આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણને  પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com 

                                              (18)

“કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંય ફોગટ જતું નથી,” આવી શ્રદ્ધા છઠ્ઠા અધ્યાયના અંતે ભગવાનશ્રી કૃષ્ણએ આપણને આપી છે. એમણે કહ્યું છે કે ‘અપૂર્ણ છેવટે પૂરું થશે.’  સાતમા અધ્યાયમાં વિકર્મનો એક નવો જ ભવ્ય ખંડ ઉઘાડવામાં આવ્યો છે. 

સૃષ્ટિદેવીના મંદિરમાં એકાદ વિશાલવનમાં જેમ તરહ તરહના મનોહર દેખાવો આપણને જોવા મળે છે એવું જ આ ગીતાગ્રંથનું છે. છઠ્ઠા અધ્યાયમાં એકાગ્રતાનો ખંડ ખુલ્યો તો હવે  એક નવા ખંડમાં આપણે પ્રવેશ કરીએ છીએ. 

સૃષ્ટિ માત્ર તે અંદર હોય કે બાહ્ય હોય એક જ એક અખંડ આત્માના અને એકની એક અષ્ટદા પ્રકૃતિના બેવડા મસાલામાંથી નિર્માણ થઈ છે. ક્રોધી માણસનો ક્રોધ, પ્રેમાળ માણસનો પ્રેમ, દુખિયાના રોદણા, આનંદી માણસનો આનંદ, આળસુ કે એદીનું ઊંઘવાનું વલણ, ઉદ્યોગી માણસનું કર્મ સ્ફુરણ એ બધું હકીકતમાં તો એક જ ચૈતન્ય શક્તિનો ખેલ છે. અંદરનું ચૈતન્ય જેમ એક છે એમ બહારના આવરણનું સ્વરૂપ પણ એક જ છે. ચૈતન્યમય આત્મા અને જળ પ્રકૃતિના આવા બેવડા મસાલામાંથી આખી સૃષ્ટિ જન્મી છે એવું સ્પષ્ટ રીતે ભગવાન શરૂઆતમાં કહી આપે છે. 

આત્મા અને દેહ, પરા અને અપરા પ્રકૃતિ બધે એક જ છે, તો પછી આપણે પ્રશ્ન થાય કે માણસ મોહમાં કેમ પડે છે ?  એને ભેદ  કેમ દેખાય છે ?  પ્રેમાળ માણસનો ચહેરો મીઠો લાગે અને બીજાનો કંટાળો આવે, એકને મળવાનું મન થાય તો બીજાને ટાળવાનું મન થાય એવું કેમ બને છે ? જવાબ સીધો છે. કાગળ એક જ છે, પેન્સિલ એક જ છે. અને ચિત્રકાર પણ એક જ છે અને છતાં ભાતભાતના ચિત્રોથી તરહ તરહના ભાવો ઉત્પન્ન થાય છે. એમાં ચિત્રકારની કુશળતા છે. 

આપણે એક હિન્દી ફિલ્મનું ગીત બરાબર યાદ કરીએ કે….

ये कौन चित्रकार है ये कौन चित्रकार

हरी भरी वसुंधरा पर नीला नीला ये गगन

के जिसपे बादलों की पालकी उड़ा रहा पवन

दिशाएं देखो रंग भरी

दिशाएं देखो रंग भरी चमक रहीं उमंग भरी

ये किसने फूल फूल से किया श्रृंगार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

 

तपस्वियों सी हैं अटल ये पवर्तों कि चोटियाँ

ये बर्फ़ कि घुमरदार घेरदार घाटियाँ

ध्वजा से ये खड़े हुए

ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के

गलीचे ये गुलाब के बगीचे ये बहार के

ये किस कवि की कल्पना

ये किस कवि की कल्पना का चमत्कार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

 

कुदरत की इस पवित्रता को तुम निहार लो

इनके गुणों को अपने मन में तुम उतार लो

चमका दो आज लालिमा

चमका दो आज लालिमा अपने ललाट की

कण कण से झाँकती तुम्हें छबी विराट की

अपनी तो आँख एक हैइसकी हज़ार है

ये कौन चित्रकार है ये कौन चित्रकार

ગીતકાર શ્રી ભરત વ્યાસના શબ્દો ‘બુંદ જો બન ગઈ મોતી’ ફિલ્મમાં ગવાયું. પણ  કેટલી મોટી વિસ્મયની સૃષ્ટિનું તેમાં વર્ણન છે !!   આપણે એ સ્પષ્ટ રીતે સમજી લેવાનું છે કે જેને આપણે માયા કહીએ છીએ કે માયાજાળ કહીએ છીએ એ પરમેશ્વરની શક્તિ છે, એની કળા છે, એની કુશળતા છે. એ કૈં  બહુ વર્જ્ય વાત નથી.  ભગવાનશ્રી કૃષ્ણ  એક વાક્યમાં કહે છે કે,  ‘જે માયાને તરી  જવા માંગે છે તેને મારે શરણે આવવું પડે.’ એટલે માયા એ બીજું કંઈ  નથી પણ ઈશ્વરની એક કલાનો સ્વીકાર છે. પરમેશ્વરને બરાબર ઓળખવા માટેનું મહાન સાધન તરીકે એક મહાન વિકર્મને સમજાવવાના આશયથી  આ સાતમા અધ્યાયમાં ભક્તિનો એક મહાન ખંડ ખોલી આપવામાં આવ્યો છે 

ચિત્તશુદ્ધિને માટે યજ્ઞ, દાન,  જપ, તપ, ધ્યાન, ધારણા અનેક વિકર્મ  બતાવવામાં આવ્યા છે. એ સાધનોને વિનોબાજી સોડા, સાબુ અને અરીઠાની ઉપમા આપે છે પણ ભક્તિ એ પાણી છે. સોડા, સાબુ અને અરીઠા સ્વચ્છતા લાવે છે પણ પાણી વગર તેનું કંઈ  આવતું નથી. પાણી ન હોય તો એ બધાને શું કરવા ?  સોડા, સાબુ અને અરીઠા નહીં હોય તો પણ એકલું પાણી નિર્મળપણું આપી શકે છે. પાણીની સાથે બધા આવે તો ‘અધિકસ્ય અધિકમ ફલમ’ જેવું થાય અને  દૂધમાં સાકર ભળે.  યજ્ઞયાગ, ધ્યાન, તપ એ બધામાં ઊંડો ઉમળકો ન હોય તો પછી ચિત્તશુદ્ધિ થાય કેવી રીતે ? આ ઊંડો ઉમળકો એટલે બીજું કશું નહીં પણ ભક્તિ…  ભક્તિ હશે તો મહાન ચિત્રકારની કળા જોવા મળશે,  તેના હાથમાં એક પીંછી જોવા મળશે. 

એક તત્વજ્ઞાનીને એક વખત લોકોએ જઈને પૂછ્યું ચાલો મહારાજ શહેરમાં આજે મોટી રોશની છે. તે તત્વજ્ઞાનીએ પૂછ્યું,  રોશની એટલે શું ? એક દીવો, તેની પછી બીજો, તેની પછી ત્રીજો એ પ્રમાણે લાખ, દસ લાખ, કરોડ જોઈએ તેટલા દીવા છે એમ માનો.  મેં તમારી રોશની જોઈ લીધી.!’ ગણિતની શ્રેણીમાં ૧ + ૨ + ૩ એમ અનંત સુધી સરવાળો મુકાય. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાણ્યું અને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પેલા દીવા એક પછી એક મૂકી દીધા પછી એમાં એટલું બધું તલ્લીન થઈ જવા જેવું શું છે ? પણ માણસને  આનંદ લેવાનું ગમે છે. વિનોબાજી  બહુ સુંદર કટાક્ષ કરે છે કે,  એ પહેલા લીંબુ લાવશે, પછી ખાંડ  લાવશે,  પછી બંનેમાં પાણી ભેળવશે અને પછી કહેશે, ઓહો શું મજાનું શરબત બન્યું છે !!  જીભને ચાખ ચાખ કર્યા સિવાય બીજો કોઈ  ધંધો નથી. (ક્રમશ:)