ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(26)
શ્રીમદ ભાગવત ગીતાના આઠમા અધ્યાયમાં આપણે ત્રણ વિશિષ્ટ શબ્દો વિષે જાણ્યું છે. અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ. આપણા ચિંતક, શાસ્ત્રોના ભાષ્યના માહિર કલમનવેશ શ્રી ગુણવંત શાહ આ ત્રણ શબ્દો માટે બહુ ટૂંકી વાત સમજાવે છે તે જોવાનું ગમશે.
અધિભૂત એટલે આ સૃષ્ટિમાં જે કંઈ નાશવંત છે તે અધિભૂત છે. જે નાશવંત હોય તેને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિયમ લાગુ પડે. એટલે કે આપણું શરીર ગમે તેટલું સારું હોય, ઘાટીલું હોય, રૂપાળું હોય તોય નાશવંત છે. એટલે એ ગઢપણ અને મરણથી મુક્ત નથી.
બીજો શબ્દ છે અધિદૈવ. પ્રકૃતિ અને પુરુષ એમ કહેવાયું છે, એમાં જે પુરુષ છે તે અધિદૈવ છે. અધિદૈવ એટલે પુરુષાર્થ. જીવાત્મા એ અધિદૈવ છે. આપણે એ યાદ રાખવું પડે કે આપણું શરીર હાડમાંસનો ઢગલો ન રહેતા એક સુસંવાદી તંત્ર બની રહે. અધિદૈવ એટલે આંખ પાછળની આંખ, કાન પાછળનો કાન અને નાક પાછળનું નાક. આ અધિદૈવ વિદાય લે કે તરત બધું ઠપ્પ થઇ જાય.
અધિયજ્ઞની ચર્ચા કરતા આપણને ગુણવંતભાઈ ત્રીજા અધ્યાયની યાદી આપે છે. યજ્ઞ એટલે વિષ્ણુ. વિષ્ણુ એટલે આ સૃષ્ટિને ધારણકર્તા. કર્મ યજ્ઞરૂપ છે. અને એ યજ્ઞનો અધિષ્ઠાતા વિષ્ણુ છે. એ અધિયજ્ઞ ‘હું’ પોતે એવું શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે. આ દેહની વેદી ઉપર આગળ સતત યજ્ઞ ચાલી રહ્યો છે. નિરંતર કશુંક હોમાતું જ રહે છે. શ્વાસ લઈએ તો એ આહુતિ ગણાય. ખાતા રહીએ, પીતા રહીએ, સુંઘતા રહીએ, સાંભળતા રહીએ, જોતા રહીએ, સ્પર્શતા રહીએ એ બધું આહુતિરૂપ છે. યજ્ઞમાં કેવું દ્રવ્ય હોમવું તે આપણે વિચારી લેવાનું છે. આ ત્રણ શબ્દોની વિશિષ્ટ પલાખ આપણે એટલા માટે ફરી કરી કારણ કે આ ત્રણ શબ્દોના અર્થમાં આ અધ્યાયનો અને પછીના અધ્યાયનો ભાર છે. આ ત્રણ શબ્દો જાણ્યા પછી આપણને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે મૃત્યુના મહોત્સવની તૈયારી કરો.
આપણા દૂર દૂરના કોઈ ઓળખીતાના ઘરે કોઈનું અવસાન થાય તો આપણને થોડી ક્ષણ માટે આંચકો લાગે છે, પણ એટલું બધું દુઃખ નથી થતું કે જેથી કરીને આપણે અવસાનના સમાચાર સાંભળીને રડવા લાગીએ. કારણ કે આમ જુઓ તો સીધી કોઈ લેવા દેવા આપણે એની સાથે નથી. પણ એ જ સ્થાને આપણા જ નજીકના કુટુંબી સગાનું અવસાન થયું જાણવા મળે તો તરત જ આપણી આંખમાંથી અશ્રુધારા વહે છે. નજીકનો જે સગો છે, કુટુંબી છે, સબંધી છે એ એક પ્રકારની આસક્તિ છે. એ આસક્તિ છે એટલે આપણને રડવું આવે છે. દૂરનાની આસક્તિ ન હોત એટલે રડવું આવતું નહોતું. કોઈકે બુદ્ધને કહ્યું, ‘અમને મૃત્યુનું રહસ્ય કહો’. બુદ્ધે ખુબ સરસ ટૂંકો છતાં ધારદાર જવાબ આપ્યો જવાબ આપ્યો. ‘જીવનનું રહસ્ય જાણો એટલે મૃત્યુનું રહસ્ય મળી જશે. જીવન અને મૃત્યુ પ્રતિપળ એકબીજામાં એવા તો ઓતપ્રોત છે કે એમને જુદા જુદા સમજી ન શકાય, સાથે જ સમજવા પડે.’ આત્માને દેહધારી કહ્યો છે એટલે કે આત્માએ જે દેહનું ધારણ કર્યું છે, જે દેહ ધર્યો છે તે ક્યારેક સુકાઈ પણ જશે. આપણે દિવસમાં કેટલી વખત શર્ટ બદલીએ છીએ કે સાડી બદલીએ છીએ ? જો છેક સૂક્ષ્મભાવે વિચારીએ તો જયારે જયારે શર્ટ બદલીએ છીએ ત્યારે ત્યારે નાનકડું મૃત્યુ છે. જયારે જયારે સાડી બદલાય છે ત્યારે પણ નાનું નાનું મૃત્યુ છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે, ‘રાત્રે સૂઓ છો તો એ મૃત્યુ છે અને સવારે ઉઠો તો એ જન્મ છે.’
આપણે લોકો જીવન જીવવામાં એટલા બધા મશગુલ થઇ જઈએ છીએ કે એમાં વચ્ચે થોડોક શ્વાસ લઈને પણ આપણે વિચારતા નથી કે મૃત્યુ મારી રાહ જોવે છે. આ જે જીવન જીવાઈ રહ્યું છે એમાં જ અંતે તાત્કાલિક એક ક્ષણ એવી આવશે કે જયારે મારો શ્વાસ બંધ થઇ જશે અને એ ક્ષણ પણ આવવાની છે એવી ખાતરી એવી યાદદાસ્ત મારે રાખવી પડે. તમે ચાલતી ગાડીમાં બેઠા હો અને તમારી ગાડી પુરપાટ દોડતી હોય ત્યારે તમે વિચારતા નથી પણ તમારે જ્યાં ઉતરવું છે તે સ્ટેશન નજીક આવવા લાગે છે કે તરત જ તમે ઉતરવાની તૈયારી કરવા લાગો છો. એનો અર્થ એવો છે કે તમારે ઉતારવાનું સ્ટેશન આવે એની ખબર પડે છે. જીવન અને મૃત્યુમાં ફરક એટલો છે કે એમાં સ્ટેશન ક્યારે આવશે તેની આપણને ખબર પડતી નથી એટલે સ્ટેશન આવ્યું અને તમે તૈયારી કરવા રોકાયા એવી તક આપણને મળતી નથી. (ક્રમશઃ)
