‘જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
શીતળા માતાના પ્રકોપથી પંડિતજીએ દ્રષ્ટિ ગુમાવી પણ એનો એણે બહુ જ સારો લાભ લીધો. કોઈકને કહે કે હું તને ભણાવું, તું મને વાંચી દે. પરીક્ષા આપવા લાગ્યા. પરીક્ષાવાળા પરીક્ષકોએ નક્કી કર્યું કે અમે મૌખિક પરીક્ષા લઈશું. મૌખિક પરીક્ષામાં ગાડું આગળ ચાલતું હતું પણ એક વખત કોઈ વિચિત્ર પરીક્ષક હશે એને થોડી વાયડાઈ સૂઝી. એટલે મૌખિકમાં ન પૂછવાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. સુખલાલજી તો સ્વમાની હતા એટલે ઉભા થઈ ગયા કે આવી અન્ચી કરવી હોય તો મારે હવે કોઈ દિવસ પરીક્ષા આપવી જ નથી. ભણવાનું મૂક્યું પડતું પણ અભ્યાસ જિંદગીભર ચાલુ રાખ્યો. એટલા બધા ગ્રંથો એણે વાંચ્યા કે તેમાં પારંગત થયા.
જૈન દર્શન ઉપર એમનું મહાત્મ્ય વધ્યું કે જૈન ધર્મના સાધુઓને એ ભણાવવા જાય. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ કોઈ હાથ પકડીને લઇ જાય, બેસાડે અને સાધુઓ, મુનિઓને ધર્મજ્ઞાન આપે. પરંતુ એવું બન્યું કે એ ભણાવતા હતા ત્યારે વર્ગની બહાર કોઈ એક બહેન આવીને સાંભળવા બેસે. અને બેન બેસે છે એ તો પંડિત સુખલાલને ખબર ન પડે. પણ ધર્મચાર્યોએ ફરિયાદ કરી કે આ યોગ્ય ન કહેવાય. તમે અમને ભણાવો ત્યારે કોઈ બેન અહીંયા આવવા ન જોઈએ. તો એણે મુનિઓનું માન રાખ્યું કે, કંઈ વાંધો નહીં, હું એ બહેનને ઘરે જઈને ભણાવીશ, બસ. એટલે એમણે ઘરે જઈને ભણાવવાનું શરૂ કર્યું. એ જૈન ધર્માચાર્યોને ખબર પડી તો એનો પણ વિરોધ કર્યો કે, ના અમને ભણાવવું હોય તો અમને જ ભણાવવાના, બીજા કોઈને નહીં ભણાવવાના. એટલે કહ્યું કે, ‘જો કોઈ ભંગી કે બહેનો ભણવા આવશે અને તેને વધારે વખતની જરૂર હશે એવું મને લાગશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈશ અને એમને ભણાવવા જઈશ.’ વિચાર કરો કે એક વખત શીતળા માતાને હેરાન કરવા નીકળેલો માણસ એટલો બધો નિર્ભય બન્યો કે એણે જૈન ધર્માચાર્યોને પણ કહ્યું કે ભાઈ, તમારું એવું કંઈ ચાલવાનું નથી. તમારે ભણવું હોય તો ભણો, બાકી તમે જેને નિમ્નમાં નિમ્ન માનો છો એને પણ હું ભણાવીશ. અને ભણાવીશ એટલું નહીં એને ઘરે જઈને ભણાવીશ. પછી એમને એવું લાગ્યું કે આપણે શું કામ આવું કરવું ? ખાલી જૈન ધર્મ ઉપર થોડો આધાર છે એટલે બધા જ ધર્મના દર્શન એમણે વાંચ્યા. આપણા રાષ્ટ્રપતિ પંડિત રાધાકૃષ્ણન જે ફિલોસોફી ઓફ ઇન્ડિયા ના ગુરુ ગણાય એ પણ પોતાના ફિલોસોફર તરીકે પંડિત સુખલાલજીને પોતાની વાતની અંદર ટાંકે છે. હિન્દી શીખ્યું, સંસ્કૃત શીખ્યું, પ્રાકૃત શીખ્યા બધી જ પ્રકારની વિદ્યાઓ કહેવાય એમાં એમણે માસ્ટરી મેળવી લીધી.
સોળ વર્ષ સુધી જયારે આંખ હતી ત્યાં સુધીમાં જેટલું જોયું હતું એ બધું યાદ કરી કરીને લખાવી નાખ્યું. અને એમ કહે છે કે પ્રવાસવર્ણનો તો એવા વર્ણનો છે કે કોઈ આંખે દેખતો માણસ જોઈને ન લખાવી શકે. એમના લેખનમાંથી ધર્મના તુલનાત્મક અભ્યાસો અને એમણે કરેલા પ્રવાસવર્ણનો એ ઉત્તમ કહેવાય છે.
કહે છે કે ઈશ્વર સાથેનું અનુસંધાન ધૂન ભજનથી કરવાને બદલે નામસ્મરણથી કરે અને પથારીમાં પડે તો પણ એની ટચલી આંગળી વેઢા ઉપર ફરતી હોય, મૌન હોય તો પણ ફરતી હોય, એકબાજુ બેઠા હોય તો પણ આંગળી ફરતી હોય અને આપણને ખબર પડે કે એમનું નામ સ્મરણ સતત ચાલી રહ્યું છે.
પંડિત સુખલાલજીને પૂછ્યું કે કર્તવ્યની ભાવના એટલે શું ?? કહે, કર્તવ્યની ભાવના જુદા જુદા પ્રકારની હોય. ઉદાહરણ આપું ગાંધીજીનું. ગાંધીજીએ દેશ માટે જીવન અર્પણ કર્યું તે એની દેશ માટેની કર્તવ્ય ભાવના કહેવાય.ગઈકાલે જ છાપામાંથી વાંચ્યું કે વિનોબાજીની પાસે આવીને એક ડાકુની મા રજપૂતાણી એમ કહે છે કે તમે માનો છો કે મારો દીકરો ડાકુ છે પણ એ તો બહારવટે ચડેલો છે એટલે તો બધાને મારવા કાપવાના જ હોય એમાં કંઈ એ ખોટું નથી કરતો. એ એને એમના નેતા દ્વારા સોંપાયેલું કામ જ છે.. સુખલાલજી કહે છે કે આ એમની વ્યક્તિગત કર્તવ્ય ભાવના છે. કર્તવ્યભાવના ગાંધીજીની પણ સાચી અને કર્તવ્યભાવના પેલા ડાકુની પણ સાચી. બંને પોતાના કર્તવ્ય માટે અડગ છે. એકદમ અનિષ્ટ બન્યા વગર એ એવું ગણે છે કારણ કે એ ડાકુની મા છે. અને દીકરો ગમે તે કરે તો એને ડાકુ લાગે નહીં. આ પ્રેમ છે. એટલે કર્તવ્યભાવના કોઈમાં તે કુટુંબ સુધી વિકસે છે, કોઈમાં દેશ સુધી વિકસે છે, કોઈમાં વિશ્વ સુધી પણ વિકસે છે . પણ એક વાત ચોક્કસ કે કર્તવ્યની ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય છે. સુખલાલજીનું વાક્ય છે : એક વાત તો ચોક્કસ છે કે કર્તવ્યની ભાવના તો સમુદાયમાં જ વિકસે છે. જંગલમાં કોણ કોના પ્રત્યે કર્તવ્ય અદા કરે ? તમે જાઓ જંગલમાં એકલા રહો. પછી તમે એમ કહો કે મારે તમારી સેવા કરવી છે, કોઈ છે જ નહીં તો સેવા કોની કરો ? જંગલમાં કોણ કોની કર્તવ્યભાવના અદા કરે. સમુદાયનું મોટામાં મોટું ઘટક વિશ્વ છે અને નાનામાં નાનું ઘટક કુટુંબ છે.
