રાજવિદ્યા મહાગુહ્ય ઉત્તમોત્તમ પાવન,’ શબ્દમાં ન સમાય પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી ઉપર કસાઈ ગયેલી આ વાત નવમા અધ્યાયમાં છે. 

ભદ્રાયુ વછરાજાની       bhadrayu2@gmail.com 

 (31) 

શ્રીમદ ભગવદ ગીતાના નવમા અધ્યાયમાં હરિ નામનો અપૂર્વ મહિમા કહેવામાં આવ્યો છે. આ નવમો અધ્યાય આમ જોઈએ ગીતાની મધ્યમાં ઊભો છે, આખા મહાભારતની મધ્યમાં ગીતા છે અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. અનેક કારણો એવા  છે કે જેને લઈને આ અધ્યાયને પાવન તત્વ પ્રાપ્ત થયું છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા સંતવર્ય જ્ઞાનદેવે છેવટે જયારે સમાધિ લીધી ત્યારે તેઓ આ અધ્યાયનો જાપ કરતા કરતા સમાધિસ્થ થયા હતા. આ નવમા અધ્યાયના  સ્મરણ માત્રથી આંખો છલકાઈ જાય અને હૃદય ભરાઈ જાય એવી લાગણી  શ્રી વિનોબાજી  અનુભવે છે. વિનોબાજી તો એવું પણ કહે છે કે એકલા ભરતખંડ પર નહીં,  પણ આખી માનવજાત ઉપર આ અધ્યાય એક ઉપકાર છે. 

જે વસ્તુ ભગવાને અર્જુનને  કહી તે એટલી અપૂર્વ છે કે તેને શબ્દોથી કહી શકાય તેમ ન હતી. પરંતુ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃતભાષામાં પ્રગટ કરી અને તેથી તેમણે  ગુહ્ય  વસ્તુને વાણીનું રૂપ આપી દીધું છે. આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે:  ‘રાજવિદ્યા મહાગુહ્ય  ઉત્તમોત્તમ પાવન. આ રાજવિદ્યા છે જે અપૂર્વ વસ્તુ છે તે કહેવાની નહીં પણ અનુભવવાની વાત છે. શબ્દમાં ન સમાય એવી પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી ઉપર કસાઈ ગયેલી આ વાત આ નવમા અધ્યાયમાં કરવામાં આવી છે. આ વાત કહેવામાં આવી હોવાથી એમાં ઘણી બધી મીઠાશ જોવા મળે છે. આપણને આ અધ્યાયની અંદર ભગવાન હકીકતમાં જ્ઞાન આપવા માંગે છે. અને એ જ્ઞાન પણ નિરર્થક અથવા તો સાદું જ્ઞાન નથી. એ આત્મજ્ઞાનની કક્ષાએ ઉભું રહી શકે એવું જ્ઞાન છે અને એટલા માટે ભગવાન એવું કહે છે કે,  “ મેં પ્રત્યક્ષ અનુભવ્યું હોય તેવું આ વિજ્ઞાનયુક્ત જ્ઞાન હે, અર્જુન હું તને કહું છું.”  ભગવાન કહે છે, “ હે અર્જુન, તું તો સતનો આગ્રહી છે,  તેથી મેં પ્રત્યક્ષ અનુભવેલું એવું આ વિજ્ઞાન હું તને હવે સ્પષ્ટ કરીને કહું છું, તે તું સાંભળ. જે જાણવાથી તું મોક્ષરૂપ શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત થઈશ.”  શ્રી ભગવાન આગળ કહે છે,  “ આને રાજવિદ્યા એટલે કે સર્વ વિદ્યાઓનો રાજા કહેવામાં આવેલ  છે.”  રાજગુહ્ય  એટલે કે વ્યવહારમાં જે જે વસ્તુ અતિ ગોપનીય છે તે સર્વ ગોપનીયમાં  પણ અત્યંત ગોપનીય એટલે કે સર્વ ગુહ્યોનો  રાજા એમ આ અધ્યાયને કહેવામાં આવેલ છે. પરંતુ આ તો રાજવિદ્યા અને રાજગુહ્યનો સામાન્ય અર્થ થયો તેને આમ કહેવાનું બીજું પણ એક કારણ છે. 

 

સામાન્યતઃ વ્યવહારમાં અજ્ઞાની લોકો જેઓને શ્રેષ્ઠ માનતા હોય તેમના માર્ગનું જ અનુકરણ તેઓ કરે છે. આ ન્યાય પ્રમાણે રાજા એ લોકોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તેથી મહર્ષિઓએ આ અત્યંત ગુહ્ય  એવી બ્રહ્મવિદ્યાનો પ્રચાર સૌથી પહેલા રાજામાં કર્યો. આથી વ્યવહારમાં આ જ્ઞાન રાજવિદ્યા રાજગુહ્ય  એવા નામથી પ્રસિદ્ધ થયું. તો પછી આ જ્ઞાન જગતમાં કેવી રીતે ઉતરી આવ્યું હશે ? તે સબંધે શાસ્ત્રોમાં થયેલો નિર્ણય જાણવા જેવો છે. વાત જરા લાંબી છે પણ એમ કહેવાય છે કે શ્રી રામ પૂછે છે શ્રી વશિષ્ઠને કે,  આ બધું જ્ઞાન જગતમાં ઉતારવા માટે શા માર્ગો અજમાવવામાં આવ્યા કે જેથી તે જગતમાં પ્રવર્તીને રહ્યું છે ? શ્રી વશિષ્ઠ એનો લાંબો જવાબ આપે છે અને છેક ચૌદ લોકના વિસ્તારવાળી સૃષ્ટિઓ ઉત્પન્ન કરનાર બ્રહ્માના ઉદ્દભવથી વાત શરૂ કરે છે. એ મુજબ સૌથી પહેલો સત્યયુગ જેને કૃતયુગ પણ કહ્યો તે પૂરો થયા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો. તેથી બ્રહ્મદેવની આજ્ઞા મુજબ જગતમધ્યે મર્યાદાની સ્થાપના માટે પ્રવર્તમાન દેશોના જુદા જુદા વિભાગો કર્યા અને તેમાં રાજાઓની સ્થાપના કરી. પૃથ્વી ઉપર સુવ્યવસ્થિત રાજ્યની સ્થાપના કરનારો સૌથી પહેલો રાજા પૃથુ છે,  તેઓ પરથી એનું નામ પૃથ્વી પડ્યું છે.  બધા મહર્ષિઓએ તે તે ક્રિયાક્રમના વિધાન માટે તેમ જ પૃથ્વીમાં ધર્મ, કર્મ અને અર્થની સિદ્ધિઓને માટે યોગ્ય ધર્મશાસ્ત્રો તથા વિવિધ યોગ્યક્રિયાઓને સબંધી શાસ્ત્રોની રચના કરી છે. કેટલોક કાળ આમ ને આમ ચાલ્યો છે. પણ વળી પાછો ધર્મ આદિનો ક્રમ તૂટ્યો અને તમામ લોકો વિષયમાં લંપટ થવા લાગ્યા. રાજાઓમાં ધર્મનું રક્ષણ અને પ્રજાપાલનની ભાવના નહીં રહેતા માલિકપણાનો ભાવ ઉત્પન્ન થયો અને પછી અરાજકતા ફેલાતી ગઈ. રાજા અને પ્રજા બંને અત્યંત કંગાળ થઇ ગયા. તેઓની આ દીનતાને મટાડવા માટે અને લોકોમાં આત્મજ્ઞાનના પ્રચારને માટે વશિષ્ઠ ઋષિ અને બીજા મહર્ષિઓએ આત્મજ્ઞાન સબંધી ગુહ્ય અને શ્રેષ્ઠ એવા વિચારો લોકોમાં પ્રગટ કર્યા અને તે જ્ઞાન સૌથી પહેલાં  રાજાઓને આપ્યું. આ રીતે આ ગુહ્ય એવી આત્મવિદ્યાનો પ્રચાર પ્રથમ રાજાઓમાં થયો અને પછી તે લોકોમાં વિસ્તારને પામી. આથી આ ઉત્તમ એવું આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું છે,  એવી વાત આપણને મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મજી  મહારાજના ‘ ગીતા દોહન’ માંથી પ્રાપ્ત થાય છે.