દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે !

ભદ્રાયુ વછરાજાની                                            bhadrayu2@gmail.com 

(23) 

વિનોબાજી કહે છે કે, “એક વખત હું રેલવે ગાડીમાં જતો હતો. ગાડી જમનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ દિલમાં ઉમળકો આવ્યો એટલે એક પૈસો નદીમાં નાખ્યો. પાસે બીજા એક ચીકણા ટીકાખોર ગૃહસ્થ બેઠા હતા. તે બોલ્યા, “મૂળમાં દેશ આપણો ગરીબ અને આવા લોકો નકામા પૈસા ફેંકી દે છે.” મેં તેમને કહ્યું, “તમે એ ભાઈનો હેતુ સમજ્યા નથી. જે ભાવનાથી તેણે એ પૈસો ફેંક્યો તેની કિંમત બેચાર પૈસા ખરી કે નહીં? બીજા સારા કામમાં એ પૈસા તેણે વાપર્યા હોત તો વધારે સારું દાન થાત. પણ એ બધી વાત પછી. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરુણા વહી રહી છે એમ માની એ ભાવિકના મનમાં કંઈક ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ત્યાગ કર્યો. એ ભાવનાને તમારા અર્થશાસ્ત્રમાં કંઈ સ્થાન કરું કે ? પોતાના મુલકની એક નદીના દર્શનથી તેનું દિલ પીગળ્યું, એ ભાવના તમને સમજાશે પછી હું તમારી દેશભક્તિની પરખ કરીશ.” દેશભક્તિ એટલે શું કેવળ રોટલો? દેશની મહાન નદી જોઈને લાવ બધી સંપત્તિ તેમાં ડુબાવી દઉં, તેના ચરણમાં અર્પણ કરું એવું મનમાં થાય એ કેવડી મોટી દેશભક્તિ છે ! આવડો મોટો આ સૂર્ય ઊગ્યો છે, આવી આ સુંદર નદી દેખાય છે, એમાં પરમેશ્વરનો અનુભવ નહીં થાય તો ક્યાં થશે ? પેલો અંગ્રેજ કવિ વડર્ઝવર્થ દુઃખી દિલથી ગાય છે, “પહેલાં હું મેઘધનુષ્ય જોતો ત્યારે નાચી ઊઠતો. મારા દિલમાં ઉમળકો આવતો. આજે હવે હું કેમ નાચી ઊઠતો નથી ? પહેલાંના જીવનની માધુરી ખોઈને હું જડ પથરો તો નથી બની ગયો?”

ટૂંકમાં, જીવ ગમે તે હોય અને ગમે તેવડો હોય પણ પરમેશ્વરના દરબારમાં એક વાર પેઠો એટલે તે માન્ય થઇ જાય છે. સકામ ભક્તિની પણ ઈશ્વર કદર કર્યા વગર રહેતો નથી. આગળ ઉપર તે જ ભક્તિ નિષ્કામ થઈને પૂર્ણતા તરફ આગળ વધે છે. 

હવે નિષ્કામ ભક્તિ કરનારની વાત જાણીએ. એમાં વળી એકાંગી અને પૂર્ણ એવા બે પ્રકાર છે, એકાંગીના  પાછા ત્રણ પ્રકાર છે, પહેલા આર્ત ભક્તો. આર્ત એટલે ભીનાશ જોનારો, ઈશ્વરને માટે રડનારો, બેબાકળો થનારો જેમ કે નામદેવ. એમાં બીજો પ્રકાર છે જિજ્ઞાસુ એમાંના  કોઈને ગૌરીશંકર ફરી ફરીને ચડવો છે, તો કોઈને ઉત્તર ધ્રુવની  શોધમાં નીકળી પડવું છે, તો કોઈને વળી જ્વાળામુખીની અંદર ઉતરી પડવું છે જિજ્ઞાસુ ભક્તની પાસે અદમ્ય જિજ્ઞાસા હોય છે. તે દરેક વસ્તુના ગુણધર્મની ખોજમાં રહે છે. માણસ નદીમુખેથી સાગરને મળે છે તેમ જિજ્ઞાસુ પણ છેવટે પરમેશ્વરને મળે છે. ત્રીજો પ્રકાર તે અર્થાર્થી. અર્થાર્થી એટલે દરેકે દરેકે વાતમાં અર્થ શોધનારો. યાદ રાખજો હો,  અહીંયા અર્થ એટલે પૈસો નહીં અર્થ એટલે હિત, કલ્યાણ. આનાથી સમાજનું કલ્યાણ થશે તે પ્રશ્ન તેનો કસોટી પ્રશ્ન છે, મારું લખાણ, મારું ભાષણ, મારું બધું કર્મ જગતના માંગલ્ય માટે છે કે નહીં એ વાત તે જોશે. બધી પ્રક્રિયાઓ તરફ પ્રેમની દ્રષ્ટિથી જોનારો હોય તે આર્ત છે, જ્ઞાનની દ્રષ્ટિથી જોનારો હોય તે જિજ્ઞાસુ છે અને સર્વના કલ્યાણની દ્રષ્ટિથી જોનારો હોય તો તે અર્થાર્થી છે. આ ત્રણેય ભક્તો નિષ્કામ ભક્ત ગણાય પણ એકાંગી…. એક કર્મ મારફતે, બીજો હૃદય મારફતે અને ત્રીજો બુદ્ધિ મારફતે ઈશ્વરની પાસે પહોંચે છે. હવે રહ્યો તે પ્રકાર પૂર્ણ ભક્તનો. આમ તો એને  જ્ઞાની ભક્ત કહી શકાય. ‘નર, નારી, બાળ બધાય નારાયણ છે એવું હે પ્રભુ મારું મન બનાવી દે..’. આવી સંત તુકારામ પ્રાર્થના કરતા . એને ગમે તે મળે કીડી, મંકોડી થી લઈને  ચંદ્ર સૂર્ય સુધી સર્વત્ર તેને એક જ પરમાત્મા દેખાય છે ને તેનું દિલ આનંદથી ઉભરાય જાય છે. પછી તેને પાર  વગરનું સુખ મળે છે. આનંદથી તેના હૃદયનો સાગર હિલોળે ચડે છે. આમ એક પરમાત્મા જ સર્વત્ર રમી રહ્યો છે એમ જોવાનો જ્ઞાની ભક્તનો અભ્યાસ કાયમ ચાલુ રહે છે, અને એવો અભ્યાસ કરતા કરતા એક દિવસ તે ઈશ્વરમાં મળી જાય છે. (ક્રમશ:)