વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે. જો  કર્મ સહજતાથી થતું રહેશે તો તે અકર્મ બની જશે.

ભદ્રાયુ વછરાજાની                           bhadrayu2@gmail.com

(10)
ચોથા અધ્યાયનું શીર્ષક છે જ્ઞાનકર્મસન્યાસયોગ તો પાંચમા અધ્યાયનું શીર્ષક છે કર્મસન્યાસયોગ.
ભગવાનશ્રી કૃષ્ણ એક પરમ શિક્ષકની અદાથી એક પછી એક વિષયાંગ પર આગળ ધપીને આપણને
પાથીએ પાથીએ તેલ નાખતી મા ની જેમ વર્તે છે.  જુઓ, બીજા અધ્યાયમાં જ્ઞાનમાર્ગ ની સમજ
આપી તો ત્રીજા અધ્યાયમાં આપણને કર્મમાર્ગનું પગથિયું ચડાવ્યું. ચોથા અધ્યાયમાં જ્ઞાનના માર્ગે કર્મ
કરીને સન્યાસ તરફ વળવા કહ્યું તો હવે પાંચમા અધ્યાયમાં કર્મયોગના રસ્તેથી સન્યાસ કેમ પ્રાપ્ત થાય
તે સમજાવે છે. એટલે આમ જુઓ તો બીજા અધ્યાયના મર્મને  વિસ્તારતા વિસ્તારતા શ્રી કૃષ્ણ
પાંચમા અધ્યાય સુધી આવ્યા છે. આપણી દ્રષ્ટિએ અર્થ એવો થયો કે, જ્ઞાન માર્ગે કે કર્મ માર્ગે આપણે
જવાનું તો છે સન્યાસ તરફ.. ગુણવંત શાહના મતે : સન્યાસ એ જ્ઞાનરૂપી ગંગા અને કર્મરૂપી યમુનાનું
પ્રયાગ આગળનું મિલનસ્થળ છે.
સાંખ્ય (એટલે કે જ્ઞાન) અને યોગ અલગ નથી, બંને માર્ગના સાધકની પ્રાપ્તિ એક જ છે, એવું એક જ
નાના શ્લોક દ્વારા શ્રી કૃષ્ણ એકદમ ચોખ્ખું કરી આપે છે :
એકં સાંખ્યમં ચ યોગં ચ ય: પશ્યતિ સ પશ્યતિ
(એક જ સાંખ્ય ને યોગ, દેખે જે, તે જ દેખતા)
સંસાર સમુદ્ર સમાન છે. સમુદ્રમાં ચોતરફ પાણી જ પાણી હોય તેમ જ આપણી ફરતે જ્યાં જુઓ
ત્યાં સંસાર જ છે. હું સંસાર છોડીને ચાલ્યો જાઉં તો હું જઈશ ક્યાં ?? જ્યાં જઈશ ત્યાં સંસાર તો
મને ઘેરી જ લેવાનો છે. કશુંક છોડ્યું એટલે સંસાર છૂટ્યો એમ માનવું ભૂલ ભરેલું છે. ઘરમાં બેસીએ
કે વનમાં બેસીએ આસક્તિ આપણને છોડતી નથી. પોતાના મસમોટા આશ્રમો ખોલી ‘સન્યાસ લીધો
છે’ એવું  કહેતા મહંતો ત્યાં એક બીજો સંસાર ઉભો કરી તેમાં અટવાય છે. એ ઘરનો વહીવટ કરીને
થાક્યા પણ હવે તેઓ આશ્રમનો વહીવટ કરવામાં પ્રવૃત્ત થઇ ગયા છે !! અનુભવ છે કે આપણે ઘરે
લોકો સાથે ઝાઝો વ્યવહાર કરીને થાકીએ ત્યારે તેઓથી દૂર થવા માટે આપણે હિલસ્ટેશન ભાગીએ
છીએ પણ ત્યાં જઈને પહેલું એ જાણીએ છીએ કે કોઈ આપણું પરિચિત છે ? પ્રવાસનું સુંદર સ્થળ
જોવાને બદલે ત્યાંથી સ્થળના ફોટા લઈને આપણે વોટ્સઅપના સ્ટેટસમાં શેર કરીએ છીએ કે જેથી
‘આપણા’ (જેને છોડીને આવ્યા છીએ તે) મિત્રોને ખ્યાલ આવે કે હું ક્યાં છું..!! જગ્યાની અને
પરિચિતોની ભીડથી ભાગ્યા પણ મનમાંથી એ જગ્યા કે પરિચિતો ગયાં  નથી !! સંસાર તો હવેલીમાં
ય હાજર હોય અને ઝુંપડીમાં પણ હાજર જ હોય. કર્મ કરતા કરતા જે દોષ થાય છે તેને દૂર કરવા
માટે વિકર્મને સાદ દેવો પડશે.

તાત્પર્ય એટલું છે કે મનના સહકાર વગર કોઈ વાતનો પાર આવતો નથી. રોજીંદુ કામ કરીએ કે સાધના
કરીએ માનસિક સહકાર અતિ આવશ્યક છે. સાધના તો બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનના
વિકર્મ બંનેથી શક્ય બને. બહાર જે કર્મો થાય છે તેમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે.  મનનું
અંત:સરોવર તો ઢગલાબંધ કચરો સાચવીને પડ્યું છે. જેવી કશીક બહાર ઘટના ઘટે કે તરત અંદરનો
કચરો બહાર નીકળી આવે, જેને આપણે ગુસ્સો-ક્રોધ-અજંપો એવા નામથી ઓળખીએ  છીએ.
અગાઉ કહેલું તે ફરી યાદ કરીએ કે, ચર્મચક્ષુ બંધ કરીને માળા  હાથમાં લઈને નામજપ કરવા બેસનાર
અચાનક કૂતરાને ડેલીમાં ઘૂસેલું સમજીને  બરાડા પાડી કોઈને કૂતરું હાંકવા કહે તો શું સમજવું ? અરે,
સાધુ કે વૈરાગી લોકો પણ ભિક્ષા માંગવા જાય ત્યાંની સ્થિતિ પોતાના મન-ખ્યાલોથી અલગ હોય તો
ગુસ્સે થઇ જાય છે ત્યારે પ્રતીતિ થાય કે સંસારને એમ છોડી શકાતો  નથી.
આમાંથી મુક્ત થવાના ઉપાય ખરા ?? હા, જરૂર. આપણે નિર્મળ  કર્મ કરવાના સતત સતત પ્રયાસો
કરતા જ રહેવા જોઈએ તો જ નિર્મળ  કર્મ સહજ રીતે થશે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે કે : રિપિટેડ
એક્શન બીકમ્સ હેબિટ. (વારંવાર કરેલું કાર્ય ટેવ બની જાય છે.) જયારે કર્મ સહજતાથી થતું રહેશે
ત્યારે તે અકર્મ બની જશે. નાનું બાળક પહેલીવાર ચાલતા શીખે ત્યારે તેને બહુ કષ્ટ પડે છે પણ તે
પછીથી સતત કર્યા જ કરશે તો કશી જ મુશ્કેલી વગર ચાલી શકશે. ઘરમાં દીકરીને માતા રોટલી વણતાં
શીખવે છે ત્યારે શરૂઆતમાં તો બહુ મુશ્કેલી પડે જ છે, પણ જો દીકરી રોજ રોટલી બનાવવામાં
લાગી પડે તો તેની હથોટી બંધાય જાય છે. વિનોબાજી સરસ વાત  કરે છે કે, ‘માણસ તરવાની
શરૂઆત કરે છે ત્યારે તેને બહુ થાક લાગે છે, પરંતુ પછીથી જયારે થાકે છે ત્યારે તરવા જાય છે.!!’ કર્મો
સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી અને તેથી કર્મ અકર્મ બનીને આનંદમય બને છે.
કર્મયોગની આ કૂંચી છે. કૂંચી જડી જાય એટલે એક જ ક્ષણમાં કામ હર્ષભેર પૂર્ણ … (ક્રમશઃ)