ગુરુ દત્તાત્રેયજીના ચોવીસ ગુરુઓને  આપણે  પણ ગુરુ બનાવવા જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

સામાન્ય રીતે જુલાઈ મહિનામાં   ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ ઉજવાતું હોય છે. ‘ગુરુ જ પૂર્ણ છે’ તેની પ્રતીતિ રૂપે પણ આ ગુરુ-પૂર્ણિમા આપણને હૈયે વસેલી છે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં અનેક ગુરુઓએ આપણો  માર્ગ ચીંધ્યો છે. પણ આપણે તો  શાસ્ત્ર ઇંગિત ગુરુઓની અહીં ઓળખ મેળવવી છે. આપણે ચાર લેખમાં એ પરિચય-વિહાર કરીશું. 

મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય ખંડના ૧૧ માં સ્કંદમાં બહુ જ વિસ્તૃત રીતે ગુરુ અને ગુરુની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુરુ દત્તાત્રેયજીને ચોવીસ ગુરુઓ હતા. આપણને આશ્ચર્ય થાય કે એટલા બધા ગુરુઓ ? પણ જો એ ચોવીસ ગુરુઓની વાત સાંભળીએ કે જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ ગુરુપદ પ્રાપ્ત કરવા માટે સમર્થ ચરિત્રો છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણએ વિનમ્રભાવે મહાભાગ્યશાળી અવધૂત દત્તાત્રેયજીનું સન્માન કર્યું ત્યારે તેમને પુછાયેલો પ્રશ્ન અને તેનો જવાબ આપણી  લેખમાળાનું હાર્દ બની રહેશે.

ગુરુ દત્તાત્રેયજીએ કહ્યું, હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સૌએ જાણવા યોગ્ય છે. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારઘી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી , બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો , સર્પ, કરોળિયો અને ભમરી આ ચોવીસે ગુરુઓ પાસેથી ગુરુશ્રી દત્તાત્રેયજીએ જીવનના આચરણના પાઠ શીખ્યા છે.

પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા તેમણે કહ્યું કે અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ આવા જ પરોપકારની ભાવના શીખી શકાય છે.

વાયુના સંબંધમાં એમ કહેવાયું કે વાયુ જે રીતે સર્વત્ર જાય છે. પરંતુ જે ક્યાંય આસક્ત થતો નથી. ગંધ લે છે અને છોડી દે છે. ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણદોષથી તે અસંગ જ રહે છે તે જ પ્રમાણે યોગીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણદોષથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ એટલે કે તેનામાં આસક્ત ન થવું જોઈએ. ક્યાંય પણ ગુણદોષમાં લપેટાવું જોઈએ નહીં. 

આકાશને ગુરુ તરીકે સ્થાપિત કરવા અંગે  દત્તાત્રેયજી બે શ્લોકનો આધાર લે છે. જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વ વ્યાપક છે તે જ પ્રમાણે આકાશ બ્રહ્મ સ્થાવર જંગમ બધા જ પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વ વ્યાપક છે. અર્થાત અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે પરંતુ આકાશ તેમાંથી નિર્લિપ્ત છે. 

જળ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ છે તેથી મનુષ્યોને પવિત્ર કરે છે, આ પ્રમાણે જ કોઈ પણ મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે તે સર્વને પ્રિય હોય છે. 

અગ્નિનું ઉદાહરણ આપતા કહે છે કે પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઇ જાય છે તે જ પ્રમાણે જે જિતેન્દ્રિય કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઇ જાય છે તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે ક્યાંક અપ્રગટ હોય છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે. અગ્નિ બધા જ લાકડામાં વ્યાપ્ત છે. જે આકારનું લાકડું હોય તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અને અસત બધા જ પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે તે રૂપમાં દેખાય છે.

હવે ચંદ્રમાને ગુરુ શા માટે ગણે છે ? કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે અને વધે છે તે જ પ્રમાણે શરીરની ઉત્પતિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે. જેનો આત્મા સાથે કોઈ સબંધ હોતો નથી. આમ તમારે કાળની કળા પ્રમાણે તમારી કળાને ગોઠવવી પડે છે.

સૂર્યના દ્રષ્ટાંત  માટે બે શ્લોકમાં વાત કરવામાં આવી છે. જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે. પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી. તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. સૂર્ય તો એક જ છે પરંતુ ચલ, અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય. સૂર્યના દ્રષ્ટાંત દ્વારા તૂટસ્થ આત્માને અખંડ સમજવાની જરૂર છે.

 અજગરનું દ્રષ્ટાંત ત્રણ શ્લોકોમાં સમજાવવામાં આવ્યું છે. યોગીની જેમ આપમેળે જે ભોજન મળે તે ખાઈને સંતુષ્ટ રહેવું. તે ભોજન ચાહે મધુર હોય, રસહીન હોય, ઓછું હોય કે વધારે હોય. અજગરની જેમ જીવનનિર્વાહ કરી લેવો અને ઉદાસીન રહેવું. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે પ્રયત્ન ન કરવો. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડયા રહેવું. મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિકબળ આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે તે અજગર છે.

સમુદ્રને પોતાના ગુરુ માનવા  પાછળનું કારણ સમજાવતા કહેવાયું કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો બુદ્ધ, ઉલ્લંઘન ન થાય તેવો અગાઢ અને પ્રભાવશાળી છે. તેને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે સાધુએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. બંને અવસ્થામાં સમુદ્રની જેમ એકસરખા રહેવું. (ક્રમશઃ)