ઈશ્વરની સત્તાના ત્રણ રૂપ છે: ) તે માત્ર નિરંજન નિરાકાર છે, ) તે સગુણ સાકાર જ છે, ) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

                                                      (35)

સૃષ્ટિની ઉત્પત્તિ વિશે અહીં ત્રણ પ્રશ્નો કર્યા છે: ૧) સૃષ્ટિ શામાંથી થઇ ? ૨) ચેતન જીવાત્માઓ ક્યાંથી આવ્યા ? ૩) સૃષ્ટિ કોણે કરી ? ગીતા સૃષ્ટિ ઉત્પત્તિના વિષયને માત્ર ઈશ્વરની ઈચ્છા પર છોડી દેતું નથી. તે વિચાર કરે છે અને આપણને વિચાર કરવાની છૂટ આપે છે. પરમેશ્વર કહે છે કે, મારી દૈવી પ્રકૃતિ અર્થાત ઈશ્વરીય શક્તિમાં વિલીન થઈને રહેલા જીવાત્માઓને યથાયોગ્ય ક્રમપૂર્વક હું પ્રગટ કરું છું. જેમાંથી આ સંપૂર્ણ ભૂતગ્રામ રચના આપોઆપ ઉત્પન થાય છે અને પછી વિલીન થાય છે. એટલે કે પરમેશ્વરે પ્રકૃતિમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો છે. નવમા શ્લોકમાં  કર્મની વાત આવે છે કે આ બધા કર્મો પરમેશ્વરને બાંધતા નથી. કર્મ એટલે બંધન. પછી તે પાપ પુણ્ય ગમે તે હોય, કર્મનું બંધન હોય જ,  તે ન ભોગવો તો જ તે બંધનમાંથી છુટકારો થાય, આવી ધારણા આપણી છે તેને ગીતા નકારી કાઢે છે. કર્મનું બંધન જીવાત્માને હોય,  પરમાત્માને ન હોય. કારણ કે બંધનનું મૂળ રાગ અને  આસક્તિ હોય. પરમેશ્વર ઉદાસીન થઈને કર્મ કરે છે એટલે કે કર્મ, કર્મફળ વગેરે પ્રત્યે કોઈ રાગ તે રાખતો નથી. આપણને ખ્યાલ છે કે આપણો  ડ્રાઈવર ટ્રેન ચલાવતો હોય એમાં કદાચ નાનો મોટો જીવ ઝડપાઇ જાય તો તેની જવાબદારી બનતી નથી. ખેડૂત ખેતી કરે એમાં નાના મોટા જીવો મરી જાય તો તેની જવાબદારી ખેડૂતની થતી નથી. આ સહજ કર્તવ્ય કર્મ છે. ગીતા કહે છે, સૃષ્ટિની રચના એ પરમેશ્વરનું સહજ કર્મ  સ્વયંભૂ આપોઆપ થતું રહે છે. પરમેશ્વરને પરસેવો પાડવો પડતો નથી. તે તો ઉદાસીન જેવો અનાસક્ત થઈને આ કર્મ કરતો રહે છે. તેથી કર્મોના બંધનો તેને થતા નથી. 

પ્રકૃતિ સૃષ્ટિની જનેતા છે, જેના જનક પરમેશ્વર છે. અહીં તેના માટે શ્લોક ૧૦ માં ‘ અધ્યક્ષ’ શબ્દ વાપર્યો છે. જનક અને જનની વિના સૃષ્ટિ રચના થઇ શકે નહીં. તેથી પરમેશ્વર જનક છે અને પ્રકૃતિ જનની છે. અધ્યક્ષ એટલા માટે કે આ બે માં પરમેશ્વર ઉપરી છે. પ્રકૃતિ ઉપરી નથી. જેની સત્તા ચાલે તેને અધ્યક્ષ કહેવાય છે. આપણને ખ્યાલ છે કે, ઈશ્વર હંમેશા સજોડે હોય છે. શિવ – શક્તિ, લક્ષ્મી – નારાયણ વગેરે દંપતીઓ છે. તે સૌને સંદેશો આપે છે કે જીવન તો જોડામાં છે. એકાગી વીતરાગી ને જીવન હોતું નથી. અગિયારમા શ્લોકમાં ઈશ્વરની સત્તા વિશેની વાત કરી છે. અને ઈશ્વરની સત્તાનો સ્વીકાર કર્યા પછી તેના ત્રણ રૂપ દર્શાવ્યા છે. ૧) તે માત્ર નિરંજન નિરાકાર છે, ૨) તે સગુણ સાકાર જ છે ૩) તે મનુષ્ય દેહનો આધાર લઈને લોકો વચ્ચે પ્રગટ થાય છે. ભગવાન માનવીય દેહધારણ કરીને લોકોને માર્ગદર્શન આપે છે તેવી ધારણા એક યા  બીજી રીતે ઘણા ધર્મોમાં જોવા મળતી હોય છે. એ માન્યતાનો અહીં સ્વીકાર કર્યો છે. 

શ્રીકૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે નહીં માનનારા લોકોને ગીતા થોડો ફિટકાર પણ વરસાવે છે. એમ કહે છે કે આવા જે માનુષી ભગવાનને નથી માનનારા તે ખોટી આશાઓ ધરાવનારા છે, તેથી તે ખોટા કર્મો કરનારા છે, તેમનું જ્ઞાન ખોટું છે. તે ચિત્ત વિકારી થઈને મોહ પમાડનારી રાક્ષસી આસુરી પ્રકૃતિનો આધાર લઈને જીવન જીવતા હોય છે, એવું ગીતા એકધારું આપણને કહી બતાવે છે. તેરમા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જે દૈવી પ્રકૃતિનો આશ્રય લઈને જીવે છે તે મહાત્મા છે. આવા મહાત્માઓ અનન્ય મનથી શ્રીકૃષ્ણ ભગવાનને અવિનાશી ભગવાન માનીને ભજતાં રહે છે. કેટલાક મહાત્માઓ સતત કીર્તન કરતા રહે છે. કીર્તનનો અર્થ એક જ પ્રભુ નામને વારંવાર સતત ઉચ્ચ સ્વરથી બોલતા રહેવું. આવું બોલતા બોલતા ભક્ત ભાવવિભોર અવસ્થાને પ્રાપ્ત થઇ જાય તો નાચવા કૂદવા લાગે તે સહજ વૃત્તિ કહેવાય. 

 આ અંગે નોખી માટીના સંત સ્વામીશ્રી સચ્ચિદાનંદજી કહે છે કે, પછી તો ભાવ હોય કે ન હોય, જોરજોરથી કીર્તન કરવું અને નાચવું કુદવું એ એક રિવાજ થઇ ગયો છે. આને  સાંપ્રદાયિક ચોકઠું કહેવાય, જે તેજહીન થઇ જાય, મૂળ પુરુષ તીવ્ર ત્યાગની અવસ્થામાં વસ્ત્રો ત્યાગી દે તે અવસ્થા કહેવાય. પણ પછી તેનો સંપ્રદાય બનાવી ફરજીયાત વસ્ત્રો ત્યાગી દેવડાવે તેને ચોકઠું કહેવાય. સંપ્રદાયો ચોકઠાં વિનાનાં નથી હોતા. પછી તો તે રિવાજ જ બની જાય છે આવો સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનો સ્પષ્ટ મત છે. કોઈ એક પતિવ્રતા સ્ત્રી તીવ્ર પતિપ્રેમમાં આત્મવિલોપન કરી દે તે તેની અવસ્થા કહેવાય. પણ પછી પ્રત્યેક સ્ત્રીએ આવું જ કરવું જોઈએ તે પ્રથા કે  ચોકઠું કહેવાય. ધર્મ ચોકઠાંથી મુક્ત હોય. સમ્પ્રદાય ચોકઠાંથી યુક્ત હોય. બંનેમાં આટલો ફર્ક સ્વામીશ્રી સચ્ચિદાનંદજી આપણને દર્શાવે છે. આવો ભક્ત સતત કીર્તન કરતો કરતો દ્રઢવ્રતધારી થઈને સાધના કરતો રહે છે. તે વારંવાર ભગવાનને નમસ્કાર કરતો કરતો ભગવાનની નિત્ય સમીપમાં રહીને ઉપાસના કરતો રહે છે.