શ્રીમદ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ તરીકે પ્રસિદ્ધ છે અને તેમાં શ્રી ભગવાનની  એક દિવ્ય વિભૂતિ તરીકે ઓળખાણ થાય છે.

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com

                                            (39) 

આપણે ગીતાના દસમા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગળના નવ અધ્યાય કે જેમાં ગીતાનો અડધો ભાગ સમાયો છે તેને ફરી એકવાર વિહંગાવલોકનથી જાણી લઈએ.

પહેલા અધ્યાયમાં ગીતા મોહ નાશને અર્થે અને સ્વધર્મની પ્રવૃત્તિમાં પ્રેરવાને અર્થે આપણને વાત કરે છે. બીજા અધ્યાયમાં જીવનના સિદ્ધાંત કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞ એ બધાનું આપણને દર્શન થાય છે. ત્રીજો, ચોથો અને પાંચમો એ ત્રણ અધ્યાયોમાં કર્મ, વિકર્મ અને અકર્મ બાબતોનો ખુલાસો કર્યો છે. કર્મ એટલે સ્વધર્મનું આચરણ કરવું તે, વિકર્મ એટલે સ્વધર્મનું આચરણ બહાર ચાલે ત્યારે અંદરનું માનસિક કર્મ તેને સહાય કરવા ચાલે વિકર્મ છે. અને કર્મ વિકર્મ બંને એકરૂપ થતા ચિત્તની પૂર્ણ શુદ્ધિ થાય, વાસનાઓ શમી જાય ત્યારે આવે તે અકર્મ દશા છે. અકર્મ દશા એ અંતિમ સાધ્ય છે. આ સ્થિતિને  જ મોક્ષ કહેવામાં આવ્યો છે.. તેથી ગીતાના પહેલા પાંચ અધ્યાય સુધીમાં જીવનનો સઘળો શાસ્ત્રાર્થ પૂરો થઇ ગયો છે.

હવે છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને ધ્યાન યોગ બતાવી, અભ્યાસ અને વૈરાગ્યનો સાર  આપણને સમજવવામાં આવ્યો છે. સાતમા અધ્યાયમાં ભક્તિનું વિશાળ અને મહાન સાધન આપણને બતાવ્યું છે. વિનોબાજી  સાતમા અધ્યાયને પ્રપત્તિયોગ કહે છે,  તો આઠમાં અધ્યાયને સાતત્ય યોગ કહે છે. તેઓ એવું કહે છે કે,  ક્યાં સુધી સાધના કર્યા કરવી ? એવું નિરાશ થઈને કે કંટાળીને કહેવાનું હોય નહીં, ફળ હાથમાં ન આવે ત્યાં સુધી સાધના ચાલુ જ રાખવાની છે.

આ સાતત્યયોગની વાત કર્યા પછી નવમા અધ્યાયમાં તદ્દન સાદી છતાં જીવનનો આખો રંગ પલ્ટી નાખનારી વસ્તુ ભગવાને આપી અને એ છે રાજયોગ. જે જે કર્મો ક્ષણે ક્ષણે થયા કરે તે બધાને ઈશ્વરાર્પણ કર,  એમ નવમો અધ્યાય આપણને કહે છે. આ એક જ વાતથી શાસ્ત્ર સાધન બધાએ કર્મો, વિકર્મો બધું ડૂબી જાય છે. અને સર્વ કર્મ સાધના આ સમર્પણ યોગમાં ડૂબી ગઈ. સમર્પણ યોગ એટલે રાજયોગ.

હવે દસમા અધ્યાયની શરૂઆત થાય છે. દસમા અધ્યાયમાં કુલ ૪૨ શ્લોકો છે. અને આ ૪૨ શ્લોકોને આપણે  ત્રણ ભાગમાં અવશ્ય વહેંચી શકીએ.  દસમા અધ્યાયને  વિભૂતિ યોગ કહેવામાં આવ્યો છે.  એમને જો સમજવા માટે સરળ બનાવવું હોય તો આપણે એને ત્રણ ભાગમાં મૂકી શકીએ. પહેલા ભાગની અંદર પરમ પવિત્ર વાણીની વાત થઇ છે. વાણી દ્વારા આપણી ઘણી બધી શંકાઓ સ્પષ્ટ થઇ જાય. ઈશ્વર અહીં આપણને ખાતરી પણ આપે છે કે, આ બધું મેં જાણ્યું છે, સમજ્યું છે અને અનુભવ કર્યો છે, પછી તમને કહું છું.  ભૂતિ, વિભૂતિ અને યોગ એવા ત્રણ નામથી બીજા  ભાગને ઓળખી શકીએ  અને એમાં  મૂળ વ્યાખ્યા આપ્યા પછી આપણને યોગ સુધી લઇ જવાનું કામ આવે  છે. ત્રીજો ભાગ એ વિભૂતિ યોગનો છે જે  ભાગ થોડો વિસ્તૃત છે.  આ ત્રણ ભાગ ૪૨ જેટલા શ્લોકોથી સભર છે. 

શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર ખાતરી આપીને કરે છે કે,  “ હું જે અત્યારે કહું છું તે મારી પરમ વાણી છે,  હું તારો હિતેચ્છુ છું અને તું મારામાં પ્રેમ શ્રદ્ધાભાવ ધરાવે છે એથી તારા હિત માટે મેં જેટલી પહેલા વાત કરી છે તેમાં તને પ્રીતિ લાગી હોય એવું મને દેખાય છે,  તેથી હું ફરીને ટૂંકમાં તને બધી વસ્તુ કહી જાઉં તે તું ધ્યાનથી સાંભળ.”  એટલે કે, આ દસમા અધ્યાયની શરૂઆત આપણને ફરી એકવાર શ્રદ્ધાપૂર્વક પોતાની વાતને માનવા માટે  પ્રેરે છે. ભગવાન ઉમેરે છે કે, “મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌલિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા. કારણ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું એટલે કે એમના જન્મનું કારણ એમની ઉત્પત્તિનું કારણ પણ હું છું. જે મને અજન્મા કહે છે, એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ કહે છે, જે સર્વ લોકોના  મહાન ઈશ્વર તત્વથી મને જાણે છે એ અન્ય બધા માણસોમાં એ જ્ઞાની માણસ છે અને એ સર્વ પાપોથી છૂટી જાય છે. નિશ્ચય  કરવાની શક્તિ,  યથાર્થ જ્ઞાન, ક્ષમા, અસંમૂઢતા, સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ કરવો, સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અને અભય અહિંસા, સમતા, સંતોષ તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ આ પ્રાણીઓના વિવિધ પ્રકારના ભાવ ખરેખર જે દેખાય છે તે મારાથી જ દેખાય છે.” 

“સાત મહર્ષિજનો,  ચાર એમની પણ પૂર્વે થયેલા સનકાદિ અને સ્વંયમભુ આદિ ૧૪ મનુઓ, (આ બધાની વાત આપણા શાસ્ત્રમાં બહુ આવે છે), મારામાં ભાવ રાખનારા આ બધા  મારા સંકલ્પથી જન્મેલા છે. જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે.  એટલે કે મહર્ષિ હોય કે સનકાદિ ઋષિઓ હોય એ બધા ભગવાન કહે છે કે, “ મારે લઈને જન્મેલા લોકો છે. જે માણસ મારી પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિયોગથી ભરપૂર થઇ જાય છે,  એમાં તારે લેશમાત્ર શંકા રાખવાની જરૂર નથી. હું વાસુદેવ છું અને આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રકારે તું  સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા જે બુદ્ધિમાન ભક્તો છે એ મુજ પરમેશ્વરને નિરંતર ભજતાં હોય છે.”