલબેલા ફોટોગ્રાફર અને વિશ્વ સ્તરે તસવીર-ચિંતનથી પ્રસિદ્ધ થયેલા શ્રી અશ્વિન મહેતાનું પુસ્તક છે “છબી ભીતરની”.. તેનો પહેલો જ લેખ સ્વામી આનંદને ઓળખવા માટે પર્યાપ્ત છે.
“સ્વામી આનંદનો “ભાવના મૂર્તિ” લેખ વાંચ્યો ત્યારે મને થયેલું કે આ લેખક છે કોણ ? એમની ભાષામાં ચોમાસા ના પહેલા ઝાપટાં જેવી તાજગી અને માટીની મહેક હતાં. પાણીના રેલા જેવી સરળતા હતી અને શબ્દોનું તો પૂછવું જ શું? પેલી “પાઇડ પાઈપર” પરની બાળવાર્તા માં આવે છે તેમ તેમની કલમના સૂરથી ઉંદરડાના ધાડા ની જેમ બધા ક્યાં ક્યાંથી ભેગા થઈ ગોઠવાઈ એમની પાછળ પાછળ ચાલી નીકળતા! થયું, આ માણસને મળવું જોઈએ. કૌસાની રહે છે, ખોરાકમાં માત્ર દૂધ લે છે!! આવો મોટો માણસ કાગળનો જવાબ આપતો હશે ? મનમાં ગાંઠ વાળીને દુગ્ધાહાર વિશે મેં દસ પંદર સવાલ પૂછી નાખ્યા ! ત્યાં તો તરત જવાબ આવ્યો છે. અક્ષરો ખુબ ઝીણા પણ કીડીની ટાંગ જેવડા નહીં પણ રૂપાળા જુવારના દાણા જેવા.. એકેએક અક્ષર પલાંઠી વાળીને બેઠેલો ! ખરી ખૂબી તો એ કે તેમણે મારા બધા મુદ્દા નો વિગતવાર જવાબ આપેલા અને પાછું લખેલું ફલાણી તારીખે મુંબઈ આવું છું ત્યારે મળીશું !
આવા સ્વામી આનંદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કલ્પી શકો છો ? પહેલીવાર મને હિમાલય દેખાડવા લઈ ગયેલા ત્યારે કનખલ-હરિદ્વારના ટચુકડા રામકૃષ્ણ મંદિરમાં સ્વામીની મસમોટી કાયાને જમીન પર જોઈને હું તો ડઘાઈ જ ગયેલો.. સ્વામી આનંદ તપોવનજીની અને રામકૃષ્ણ પરમહંસ ની વાતો સૌથી વધારે કરતા. ખાસ તો કહેતા : હિંદુ ધર્મ પ્રચાર માટે નથી, પણ હૃદય ગુફામાં સેવવાનો અને આચરવાનો ધર્મ છે, રામકૃષ્ણદેવ કહે છે : “તમે પહેલાં કમળ બનો, પછી ભમરા આપોઆપ આવશે.”
મારા અઢી દાયકા ના પરિચયમાં મેં સ્વામી આનંદ ને ચારેક વાર રડતાં જોયેલા.
(1) એક કાશ્મીરી ભરવાડણે પીર પંજાલના ઊંચા પહાડોમાં તેમને કેવી રીતે બચાવેલા તેનું ઋણ સ્વીકાર કરતા બધાની વચ્ચે તેમણે આંસુની અંજલી આપેલી.
(2) બીજીવાર અતુલપ્રસાદના એક બંગાળી કાવ્યનું પઠન કરતા વરસાદ પછી શિરીષના ફૂલ-પાન પાણી ખેરવે તેમ તેઓ સહજ રીતે રડેલા.
(3) સીતાજી નો ઉલ્લેખ માત્ર તેમના મર્મને વીંધી જતો. ચારણ કવિ દાદલ નું એક ભજન “લખમણ મારાં રે રખોપાં કરશે રામ, રામનાં કોણ કરશે રે” એ વાંચતા અને
(4) નિનુભાઈ મજુમદાર નું “સીતાયણ” તેમને ટેઈપ પર સંભળાવતો હતો ત્યારે બહુ હોઠ પીસવા છતાં આંસુ રસ્તો શોધી જ કાઢેલો, એનો હું સાક્ષી છું.”
શ્રી અશ્વિન મહેતા ઉમેરે છે કે : “સ્વામી આનંદની તંદુરસ્તી ને જુસ્સો છેવટ લગી ટકી રહ્યા એની પાછળનું ઘણું મોટું કારણ હિમાલય હતો. સ્વામી એટલે હિમાલય, ઘૂઘવતી નદીઓ અને અડીખમ ચટ્ટાનો, ઉત્તુંગ બરફાનો અને ઘનઘોર જંગલો. મારાથી પૂછાઈ ગયેલું : તમે હિમાલયમાં કેટલા માઈલ ચાલ્યા હશો ? પહેલાં તો ઘણા ગલ્લાતલ્લા કર્યા, પણ પછી મેં જાતે જ અંદાજે બાર-પંદર હજાર માઈલ નો આંકડો મુક્યો ત્યારે ખૂબ સંકોચ સાથે માત્ર “હા” એટલું બોલેલા ને પછી ઠપકો આપીને કહે કે, સાધુ એવો હિસાબ રાખે નહીં અને એને પુછાય ય નહીં!!! દિવસના 40- 50 માઈલ ચાલતા ને ગેલન ના હિસાબે દૂધ પીતા.”
સ્વરાજ આશ્રમ, બારડોલીમાં વસતા સરદારસાહેબના પડછાયા સમાન ઉત્તમચંદ શાહના પરિવાર સાથે સ્વમી આનંદને ઘરોબો. ત્યાંની વિદ્યાલયની દીકરીઓ સાથે તો સ્વામી વિદ્યાર્થી બની જાય. સ્વામીદાદાએ ઉત્તમચંદ શાહના કુટુંબને હિમાલય દેખાડવાનું બીડું ઝડપ્યું, તેનાં સંસ્મરણો ઉત્તમદાદાના દીકરી શ્રી નિરંજના કલાર્થી બહુ જીવંત રીતે વર્ણવે છે. “કૌસાની ખાતે પહોંચ્યા પછીની એક રાત્રે સ્વામીદાદા આવ્યા અને બુમ પાડી કહે બાળકોને ઉઠાડો, આજે પૂર્ણિમાનો ચંદ્ર છે. મારે બાળકોને રાત્રીના હિમાલયના દર્શન કરાવવા છે. અને સ્વામી બોલવા લાગ્યા : “જ્યોત્સના સજાવેલો હિમાલય જુઓ. ચાંદનીમાં હિમાલય સાવ અલગ જ લાગે છે. સવારે શ્વેત દેખાતો હિમાલય રાત્રીએ ચાંદનીમાં જાણે ચાંદીના પતરાથી મઢી ન દીધો હોય ?? વળી આજે તો પૂર્ણિમાની ચાંદની એટલે સોળે કળાએ ખીલેલો ચંદ્ર હિમાલયને બેનમૂન બનાવી મૂકે છે. બરફ આચ્છાદિત હિમમાળા !” સ્વામીદાદા તો મૌલિક અને ભાષાની ખાણ એટલે હિમાલયને એવો સજાવીને વર્ણન કરે કે સૌ દંગ રહી જાય !! એક બાજુ હિમાલય અને બીજી બાજુ હિમાલય જેવા મનોબળના મલિક સ્વામીદાદા, પછી બીજું શું જોઈએ ??
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાક્ષર રઘુવીર ચૌધરી સ્વામી આનંદ ને “સાચા કીમિયાગરનો શબ્દલોક” કહે છે. સ્વામી આનંદ એક વ્યક્તિ તરીકે પણ સદીઓ સુધી યાદ રહેશે. ગાંધીજીએ જે સાથીઓમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો એમાંના એક હતા સ્વામી આનંદ. એમણે દિલ્હીની સાહિત્ય અકાદમીએ જાહેર કરેલો પુરસ્કાર સ્વીકાર્યો નહોતો. સંસાર છોડનારે દ્રવ્ય અને યશ બંને માટે કેવી અનાસક્તિ કેળવી હોય એનું દ્રષ્ટાંત સ્વામી આનંદ હતા.” ઉમાશંકર જોશી કહે છે : “એનું નામ પાણી ઉપર આલેખાયેલું છે ! જે કાંઈ લખાયું તે આનંદનું, આનંદને અર્પણ !”
બહારથી કઠોર દેખાતો આ માણસ હૃદયથી બહુ કોમળ હતો. ઓછી વાતચીતમાં પણ કંઈ બોલાય ગયું હોય તો તરત ફોન કરીને કે પત્ર લખીને જણાવતા : “મારી ભૂલ થઈ ગઈ, ક્ષમસ્વ. મારી જાગૃતિ એટલી ઓછી કહેવાય !”
“તમે આજકાલ ના છોકરા રકાબીયે રકાબી દૂધ પીવો, હું તો મોટું તપેલું અધ્ધર ઉઠાવી એક શ્વાસે ગટગટાવી જતો હતો”,, સ્વામીનું આ ચિત્ર કે રેલવેના સામાન્ય વર્ગમાં ઉપરના પાટીએ પ્રવાસ કરતા પેશાબ-પાણી માટે ઉતરવું ન પડે માટે આગલા દિવસથી ઉપવાસ શરૂ કરતાં સ્વામીજી, કાકાસાહેબ સાથે હિમાલયના પ્રવાસ કરતા અને એના સ્મરણો મરાઠીમાં આલેખતા અને પછી માઈલોના માઈલો ચાલી નાખતા સ્વામીજી, વિનોબાજીના પ્રવચનનો સીધો અંગ્રેજી અનુવાદ કરનાર સ્વામીજી, ગુજરાતની એકેએક બોલી પર પ્રભુત્વ ધરાવતા અને પુસ્તકના ઉત્તમ મુદ્રણ ના આગ્રહી સ્વામી આનંદ તો ક્યારેક વાત કરતા કરતા નાચી ઉઠતા સ્વામી આનંદ કાયમ માટે વાચકનું આત્મબળ બનતા રહેશે.
સ્વામી દાદાને જ્યારે જ્યારે જીજ્ઞાશાવશ તેના પૂર્વરંગ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે ત્યારે એમણે “નદીના મૂળ વિશે અને સાધુ ના કુળ વિષે જિજ્ઞાસા ન સેવવી” એવો એકધારો ઉત્તર પકડાવ્યો છે. ઘર છોડીને ચાલી નીકળ્યા ત્યારે આ હિંમતલાલના પિતા રામચંદ્ર મહાશંકર દવે ગામની શાળાના મહેતાજી. માતા પાર્વતીમા સાવ અભણ પણ જાજરમાન અને માયા મમતાથી ભર્યાં. સ્વમાનની વાતે એ ધારદાર. છોકરા છૈયાની હાજરીમાં પતિએ ઉપડતે સાદે વાત કરી તે વેળા પતિને ઉત્તર આપ્યા પછી છૈયા છોકરા સાથે મૈયર જઈને વસ્યા અને સોળ વરસ લગી પતિ સાથે અબોલા પાળ્યા !
સ્વામીએ ઉલ્લેખ કર્યો છે એ અનુસાર ભાષાની ખાંખત એમને માતા પાસેથી વારસા રૂપે મળી છે. સાવ નિરક્ષર માતાને વિવિધ વ્રત-ઉત્સવને ટાણે ગાવાના ગીતો અને નળાખ્યાન કંઠસ્થ હતા. વળી રોજિંદા વહેવારમાં ભાષા ભંડાર ભર્યો રૂઢિપ્રયોગ અને કહેવતની તો એમાં ધાણી ફૂટે !! પોતાના પૂર્વરંગની ખાતાવહીમાં પિતાના નામનું પાનું કોરું છે એવું કહેનારા સ્વામી માની સૈયર એવી માસીના ખોળે એમના ત્રણ પુત્રોના બાળ-અવસાન પછી પુષ્ય-પુત્ર તરીકે ગિરગામ મોરારજી ઘરાનાની સાથે રહ્યા. ઘરાનાના ઘરેણાં સમાન ધનીમાએ સ્વામીના પાલક પિતા ઉમાશંકરને મોઢે ભવિષ્યવાણી ભાખેલી કે, “ઉમાશંકર, આ તારો ભાણેજો બાપ, મોસાળ, કોઈનો થવાનો નથી. એને પગે ભમરો છે”.. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવતને સાર્થક કરતી એ આગાહી સ્વામીના જીવનમાં તંતોતંત સાચી ઠરી હતી.
સ્વામીએ એમના મા-મેળાપની કૃતાર્થતાની લાગણી પ્રગટ કરતી વેળા લખ્યું છે:
“મારો નાનો આવ્યો?” હાથમાંથી માળા પડી જાય અને આંખેથી વહી નીકળે છે ગંગાજમના ! સ્વામીએ પૂછ્યું : “ મા ગામમાં કોઈ જાણતું ન હતું કે હું આવવાનો છું અને તમે તો દરવાજો ઉઘાડતાની સાથે જ મારા નામે મને બોલાવ્યો તે કેમ કરતાં ખબર પડી ?” જવાબ મળ્યો: “આ હૈયામાં બીજું છે કોણ ? ચૌદ વર્ષથી માળા ફેરવું છું તે કેની ? રામની ? રામનું તો નામ, રામ કેવો ને વાત કેવી? મારા દીકરા તે મારા રામ. બીજા રામને હું ઓળખતી નથી. તારે કઈ વાતે કમી હતી તે મને વલવલતી મૂકીને નાઠો ? આટલી ઉંમરે મને બાળી ? પણ બાળે તે જ બાળક ! ચાર ખંડ ધરતી ખૂંદી વળ, પણ આખરે તારી ધરતીનો છેડો માની પાની હેઠળ જ છે.” પાવનકારી એ માના છેલ્લા દિવસોમાં સ્વામી એક અઠવાડિયું ઘેર તેમની સન્મુખ રહ્યા. એ આઠ દિવસો વિશે તેમણે તહેદિલથી લખ્યું છે: “ એ આઠે દિવસ મારી જિંદગીના કીમતી વારસારુપ છે. માના તરફથી મને જે વારસો જીવનમાં મળ્યો છે તેનું ખરું દર્શન આ આઠ દિવસોમાં થયું અને હું ધન્ય થઇ ગયો.”
વગર સંસારનો આ સંસારી જીવ તેની આસપાસના આખી જિંદગી ગળાડૂબ રહ્યો છે છતાં આ મોહ માયાનો પાસ સરખો લાગવા દીધો નહીં .
સ્વામીને અલવિદા!
by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | દીપોત્સવી લેખ |


પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું !!
જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે.
“ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !” ચાચાજી ગુરુ દયાલ મલિક
“……સાંજનો વખત હતો. હું સમુદ્રના કિનારે અપાર ખામોશીની સાથે એવી રીતે બેઠો હતો કે જાણે હું ખુશ હોઉં અને આ ખામોશીમાં હું એકદમ સલામત હોઉં. જાણે કે એક નાનકડું બાળક પોતાની મા ની ગોદમાં બેઠું હોય અને નિરાંત જીવે નીડરતા અનુભવતું હોય !!. મને એવું લાગી રહ્યું હતું કે હું બાદશાહોના બાદશાહના ખુબસુરત દેવીમહેલના એક એકાંતને માણી રહ્યો છું.
એકાએક કોઈએ મને અંદરથી પૂછ્યું, “કેમ મિયાં, આરામનો અર્થ તને માલૂમ છે ?” આ સવાલ સાંભળીને હું જરા હસી પડયો, કારણકે મેં પોતાની જાતને કહ્યું કે, ‘એ પણ કંઈ પૂછવાનો સવાલ છે ? આરામ એટલે આરામ ! બીજું વળી શું ?’
જે મારી અંદર બેઠો હતો એમણે મારી આ છુપાવેલી વાત પણ જાણે સાંભળી લીધી..!! થોડીવાર પછી ફરીથી મેં કાનમાં કોઈના ગાવાનો અવાજ આવતો સાંભળ્યો. મેં ગાનારને ન જોયો પરંતુ એના ગીતની એકની એક તર્જ જે વારંવાર ગવાઈ રહી હતી, તેને મેં બહુ જ સુંદર રીતે અને એકદમ સ્પષ્ટ રીતે સાંભળી.
‘આ તો પ્રીતની રીત નથી તારી…વહ જાગત હૈ, તું સોવત હૈ.’ ત્યારે મારા દિલમાં એક સવાલ ઊઠયો, શું પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય છે ? મારા દિલના જનાનામાં જે હંમેશા પર્દાનશીન છે (એટલે કે જે મારા દિલના રાણીવાસમાં જે સતત પડદો રાખીને હાજર છે) એમણે જવાબ દીધો : હા, પ્રેમ કરવો એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય !! પછી જરા અટકીને એમણે કહ્યું : “અરે મિયાં, મેં તો તમારા સવાલનો જવાબ દઈ દીધો હવે તમે પણ મારા સવાલનો જવાબ આપો…”
‘અરે, તમારો પણ કોઈ સવાલ છે? અને તમે જવાબ માંગી રહ્યા છો તમારા સવાલનો ?’
“અરે મિયાં ગુસ્સે ન થાઓ, જો તમને જવાબ આવડતો નથી તો સાફ સાફ કહી દો ને કે જવાબ નથી આવડતો !”
‘હા, તો એમ જ માનો હું તમારા સવાલનો જવાબ જાણતો નથી. બસ હવે તમને નિરાંત થઈ ?’
“હા, તો મેં તમને જવાબ આપી દીધો છે,, આરામ શબ્દ બે શબ્દોથી બન્યો છે આ અને રામ.. એનો અર્થ એવો થયો કે સાચો આરામ આ– રામ… આ – રામ કહેવામાં અને કરવામાં છે.”
હું આરામનો આવો કોઈ મતલબ સમજીને થોડી વાર તો હેરાન પરેશાન થઈ ગયો, એટલા માટે મેં એને પૂછ્યું, મેં તો મારા જીવનમાં એવો મતલબ ક્યારેય જાણ્યો નથી. જે હોય તે આ-રામ..આ-રામ એવું હું કહ્યા તો કરીશ પરંતુ તમારે મને એ સમજાવવું પડશે કે હું એવું કેવી રીતે કરી શકીશ કારણ કે તમે જે આરામને ‘આ – રામ’ કરવાનું કહો છો એ તો મારા માટે નવું છે, એ હું કેવી રીતે કરું ? ‘
“હા, મેં કહ્યું છે અને એનો મતલબ એ છે કે જે કંઈ પણ કામ તમે કરો એને એવી રીતે કરો કે એ રામને લાયક છે અને તમે એ કામને રામને લાયક એક ઘર સમજીને દિલથી કહી શકો આ-રામ.. આ-રામ… સમજાય છે મારી વાત ?”
મેં સમજી તો લીધું પણ તેમનું આમ કરવાનું મને બહુ મુશ્કેલ માલૂમ પડતું હતું.
“..તો એનો પણ તમને હું એક આસાન રસ્તો બતાવું મિયાં, જો તમે ઈચ્છો તો “
‘જરૂર જરૂર’, મેં કહ્યું.
એમણે કહ્યું : “દિલ કો છોડો ઓર દિલકો પકડો એટલે કે દિલને છોડો અને દિલને પકડો.”
મેં કહ્યું તરત જ કહ્યું કે: ‘જરા આસાન કરી દો ને, આ વાતને !’
“ખુશીથી જિંદગી જીવો તો તો એ એક બાજી છે ને ! કબીર સાહેબનું એક ભજન તમને યાદ છે.?? જેમાં તેઓ કહે છે કે, જિંદગી એક ચોપાટ ની બાજી છે, છતાં આ ખેલ બહુ અજીબો ગરીબ છે. જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે. એટલે કે હારમાં કે જીતમાં પ્રીતમ તો તમને જ મળે છે. એ જ રીતે હું તમને કહું મિયાં, પાર્ટીબાજી છોડો પ્રેમબાજી ખેલો એટલે કે પાર્ટીબાર્ટી છોડો અને પ્રેમ પ્રેમ પકડો.”
એટલી વારમાં મને કેટલોક શોરબકોર સંભળાવવા લાગ્યો. હું જ્યાં બેઠો હતો ત્યાંથી જરા દૂર એક સરઘસ નીકળતું હોય તેવું મને લાગ્યું. કેટલાય લોકોના હાથમાં ભાતભાતના ઝંડાઓ હતા અને જોરજોરથી તેઓ સૂત્ર પોકારી રહ્યા હતા : ‘ઝિંદાબાદ…ઝિંદાબાદ…ઝિંદાબાદ…’ હું મારી નિજી ખામોશીમાંથી બહાર નીકળીને ઘરે પાછો આવ્યો. અને વારંવાર મને એ ખ્યાલ આવતો રહ્યો કે દિલકી બાત રુપિયેમે સોલહ આના સચ હૈ.. દિલની વાત જે મને મારી અંદરથી સાંભળવા મળી તે તો સોળ આના સાચી છે………………”
*******************************
એક બહુ જૂનું પુસ્તક હાથ લાગ્યું. જૂના કબાટો ખંખેરતા એક સાધ્વી કક્ષાના ગૃહિણીના ઘરેથી.. એનું પ્રકાશન ખાસ્સું જૂનું એટલે કે 1954 માં કરવામાં આવ્યું છે. રામ આસર કક્ક્ડ, હિન્દી સાહિત્ય પ્રેસ, ઈલાહાબાદનું આ પ્રકાશન છે. અને પુસ્તકના લેખક છે ગુરુ દયાલ મલિક. નાના એવા પુસ્તકનું નામ છે “દિલ કી બાત”. આ પુસ્તક અજીબોગરીબ છે !! અહીં ઉપર જે વાત વાંચી એવી અનેક વાતો ૨૨૫ પાનની અંદર અહીં મુકવામાં આવી છે. તેમના અર્પણના પાનાં ઉપર સરસ શબ્દો લખ્યા છે –
“દિલની વાત દિલથી સાંભળી લો એ જ વિનંતી છે.
દિમાગને દલીલ કરવાની વળી ભલા શું જરૂરત ?” – ગુરુ દયાલ મલિક.
***************************
ચાચાજી નો જન્મ સાતમી, મે, 1896ના રોજ ડેરા ઈસ્માઈલ ખાન ખાતે થયો પરંતુ તેઓ જ્યારે અગિયાર વર્ષના થયા ત્યારે સાતમી મે 1907ના દિવસે એટલે કે એમના જન્મદિવસની તારીખે જ, ચાચાજીના બા પરલોકવાસી થયાં !! ચાચાજીના માતુશ્રીની વિદાય ચાચાજીના જીવન ઉપર બહુ મોટી અસર છોડી ગઈ.
એવું બન્યું હતું એ સમયે પ્લેગ ફેલાયો હતો અને આખું શહેર ખાલી કરાવવામાં આવતું હતું અને આજુબાજુના ગામમાં કે શહેરોમાં પોતાના સગા વ્હાલા મિત્રોને ત્યાં ચાલ્યા જવાનું સૌને કહેવામાં આવ્યું. સિકરપુર સિંધ માં આવેલી જગ્યા. જ્યાં ચાચાજીના મોટા કાકા રહે. દર્દીઓ માટે શહેરથી ૭ માઈલ દૂર કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો. દરેક દર્દીની સાથે એક સગું રહી શકે એવો તેમાં નિયમ. ચાચાજીનાં નાના મામી પ્લેગમાં સપડાયા અને એમને એક ધાવણું બાળક ! મામાને એ ચિંતા હતી કે જો મામી જતાં રહેશે તો આ બાળકને કોણ મોટું કરશે ? એ સમયે ચાચાજીની માએ કહ્યું : ભાઈ, આટલી બધી ચિંતા શું કામ કરો છો ? તમે બાળકને લઇને આપણી મોટીબેન ને ત્યાં જાવ. હું ભાભીની સેવા ચાકરી કરવા કેમ્પમાં રહીશ અને પ્રભુને રાતદિવસ પ્રાર્થના કરીશ કે, બાળકને ખાતર ભાભીને જીવાડે અને મારી પ્રાર્થનાના બદલામાં જો તને જરૂર હોય તો મારું જીવન લઈ લે… બા ચાચાજીને ડેરા ઇસ્માઈલ શહેરના છેડા સુધી મુકવા આવી. બા ની વિદાય વખતે સંતાનો રડવા લાગ્યા. બંનેને વળગીને માએ એમ કહ્યું કે: હું તમને જલ્દી પાછી મળીશ, તમારી મામી સારી થઈ જાય કે તરત શિકારપુર ચાલી આવીશ.
ગુરુદયાલજીના પિતાશ્રી નારાયણદાસ એ સમયે બલુચિસ્તાનમાં કવેટા માં એવી સરકારી નોકરી કરતા હતા કે, વર્ષમાં લગભગ દસ મહિના ઘોડા ઉપર કે ચાલતાં મુસાફરી કરવી પડે. જેથી ચાચાજીના માતુશ્રી તેજસ્વીદેવી બે ભાઈઓ અને બહેનને મૂકીને કેમ્પ તરફ વળ્યા. ઈશ્વરને કરવું હતું તે મામીનો જીવ બચી ગયો પણ મામીની સેવામાં રત ચાચાજીના માતુશ્રી એ પોતાનો પ્રાણ ત્યાગી દીધો.. કહે છે કે, ચાચાજીને પોતાની માતાના અવસાનનો અહેસાસ થઈ ગયો હતો. સાતમી મેના દિવસે ઉઠતાવેંત એમને એવું થયું કે, મારી બા આ દુનિયામાં હવે નથી અને તેઓ જોરશોરથી રડવા લાગ્યા .. એમનું રુદન સાંભળી ને એમના કાકાને ગુસ્સો આવ્યો અને એમણે એક થપાટ મારીને કહ્યું કે, “તું અપશુકનિયાળ છે, સવારે ઉઠતા પ્રભુનું નામ લેવાનું હોય કે રડવાનું હોય !!” ચાચા નું રુદન કોઈ સંજોગોમાં બંધ ના થાય. ચાચાજી રડતા રડતા બોલી ઉઠ્યા કે, મારી બા ગુજરી ગઈ છે.. એ સાંભળીને એમને બીજી થપાટ પડી !! આ ઘટનાને લઇને ધ્રૂજતા ધ્રૂજતા ડુસકા ભરતા તેઓ સુઈ ગયા પણ પાંચ કલાક પછી એમના કાકાને પોતાની ઓફિસમાં અગિયાર વાગ્યાના સુમારે તાર મળ્યો અને એમાં લખ્યું હતું કે: ગુરુદયાલનાં બા આજે સવારે ગુજરી ગયાં છે !!
લાહોરની શાળા. આ નિશાળમાં એક શિક્ષક ભણાવે. મુદ્દો નીકળ્યો બ્રહ્મચર્યનો !
શિક્ષક બ્રહ્મચર્ય વિષે સમજાવતા એક વિચિત્ર વાક્ય બોલ્યા : ‘બચ્ચાઓ, તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે સ્ત્રી તો એક શયતાન છે. તેથી તેના સંગથી તમે સદા દૂર રહેજો.’ ત્યારે એક વિદ્યાર્થી અકળાયો અને એકદમ બોલી ઊઠયો : ‘ગુરુજી, પણ તમારી માનુ શું ? એ પણ એક સ્ત્રી જ છે ને ?’
વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને તે શિક્ષક ક્રોધમાં આવી ગયા એ તેમણે પેલા પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને ક્રૂરતાથી ફટકાર્યો ! પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે ત્રણ દિવસ પછી એ શિક્ષકે સ્કૂલમાંથી રાજીનામું આપ્યું અને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા.
લગભગ પચ્ચીસેક વર્ષ પછી એક અજબ સંજોગમાં વિદ્યાર્થી અને આ શિક્ષક અચાનક જ મળી ગયા. વિદ્યાર્થી કરાંચીથી શાનથીનિકેતન જતો હતો. અમૃતસર સ્ટેશન પર જયારે ગાડી ઊભી રહી ત્યારે ઉજ્જવળ, પ્રસન્ન અને શાંત મુખવાળી ગેરુંવાં કપડાં પહેરેલ એક વ્યક્તિએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને બાજુમાં જ બેઠક લીધી. વાતો શરૂ થઈ. તેમણે પૂછ્યું : ‘તમે નાના હતાં ત્યારે કઈ નિશાળમાં ભણતા હતાં ?’ જવાબમાં લાહોરવાળી નિશાળનું નામ સાંભળી તેમણે ફરી પૂછ્યું : ‘ત્યારે એક અમુક નામના શિક્ષક તમારી શાળામાં હતા ?’ જવાબ મળ્યો : ‘હજુ’. તરત તેઓ ઊભા થઈ ગયા ને પેલા વિદ્યાર્થીને પગે પડયા અને કહેવા લાગ્યા : ‘દોસ્ત, તે શિક્ષક હું જ ! પણ બચ્ચા, આધ્યાત્મિક માર્ગ પર તું મારો પ્રથમ ગુરુ. હું તને પ્રણામ કરું છું.’
આ વિચિત્ર સ્થિતિને લઈને આશ્ચર્યમાં પડેલા વિદ્યાર્થીએ તે વ્યક્તિના પગ પકડી લીધા : ‘તમે આ શું કહો છો ? તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ ?’
પછી તો બન્ને વચ્ચે નિરાંતે વાતો થઈ. શિક્ષકે કહ્યું : બચ્ચા, તારો પ્રશ્ન સાંભળીને ક્રોધથી મેં તને ફટકાર્યો અને ઘરે જઈ હું મનમાં સંગ્રામમાં ફસાયો. ગડમથલ ઊભી થઈ અને મારા મનમાંથી પ્રશ્ન ઊઠયો કે બધી જ સ્ત્રીઓ શયતાન હોય તો મારી મને શું હું શયતાન ઘણું છું ? ઘરની બહાર ન નીકળ્યો કે ન તો નિશાળે ગયો ત્રણ દિવસ સુધી ! છેવટે આંતરિક અશાંતિ સમાવવા હરિદ્વાર જઈ એક ગુરુ પાસે દીક્ષા લઈ વર્ષો સુધી સાધના કરી. તેમણે કુબૂલ્યુ કે, બચ્ચા એક દિવસ સાધનાની ચરમસીમાએ સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થયાં, પણ તે ‘મા’ ના રૂપમાં ! બસ, ત્યારથી દર વર્ષે મારી કુટિયામાંથી એક મહિના માટે બહાર નીકળીને જુદાં જુદાં સ્થળોએ પ્રવાસે જઈ લોકોને એક જ વાત સમજાવું છું કે, ‘પ્રભુને જોવા હોય તો માતામાં નીરખવાની દ્રષ્ટિ કેળવો. એના જેવી સાધના બીજી કોઈ નથી.’
પોતાનાં વર્ષો પહેલાંની શિક્ષકની કેફિયત સાંભળી ચકિત થઈ ગયેલ એ સમયના એ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને તો જાણે જીવનસત્ય લાધ્યું. તેમણે નમ્રતાથી એ પૂર્વશિક્ષકનાં ચરણ સ્પર્શ કર્યા અને નિયતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ સત્ય ઘટના પછી સાધના માર્ગે વળેલા એ પૂર્વ શિક્ષક વિષે વિગતો નથી પણ પોતાનાં શિક્ષકને આધ્યાત્મ માર્ગે વાળનાર વિદ્યાર્થીએ તો ઉપાસના અને સાધનામાં જ જીવન વિતાવ્યું ! તે વિદ્યાર્થી તરીકે જ પ્રાણવાન હતા એટલે તેમના જીવનપથની ઉન્નતિ વિષે કોઈ શંકા ન હતી પણ એ વિદ્યાર્થી ગુરુદેવ રવીન્દ્રનાથ રાગોરના પ્રિય શિષ્ય બની રહ્યાં અને ભારતભરમાં ગુરુદયાલ મલ્લિકજીના નામથી ખ્યાત બન્યા !
શિક્ષક ભલે ભુલાય ગયા, વિસરાય ગયા, અજ્ઞાત થઈ ગયા પણ એ શિક્ષક પોતાને ચાંચઈડનારો પ્રશ્ન પૂછનાર વદ્યાર્થી પાસે જીવનની ઉત્તમ કબુલાત કરીને એ વિદ્યાર્થીને એક નવું બળ અર્પી ગયા. પંડિત ગુરુદયાલ મલ્લિકજી કહેતા કે : ‘હું શિક્ષકને સલામ કરું છું.’
શિક્ષકત્વનું આ ભાથું છે જે શિક્ષક મટી ગયા પછી કે શિક્ષકના માટીમાં મળી ગયા પછી તેની સાથે જ રહે છે ! એકાદ વિદ્યાર્થી તો એવો મળે જ મળે કે તમને વર્ષો પછી ‘ખરેખર મળી જાય !’ શિક્ષકને ય શીખવનારો એકાદ વિદ્યાર્થી તો મળી જ જતો હોય છે, અને ત્યારે વિદ્યાર્થી શિક્ષકનો ય ગુરુ બની રહે છે… આવા ગુરુ જેને મળ્યા હોય તેને તો કાયમ ગુરુપૂર્ણિમા !
આ ગુરુ દયાલ મલિક એ એક એવી વિભૂતિ કે જેમણે રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં સ્થાન મેળવ્યું, જેમણે આધ્યત્મ અને જીવનને હારોહાર જીવવાનું પસંદ કર્યું, જે મહાત્મા ગાંધીના સહકાર્યકર બની ઉમદા કામ બાપુની સાથે કરતા રહ્યા. ગુરુ દયાલ મલિકનું લખેલું આ “દિલકી બાત” પુસ્તક અચાનક જ હાથ લાગ્યું અને જાણે કેટલાય દિવસો સુધારી ગયું. થોડા સમય પહેલાં “મરુ ભૂમિના દિવ્ય દરવેશ” એવું ચાચાજી ગુરુ દયાલ મલિકનું પુસ્તક કે જેમનો અનુવાદ નલિન ઉપાધ્યાયે કર્યો છે અને જે અક્ષરભારતી પ્રકાશન, ભૂજ દ્વારા ૨૦૦૫ માં બહાર પાડવામાં આવ્યું છે તેના ૭૨ પાનામાંથી પસાર થયો ત્યારે એવું લાગ્યું કે, સુફીઝ્મ અથવા સૂફીવિચારની ખરી સમજ આટલા વર્ષો પછી ગુરુ દયાલ મલિકજી પાસેથી મળી.
ચાચાજીના માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ છે. તેઓ કિશોર હતા ત્યારથી અનેક આધ્યાત્મિક અનુભવોમાંથી પસાર થયા. સિંધી, પંજાબી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી ઉપર એમનું અદભુત પ્રભુત્વ હતું. “પ્રભુ કૃપા કિરણ” નામનું એક પુસ્તક મુકુલભાઈ અને નિરંજનાબેન કલાર્થીએ ચાચાજીની સાથે બેસીને એમના જીવનના પ્રસંગો અંગે પ્રશ્નો પૂછતાં પૂછતાં આલેખ્યું છે એ પણ ચાચાજીને સાંગોપાંગ સમજવાનો એક નમ્ર પ્રયાસ છે.
ગુરુ દયાળ મલિકજી એ સૂફી સંત હતા અને ગુજરાતી આધ્યાત્મિક ગુરુ હતા, એવું આપણે કહ્યું. આ વાત આપણને ચાચાજી ના બાલ્યકાળથી જોવા મળે છે. ચાચાજી જયારે સાતેક વર્ષના હશે ત્યારે ઝરમર વરસતા વરસાદની વચ્ચે એક વયોવૃદ્ધ ભિખારણ ભિક્ષા માગવા આવી. ચાચાજીએ એને બારણા પાસે બેસાડી, થોડું ખાવાનું ઘરમાંથી લઈ આવી ને આપ્યું. એમણે ઘણા પ્રેમથી ખાધું અને તેની આંખમાં આભારના આંસુ છલકાયા. પછી ભગવાન જાણે ચાચાજી ને શું થયું કે, તેઓ આવેશમાં આવી જઈને એમને વળગી પડયા ! તે પણ ચાચાજી ને વળગી પડીને વ્હાલથી બોલ્યા: “મારો દીકરો”.. પણ “મારો દીકરો” બોલ્યા સાથે જ ભિખારણ ત્યાં ને ત્યાં મરી ગયાં . ચાચાજી જીવનભર આ બાબતનું રહસ્ય શોધતા રહ્યા પરંતુ એમણે કહ્યું કે, “ મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર ન કરવો, કારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો અનાદર એટલે પ્રભુનો અનાદર !”
ચાચાજી નાનપણમાં રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે એક ફકીરબાબા સામેથી આવતા હતા. તેમણે ચાચાજી ને ઊંચકી લીધા અને આંખમાં આંખ મેળવી બે ઘડી તેને જોઈ રહ્યા. પછી ચાચાજીને નીચે મુકી દીધા પરંતુ ફરી બે વખત એટલે કે કુલ ત્રણ વખત ચાચાજી ને ઊંચક્યા, આંખમાં આંખ પરોવી અને પછી ફકીરબાબાએ કહ્યું : બચ્ચા, મારી એક વાત હંમેશાં યાદ રાખજે,, જ્યારે તું કંઈ પણ કરે, બોલે કે વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પુછજે કે મારી માને આ ગમશે કે નહીં ?,,, એટલું કહીને એક ફકીરબાબા ચાલ્યા ગયા, પછી જીવનમાં એ ક્યારેય એમને ન મળ્યા, પણ આ વાત ચાચાના હૃદયમાં અંકાઈ ગઈ ! કશું જ કરવું હોય ત્યારે ચાચાજીના દિલમાંથી એક જ મંત્ર સદા જાગતો કે, મારી માને ગમશે કે નહીં ?
ચાચાજી પોંડિચેરીના કાયમ પ્રવાસી રહ્યા અને ત્યાંની એક વાત પણ તેમને હૃદયમાં બરાબર અંકાઇ ગઇ હતી. પોંડિચેરીમાં ઠેર ઠેર એવું લખ્યું હોય કે : મા જુએ છે ! ચાચાજી કહે છે કે, જ્યારે જ્યારે મને એવું લાગતું કે, હું આ શું કરી રહ્યો છું, ત્યારે અંદરથી કોઈ બોલતું કે : “મા જુએ છે !’
ચાચાજીના જીવન ઉપર કોલેજના દિવસોની અને એ સમયે ભણેલા વિષયોની ગહેરી અસર હતી. જસ્ટિસ ચંદાવરકર એ દિવસોમાં રવિવારે સાંજે ગીરગામમાં પ્રાર્થના સમાજ માં મુંબઈની જુદી-જુદી કોલેજોના થોડા વિદ્યાર્થીઓને અંગ્રેજ કવિ બ્રાઉનિંગ ની કવિતાઓ સમજાવતા. એમાં એક કવિતાનું શીર્ષક છે : રબિ બિન એઝરા.. એ કવિતામાં એક ઠેકાણે એવા શબ્દો આવે છે: ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. આના કરતાં પણ ઉત્તમ તો હજી બાકી છે ! . ચાચાજી જ્યારે પણ ખોટી નિરાશામાં સપડાય ત્યારે અંદરથી કોઈ આશ્વાસન આપતું હોય એવું લાગે અને કહે : ધ બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. જીવનમાં જે કંઈ ઉત્તમ છે એનું દર્શન કરવાનું હજી તો બાકી છે !!!
કોલેજમાં ભણવાનું પૂરું થયું અને ચાચાજીએ શાંતિનિકેતનમાં ગુરુદેવ કવિવર ટાગોરના દર્શન માટે જવાની ઈચ્છા પિતાજી આગળ વ્યક્ત કરી. પરંતુ પિતાજીએ પહેલા તેમને મોટાભાઈ પાસે કરાંચી જઈને સ્વતંત્ર ધંધામાં મદદ કરવા માટે સૂચવ્યું. આ સમયગાળા દરમિયાન ૧૯૧૯ના મે મહિનામાં ચાચાજી બહુ સખત બીમાર પડ્યા. તેઓના બચવાની કોઇ આશા ન રહી ત્યારે ચાચાજીને એમના પિતાએ પૂછયું: તારી કંઈ અંતિમ ઇચ્છા છે કે જે અમે પૂરી કરી શકીએ ?? તરત ચાચાજીએ જવાબ આપ્યો: પિતાજી, જો હું જીવતો રહું તો આપ કૃપા કરીને મને શાંતિનિકેતન મોકલવાનો પ્રબંધ કરશો… પ્રભુની કૃપાથી ચાચાજી સાજા થઈ ગયા અને પૂરેપૂરા સ્વસ્થ થયા ત્યારે ગુરુદેવને એક તાર કર્યો અને પુછાવ્યું કે: હું શાંતિનિકેતન આપના દર્શન માટે આવી શકું છું ?? જવાબમાં ત્રણ શબ્દો આવ્યા : તમે ખુશીથી આવો.
ચાચાજી શાંતિનિકેતન ગયા. પાંચ દિવસની લાંબી મુસાફરી પણ જરાય થાક ન લાગ્યો, કારણ કે ચાચાજીના હૈયામાં અતિશય ઉમંગ અને આનંદ હતો. . તેઓ જ્યારે શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ ત્યાં નહોતા. માંદગીને કારણે થોડા દિવસ પહેલાં જ કલકત્તા સારવાર માટે ગયા હતા, પરંતુ દીનબંધુ એન્ડ્રુઝે ઘણા વ્હાલથી ચાચાજીનું સ્વાગત કર્યું. દસ દિવસ પછી ગુરુદેવ શાંતિનિકેતન આવ્યા અને બીજે દિવસે ( કે જે ચાચાજીનો ત્યાં રહેવાનો છેલ્લો દિવસ હતો) ગુરુદેવના દર્શન કરવા માટેની સૂચના મળી. જો કે દીનબંધુએ કહ્યું :ગુરુદેવ હજી બહુ અશક્ત છે, તેથી તેઓ તમને પાંચ મિનિટથી વધારે વખત નહીં આપી શકે. જ્યારે ચાચાજી દાખલ થયા ત્યારે પદ્માસનમાં બેસીને તેઓ બારીની બહાર જોઈ રહ્યા હતા. એક-બે-ત્રણ- ચાર મિનીટ પસાર થઇ ગઈ. ગુરુદેવે ચાચાજી ને ન તો બેસવા કહ્યું કે ન કંઈ વાત કરી !! ચાચાજીને મનમાં પાર વિનાનું દુઃખ થયું. સમય લગભગ પૂરો થવા આવ્યો, એટલે ગુરુદેવ પાસેથી વિદાય લેવા ચાચાજીએ પ્રણામ કર્યા અને ચમત્કાર થયો! કવિશ્રીએ પોતાનો જમણો હાથ ચાચાજીના માથા પર મૂક્યો અને એમની આંખોમાં જોઈ ને કહ્યું: હું તમને જન્મ જન્માંતર થી ઓળખું છું. મારા આશ્રમમાં તમારા માટે એક આસન ખાલી છે. તમે હવે એના ઉપર બેસી જાઓ .. આ શબ્દો સાંભળીને ચાચાજી ભાવવિભોર થઈ ગયા. થોડા જ વખત પછી ચાચાજી શાંતિનિકેતનમાં એક શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૮માં રવીન્દ્રનાથ ટાગોરે ચાચાજી ને શિક્ષા ભવનમાં અધ્યાપન કરાવવા માટે કહ્યું અને ફરીથી 1940માં પણ તેઓએ ત્યાંની શાળા અને કોલેજમાં વ્યવસ્થિત શિક્ષક તરીકે ભણાવ્યું. ચાચાજી એ ‘વિશ્વભારતી’ નામના મેગેઝીનનું વર્ષો સુધી સંપાદન પણ કર્યું. ચાચાજીને રવિન્દ્ર ભવન ના ઇન્ચાર્જ તરીકે પણ નીમવામાં આવ્યા. આમ શાંતિનિકેતનમાંથી ઘડાયને સંવર્ધિત થઈને ચાચાજી વિશ્વ પ્રવાસે નીકળ્યા.
ગુરુ દયાળ મલિક ચાચાજી નું સમગ્ર જીવન અનેક અનુભવો અને ચમત્કારોથી ભરેલું છે પરંતુ એ ચમત્કારોની તેઓની અનુભૂતિને તેઓએ ભાગ્યે જ ક્યાંક વ્યક્ત કરી છે. બારડોલીના સાક્ષર દંપતિ મુકુલ કલાર્થી અને શ્રીમતી નિરંજન કલાર્થી સાથેનો ચાચાજી નો આત્મીય ઘરોબો હતો અને તેમની સાથે તેમને ત્યાં રહીને ચાચાજીએ પોતાના સંસ્મરણોનું વર્ણન કરેલ. તેના ઉપરથી ૧૯૬૭માં “પ્રભુકૃપા કિરણ” નામથી એક સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે, જે વાંચવું એ જીવનનો એક લ્હાવો બની રહેશે.
ઇશોપનિષદ, બાઇબલ ,ગુરુદેવની ગીતાંજલિ , તુલસીકૃત રામાયણ, રસ્કિનનું સીસેમ એન્ડ લીલીઝ , જ્હોન ગ્લાસવોર્ધી ના નાટકો, કબીર-મીરાં અને દાદુના ભજનો, બાઉલના ગીતો, ખ્વાજા હસન આઝમીના ઉર્દુમાં નિબંધો તથા ખાસ કરીને તેમનું કૃષ્ણ ચરિત્ર, સિંધના સૂફી કવિ ઓ શાહ લતીફ , સચ્ચ કુતુબ અને સામી ની કવિતાઓએ પણ ચાચાજી ઉપર જબરો પ્રભાવ પાડ્યો છે.
અંગ્રેજીમાં ચાચાજીના પુસ્તક ઉપરથી અક્ષર ભારતી પ્રકાશન દ્વારા “મરુભૂમિના દિવ્ય દરવેશ” નામથી એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ છે અને એમાં સુફીઝ્મ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વિચારો મૂળ તો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આગ્રહથી વિશ્વભારતી શાંતિનિકેતનમાં તેઓએ સુફીઝ્મ ઉપર પ્રવચનોની એક માળા રજૂ કરી તેનો ગુજરાતી અનુવાદ છે. ચાચાજીને આધ્યાત્મિક પાસાંથી ઓળખવા હોય તો આ નાનકડી પુસ્તિકા બહુ જ સહાયક પુરવાર થઈ શકે તેમ છે.
ચાચાજીને ભજન ગાતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. એમણે પોતે ઘણા ભજનો રચેલા, પરંતુ એક ચોપડીમાં રાખેલા અને એ ચોપડી બીજા પુસ્તકોની સાથે પાકિસ્તાનમાં રહી ગઈ એટલે ચાચાજી પાસે કોઈ સંગ્રહ ઉપલબ્ધ ન હતો, પણ પોતાની યાદદાસ્તને આધારે ચાચાજી ભજન ઘણીવાર બોલતા અને એ “પ્રભુકૃપા કિરણ”માં નોંધવામાં આવ્યા છે. ચાચાજી પોતેજ પોતાના ભજનોનું અંગ્રેજી-હિન્દી-ગુજરાતી એમ કરતા હતા. આપણે ચાચાજીના જીવનને જાણવા માટે એ સમજવું જરૂરી છે કે, તેઓએ જે કોઈ રચનાઓ કરી એમની પાછળ પણ કોઈ દિવ્ય સંકેતો હતા. એક ઉદાહરણ લઈએ તો તેમનું એક સુંદર ભજન::
જિસને અપની ખુદી ગવાઈ, ઉસને જાની સચ્ચી ખુદાઈ,
ખુદા નહી દૂર બાદલોમેં , વો તો તેરે પાસ બગલમેં,
ખુદા નહીં મંદિર મસ્જિદ મેં, વો તો દર્દી કે દુખ દરદમેં ,
ઉસ દરદ દુઃખકો દૂર કરના, ઉસમેં ખુદા બસતા હૈ ભાઈ,,
આ ભજનની ભૂમિકા સમજાવતાં ચાચાજીએ કહ્યું : “આ ગીત મને પંજાબની એક હોસ્પિટલમાં સ્ફૂર્યું હતું .જ્યારે એક ગરીબ માણસનું ઓપરેશન એક મોટો સર્જન પૈસા લીધા વિના કરી રહ્યો હતો અને હું ઓપરેશન થિયેટરની બહાર પ્રાર્થનામાં બેઠો હતો, ત્યારે આ પંક્તિઓ મારા હૃદયમાં આવી હતી !”
ગુરુ દયાલ મલિક આમ તો જીવનભર “ચાચાજી’ ના નામે ઓળખાયા. કારણ તેઓ બાળસહજ હતા. બાલોચિત્ત વિનોદ, બાળક જેવું મુક્ત હાસ્ય, બાળમસ્તી, બાળકની જેમ નાચ કુદ અને જાતજાતના ચાળા. ચાચાજી જ્યાં હોય ત્યાં કિલ્લોલ જ કિલ્લોલ !! મન માં કશો ભેદભાવ નહીં , રાયરંક કે કાળા ગોરા, ઊંચનીચ એવું કશું જ ન મળે. ગુરુ દયાળજીની એક જ વાત કે : આપણે બધા એક જ પિતાનાં સંતાન !! આવા ચાચાજીને જોતા જ દેશ-વિદેશમાં સૌ ટોળે વળે.
ફિલાડેલ્ફિયામાં ચાચાજી એક બાલમંદિરમાં ગયા. જાન્યુઆરી મહિનો. ચાચાજી એક બાજઠ પર બેઠા અને એક પછી એક બાળક આવીને તેઓની સફેદ લાંબી દાઢી પર હાથ ફેરવી જાય. રૂપેરી સુંવાળી દાઢી પર હાથ ફેરવીને સૌ બોલે : ઓહો, સાન્ટા ક્લોઝ, યુ આર લેટ !! નાતાલ તો હમણાં જ ગઈ અને આ સાન્ટા ક્લોઝ જેવા ચાચાજી કેમ મોડા આવ્યા ???
માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના ‘શક્તિ’ અને મનોબળ ‘મહાશક્તિ’ છે. શાળાનું શિક્ષણ ચાચાજી એ ડેરા ઈસ્માઈલખાન અને કોલેજનું શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી લીધું હતું. કિશોરવયથીજ ગુરુ દયાલ મલિકને આધ્યાત્મિક અનુભવોમાં રસ હતો અને એવા અનુભવો તેઓને થતા પણ હતા. ચાચાજીના વ્યક્તિત્વ પર અનેક સંતો-ચિંતકો અને ઉત્તમ ગ્રંથોની અસર પડેલી. તેઓને ગાંધીજી અને ગુરુદેવ ટાગોર પ્રત્યે ઉત્કટ અનુરાગ હતો. શાંતિનિકેતનમાં તેમણે અધ્યાપન કરેલ. ચાચાજી અનેક ભાષાઓ જાણતા હતા. સિંધી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી ભાષાઓ ઉપર તો તેઓનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમના અનેક પુસ્તકોમાંથી (1) ધ ડિવાઇન ડવેલર્સ ઈન ધ ડેઝર્ટ (2) ઈન ધ કંપની ઓફ સૈન્ટ્સ (3) ગાંધી એન્ડ ટાગોર (4) સમ સ્ટોરીઝ ઓફ પ્રેમચંદ (5) દિલ કી બાત (6) ગાંધીજી સાથે જીવન યાત્રા અને કેટલાય સંતપુરુષો સાથેના તેઓના સંસ્મરણોનાં પુસ્તકો મુખ્ય છે. ચાચાજી શાંતિના ચાહક હતા, પ્રેમના વાહક હતા, અનાસક્ત યોગી હતા, જાણે કે સૂફી દરવેશ હતા. સુફી સંતનાં સુવાસ અને ઔદાર્ય તેમનામાં સહજ રીતે જોઈ શકાતા હતાં !
ચાચાજીનું સાચું સ્વરૂપ બહુ જ આધ્યાત્મિક.. તેઓશ્રી નાના-મોટા સૌના પ્રેમાળ વડીલ- ગુરુજન અને ચાચાજી જ હતા. તેથી સૌ કોઇ દુઃખમાં-સંકટમાં-મુશ્કેલીમાં-મૂંઝવણમાં- હતાશામાં-અકળામણમાં ચાચાજી પાસે દોડી જાય અને પોતાના હૈયાનું દુઃખ-અકળામણ- મૂંઝવણ તેઓની આગળ ઠાલવવા મંડી પડે.. ચાચાજી પણ વહાલસોઈ મા હોય એમ ધીરજથી-પ્રેમથી-સહાનુભૂતિથી-આંખમાં ઝળઝળિયા સાથે બધું સાંભળે અને દુખીયાના દુખને-અકળામણને અને મૂંઝવણને હળવી કરી દે. ચાચાજી આવા સમયે ભાગ્યે જ કશું બોલે કે માર્ગદર્શન આપે, પરંતુ તેમના ચહેરા પર સહાનુભૂતિભરી સમ-સંવેદનાત્મક રેખાઓ અંકાઈ જાય. મુખમાંથી ઊંડો નિશ્વાસ નીકળી જાય અને તેઓનું હૈયું ભગવાનને પ્રાર્થના કરતું થઇ જાય. એના પ્રભાવથી જ દુઃખી માણસને અંદરથી શાંત્વના મળી જતી હોય એવું આપણને લાગે !
ચાચાજીનું પોતાનું સૌથી મોટું પ્રેરક બળ પ્રભુપ્રાર્થના છે. આપણી વાત સાંભળીને તેઓ એમ જ છેવટે કહે: “પ્રભુને હું પ્રાર્થના કરીશ કે તમારું દુઃખ દૂર કરે” “હું આજે પ્રાર્થનામાં તમને યાદ કરીને પ્રભુના ચરણમાં અરજ ગુજારીશ.” કોઈ કોઈ વાર તો ઊંડા નિશ્વાસ સાથે તેઓ ઘેરા અવાજે ફક્ત એટલું જ બોલે: “મા, મા”.. ચાચાજી કહેતા: “ મારા જીવનમાં જે કંઈ બનવા પામ્યું છે એ પરમ કૃપાળુ પ્રભુની કૃપાનું કિરણ છે. ગુરુદેવ રવીન્દ્રનાથે “ગીતાંજલિ” માં ગાયું છે એમ, હું તો કહું છું કે હું માત્ર વાંસળી જેવો છું, એમાં સૂર પુરનાર તો કેવળ પ્રભુ જ છે !!”
આપણી ભાષાના સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર ગુરુદયાળજીને આ રીતે ઓળખાવે છે: “ગુરુદયાળજી અધ્યાત્મ માર્ગના પ્રતીક છે. એ માર્ગની એમણે ઠીક યાત્રા કરી છે. મુકામે પહોંચ્યા પણ હશે. પુરા પહોંચ્યા ન હોય તો એ મુકામ ની ઝાંખી એમને થઈ જ છે, કેમ કે એની મસ્તી એમના ચહેરા પર અને તેમના વર્તનમાં દેખાય આવે છે. ગુરુદયાળજી સ્વભાવે ભાવુક-ભક્ત છે અને એમની ભક્તિભાવના ખરેખર ચેપી છે. એ ભક્તિ ભાવનાં આવેગ અને આક્રમણ તળે એમની વિદ્વતા, એમનું જ્ઞાન અને દુનિયાનો વિશાળ અનુભવ બધું દબાઈ જાય છે, દટાઈ જાય છે અને કેવળ પ્રભુ આશિક-ભક્ત જ આગળ તરી આવે છે.
મલિકજી એક સુફી સંત પાસેથી ગૂઢ શક્તિઓ મેળવવાનો એક મંત્ર માગે છે પણ એ સાધના પોતે પૂરી કરી શક્યા નહીં, છતાં થોડાક ચમત્કારો થવા લાગ્યા અને એમાંથી અહંકાર જાગ્યો, એટલે અકળાઈને એમણે એ શક્તિઓ મંત્રના સ્વામી ભગવાન ને પાછી સોંપી દીધી !! ચમત્કારની બાબતમાં ચાચાજી જે નિર્ણય ઉપર આવ્યા છે તે ઘણું મહત્વનું છે એટલે એમના જ શબ્દોમાં અહીં ટાંકીએ:
“એક દિવસે એક ફકીર ઘર પાસેના રસ્તા પરથી ગીત ગાતો ગાતો પસાર થયો. તે ગીતનો અર્થ હતો: “સાધકોની સિદ્ધિ ઓ એક નૃત્યકારનાં નખરાઓ જેવી છે, તેથી તે પોતાનું બાહ્ય રૂપ દેખાડે છે એવા નખરાઓ અને સાચા નૃત્યમાં જમીન–આસમાનનો ફેર છે”.. તે દિવસથી કદી પણ સિદ્ધિ મેળવવાની મેં ઈચ્છા નથી રાખી અને સિદ્ધિઓની કાંઈ વિશેષ અગત્ય આધ્યાત્મિક જીવનમાં નથી એ પણ હું સમજી ગયો છું..!”
આવા ભાગ્યે જ મળે તેવા આધ્યાત્મિક સંત ફકીર ચાચાજી ને આપણે પ્રણામ કરીએ.
ભદ્રાયુ વછરાજાની,
24 કેરેટ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 404,
ક્રિસ્ટલ મોલ અને જ્યોતિ નગરની પાછળ,
રાજકોટ-360001.
by Bhadrayu Vachhrajani | Oct 7, 2025 | દીપોત્સવી લેખ |



ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે.
કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.
ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક–તમુક સમુદાયનો નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.
સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે.
એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, ‘હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી.’ અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે-સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત ગીતા દર્શન ના ત્રણ ગ્રંથો)
*************************************************************************************
ભદ્રાયુ વછરાજાની,
સી-404, 24 કેરેટ એપાર્ટમેન્ટ, ક્રિસ્ટલ મોલની પાછળ,
IOC કોલોની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-360005.
by Bhadrayu Vachhrajani | Jan 6, 2025 | દીપોત્સવી લેખ |

અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
શ્રી માતાજી (પોન્ડિચેરી) પુષ્પોને ઈશના પ્રતિનિધિ તરીકે સન્માન આપતાં હતાં, એ સ્મરણમાં રાખીને હું ફૂલોની છાબમાં પ્રતિ પળના સમાચારનાં પુષ્પો ભરી લાવતા ફૂલછાબ દૈનિકને ‘શુભ થાઓ’ નું પુષ્પ અર્પણ કરું છું.
શ્રી માતાજી દ્વારા આપણને એક સુંદર પુસ્તક મળેલ છે : ‘સુંદર કથાઓ’. ફેબ્રુઆરી, 1950માં આ પુસ્તક વિષે ટૂંકાક્ષરી માં શ્રી માતાજી કહે છે કે, ‘આ વાર્તાઓ એટલા માટે લખાઈ છે કે એ દ્વારા બાળકોને પોતાનું સ્વરૂપ ઓળખવામાં મદદ થાય અને તેઓ સત્ય સૌંદર્યના માર્ગે જતાં શીખે.’ શ્રી માતાજીના બાળકો એટલે આપણે સૌ !!આપણને પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખાયું છે ?
“રંતિદેવ એ રાજા હતા અને સાધુ થઈને જંગલમાં રહેતા હતા. એમણે પોતાનું ધન ગરીબોને આપી દીધું હતું અને જંગલના એકાંતમાં સાધુ જીવન ગાળતા હતા. એ અને એમનું કુટુંબ જીવન માટેની ઓછામાં ઓછી જરૂરીયાતો મેળવીને કામ ચલાવતા હતા.
એક દિવસ રંતિદેવ રાજાએ અડતાલીશ કલાક ઉપવાસ કર્યા. પછી એમને માટે ભાત, દૂધ અને ખાંડ નું બનાવેલું ભોજન તૈયાર કરવામાં આવ્યું. ત્યાં એમની કુટીરના બારણા પાસે એક ગરીબ બ્રાહ્મણ આવીને ઉભો રહ્યો અને તેણે ભિક્ષાની માગણી કરી. રંતિદેવે પોતાના ભાતમાંથી અડધો ભાગ એને આપ્યો. તે પછી એક શુદ્ર કંઇક માંગતો માંગતો આવ્યો અને જે બાકી રહ્યું હતું તેમાંથી અડધો ભાગ રંતિદવે તેને આપ્યો.
એ પછી રંતિદેવે જોયું કે, એક કૂતરો ભસી રહ્યો છે. એ બિચારું પ્રાણી ખૂબ ભૂખ્યું હોય તેમ લાગતું હતું. રંતિદેવે જે કાંઈ વધેલું હતું તે તેને આપી દીધું. છેવટે પછી એક અંત્યજ સાધુ એમના દ્વાર ઉપર આવ્યો અને મદદ માટે યાચના કરી. રંતિદેવે એને દૂધ અને ખાંડ આપી દીધા અને ઉપવાસ ચાલુ રાખ્યો.
એ પછી ત્યાં ચાર દેવો આવ્યા અને રંતિદેવને કહેવા લાગ્યા:: “ રંતિદેવ, તમે જે ભોજન કરાયું છે તે અમને કરાવ્યું છે. અમે બ્રાહ્મણ, શૂદ્ર, શ્વાન અને ગરીબ અંત્યજ નું રૂપ ધારણ કરીને તમારી પાસે આવ્યા હતા. તમે અમારા સૌને માટેનું સારું કાર્ય કર્યું છે અને તમારામાં રહેલા પ્રેમ પૂર્ણ વિચારો માટે અમે તમારી પ્રશંસા કરીએ છીએ.’
આ ટચુકડી વાર્તા કહીને શ્રી માતાજી નોંધે છે :: એક પ્રેમ ભરેલું હૃદય સર્વ મનુષ્યો અને પ્રાણીઓને પણ એક જ કુટુંબના હોય તે રીતે એક જ માનવતા તરીકે નિહાળતું હોય છે.
ધન કમાઈ શકાય, વાપરી શકાય, વેડફી શકાય, સંગ્રહી શકાય અરે, તમે તેનું ધારો તે કરી શકો,,પણ ધનને જયારે સન્માર્ગે, અન્યાર્થે, કલ્યાણાર્થે વહેતું મૂકી શકો ત્યારે તે ધન ખરેખર ધન રહેતું નથી, પરંતુ એ ધન લક્ષ્મી બની જાય છે.
કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને ‘લક્ષ્મી’ કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. ધનને જે સત્કાર્યે વાળે છે તે ‘લક્ષ્મી’ જ્યાં આવે છે એને લક્ષ્મીવાન કે શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે. અમીરાઈ આપણને ધનવાન બનાવે, પણ દરિયાઈ દિલેરી આપણને લક્ષ્મીવાન બનાવે છે.
ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે. મૂર્ખતાનું એક ઉદાહરણ આપણને મહાકવિ ખલિલ જિબ્રાન તેની નાનકી પુસ્તિકા “પ્રકૃતિનાં સંતાન અને પાગલ” માં આ રીતે આપે છે:
“એક શિયાળે સૂર્યોદય સમયે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, આજે તો ભોજનને માટે એક ઊંટ જોઈશે અને આખી સવાર તે ઊંટ ની શોધમાં રખડયું પરંતુ બપોરે ફરી તેણે પોતાનો પડછાયો જોયો અને કહ્યું, એકાદ ઉંદર મળશે તોય ચાલશે !”
કેટલીક શાસ્ત્રીય વાતો મુજબ લક્ષ્મી હિંદુ ધર્મમાં કહ્યા પ્રમાણે સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી છે. ‘લક્ષ્મી’ શબ્દ સૌપ્રથમ ઋગ્વેદમાં નિર્દેશાયો છે. ત્યાં તે શોભા, સૌન્દર્ય વગેરેનો દ્યોતક છે. તેનો અર્થ સદનસીબ પણ થાય છે; પરંતુ પાછળથી સમૃદ્ધિ કે સંપત્તિનો ભાવ તેમાં ઉમેરાયો અને સુખ તથા સમૃદ્ધિની દેવી તરીકે તેનો મહિમા સ્વીકારાયો. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. લક્ષ્મીનાં વિવિધ નામોમાં ‘શ્રી’, ‘પદ્મા’, ‘ઇન્દિરા’, ‘કમલા’, ‘ચપલા’, ‘ચંચલા’, ‘સિંધુસુતા’, ‘હરિપ્રિયા’ વગેરે વિશેષ જાણીતાં છે.
આપણાં શાસ્ત્રો ધનના ઉપાર્જન માટેની કેટલીક આચારસંહિતા પણ સ્પષ્ટ સમજાવે છે. ધન ઉપાર્જન કરવાના અનેક માર્ગો છે. આસુરી પ્રવૃતિઓથી પણ ધન મેળવી શકાય છે અને આજે કળિયુગમાં તો એ માર્ગ વિશેષ સુલભ બન્યો છે, ત્યારે મગજમાં ઉતારી લેવું પડે કે દૈવી કે સન્માર્ગની પ્રવૃતિઓ દ્વારા જે ધન ઉપાર્જન થાય તેને જ લક્ષ્મી કહેવાય છે. ધર્મ વડે ધન મેળવવા માટેનો શ્લોક પણ છે :
धर्मार्जितभोगेन वैराग्यमुपजायते । विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।
અર્થાત ‘ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.’ એવું विद्येश्वर संहिता 13 । 51 – 52 માં દર્શાવેલ છે. તો અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ સમય તાકતું નથી, તેવી ચેતવણી પણ શાસ્ત્રો આપે છે.
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति । प्राप्ते चैकादशे वर्षे समूलं तद् विनश्यति ।।
‘અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપાર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ દસ વર્ષ ટકે છે, જેવું અગિયારમું વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.’ એવું चाणक्य नीति – 15.6 માં દર્શાવેલ છે.
ઋગ્વેદમાં આવતા ‘શ્રીસૂક્ત’માં ઐશ્વર્યના પ્રતીકરૂપ દેવતા તરીકે લક્ષ્મીનું નિરૂપણ છે. વાલ્મીકિ રામાયણ (બાલકાંડના પીસ્તાલીશમાં શ્લોકમાં )મા લક્ષ્મીને ‘શુભ્રવસ્ત્રધારિણી’, ‘તરુણી’, ‘મુકુટધારિણી’, ‘કુંચિતકેશા’, ‘ચતુર્હસ્તા’, ‘સુવર્ણકાન્તિ’, ‘મણિમુક્તાદિભૂષિતા’ વગેરે નામોથી નિર્દેશેલ છે. તે પછી પુરાણોમાં લક્ષ્મીને ‘કમલાસના’, ‘કમલહસ્તા’, ‘કમલમાલાધારિણી’ તથા ‘સદા વિષ્ણુના વક્ષ:સ્થલમાં રહેતી’ વર્ણવી છે. લક્ષ્મીની ઉત્પત્તિ અંગે પ્રચલિત માન્યતા મુજબ તે સમુદ્રમંથન દ્વારા ઉદભવેલ ચૌદ રત્નો પૈકીનું એક રત્ન છે, જેનો ભગવાન વિષ્ણુએ પત્નીરૂપે સ્વીકાર કર્યો. ત્યારબાદ તેમણે ક્ષીરસાગરમાં નિવાસ કર્યો. તૈત્તિરીય સંહિતામાં લક્ષ્મી અને શ્રી બંને આદિત્યની પત્નીઓ હોવાનું કહ્યું છે.
એક મત મુજબ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર, આરોગ્ય, આશ્રય, આવરદા, ઉદ્યમ, સંતોષ અને જ્ઞાનને લક્ષ્મી કહે છે. લક્ષ્મી એટલે કેવળ ધન કે નાણું કે રૂપિયા પૈસા જ નહિ, પણ.. મહાભારત(શાન્તિપર્વ 124–45–60)માં આવતા લક્ષ્મી-પ્રહલાદ સંવાદ મુજબ, તેજ, ધર્મ, સત્ય, વૃત્ત, બલ અને શીલ જેવા માનવીય ગુણોમાં લક્ષ્મી રહે છે. અન્યત્ર (શાન્તિપર્વ–21) લક્ષ્મી-ઇન્દ્ર સંવાદમાં જણાવ્યું છે કે, પૃથ્વીનાં સૌ નિવાસસ્થાનોમાં ભૂમિ, જલ, અગ્નિ અને વિદ્યા એ ચાર સ્થાન લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે. વળી, સત્ય, દાન, વ્રત, તપસ્યા, પરાક્રમ અને ધર્મ જ્યાં વાસ કરે છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે. દાનધર્મપર્વ–82 માં કહ્યા પ્રમાણે, ગાય અને ગોબરમાં પણ લક્ષ્મીનો નિવાસ છે.
સામાન્ય જનમાનસની વ્યવહારુ સમજ એ છે કે જે ઘરમાં વડીલોનાં પૂજા-સત્કાર, આદર-સન્માન થતાં હોય, અનાજ સુસંસ્કૃત અને નીતિથી પેદા કરેલું હોય અને ક્લેશ કદી ન થતો હોય ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે.
‘શ્રીસૂક્ત’ પ્રમાણે આનંદ, કર્દમ, શ્રીદ અને ચિકિલત એ તેનાં સંતાન છે. તો અન્ય એક સંદર્ભ અનુસાર ધર્મ, અગ્નિ, રાજા અને ચોર – એ ચાર લક્ષ્મીના પુત્રો છે. આમ છતાં ચોરી, વાસના, અપવિત્રતા અને અશાંતિ પ્રત્યે ઘૃણાને લીધે લક્ષ્મી પોતાને પ્રિય એવાં ભૂમિ વગેરે સ્થાનોનો ત્યાગ પણ કરે છે.
સહજ પ્રશ્ન થાય કે લક્ષ્મી દેવીનું વાહન ઘુવડ કેમ છે ? ધાર્મિક ગ્રંથો અનુસાર, એકવાર બધા દેવી-દેવતાઓ પૃથ્વી પર ફરવા આવ્યા. તે સમયે તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ દેવતાઓને વિનંતી કરી કે, તેઓ તેમને તેમના વાહન તરીકે પસંદ કરે અને દાન કરે. બધા દેવતાઓએ પોતાનું વાહન પસંદ કર્યું, પરંતુ માતા લક્ષ્મી લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યા. મા લક્ષ્મીએ પોતાના વાહન માટે કોની પસંદગી કરવી તે વિચારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તમામ પશુ-પક્ષીઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે માતા લક્ષ્મીજીએ બધાને શાંત કર્યા અને કહ્યું કે, દરેક કારતક અમાવસ્યાએ તે પૃથ્વી પર ફરવા આવશે, પછી તે પોતાનું વાહન પસંદ કરશે. ત્યારપછી જ્યારે કારતક અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તમામ પશુ-પક્ષીઓ દેવી લક્ષ્મીની પ્રતિક્ષા કરવા લાગ્યા.
પરંતુ અમાવસ્યાની અંધારી રાત્રે સૌ કોઈ જોઈ શક્યા ન હતા. આવી સ્થિતિમાં જ્યારે રાત્રે માતા લક્ષ્મી આવ્યા તો ઘુવડ તેની તીક્ષ્ણ આંખોથી તેને જોઈને તેની નજીક પહોંચી ગયું. ઘુવડ એ હકીકતનું ઉદાહરણ બની ગયું છે કે જ્યારે તે ખૂબ જ અંધારું હોય છે, ત્યારે જ વસ્તુઓને જોવાની અને સમજવાની અસાધારણ ક્ષમતા જ કામ આવે છે. પછી ઘુવડએ દેવી લક્ષ્મીને પોતાનું વાહન બનાવવાની વિનંતી કરી. જેના પર માતાએ ખુશ થઈને ઘુવડને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. આ રીતે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન બની ગયું. શાસ્ત્રોમાં પણ ઘુવડને વિશેષ ક્ષમતા અને અનોખા અભિગમ ધરાવતું પક્ષી માનવામાં આવ્યું છે, જે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક વિચારની નિશાની છે.
આશ્ચર્ય થાય તેવી વાત છે કે, માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુ:ખોના સમયમાંથી પસાર થાય છે. દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે, જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે. જ્યાં લોકો સાફ-સુથરા રહે છે, એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મુખ્ય દ્વાર પર લીંબુ ને મરચાં લટકાવી રાખવાનું સૌ પસંદ કરે છે.
આ વિસ્તૃત લેખના સમાપને ફરી યાદ કરીએ ખલીલજીબ્રાનને…
જિબ્રાન આપણને પુણ્યેશ્વર અને પાપેશ્વર ની ઘટના કહે છે.
પુણ્યેશ્વર અને પાપેશ્વર ગિરિશૃંગ ઉપર મળ્યા.
પુણ્યેશ્વરે કહ્યું, “દેવબંધુ, આપને મારા નમસ્કાર.”
પાપેશ્વરે કશો જવાબ વાળ્યો નહીં
અને પુણ્યેશ્વરે કહ્યું, “આજે આપ નાખુશ જણાવ છો.”
પાપેશ્વરે કહ્યું, “હમણાં હમણાં લોકો મને ભ્રમથી પુણ્યેશ્વર તરીકે ઓળખી રહ્યા છે. તમારે જ નામે બોલાવતા થયા છે અને જાણે કે હું પોતે જ પુણ્યેશ્વરે હોઉં એ રીતનું મારા તરફ વર્તન પણ કરી રહ્યા છે. આ બધું મને બેચેન બનાવી મૂકે છે.”
અને પુણ્યેશ્વરે કહ્યું”,.. અને મને લોકો ભ્રમથી પાપેશ્વર તરીકે ઓળખવા લાગ્યા છે અને તમારે જ નામે બોલાવતા થયા છે.”
મનુષ્યની મતિ હીનતા ઉપર શાપ વરસાવતો પાપેશ્વર ત્યાંથી ચાલતો થઈ ગયો !!
જીબ્રાનની આ ઘટના આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ગલત માર્ગે ધન આવતું થાય પછી આપણો અહંકાર આપણને તે માર્ગ છોડવા દેતો નથી. આપણો ઠસ્સો, આપણું અભિમાન, આપણા ધનનો નશો પાપેશ્વર તરીકે વર્તવાને માટે જ દોરી જાય છે.
by Santulan | Sep 24, 2023 | દીપોત્સવી લેખ, વિશેષ લેખ |
જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ એક નથી. બહુ ફર્ક છે, શિક્ષણ અને કેળવણીમાં.
ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે :
ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ
ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ.
કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે. તેટલું ઘણું છે. હવે કંઈ વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે ‘આ કેવી રીતે શક્ય છે ?’ જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો..
શિક્ષણ એટલે જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને કેળવણી એટલે જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ. બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ.
અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે જે ભણાવવામાં આવે તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી. મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું, તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય.
કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય. પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું. મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે. હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’ એમણે જવાબ આપ્યો : ‘ પપ્પા, હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’ મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે, ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’ મેં કીધું, ‘ આપણે તો આપણું કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’ તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’ મેં કહ્યું કે, ‘તો આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’ તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં હું તમને એક જગ્યાએ લઇ જઈશ’ અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself, જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે, મારે શું જોઈએ છે ? ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ.. તો કહે, તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ લીધી, તેની કિંમત ચૂકવી દીધી અને મને કહે, ચાલો આપણું કામ પૂરું. આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે લઈ જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી. હવે સમજાયું કે કેમ કોઈ કશું કરવા ઘરે ન આવે.
હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે, અહીં સફરજનના મોટા મોટા બાગ છે. તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે. અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે. છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે, એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.
તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ નથી, કેળવણી શબ્દ જ વાપર્યો છે. તો Education એ શિક્ષણ છે, પણ Training એ ખરેખર કેળવણી છે. કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી શકીએ જો કરવાનું શીખ્યા હોઈએ ..
હવેના મા બાપે પણ સમજવું પડશે કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે અને કહે કે, આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં વિનોબાજીએ કહ્યું છે કે, ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’ આ કેળવણી છે. હું મારું કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે
સાફ કરવાનું.. મારા કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.
શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain) જ્ઞાનાત્મક એટલે મસ્તક, અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે: ‘તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’
કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’. એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું, ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે. એના બદલે હું એક કપડું મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી હું રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ ને ? પણ એ માટે આપણે જ કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી.
**********************************************************************************
ભદ્રાયુ વછરાજાની, પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર. મોબ. 9898920333