ભારતના સ્વાતંત્ર્યના પંચોતેર અને મહર્ષિ ઓરોબિંદોના દોઢસો વર્ષ !! ..પણ શ્રી અરવિંદ પર મુકાયેલો રાજદ્રોહનો આરોપ !!

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

“સામાન્ય લોકો સ્વદેશને એક જડ વસ્તુ, અમુક મેદાનો, ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ ગણે છે. હું સ્વદેશને મા તરીકે જોઉ છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું, માની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ એનું લોહી પીવા તૈયાર થયો હોય ત્યારે તેનું સંતાન શું કરે ? શું એ નિશ્ચિન્ત બની ભોજન કરવા બેસશે કે પત્ની અને બાળકો સાથે આનંદ પ્રમોદ કરશે કે પછી માતાનું રક્ષણ કરવા દોડી જશે ? હું જાણી ગયો છું કે મારી પાસે આ દેશના પતિત લોકોનો ઉદ્ધાર કરવાનું બળ છે, સામર્થ્ય છે. એ કાંઈ શારીરિક બળ નથી. હું કંઈ તલવાર કે બંદૂક લઈ લડવા જવાની તૈયારી કરતો નથી, પણ જ્ઞાનનું બળ છે. ક્ષાત્રતેજ એજ કંઈ એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે અને એ તેજ જ્ઞાનની ઉપર પ્રતિષ્ઠિત છે આ ભાવના, જે મારામાં નવી નથી. હું તો આ ભાવનાને લઈને જ જન્મ્યો છું. એ મારી નસેનસમાં છે. અણુએ અણુમાં છે. સર્વત્ર ઓતપ્રોત છે. આ ભાવનાને, જીવન-કર્તવ્યને, મહાધ્યેયને સાધવા અને પરિપૂર્ણ કરવા માટે ભગવાને મને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે.”
શ્રી અરવિંદ
(મૃણાલિનીને લખેલા પત્રમાંથી ૩૦ ઓગસ્ટ, ૧૯૦૫)

આપણું લોહી ઉકળી જાય તેવા આ શબ્દો શ્રી અરવિંદના છે.
આપણે મહર્ષિ ઓરોબિંદો, શ્રી માતાજી કે ધ મધર, પોન્ડિચેરી કે ઓરોવીલેથી કેટલેક અંશે જ્ઞાત છીએ પણ આપણને ખબર છે કે ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું તે દિવસે શ્રી અરવિંદનો પંચોતેરમૉ જન્મદિન હતો ?? એ કહાની જાણવા જેવી છે. (અહીં ટૂંકમાં પેશ કરું છું,,આથી વિશેષ જાણવું હોય તો હમણાં જ માર્ચમાં પ્રકાશિત થયેલ શ્રી જ્યોતિ થાનકી લિખિત “સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક શ્રી અરવિંદ” પુસ્તક વાંચવું રહ્યું.)

‘વંદે માતરમ્’ ના ધારદાર લેખોથી બ્રિટિશ સરકાર ચોકી ઉઠી હતી, કેમ કે તેમાં સરકારની કૂટનીતિને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવામાં આવતી હતી, પણ તે બધું એવી કુશળતાથી લખવામાં આવતું હતું કે આ લેખો પર રાજદ્રોહનો આરોપ મૂકી શકાય તેમ ન હતો, પરંતુ આવાં લખાણો સતત ચાલુ રહે તો બ્રિટિશ સરકારને હિંદમાં રાજ કરવું ભારે થઈ પડે. એટલે સર્વપ્રથમ તો સરકારનું પગલું એ હતું કે ‘વંદે માતરમ્’ દૈનિકને જ બંધ કરાવી દેવું, આથી સરકારે એક લેખમાં રાજદ્રોહનો આરોપ મૂકીને બિપિનચંદ્ર પાલ અને શ્રી અરવિંદની ધરપકડ કરી, આ ધરપકડથી ફક્ત બંગાળમાં જ નહીં, પરંતુ સમગ્ર હિંદભરમાં ખળભળાટ મચી ગયો. બ્રિટિશ સરકાર શ્રી અરવિંદને પ્રજાથી વિમુખ કરવા ઇચ્છતી હતી, પણ થયું એથી ઊલટું જ. એથી તો શ્રી અરવિંદની લોકચાહના ખૂબ જ વધી ગઈ, આ ધરપકડ થતાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શ્રી અરવિંદને પ્રણામ કરતું એક કાવ્ય લખ્યું. આ કાવ્ય સમગ્ર દેશમાં પ્રસરી ગયું. તેમાં લખ્યું હતું ; “હે અરવિંદ, રવીન્દ્રર લહો નમસ્કાર’ – તેમાં તેમણે શ્રી અરવિંદને ભારતમાતાના આત્માના ઉદગાર તરીકે સંબોધન કર્યું હતું અને અંતે જણાવ્યું હતું, “આવ્યો છે, જે રુદ્ર – દૂત તેને કયા બલે કયો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ છે?”

ભારતના આત્માના ઉદગાર
હે અરવિંદ, રવિન્દ્રના લિયો નમસ્કાર,
હે બંધુ , હે દેશબંધુ, તમે છો ઉદગાર
ભારતના આત્માકેરા, તમારે ના માન,
ધન, સુખ તણી ભૂખ, કોઈ શુદ્ર દાન.
કોઈ શુદ્ર કૃપા નહીં પાંચો, ભિક્ષાકાજ
પસારો ના દીન હસ્ત, જાગોછો સદાય
પરિપૂર્ણતાની સાધનામાં મગ્ન,
સર્વ આધિ ઉપાધિ ને વિઘ્ન કરી ભગ્ન.
પૂર્ણતાએ ઝંખી રહ્યા નિત્યરાત્રિ દિન,
દેવો અને માનવો સૌ તપે થઈ લીન.
દેવો તણો અહીં દીપ લઈ ધરાતલે
આવ્યો છે જે રૂદ્ર-દૂત, તેને ક્યા બલે
ક્યો રાજા કઈ શિક્ષા દેવાને સમર્થ.
… શ્રી રવિન્દ્રનાથ ટાગોર

આ કાવ્યમાં ટાગોરે શ્રી અરવિંદના મહાન કાર્યને અંજલિ આપી હતી. એ સમયે આ કાવ્ય બંગાળના એકએક શિક્ષિત જનના મુખે ગવાતું હતું. શ્રી અરવિંદની આવી લોકચાહના જોઈને બ્રિટિશ સરકાર હવે કોઈપણ રીતે શ્રી અરવિંદને જેલમાં પૂરી દેવા તત્પર બની ગઈ. ‘વંદે માતરમ્’ ની ઓફિસની જડતી લેવામાં આવી. પણ કંઈ વાંધાજનક મળ્યું નહીં. એકાદ બે પુરાવાઓ એવા હતા કે જેના આધારે શ્રી અરવિંદ તંત્રી તરીકે સાબિત થઈ જાય તેમ હતું, પરંતુ જડતી પહેલાં જ એનો નિકાલ કરી દેવામાં આવ્યો. આથી સરકારે એક એક કાગળિયું ફેંદયું પણ ક્યાંયથી એક પણ લીટી એવી લખાયેલી ન મળી કે જેને આધારે એમ કહી શકાય કે શ્રી અરવિંદ ‘વંદેમાતરમ્’ ના તંત્રી છે. આથી સરકારને અનિચ્છાએ શ્રી અરવિંદને નિર્દોષ જાહેર કરી છોડી દેવા પડ્યા.

શ્રી અરવિંદ નિર્દોષ છૂટી ગયા તેથી બધા આનંદોત્સવ મનાવી રહ્યા હતા. ત્યારે રવીન્દ્રનાથ શ્રી અરવિંદને અભિનંદન આપવા માટે ત્યાં આવ્યા અને શ્રી અરવિંદને ભેટીને સ્નેહપૂર્વક બોલી ઊઠયા; “કિં મોશાય , આમાકે ઠોકાલેન ! – ભાઈ આપે મને છેતર્યો હો!” એટલે કે તમે છૂટી ગયા, ત્યારે શ્રી અરવિંદે હસતાં હસતાં કહ્યું, ‘બહુ લાંબા સમય માટે નહીં”, ત્યારે શ્રી અરવિંદના મિત્ર ચારૂબાબુએ કહ્યું, “આ તો હજી શરૂઆત છે, આપની કવિતા આખરે સાચી પડવાની જ છે. “

શ્રી અરવિંદ નિર્દોષ છુટી ગયા તેમનું અભિવાદન કરવા કલકત્તા કૉલેજ સ્કવેરમાં એક જાહેર સભા યોજવામાં આવી. તે દિવસ રક્ષાબંધનનો હતો. રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં રક્ષાબંધનનો નવો જ અર્થ સમજાવતાં તેમણે બંગાળી ભાષામાં પ્રવચન આપ્યું. તેમાં તેમણે કહ્યું; “પરદેશી ભાષામાં બોલવું મને પસંદ નથી, પણ માતૃભાષામાં બોલવા માટે હું કદી ટેવાયેલો નથી. પરંતુ આજે હું તમને માતૃભાષામાં એક વાત કહીશ. રક્ષાબંધન વખતે ફક્ત સૂતરના તાંતણા જ બાંધવામાં આવતા નથી, પણ સાથે બીજું ઘણું બધું બાંધવામાં આવે છે. અવિભક્ત બંગાળના લાખો બંગાળીઓનાં હૃદયોને બાંધવાનું પવિત્ર આયોજન આ રક્ષાબંધનના દિવસે હોય છે. રાખડી તો એક દિવસ પછી હાથ પરથી દૂર થઈ જશે, પરંતુ આપણાં હૃદયોનું પવિત્ર જોડાણ યુગો સુધી કાયમ રહેશે. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે આપણી આ પવિત્ર ગ્રંથિને તોડી શકે. એ તો રાષ્ટ્રીય બંધન છે. તેના માટે આપણે પ્રતિજ્ઞા લીધી છે, તેને દઢતાપૂર્વક નિભાવવી રહી.”

શબ્દેશબ્દે રાષ્ટ્રભક્તિને પ્રગટ કરતી, રાષ્ટ્રીય એકતાને દઢ કરતી શ્રી અરવિંદની આવી વાણીએ હિંદની પ્રજામાં વિદ્યુત શક્તિનો સંચાર કર્યો. પ્રજાની અંદર રહેલી સુષુપ્ત ચેતના જાગી ઊઠી અને ઈંગ્લેન્ડમાંની હિંદી કચેરી ફફડી ઊઠી અને તેમણે નિર્ણય કર્યો કોઈપણ ભોગે અરવિંદ ઘોષને પ્રજાની નજરમાંથી દૂર કરવા. એ માટેની તક બ્રિટિશ સરકાર ફરીથી શોધવા લાગી.

બ્રિટિશ સરકારે કોઈપણ જાતના ગુના વગર, ખોટો આરોપ મૂકીને શ્રી અરવિંદને કેદીના રૂપમાં અલીપુરની જેલની બંધ કોટડીમાં પૂરી દીધા. આ જૂઠો આરોપ સાચો ઠરાવીને સરકાર તેમને ફાંસી કે આજીવન કારાવાસ આપીને પ્રજાથી હંમેશાં દૂર કરવા ઇચ્છતી હતી. કેસ ચાલે તે દરમિયાનમાં સંપૂર્ણ એકાંત કેદમાં રાખીને તેમની આંતરિક તાકાતને ખતમ કરી દેવા ઇચ્છતી હતી. આ માટે સરકારે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા. પણ થયું તેનાથી ઊલટું જ. જેલમાં તો શ્રી અરવિંદની આંતરિક શક્તિઓ વધુ પ્રબળ બની. એક વર્ષ સુધી, એમનો કેસ ચાલ્યો ત્યાં સુધી એમને જેલમાં રહેવું પડ્યું. પરંતુ જેલના એકાંતવાસમાં તેમણે ઉત્કટપણે યોગસાધના કરી. પરિણામે તેમને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત થઈ. ભગવાન વાસુદેવનો સાક્ષાત્કાર થયો. વાસુદેવમ્ સર્વમિતિ, આ અનુભૂતિ થતાં સમગ્ર વિશ્વ વાસુદવમય બની ગયું. ભગવાન વાસુદેવે તેમને કહ્યું; “હું સર્વ મનુષ્યોમાં છું અને તેમનાં વચન અને કર્મની ગતિ ઉપર મારી આણ પ્રવર્તે છે. તારે ભયનું લેશમાત્ર કારણ નથી. તારા ઉપરના આ કેસની ચિંતા તું મને સોંપી દે. આ કેસ તારે ખાતર ઊભો થયો નથી. હું તને અહીં તારા પર કેસ ચલાવવા માટે નથી લાવ્યો. તને અહીં લાવવાનો હેતુ એક બીજો જ છે. આ કેસ તો મારા કાર્યમાં એક સાધનરૂપ જ છે.” શ્રી અરવિંદની સમક્ષ તેમના જેલવાસનો હેતુ ભગવાને સ્પષ્ટ કરતાં તેમની બધી ચિંતા નિર્મૂળ થઈ ગઈ અને ભગવાન હવે પોતાના કાર્ય માટે શ્રી અરવિંદને તૈયાર કરવા લાગ્યા. એ જેલની એકાંત કોટડીમાં ભગવાન દિનપ્રતિદિન શ્રી અરવિંદ સમક્ષ હિંદુધર્મનાં ગહન રહસ્યો પ્રગટ કરવા લાગ્યા. એમના પાશ્ચાત્ય સંસ્કારવાળા અજ્ઞેયવાદી મનમાં હિંદુધર્મનાં સત્યોનો સાક્ષાત્કાર થવા લાગ્યો. શ્રી અરવિંદ માટે જેલની એ એકાંત કોટડી યોગાશ્રમ બની ગઈ. કોર્ટમાં ભારે કોલાહલની વચ્ચે પણ તેઓ સતત ધ્યાનાવસ્થામાં જ ડૂબેલા રહેતા.
આપણે જેમને ‘મહર્ષિ ઓરોબિંદો’ તરીકે ઓળખીએ છીએ તે શ્રી અરવિંદના જીવનનો આ ટ્રેનિંગ પોઈન્ટ હતો. કેવળ 79 પાનામાં શ્રી જ્યોતિબેન થાનકીએ શ્રી અરવિંદને અખંડ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પથદર્શક તરીકે આપણી સમક્ષ બહુ લાઘવથી પેશ કર્યા છે.