સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(12)
પાંચમા અધ્યાયમાં સન્યાસના બે પ્રકારની તુલના કરેલ છે.
1. કર્મ કરનારો ચોવીસે કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી.
2. ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે.
એક, બોલવા છતાં ન બોલવાની રીત છે તો બીજી, ન બોલવા છતાં બોલવાની રીત છે. સન્યાસના બે પ્રકારની સુંદર સરખામણી અહીં કરવામાં આવેલ છે.
વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે, આજ સુધીમાં માણસની બુદ્ધિએ જે જે ઊંચા કુદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો આ સન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી.
ન કરવા છતાં કરવું અને બધું કરતા રહેવા છતાં લેશમાત્ર કરવું નહીં. આ કલ્પનામાં જે આનંદ , ઉત્સાહ, સ્ફૂર્તિ અને દિવ્યતા છે તે પાંચમા અધ્યાયને ખુબ જ ઊંચી ભૂમિકા પર બેસાડે છે. બધું કરવા છતાં કશું ન કરવું એ યોગ છે અને એ જ રીતે કશું ન કરવું તે છતાં બધુંયે કરવું એ પણ યોગ જ છે. કેવળ, તુલના કરતી વખતે એકને યોગ અને એકને સન્યાસ કહ્યો છે. જેમ ભૂમિતિમાં કે ગણિતના દાખલામાં ‘ધારો કે…’ એમ કહીને જે નથી તે ધારી લેવામાં આવે છે તે જ રીતે ભક્તિમાં પણ ધારો કે કહીને આગળ વધવાનું છે.
યાજ્ઞવલ્કય સન્યાસી હતા. જનક કર્મયોગી હતા. સન્યાસી યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ, એ પાછો સન્યાસી !! આમ, માળા જોડાણી પણ કેવી રીતે તે જુઓ :: સન્યાસી-કર્મયોગી-સન્યાસી !! આનો અર્થ તો એવો જ કે યોગ અને સન્યાસ એક પરંપરામાં આવે છે. હવે જરાક લાબું વિચારીએ. રાજા પરીક્ષિતને શાપ હતો તેને દૂર કરવા સળંગ સાત દિવસ શુકદેવજીએ એક પલાંઠીએ બેસીને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું. કુલ એકસોને અડસઠ કલાક સુધી બેસીને સતત કથા કહેનાર શુકદેવજીને કશો જ ભાર ન લાગ્યો, થાક ન લાગ્યો કે મહેનત કરી એવું પણ ન લાગ્યું. અર્થ એ કે સન્યાસ અને કર્મયોગ એ જુદા છે જ નહીં.
એક મઝાની કથા છે. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર મોકલ્યો. એ પત્ર કોરો કાગળ જ હતો. ચાંગદેવ કરતા જ્ઞાનદેવ ઉંમરમાં નાના. “ચિરંજીવી” લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા. “તીર્થસ્વરૂપ” લખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન સૂઝ્યું નહીં. એટલે ચાંગદેવે કોરો કાગળ પત્રરૂપે મોકલાયો. એ કાગળ પહેલો નિવૃતિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મુક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ એ વાંચીને કહ્યું : અલ્યા, ચાંગા , આવડો મોટો થયો તો એ હજી કોરો જ રહ્યો!! નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું,: “ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મલ છે અને ઉપદેશ આપવાને લાયક છે.” એવું કહીને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે પાસંઠ ઓવીનો કાગળ મોકલ્યો જે ‘ચાંગદેવ પાસષ્ટિ’ તરીકે ખ્યાત છે. લખેલું વાંચવું સહેલું છે, પણ ન લખેલું વાંચવું અઘરું છે. સાર એટલે જ કે સન્યાસી ખાલી ને કોરો દેખાય તો પણ તે અપરંપાર કર્મથી ભરપૂર હોય છે.
ભગવાને થોડી ગમ્મ્ત પણ કરી છે. કર્મયોગી એટલે સન્યાસી અને સન્યાસી એટલે કર્મયોગી, એવું સમજાવનાર ભગવાન કહે છે કે, સન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે !! ચિંતકોએ એવી સમજ પાડી છે કે ભગવાન એવું કહે કે, કર્મયોગ ચડિયાતો છે ત્યારે ભગવાન સાધકની દ્રષ્ટિથી કહે છે. એક પણ કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરનાર તો સિદ્ધ જ હોઈ શકે !! સાધકને માટે તો આ ઘણું દૂરનું છે. સાધકની નજરે કર્મયોગ ચડિયાતો છે, જયારે સિદ્ધની નજરે સન્યાસ આગળ છે. કર્મયોગ રસ્તા પર પણ છે ને છેક મુકામ પર પણ છે. સન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્ર આ વાત આમ કહે છે : કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે. સન્યાસ એકલી નિષ્ઠા છે. આ નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા.
