ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.

દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.

પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.

પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.

શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”

સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…