શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વર્ગખંડના અભ્યાસમાં સામેલ કરવા અંગે કેટલાક અલગ મતો પ્રત્યે ધ્યાન તો આપવું જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com

ખબર નથી શા માટે પણ ગુજરાત સરકારે ધોરણ છ થી બાર માં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની અચાનક જાહેરાત કરી નાખી છે. અલબત્ત, કહે છે કે ઉત્તરપ્રદેશમાં આવી જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ હજુ તેનો અમલ શક્ય બન્યો નથી. એ જે હોય તે પણ, આપણી રાજ્ય સરકારે બહુ પુખ્ત વિચારણા કરીને કે રાજ્યના શિક્ષાવિદો અને  બહુશ્રુત સંસ્કૃત પંડિતો સાથે વિચાર વિમર્શ કરીને આ નિર્ણય ઘોષિત કર્યો હોવાનું બહાર આવ્યું નથી. કદાચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ માથે ગાજે છે ત્યારે આવી જાહેરાત કરી નાખવાની ચેષ્ટા થઈ  હોય એવું પણ બને. અલબત્ત, આપણને તે જાહેરાત સાથે બહુ લેવાદેવા નથી પણ આ વૈશ્વિક પ્રશસ્ત ધર્મગ્રંથને વર્ગખંડમાં ભણાવાવવાના વિષય તરીકે લઇ જવો કેટલો ઉચિત છે તે અવશ્ય ચિંતાનો વિષય છે, અને તે પણ વળી અગિયાર વર્ષના વિદ્યાર્થી થી સત્તર વર્ષના તારૂણ્ય છલકતા  વર્ષોમાં તેનો વિષય તરીકે સમાવેશ ભવિષ્યમાં ઘણા પ્રશ્નાર્થો ઉભા કરશે તેવું ઘણા લોકોને  લાગે છે. 

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી અવશ્ય આત્મવિશ્વાસને દ્રઢ બનાવનાર ગ્રંથ છે પણ તેની પશ્ચાદભૂ માં  તો યુદ્ધ માટે આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ છે. ચચેરા ભાઈઓ ઝગડે છે, પછી ભલે એમાં એક ધર્મ પક્ષે અને બીજા અધર્મ પક્ષે હોય,  પણ છે તો ઝગડાની અને ભૂમિભાગની જ વાતો..તેમાં ‘ચચેરા ભાઈઓ કે ગુરુઓમાં તું દેહને નિહાળ  અને તેઓનો વધ કરવામાં હિચકિચાટ ન અનુભવ’ તેવો શ્રી કૃષ્ણ સંદેશ શુભના કલ્યાણ માટે છે તેવું વિદ્યાર્થીઓને કેમ અને કોણ સમજાવી શકશે , એ બહુ મોટો પડકાર છે. અર્જૂનને આત્મબળ બક્ષવા માટે જે જ્ઞાન શ્રી કૃષ્ણ દ્વારા અપાય છે તેને સામે પહોંચાડવું અતિ કપરું છે. આપણા સંસ્કૃતનાં શિક્ષકો જ નહીં પણ અધ્યાપકો પણ ગીતાજીનું પઠન  કે સહજ અર્થઘટન કરી શકવાનું પૂર્ણ સામર્થ્ય ધરાવતા  નથી ત્યારે આપણે વર્ગખંડમાં ઉણા  ઉતરીએ એવું બનવાના ચાન્સીસ વધશે એ યાદ રાખવું પડે. આમ થશે તો એક ઉત્તમ ગ્રંથ આપણી ક્ષમતાને લઈને વગોવાશે અને તેનો દોષ આપણે સ્વીકારવો પડશે. 

આ ગ્રંથમાં ચાતુર્વણ્યવ્યવસ્થાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા વર્ગોમાં પ્રતિપાદિત કરવામાં આવી છે.. આ ગ્રંથ ધર્મમૂલાંક  જરૂર છે પણ સાથેસાથે આ રાજકીય અને યુદ્ધ-પ્રેરક પણ છે ત્યારે  બાળકોના કુમળા માનસમાં ગુઢાર્થ પહોંચાડવાનું કામ યથાર્થ થશે તેની ખાતરી કેવી રીતે કરીશું? વળી, ભારતના બંધારણમાં ભારતને  બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ગણીને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે બદ્ધ  કરવામાં આવેલ છે. તારીખ 26મી નવેમ્બર,1949ના રોજ બંધારણ સભાએ રાષ્ટ્રીય આશાઓ-આકાંક્ષાઓ સાથે જે બંધારણ પ્રસ્તુત કર્યું હતું અને બંધારણને ભારતની પ્રજાએ સ્વીકાર્યું, કાયદાનું સ્વરૂપ આપીને સમર્પિત કર્યું હતું તે બંધારણના આર્ટિકલ-28માં જણાવેલ છે કે  Article -28(1) ‘No religious instruction shall be provided in any educational institution wholly maintained out of state funds. Article -28(3) અનુસાર ‘No person attending any educational institution recognised by the state or receiving aid out of state funds shall be required to take part in any religious instruction that may be imparted in such institution or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached there to unless that person or, if such person is minor, his guardian has given his consent thereto.’ એ જ રીતે, ભારતના બંધારણના પાર્ટ -IV-A Fundamental duties (નાગરિકોના મૂળભૂત કર્તવ્યો) મુજબ Article-51-A(a), (e), (h) કહે છે કે : સંવિધાનનું પાલન કરવું અને તેના આદર્શો,  સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો,  ભારતના બધા લોકોમાં સમાન ભ્રાતૃભાવનું નિર્માણ કરવું જોઈએ.  ધર્મ, ભાષા અને પ્રદેશ કે વર્ગ પર આધારિત ભેદભાવોથી પર હોવું જોઈએ.  શિક્ષણમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ જેથી માનવતાવાદની ભાવનાનો વિકાસ થાય. આજના વિકાસના યુગમાં  આપણા સહુની ભાવના, નિષ્ઠા, નિસબત, પ્રતિબદ્ધતા, વર્ણવ્યવસ્થા પ્રેરિત અસ્પૃશ્યતાનું નિર્મૂલન કરી એને અતલ તળિયામાં દફનાવી દેવાનું હોવું જોઈએ. હવે જુઓ,  અહીં એવી દલીલ થાય કે, બીજા ધર્મોના શિક્ષણમાં તો તેના ધર્મગ્રંથને શીખવવાની છૂટ સૌએ લઇ જ લીધી છે ને ?? આ દલીલ સો ટકા સાચી ગણીએ તો શું  એવી  સૌને છૂટ આપી દેવી ?? ના, બીજા ધર્મના નામે જે  આવું કરતા હોય તો તેને સજ્જડ રીતે બંધ કરાવવાની પણ  છૂટ આપણું આ જ બંધારણ આપે જ છે,, આપણે તેનો કડક અમલ કરાવીએ. 

એક દલીલ છે કે,ભગવદ ગીતામાં કેટલીક વાતો આજના સંદર્ભમાં વિરોધાભાસી બની રહેલ છે. ઉદાહરણ તરીકે ગીતાના – 9(20) શ્લોકમાં सोमपा: पूतपापा:I સોમરસ એટલે કે, દારૂ પીનારા શુદ્ધ થાય છે તેમ ગીતાના આ શ્લોકમાં કહેવાયું છે. દારૂડિયાઓનાં પાપ નાશ થાય છે અને તેમને તો સ્વર્ગ મળે છે. ઇંદ્રલોકમાં સ્થાન મળે છે. ગીતા ગ્રંથમાં સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રોને પાપયોનિમાંથી પેદા થયેલાનું કહ્યું  છે. હવે  અહીં  આ વાતના સંદર્ભો ચકાસવા જરૂરી બને છે અને તેનો સંદર્ભ આપીને મૂળ વાતને સ્પષ્ટ કરવાની રહે છે. આટલું ઊંડાણથી આપણા શિક્ષકો વાત મૂકે તેવું અપેક્ષિત છે ખરું અને અપેક્ષિત હોય તો તેમ થશે તેવું માનવાને આજે કારણ છે ખરું ??  

ગીતાના અધ્યાય 18 ના શ્લોકો 41,42,43,44,45 માં, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોએ કયાં કયાં કામો કરવાં તે વર્ણ પ્રમાણે ભગવાને પોતે નક્કી કર્યા છે. વાસ્તવમાં તો એવું આજે રહ્યું નથી. ચાલો, આ અંગે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી બેસે તો વર્ગમાં શિક્ષક શો જવાબ આપશે ? શિક્ષક કશોક ભળતો જવાબ આપી બેસે તો ??   

ઊંડું ચિંતન અને તટસ્થ અભ્યાસ કરતાં, બે બાબતો તારવી શકાય :

  1. શ્રીમદ ભગવદ્દ ગીતા એક વિષય તરીકે દાખલ કરીએ તે પહેલા ખુબ બધું મંથન કરીએ અને હોમવર્ક કરીએ. ગીતાસાર રૂપે અર્જુનનું આત્મબળ વધારતા અને મનુષ્યને સ્વધર્મ-આચરણ અને સર્વ-ઈશ્વરાર્પણ બરાબર સમજાવતા શ્લોકો તારવીએ અને તેની પૂર્ણ સમજ ઉદાહરણ સાથે આપીએ.
  2. સમગ્ર ગીતાજીના અઢાર અધ્યાયોને શ્રુતિ અને સ્મૃતિના આધારે તબક્કાવાર ધોરણમાં વહેંચીને એક સુંદર પરિચય તો આપીએ જ  કે જેથી શાળેય ઉંમરમાં વિદ્યાર્થીના કાનમાં એ શબ્દો પડે. ભવિષ્યમાં પ્રત્યેક વિદ્યાર્થી ગીતા  શ્લોકોથી પરિચિત હશે તો તે પોતાનો માર્ગ શોધીને ગીતાજીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આપણે જ્ઞાનની બારી ખોલી આપીએ તો ય શ્રેયકર રહેશે.