સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(14)
છઠ્ઠા અધ્યાયથી વિકર્મના પ્રકારો બતાવવાની શરૂઆત થઈ છે. વળી, અહીં માનસિક સાધના અંગે પણ સ્પષ્ટતા છે.
ગીતા કહે છે, ‘અરે જીવ, તું ઈશ્વર બની શકશે એવી દિવ્ય આકાંક્ષા રાખ. મન મોકળું રાખી પાંખ બરાબર મજબૂત રાખ…’
સાધનાના વિકર્મના જુદા જુદા પ્રકારો છે….
ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાન વિજ્ઞાન, ગુણ વિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે.. આ વિવિધ પ્રકારોમાંથી છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ નામનો સાધનાનો પ્રકાર વર્ણવ્યો છે.
ધ્યાનયોગમાં ત્રણ બાબતો મુખ્ય છે.
૧) ચિત્તની એકાગ્રતા
૨) (ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી) જીવનની પરિમિતતા એટલે કે તેનું માપસરપણું
અને
૩) સામ્યદશા અથવા સમદ્રષ્ટિ.
આ ત્રણ બાબત ન હોય તો સાચી સાધના ન થાય.
ચિત્તની ચંચળતા ઉપર અંકુશ રાખવાનો અર્થ જ ચિત્તની એકાગ્રતા છે.
જીવનની પરિમિતતા એટલે શું ? સર્વ ક્રિયાઓ માપસર હોય તે.. કોઈ વધુ નહીં કોઈ ઓછું નહીં.. અને સમદ્રષ્ટિ એટલે વિશ્વ તરફ જોવાની આપણી ઉદાર દ્રષ્ટિ. આ ત્રણ બાબતો મળે એટલે ધ્યાન યોગ થાય.
ચિત્ત એકાગ્ર થવું જોઈએ એટલે કે એની ચંચળતા ઉપર અંકુશ આવવો જોઈએ. બધી ક્રિયાઓ માપસર કરવી જોઈએ. અને સમગ્ર વિશ્વને ઉદાર દ્રષ્ટિથી જોવું જોઈએ. આ ત્રણેય સાધનાની કેળવણીને માટે બીજા બે સાધનો પણ છે. શ્રીમદ ગીતા તેને અભ્યાસ અને વૈરાગ્ય એવું નામ આપે છે. આમ ધ્યાનયોગના ત્રણ મુદ્દા અને પછી બીજા બે સાધનો એમ પાંચેય બાબતોની ચર્ચા છઠ્ઠા અધ્યાયમાં કરવામાં આવી છે.
ધ્યાનયોગનું પહેલું પગથિયું એટલે ચિત્તની એકાગ્રતા. કોઈપણ કામ કરીએ એમાં એકાગ્રતા ન પરોવીએ તો એ કામ યોગ્ય થતું નથી. વ્યવહાર કરીએ તો એમાં પણ એકાગ્રતા જોઈએ. ઘણા લોકો એવું માને છે કે વ્યવહારના નિયમો જુદા હોય અને પરમાર્થના નિયમો પણ જુદા હોય. એ સાચું નથી. વ્યવહાર શુદ્ધ કરવો તેનું જ નામ પરમાર્થ છે. કોઈ પણ વ્યવહાર કેમ ન હોય ? તેમાં જશ અપજશ તમારી એકાગ્રતા ઉપર આધાર રાખે છે. વેપાર, વ્યવહાર, શાસ્ત્ર શોધન, રાજકારણ, મુત્સદીગીરી ગમે તે લઈ લઈએ. દરેકમાં સફળતા મળશે તેનો આધાર તે પુરુષની ચિત્તની એકાગ્રતા પર છે.
એકાગ્રતાનો જથ્થો કેટલો હોય એનું એક ઉદાહરણ જોઈએ.
નેપોલિયન માટે એમ કહેવાય છે કે એક વખત યુદ્ધની વ્યવસ્થા ગોઠવી દીધા પછી રણક્ષેત્રમાં તે ગણિતના સિદ્ધાંત ઉકેલવા બેસી જતો. પોતાના તંબુઓ ઉપર ગોળાઓ પડે, પોતાના માણસો મરતા હોય પણ નેપોલિયનનું ચિત્ત બસ ગણિતમાં જ મશગુલ. આ એકાગ્રતા બહુ જબરી નથી પણ ઉંચા પ્રકારની તો જરૂર અને એનો જથ્થો પણ વધુ સારો…
ખલીફા ઉંમરની આવી જ વાત છે. લડાઈ ચાલુ હોય ત્યારે પણ પ્રાર્થનાનો વખત થતાની સાથે ખલીફા પ્રાર્થના કરવા માંડતા. અને પ્રાર્થનામાં એમનું ચિત્ત એટલું નિમગ્ન થઈ જતું કે કોના માણસો કપાય છે તેનો ખ્યાલ પણ તેમને રહેતો નહીં. પહેલા મુસલમાનોની આવી પરમેશ્વર નિષ્ઠા અને કેવળ એકાગ્રતાને લીધે ઈસ્લામ ધર્મનો ખરેખર ફેલાવો થયો છે.
એક રોમાંચક વાત જાણીએ. એક મુસલમાન સાધુ હતો તેના શરીરમાં બાણ વાગ્યું તે બાણને લીધે તેને ખુબ વેદના થતી હતી. બાણ કાઢવા જાય તો હાથ લગાડતાંની સાથે વેદના વધારે થતી. આમ એ બાણ કાઢવાનું પણ શક્ય નહોતું. આજે બેભાન કરવા માટેની જે ક્લોરોફૉમ વગેરે દવાઓ આવે છે એવી દવાઓ ત્યારે નહોતી. એટલે મોટો સવાલ ઉભો થયો. તે સાધુ વિશે જે લોકોને માહિતી હતી તેમાના કેટલાક જણે આગળ આવીને કહ્યું, ‘અત્યારે બાણ કાઢવાનું રહેવા દ્યો. આ સાધુ પ્રાર્થનામાં બેસશે એટલે પછી તે બાણ કાઢીશું.’ સાંજે પ્રાર્થનાનો વખત થયો, સાધુ પ્રાર્થનામાં બેઠા. એક જ પળમાં તેમના ચિત્તની એકાગ્રતા એવી થઈ ગઈ કે પેલું બાણ તેના શરીરમાંથી ખેંચી કાઢ્યું તો પણ તેને ભાન સરખું ન રહ્યું. બસ આ એકાગ્રતા આપણામાં આવે એને ચિત્તની એકાગ્રતા કહેવાય. ધ્યાન યોગનું આ પહેલું પગથિયું છે. ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે. ચિત્ત એક અગ્ર થાય તો સામર્થ્ય કદી ઓછું ન થાય. એકાગ્રનો અર્થ એવો કે અગ્ર રહેલા એક ઉપર ધ્યાન બરાબર લગાવો. (ક્રમશ:)
