આપણે ગુરુને જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. 

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com 

                                       (06) 

કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે ચડે.” 

મહાત્મા ગાંધીજીએ કહેલી આ વાત આપણને હવે સ્પષ્ટ થઈ ગઈ છે. શ્રીમદ્ ગીતાજીનો ત્રીજો અધ્યાય એક સવાલનો જવાબ આપે છે. તે સવાલ છે : કર્મયોગમાં ફળનો ત્યાગ કરવાનો ખરો, પણ પછી ફળ મળે છે કે નહીં??’ સવાલ કર્યા પછી  આ જ ત્રીજો અધ્યાય જવાબ પણ આપે છે કે : ‘કર્મના ફળનો ત્યાગ કરનાર કર્મયોગીને અનંતગણું ફળ મળે છે.’ હા, આ જવાબની વિશદ છણાવટ એટલે ત્રીજો અધ્યાય.

વિનોબાજી  લક્ષ્મીજીની વાત યાદ અપાવે  છે. તેનો સ્વયંવર રચાયો. બધા દેવો ને દાનવો તેને વરવાની આશાએ આવીને એકઠા મળ્યા હતા. લક્ષ્મીજીએ પસંદગીની શરત જાહેર કરી નહોતી. સભામંડપમાં આવીને તેણે કહ્યું. “જેને મારી ઈચ્છા નહીં હોય તેને હું વરમાળા પહેરાવવાની છું.” ત્યાં  તો બધા તેને મેળવવાની લાલચના માર્યા આવેલા. પછી લક્ષ્મીજી  ઈચ્છા વગરનો વર શોધતાં  શોધતાં  નીકળી પડયાં !! . શેષનાગ પર શાંત સૂતેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તેમણે જોઈ. લક્ષમીજીએ વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. હજી અત્યાર સુધી તે તેના ચરણ ચાંપતાં બેઠા છે. એમ કહેવાય છે કે :  – ‘ન માંગે ન માગે  તેની રમા થાય દાસી,’  આ  જ તો ખરી ખૂબી છે નિષ્કામ કર્મ કરનારને મળનાર ફળની !! 

કર્મફળની ગતિ સમજીએ તો…  

૧) એક સામાન્ય માણસ કર્મ કરતાં પહેલાં તેનું કેવું અને કેટલું ફળ મળવું જોઈએ તેનો અંદાજ માંડીને એક રીતે સીમિત વાડો બાંધી લે છે. 

૨) સંસારી માણસ ગધ્ધા વૈતરું કરવા છતાં પણ સાવ નજીવું ફળ મેળવે છે.

૩) કર્મયોગી આમ જુઓ તો થોડું સરખું કર્મ કરીને અનંતગણું મેળવે છે.

આ ત્રણેયમાં ફર્ક તો કેવળ ભાવનાનો છે. સામાન્ય કે સંસારી માણસ માટે જેવી વાસના તેવું ફળ. મારી ચીજની કિંમત હું કરું તેનાથી વધુ જગતમાં બીજું કોણ કરે ??

હવે વિચારો..

સુદામા ભગવાનની પાસે તાંદુલ  લઈને ગયા. એ મૂઠીભર તાંદુલના પૌઆની કિંમત પૂરી એક પાઈ પણ નહી હોય. પણ સુદામાને મન તે અણમોલ હતા. તે પૌઆમાં ભક્તિભાવ હતો. તે અભિમંત્રિત હતા. તે પૌઆના કણેકણમાં ભાવના ભરેલી હતી. ચીજ ગમે તેટલી નાની કે નજીવી હોય છતાં મંત્રથી તેની કિંમત તેમ જ તેનું સામર્થ્ય વધે છે. 

ચલણી  નોટનું વજન કેટલું હોય છે? સળગાવીએ તો તેના તાપથી એક ટીપું પાણી યે ગરમ નહીં થાય. પણ એ નોટ પર છાપ હોય છે, એ છાપથી તેની કિંમત થાય છે. કર્મયોગમાં આ જ મુખ્ય ખૂબી છે. કર્મનું ચલણની નોટના જેવું છે. કર્મના કાગળિયાની કે પતાકડાની કિંમત નથી, ભાવનાની અને છાપની કિંમત થાય છે. 

આપણે ઇચ્છીએ તો  મૂર્તિપૂજાનો મર્મ પણ આ ઉદાહરણ પરથી સમજી શકીએ. મૂર્તિ પૂજાની મૂળ કલ્પનામાં પાર વગરનું સૌંદર્ય છે. મૂર્તિ પહેલાં તો એક પથ્થરનો ટુકડો જ હતો ને.આપણે  તેમાં પ્રાણ રેડ્યો, આપણી  ભાવના રેડી. એ ભાવનાના ટુકડા થાય ખરા ? ટુકડા તો પથ્થરના થાય!!  મૂર્તિમાં મૂર્તિ મહત્ત્વની નથી પણ તેમાં રેડાયેલ આપણી ઉદાત્ત ભાવના અને શ્રદ્ધા અગત્યની છે. 

એક સાદી વાત વિચારીએ… બહારગામ જવાનું થાય ત્યારે આપણી માએ પોતે બનાવેલી સુખડીનો ડબ્બો ભેગો આપ્યો હોય અને મિત્રએ કૂર્કુરેનાં મોંઘાં પડીકાં લઈ આપ્યાં હોય તો તે બેમાંથી કોનો સ્વાદ ચાખવાનું પહેલાં મન થાય ?? કર્મમાં ભાવનાની ભીનાશ ભળે પછી બીજું શું જોઈએ ??

બાર વરસ ગુરુને ઘેર રહી શિષ્ય જાનવરમાંથી માણસ બન્યો છે. હવે તેણે ગુરુને આપવું શું? પહેલાંના વખતમાં ભણાવવાને માટે આગળથી ફી લેવાતી નહોતી. બાર વરસ ભણી રહ્યા પછી જે આપવા જેવું લાગે તે આપવાનો રિવાજ હતો. મનુ મહારાજ કહે છે. “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખો, એકાદ પાવડીની જોડ, એકાદ પાણીનો ભરેલ કળશ આપજે.” આમ કેમ કહ્યું હશે ?  કારણ સીધું છે… જે કંઈ આપવાનું હોય તે શ્રદ્ધાની નિશાની રૂપે આપવાનું છે. ફૂલમાં વજન નથી. પણ તેમાં રહેલી ભક્તિનું આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે. રૂક્ષ્મણીજીએ એક તુલસીદળથી ગિરધરને તોળ્યા પણ  સત્યભામાના ખાંડી વજનના દરદાગીનાથી એ કામ ન થયું. ભાવભક્તિથી ભરેલું એક તુલસીપત્ર રૂક્ષ્મણીજીએ પલ્લામાં મૂક્તાંવેંત કામ પાર પડ્યું. એ તુલસીપત્ર અભિમંત્રિત હતું. તે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું નહોતું. કર્મયોગીના કર્મનું પણ એવું છે. (ક્રમશ:)