“મા જ્યાં મોકલે ત્યાં જવું.!”
કવિશ્રી અનિલ જોશીની વિદાયે શ્રદ્ધાંજલિ લેખ : 02

ગાંસડી ઉપાડી શેઠની..ના નાયક અનિલ જોશી નામના પ્રેમીથી બોલાય જાય છે..
“હું જાઉં છું એમ કહેવા કરતા મને ‘આવજો’ કહ્યું હોત તો હું તારી પાછળ ના અવત પણ હૃદયને સારું લાગત.”
એમનું ખરું નામ અશોક.. અને એક જ્યોતિષની સલાહ મુજબ તેઓ ‘અશોક’ માંથી ‘અનિલ’ થયા અને આપણને ‘કવિ અનિલ જોશી’ મળ્યા. તેઓ પોતાની જીવન વીતક કથામાં બધાં જ પૃષ્ઠો ખોલીને વ્યક્ત થાય છે.
“ મારી જીભ હવે સાવ છૂટી થઇ ગઈ હતી. પણ છોકરીઓ સાથે વાત કરવાનો કોઈ મોકો જ મળતો નહીં. કોઈ છોકરી રિસેસમાં લોબીમાં સામે મળી જાય તો હું નીચું જોઈ જતો. એ દિવસોમાં ગુડ મોર્નિંગ કહેવાનો રિવાજ નહોતો. કેટલાક ઈશ્કી છોકરાઓ છોકરીને જોઈને ફિલ્મી ગીત ગાતા:: “આપ યુંહી અગર હમસે મિલતે રહે, દેખીએ એક દિન પ્યાર હો જાયેગા.” મને આવું બધું ગમતું નહીં. એ દિવસોમાં અઝીઝ નાઝાની કવાલી મશહૂર હતી. “હમે તો લૂંટ લિયા મિલ કે હુશ્નવાલોને, કાલે કાલે બાલોને ગોરે ગોરે ગાલોને.”
કોલેજમાં કાવ્ય સ્પર્ધા યોજાઈ એમાં ખાલી ગમ્મ્ત ખાતર મેં ભાગ લીધો. એક વાતનું મને પોતાને આશ્ચર્ય છે કે, મને છંદમાં બહુ રસ પડતો હતો. “છબીનો ભંગાર” નામે એક મંદાક્રાંતા છંદમાં કવિતા લખીને સ્પર્ધામાં મોકલી આપી પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે એ કવિતાને પ્રથમ ઇનામ મળ્યું. ૧૯૬૧ માં મેં પહેલી ગુજરાતી કવિતા લખી. એ પછી એક નાનકડું કાવ્ય લખીને મેં કુમારના તંત્રી બચુભાઈ રાવતને મોકલી આપ્યું, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે બચુભાઈનો પત્ર મને મળ્યો. અને એ કાવ્ય ૧૯૬૨ ના કુમારમાં છપાયું. એ કાવ્ય હજી મને યાદ છે. કાવ્યનું શીર્ષક હતું ‘ગરિયો’
‘કેવો ગુમાને ગરિયો ફરે છે, આ ભોંય પાડી કમનીય રેખા,
ઉભી છ કાયા નિજની પ્રશાંત, બાકી ફરે છે મુજ પાસ માયા,
એવું વિચારે
પણ નવ જાણતો એ વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો.’
મારી પ્રથમ કાવ્ય રચના કુમાર સામાયિકમાં પ્રગટ થઇ એનાથી કોલેજમાં ને પ્રોફેસરોમાં મારું માન ખુબ વધી ગયું. ખાસ કરીને જયાનંદ દવે અને પ્રભાશંકર તેરૈયાએ મને પાનો ચડાવ્યો, પણ કવિતા લખવામાં મારી રુચિ બહુ નહોતી. મારું લક્ષ્ય તો સારા ક્રિકેટર થવાનું હતું. મોર્નિંગ કોલેજ હતી એટલે આખો દિવસ જીમખાનામાં પડ્યો રહું. મારો દોસ્ત વિનુ ઝગડા, ગની ઠાસરીયા, ધર્મેન્દ્ર પારેખ, હસમુખ ગોહિલ, શશી દવે, દિનેશ અધ્યારૂ, અનિલ ગુપ્તે અને ઇબ્રાહિમ મારા ટિમ ભેરુઓ હતા. હું ગાયકવાડ ટ્રોફી માટે રમ્યો, હિલશિલ્ડની મેચો રમ્યો. આ બધી મેચોમાં અમ્પાયર તરીકે ટેસ્ટ ક્રિકેટર ન્યાલચંદ હતા. મેચ પછી ન્યાલચંદે મને ખાસ બોલાવીને કહ્યું : “આજે ઇન્ડિયાને ઓફ સ્પિનરની બહુ જરૂર છે. તું રાજકોટના કેમ્પમાં આવ. તું સારો ઓફ સ્પિનર બની શકે છે.” મારા કોલર ઉંચા થઇ ગયા. મારા દોસ્ત વિનુ ઝગડાએ મને પાનો ચડાવ્યો પરંતુ ગાયકવાડ ટ્રોફીની એક મચમા હરીફ ટીમમાં રણજિત ટ્રોફીના ચાર ખેલાડીઓ હતા. આ ટીમે અમારા ગાભા કાઢી નાખ્યા. મેં બે વિકેટ લીધી પછી મને ધોઈ નાખ્યો. હું લેગ સ્લિપમાં બરાબર ફિલ્ડિંગ કરતો હતો. મેચ બરાબર જામી હતી, એવામાં કટ લાગી અને ફાસ્ટ દડો મારી આંખ ઉપર લાગ્યો. હું પેવેલિયનમાં પાછો ફર્યો, ખુબ લોહી નીકળ્યું, ટાકા લેવા પડ્યા બસ એ દિવસથી ક્રિકેટ છૂટી ગયું મનમાં એક બીક મને કાયમ માટે પેસી ગઈ!!
ત્યાર પછીના કવિ શ્રી ગોંડલના શ્રી નાથાભાઈના સંગે બરાબર જીવન વિતાવી રહ્યા હતા અને એમનો ભાવ સભર વર્ણન તેમણે આ કથામાં કર્યું છે. એક દિવસ સાંજે મકરંદ મને કહે, “ચાલ અનિલ, આજે તને હું નાથાભાઈ પાસે લઇ જાઉં.” નાથાભાઈ જોશીનું નામ તો મકરંદ પાસેથી મેં સાંભળ્યું હતું. નાથાભાઈને મેં જોયા પણ હતા. તેઓ સાયકલ ઉપર ફરતા કાળો કોટ પહેર્યો હોય, નીચે સફેદ લેંઘો હોય. લેંઘાનો પાયચો સાયકલની ચેનમાં ભરાઈ ન જાય એ માટે પાયચો બેવડ વાળીને એની ઉપર કલીપ લગાવેલી હોય ! શરીરનો સાવ પાતળો બાંધો. સાયકલ પાછળના કેરિયરમાં કેટલાક પુસ્તકો હોય. એક વાર નાથાભાઈ મકરંદને પુસ્તકો દેવા એમને ઘેર આવ્યા હતા એટલું મને યાદ છે. એ સાંજે હું અને મકરંદ નાથાભાઈને ઘેર ગયા. શ્રુતિ નામનું મકાન હતું. નાથાભાઈએ દરવાજો ખોલ્યો એ પછી મકરંદે મારી ઓળખાણ કરાવી ત્યારે નાથાભાઈએ મારી સામે જોયું કે તરત એમનો અવાજ બદલાઈ ગયો ! મને કહ્યું, “તું બહુ મોટો કવિ થવાનો છે.” આટલું બોલ્યા પછી નાથાભાઈનો અવાજ નોર્મલ થઇ ગયો.!! મકરંદ અને નાથાભાઈ વચ્ચે પ્લેઇન ટ્રુથ સામાયિકની આપ લે થઇ અને સામાયિક સાથે નોબલ ઇનામ નકારનાર સાર્ત્ર સંકળાયેલા હતા. એ વષે નાથાભાઈને મકરંદે કહ્યું: ‘સાર્ત્રની ટ્રુથફૂલનેસ માટે માન ઉપજે છે.’ એ પછી અમે શરબત પી ને નાથાભાઈની વિદાય લીધી. મને બહુ મોટું આશ્ચર્ય એ થયું કે, હું કવિતા બવિતા તો લખતો નથી છતાં મને જોઈને નાથાભાઈએ બિલકુલ જુદા અવાજમાં એમ કેમ કહ્યું કે તું બહુ મોટો કવિ થવાનો છે.?! આ સવાલ મેં મકરંદને પૂછ્યો પણ મકરંદ ખાલી હસ્યા જવાબ આપ્યો નહીં ! એ પછી તો મકરંદના ફળિયે સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા, ઉમાશંકર તેમજ અમૃત ઘાયલ જેવા સાહિત્યકારોનો આવરોજાવરો રહેતો. હું સાવ મૂંગો બેસીને બધાની વાત સાંભળ્યા કરતો પણ કવિતા લખવાનું બહુ મન થતું નહીં. પણ એ જ દિવસોમાં હું મારા ઘરની અગાશી ઉપર પડ્યો રહેતો. કાં તો રૂમના પલંગ ઉપર અર્ધ જાગૃત અર્ધ નિંદ્રામાં પડ્યો રહેતો. એ અવસ્થામાં મારાથિક એક પંક્તિ લખાઈ ગઈ, “કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી.” તરત જ એ ગીત પૂરું થઇ ગયું બીજે દિવસે મેં મકરંદને સંભળાવી દીધું તે તો રાજી રાજી થઇ ગયા.
હું ભાઈ પાસે મારી બધી મૂંઝવણ કહેતો હતો. ભાઈ બહુ સહજતાથી એક જ વાત કહેતા: આપણને મા નું બીમાર બાળક બની જવું એટલે મા બીમાર બાળકને પોતાના ખોળામાં જ રાખે. અનિલ, તું બધું મા ને સોંપી દે. એટલામાં કોઈ જિજ્ઞાસુ આવ્યા. ભાઈને પૂછ્યું ભાઈ, હવે અવતાર ક્યારે થશે ? ભાઈએ તરત જ જવાબ આપ્યો: જુઓ ભાઈ જમીન ઉપર રડતા બાળકને તેડી લેવા મા નીચે નમે એ જ અવતાર છે. ભાઈ સાથેના ઉપનિષદ (ઉપનિષદ એટલે પાસે બેસીને ધીમેથી વાત કરવી.) થી મારું મેટામોર્ફોસિસ થવા લાગ્યું. એની મને ખબર પડી નહીં. ભાઈ પાસે જાઉં ત્યારે મારો એક જ પ્રશ્ન હોય, મને મા ક્યારે મળશે ? ભાઈ તરત કહેતા: “ મા પાસે કોઈ કેલેન્ડર કે ઘડિયાળ નથી. મા અનંત છે. આ ઘડિયાળના બે કાંટા ખરી જાય પછી ઘડિયાળ કયો ટાઈમ બતાવે ? અનંતતા.” અહીં મકરંદ તરત ટહુકો કરીને કોઈ પ્રાચીન ભજનની પંક્તિ બોલતા: “અમે વખનાં માર્યા અવધિના બાંધેલા જીવડાં…” આ પંક્તિ કદાચ દાસીજીવણની હોય શકે. આઈ એમ નોટ શ્યોર !! ભાઈનું શરીર એકવડિયા બાંધાનું. આખી બાંય નું ખમીસ પહેરે. ક્યાંક બહાર જવું હોય તો સાયકલ ઉપર જાય. સાધુતાનો કોઈ ડોળ નહીં. ઉપદેશોની કોઈ ભરમાર નહીં. તમે ભાઈ પાસે બેસો તો સાર્ત્રની પણ વાત આવે, કાફકાને યાદ કરે. એ દિવસોમાં અસ્તિત્વવાદ ખુબ ચર્ચામાં હતો. એ વિષે ભાઈ હસીને કહેતા: “અનંતની સામે આપણું અસ્તિત્વ કેટલું કહેવાય ? મા વિના અસ્તિત્વ શક્ય જ જ નથી. પશ્ચિમની ફિલસુફી પાસે દર્શન છે. પણ અનંતતાનો સ્પર્શ નથી.” એ વખતે મકરંદ તરત ટહુકો કરી કહેતા, “ અત્યારે રોજ સૂર્ય ઊગે છે પણ એવો જ એક સૂર્ય અનંતતામાં છે પરંતુ એ સૂર્યનાં કિરણો હજી આપણા સુધી પહોંચ્યા નથી. હજારો વર્ષથી સૂર્ય કિરણો મુસાફરી જ કર્યા કરે છે.” મને આ બધી વાતોમાં ખુબ રસ પડવા લાગ્યો. મારી મુંઝારી દિવસે દિવસે વધવા લાગી. મારા દિમાગમાં અનેક વિચારો આવતા હતા. વિચારોનો ટ્રાફિક એટલો બધો હતો કે, મારી સાયકલને પંચર પડી ગયું એ પછી એવું થયું કે હું આકાશમાં ઉડતા પંખી જોઉં એમ દિમાગમાં આવતા વિચારોને જોવા લાગ્યો. જેમ કે એક પછી એક દ્રશ્ય પસાર થાય એમ સતત વિચારો પસાર થયા કરતા હતા. જાણે કે હું કોઈ બીજી વ્યક્તિ હોઉં એમ વિચારોને જોવા લાગ્યો હતો. વિચારમાં એક ભાષા હોય છે. એ ભાષા મને પાંખના ટહુકા જેવી લગતી હતી. એ દિવસોમાં મેં એક કવિતા લખી.
મારા જીવને વળગી મુંઝારી રે કોઈ ભુવા ધૂણાવો,
જીવતરનું નામ ધ્રુજારી રે કોઈ ભુવા ધૂણાવો…
આ કવિતા મેં ભાઈને સંભળાવી હતી ત્યારે તેઓ મર્માળું હસ્યા હતા, કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. ફક્ત એટલું જ બોલ્યા હતા: “તને મા એ કીધું હતું કે, તું બહુ મોટો કવિ થઈશ. મારે પણ ગોંડલમાં એક મંદિર બાંધવું છે, પણ એ મંદિરમાં સાહિત્ય અને કવિતાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. એ બધું મેં મા ને સોંપી દીધું છે હું તો કંઈ કરતો નથી, બધું મા કરે છે. સાહિત્ય અને કવિતા વિનાનું મંદિર અધૂરું કહેવાય. તું એ મંદિરનું બાંધકામ ચાલે છે તે જોઈ આવ. એ પછી કોઈ મિત્રને ભાઈએ કહ્યું, ‘અનિલને મંદિર બાંધ્યું છે તે દેખાડવા લઇ જાઓ.’ હું એ નિર્માણ પામતા મંદિરને જોવા ગયો. એ પછીના દિવસોમાં મકરંદના ફળિયે રોજ સાહિત્યની ચર્ચાઓ થઇ. મકરંદની ઓસરીમાં બા નો ખાટલો, બા ને પેટનો દુખાવો ઉપડતો ત્યારે બા ના પેટ ઉપર સતત હાથ મૂકી રાખવો પડતો. એ રાતે વારાફરતી હું ને મકરંદ બા ના પેટ ઉપર હાથ રાખીને બેસતા. બા ઊંઘી જતા. પેટ ઉપરથી મારો હાથ ખસે તો બા જાગી જતા. આખી રાત હું ને મકરંદ બેસી રહેતા. મધરાતે અમને ભૂખ લાગતી ત્યારે રસોડામાં જઈને તીખા ગાંઠિયા પાણીમાં પલાળીને લાવતા જેથી ગાંઠિયા ખાતા મોમાં કરડ કરડ ન થાય ને બા જાગી ન જાય. મકરંદને બા બાબુ કહીને બોલવતા હતા.
કવિએ BA ની પરીક્ષા આપી દીધી. વર્ષ પૂરું થયું હવે તો એમણે ઉચાળા ભરીને પાછું હિંમતનગર જવાનું હતું. એ દિવસોમાં યશવંત સરને મળવા તેઓ ગયા અને રીતસર તેની પાસે રડી પડ્યા. એમણે કહ્યું કે મને એક અસલામતીનો એહસાસ થયો છે. BA ની પરીક્ષા આપીને હું પાછો હિંમતનગર પહોંચી ગયો. રીઝલ્ટની બહુ ચિંતા નહોતી. અમદાવાદમાં નિરંજનભગત પાસેથી ખુબ વાતો સાંભળી હતી એમાં ગ્રીક તત્ત્વવેત્તાના શબ્દો મારા લોહીમાં ભળી ગયા હતા. “જીવનને એવી રીતે ગ્રહણ કરો કે, તમે એક દાવત પાર્ટીમાં આવ્યા છો. તમારે આ દાવતમાં શાલીનતાથી પેશ થવાનું છે. તમારા હાથમાં ખાલી ડીશ છે. કોઈ વાનગીની ડીશ તમારા તરફ લાવે તો એમાંથી તમે ખપ પૂરતું ગ્રહણ કરો. સંભવ છે કે કોઈ વાનગીની ડીશ તમારા તરફ ન આવે તો તમારી પ્લેટમાં જેટલું છે એનાથી ચલાવી લો. ઝૂંટાઝૂંટ ન કરો. કોઈ સારી વાનગી તમારા સુધી હજી સુધી પહોંચી નથી, તો એની ધીરજ પૂર્વક પ્રતીક્ષા કરો. નમ્રતા, સંયમ અને કૃતજ્ઞતાના આ દ્રષ્ટિકોણથી તમે બાળકો, પતિ અથવા પત્ની તમારી કેરિયર અને આર્થિક સ્થિતિ સાથે જીવનની દાવતમાં પધારો. અધીરા થઈને કોઈનું ઝૂંટવી લેવાની જરૂર નથી, ઈર્ષા કરવાની જરૂર નથી, સમય આવશે ત્યારે તમારી ગમતી વસ્તુ તમારી પ્લેટમાં આવી જશે.” કવિ લખે છે કે મારી હોસ્ટેલ લાઈફ એક દાવત પાર્ટી જેવી હતી.
એક વાર તેઓ મહેંતાપુરાના બેઠો પુલ ઓળંગીને લાયબ્રેરીમાં જતા હતા ત્યારે રસ્તા વચ્ચે એક ચબુતરો આવતો હતો. ચબૂતરે થોડી વાર તેઓ ઉભા રહ્યા.. ચબુતરાનાની જીણી ધૂળ પર પંખીઓની સુંદર ભાત પડેલી હોય ત્યારે તેઓને ફીલ થયું કે, આ ધૂળને કોઈ શણગારી ગયું છે. શિશુ અવસ્થામાં તેઓએ ધૂળથી ઝાંખા પડી ગયેલા અરીસા ઉપર આંગળીથી પોતાનું નામ લખ્યું હતું તે હજીયે યાદ છે. ચબુતરો છોડીને તેઓ લાયબ્રેરી પહોંચ્યા. લાયબ્રેરી બહુ આધુનિક નહોતી. જુના પુસ્તકો ઉપર ધૂળ ચડી ગઈ હતી. એકાદું પુસ્તક લઈને ખુરશી પર બેસીને તેઓ વાંચવા લાગ્યા. થોડી વાર થઇ હશે ત્યાં એક સુંદર છોકરી લાયબ્રેરીમાં પ્રવેશે છે. લાયબ્રેરીમાં કવિ સિવાય બીજો કોઈ વાચક નહોતો. એ યુવતિ એમની સામેની જ ખુરશીમાં પોતાનું પર્સ મૂકીને જેવી બેઠી કે તરત જ કવિ તેમને ઓળખી ગયા. મળી દૃષ્ટોદ્રષ્ટ. “આ એ જ વિજ્ઞાનમાં ભણતી છોકરી હતી જેની સાથે મોરબીમાં હું પ્રેમમાં પડી ગયો હતો. મેં કહ્યું અરે તું ! એ છોકરી પણ બોલી તમે અહીં ?” લાયબ્રેરીમાં એક સન્નાટો ફરી વળ્યો. મારી સામે એક ફ્લેશબેકનું દ્રશ્ય છવાઈ ગયું. હું ફ્લેશબેકમાં ખોવાયેલો હતો. અહીં મને એવું ફીલ થયું કે હું શબ્દ દ્વારા વિચારવાનું છોડીને ચિત્ર દ્વારા વિચારું છું. હું બહુ આકર્ષક નહોતો કે, કોઈ સુંદર છોકરી મારા પ્રેમમાં પડી જાય. મારો મિજાજ પણ ઈશ્કી નહોતો. મારે એને ઘણું ઘણું કહેવું છે પણ શબ્દો હોઠે ચડતા પહેલા જ તૂટી જતા હતા.” અમે બંને લાયબ્રેરીમાં બેસી રહ્યા. એ છોકરી મારી સાથે હાથ મેળવતા એટલું જ બોલી, “વીંટી એની એ જ છે. મેં વીંટી બદલી નથી. મને અમદાવાદમાં મેડીકલમાં એડમિશન મળી ગયું છે, હું જાઉં છું તમારું ધ્યાન રાખજો.” એ છોકરીએ હું જાઉં છું કહીને વિદાય લીધી ત્યારે હેમંત દેસાઈનું એક નાનકડું કાવ્ય એના ગયા પછી યાદ આવી ગયું. હું જાઉં છું એમ કહેવા કરતા મને આવજો કહ્યું હોત તો હું તારી પાછળ ના અવત પણ હૃદયને સારું લાગત. એ દિવસે બપોરે હું ઘેર આવીને માનસિંહ પાસેથી બે પેગ મહુડાનાં ચડાવીને સુઈ ગયો હતો.
મોડાસાની આવ જા દરમિયાન બસની બારીમાંથી સાબરકાંઠાની પ્રકૃતિને તેઓએ ખોબેખોબે પીધી છે, ઉડતા પોપટને જોવે તો એવું લાગે કે, કલરવની સુંદરી પોપટની પાલખીમાં બેસીને અભિસારે જઈ રહી છે. પસાર થતા વૃક્ષોના ફરકતા પાંદડા વચ્ચે ઝૂલતું આકાશ, બસ તો સડસડાટ ચાલતી હોય. કોઈ વાર સૂકા પાંદડા પવનની ઝપટે ચડીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે બસના ડ્રાઇવર ઉપર ગુસ્સો આવે કે, આ સૂકા પાંદડા રોડ ક્રોસ કરે છે, પણ ડ્રાઈવર હોર્ન કેમ નથી મારતો ? કવિની અભ્યાસ જાત્રામાં બે મુકામ હતા. નિરંજન ભગત પાસે બોદલેર અને મકરંદ પાસે બહોત લ્હેર . પિતાજીની બદલી અમરેલી થઇ એનો કવિને છૂપો આનંદ હતો. કારણ કે ગોંડલ હવે વારંવાર જવાશે. ફરી પાછું ગોંડલ હૃદયમાં ભરાઈ ગયું. સરકારી બદલીઓ ઘાટઘાટના પાણી પીવડાવે છે, એમાંથી કોઈવાર રમૂજ પણ થતી. “જિલ્લાના શિક્ષકો પિતાજીને બદલી માટે અરજી મોકલતા ત્યારે અરજીમાં વિષય તરીકે એવું મુકતા, ‘જોડું ભેગું કરવા બાબત’ આનો અર્થ એવો થાય કે, પતિ પત્ની એક જ શાળામાં નોકરી કરતા હોય અને પત્નીની બદલી બીજા ગામડામાં થઇ જાય તો જોડું તૂટી જાય. એ જોડાને ભેગું કરવાની અરજીઓ પિતાજી પાસે બહુ આવતી. અમે હિંમતનગરથી ઉચાળા ભરીને અમરેલી જવા નીકળી ગયા. મારા માટે અમરેલી સાવ નવું હતું. માણેકપુરમાં વસંતકુંજ નામના વિશાળ ઘરમાં રહેવાનું થયું, પરિસર સાવ નવો હતો, ચહેરાઓ નવા હતા, વૃક્ષો નવા હતા. થોડા દિવસ અમરેલી રહીને તેઓ સીધા બસમાં બેસીને ગોંડલ પહોંચી ગયા ને મકરંદને ઘેર ગયા. તરત મકરંદે ટહુકો કર્યો: “એક બિસ્તર બાંધતા હૈ, એક બિસ્તર છોડતા હૈ.” ફરી આનંદ મંગલ છવાઈ ગયો. ભાઈને મળ્યો. ભાઈ કહે, મા જ્યાં મોકલે ત્યાં જવું. ભાઈ રાજી થયા. મકરંદે ખાટ ઉપર ઝૂલતા ઝૂલતા બહુ સરસ વાત કરી કે, ઝટાધારી સાધુ એના શિષ્ય સાથે પગે ચાલી ને બીજે ગામ જતા હતા. રસ્તામાં સખ્ત પવન હતો એટલે વારંવાર સાધુની જટા આંખ ઉપર આવી જતી હતી, એટલે સાધુએ તરત દિશા બદલી નાખી. અનુકૂળ પવન સાથે ફરી ચાલવા લાગ્યા. એ પછી સાધુએ શિષ્યને કહ્યું: અનુકૂળ પવનમાં માથાની જટા આંખ ઉપર નહીં આવે. ક્યાં જવું છે કોઈ દિવસ નક્કી ના કરવું.” આ સાંભળીને ફરી મારા લોહીમાં અભિજ્ઞાન શાકુંતલ ઉછળ્યું. કણ્વ ઋષિ શકુંતલાની વિદાય વખતે એવો આશીર્વાદ આપે છે : પ્રવાસમાં તને શાંત અને અનુકૂળ પવન મળે.
એક નિખાલસ કબૂલાત કવિ કરે છે કે, તેમણે બે વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. ઊંઘની ગોળીઓ વધુ પડતી લઈને તેઓ સુઈ ગયા હતા, પણ તેઓ જીવતા રહી ગયા. divine set back અસહ્ય હતો. તેઓ બીડી સિગારેટ પીતા અને તમાકુ પણ ખાવા લાગ્યા હતા. પિતાજીને અને તેમની બાને બહુ ચિંતા રહેતી. તેઓ તરત ભાઈ પાસે ગોંડલ ગયા. બધી વાત કરી તો ભાઈ કહે, મેં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ! કવિને હિંમત આવી અને તેઓ અમરેલી આવ્યા. એક દિવસ કવિના પિતાજીએ પાસે બોલાવીને કહ્યું અનિલ મારી ઓફિસમાં યુવાન છોકરો છે, ક્લાર્ક છે, એના અક્ષર બહુ સુંદર છે અને તે ચાંદનીમાં વાર્તા લખે છે. કાલે તું ઓફિસે આવ એટલે તને એની ઓળખાણ કરાવું. અમરેલીમાં તને કંપની રહેશે, બીજે દિવસે કવિ પિતાજીની જિલ્લાની ઓફિસે ગયા. પિતાજી જિલ્લાના શાસનાધિકારી હતા. પિતાજીએ પટાવાળાને બોલાવ્યા અને કહ્યું રમેશને અહીં મોકલો. ઉપર પંખો ફરતો હતો. એટલામાં સફેદ લેંઘો અને સફેદ ખમીસ પહેરેલો, સહેજ વાંકુ મોઢું, હાથમાં લાલ રૂમાલથી પરસેવો લૂછતો, પગમાં દેશી ચપ્પલ, માથે જથ્થાદાર વાળ અને માથે જાડી ફ્રેમના ચશ્મા તેમજ શ્યામ વર્ણ જેવા શરીરે પ્રવેશ કર્યો. પિતાજીએ કહ્યું : ‘આ રમેશ પારેખ. વાર્તાઓ ખુબ સરસ લખે છે.’ “રમેશની નજરે હું એક એના બોસનો દીકરો હતો. એટલે રમેશે વિનયપૂર્વક મને કહ્યું, હું ચાંદનીમાં વાર્તાઓ લખું છું, થોડી ઔપચારિક વાતો થઇ, પછી મેં કહ્યું ક્યારેક ઘેર આવો તો વાતો કરીએ. હું સાવ નવરો છું. શનિ રવિ MA ના પિરિયડ ભરવા રાજકોટ જાઉં છું.” આ અમારી પહેલી મુલાકાતનું દ્રશ્ય હતું.
મારી બા બહુ ધાર્મિક હતી પણ અમરેલીથી સાવ અજાણી હતી એવામાં ડોંગરે મહારાજની કથા બેઠી. બાને એ કથામાં જવાની બહુ ઈચ્છા હતી. મને બાએ કહ્યું : અનિલ, મને ડોંગરે મહારાજની કથામાં મૂકી જા ને. મેં કીધું: મને કથા બથામાં રસ નથી. હું અમરેલીમાં સાવ અજાણ્યો છું. એટલામાં ઓફિસે જવા તૈયાર થતા પિતાજીએ કહ્યું, ‘હમણાં હું રમેશને મોકલું છું એ તને કથામાં મૂકી જશે.’ બા તો ખુશ થઇ ગઈ. પિતાજી ઓફિસે જતા રહ્યા થોડી વાર થઇ જશે ત્યાં રમેશ સાયકલ ઉપર અમારા માણેકપરાના વસંતકુંજમાં આવ્યો. બા કથામાં જવા તૈયાર થઇ ગઈ. હું પણ તૈયાર થઇ ગયો અમે કથામાં ગયા. હું અને રમેશ પણ કથા સાંભળવા બેઠા. અકડે ઠઠ્ઠ મેદની હતી. ડોંગરે મહારાજની કથામાં ! અમને એક વાત બહુ સ્પર્શી ગઈ. મારી શોધ પ્રેમની હતી એટલે કદાચ વધુ સ્પર્શી હશે. ડોંગરે મહારાજ બહુ ભાવુક હતા. હૃદયથી કથા કહેતા કહેતા રડી પડતા હતા. શ્રોતાઓ પણ રડી પડતા. ડોંગરે મહારાજે જે વાત કરી એની અક્ષરશઃ સ્મૃતિ મને યાદ છે. “મનુષ્ય પોતાનું પ્રેમ પાત્ર હંમેશા બદલતો રહે છે, પણ એને શાંતિ મળતી નથી. બાળપણમાં તે માતાને પ્રેમ કરે છે, યુવાન થઈને મિત્રને પ્રેમ કરે છે, લગ્ન પછી પત્નીને પ્રેમ કરે છે એ પછી એના બાળકોને પ્રેમ કરે છે, પૈસાને પ્રેમ કરે છે, આબરૂને પ્રેમ કરે છે પણ જો ઈશ્વરને એક ને જ પ્રેમ કરશો તો વારંવાર પ્રેમ પાત્રો બદલાવા નહીં પડે. આજકાલ લોકો ભક્તિ તો બહુ કરે છે પણ ઈશ્વરને સાધન અને સાંસારિક સુખોને સાધ્ય માનીને ભક્તિ કરે છે. ઈશ્વર સાધન નથી. સાધ્ય છે.” ડોંગરે મહારાજના આ શબ્દો સાંભળ્યા ત્યારે મારી અને રમેશની આંખમાં આંસુ આવી ગયા હતા. ચિક્કાર મેદની પણ રડતી હતી. કથા પુરી થયા પછી મારી બા અને મને ઘેર મૂકીને જતા જતા મને રમેશ કહેતો ગયો: “અનિલભાઈ કાલે સાંજે હું આવું છું.” મેં કીધું જરૂર આવો, વાતો કરીશું. અમારા બંનેના દિમાગમાં ડોંગરે મહારાજના કથાના શબ્દો કોતરાઈ ગયા હતા. ડોંગરે મહારાજની કથા દિમાગી કથા નહોતી, સીધી હૃદય સુધી પહોંચતી એટલે કદાચ મારી અને રમેશની આંખોમાં આંસુ આવી ગયા હશે.!!
બીજે દિવસે સાંજે રમેશ કવિને ઘરે આવ્યા. એના હાથમાં એક પાક્કા પૂઠાંની નોટ હતી. થોડાક સંકોચ સાથે એણે નોટ કવિના હાથમાં મૂકીને કહ્યું, “મેં પણ કવિતા લખવાની ટ્રાય કરી છે, એ આ નોટમાં છે તમે જોઈ જજો.” કવિ કહે તમે નોટ મૂકી જાઓ હું જોઈ જઈશ. તેઓના ઘરની પાછળ જીમખાનાનું મોટું મેદાન હતું. તેઓ થોડી વાર અગાસીમાં બેઠા. કવિના બા એ ચા બનાવીને આપી. અમરેલીની થોડી ઘણી વાતો થઇ એ પછી રમેશને બીડીની તલબ લાગી. બહુ સંકોચ સાથે રમેશે કવિને પૂછ્યું, ‘બીડી પીઉં ?’ કવિએ કહ્યું, એક મને પણ આપ. સૌદર્યો પી ઉરઝરણ ગાશે આપ મેળે. ઉમાશંકરને યાદ કર્યા. થોડીક અલપ ઝલપ વાતો થયા પછી રમેશ જતા રહ્યા. તે રાતે રમેશે આપેલી નોટ કવિના હાથમાં હતી. આખી નોટ વાંચી ગયા. એ નોટમાં થોડું ડ્રોઈંગ પણ કર્યું હતું, ‘યાવર’ ઉપનામથી કવિતાઓ હતી. અક્ષરો તો ખુબ સુંદર હતા. બીજે દિવસે રમેશ ઘરે આવ્યો ત્યારે તેઓ રેલવે સ્ટેશનના બાકડા સુધી પગ મોકળો કરવા ગયા. સાંજનો સમય હતો. બીડીઓ સળગાવીને બેઠા. “રમેશે આપેલી નોટ વાંચ્યા પછી મારા મોઢામાંથી તુંકારો નીકળી ગયો. મેં કીધું, રમેશિયા તારી પાસે અફલાતૂન લય છે, તળપદી ભાષાનો વૈભવ છે, તારે તો કવિતાઓ જ લખવી જોઈએ. વાર્તાઓ લખવી બંધ કર. કવિતા જ તારી નિયતિ છે.” આ સાંભળીને રમેશની આંખમાં ચમક આવી ગઈ. “મારો તુંકારો સાંભળ્યા પછી રમેશે એના ગઝલ લખતા મિત્ર દિલહર સંઘવીનો એક શેર મને સંભળાવ્યો. “નક્કી હૃદયનું પીઠબળ એને મળ્યું હશે. નક્કી હૃદયનું પીઠબળ એને મળ્યું હશે હોઠે ચડીને શબ્દ તુંકારો બની ગયો.” એ વખતે મેં રમેશને કીધું, લય કોઈ દિવસ ખોટું નથી બોલતો. તારે કવિતાઓ જ લખવી જોઈએ. આ તારી કવિતા પરંપરાગત છે પણ એમાં લય અને ભાષાનો વૈભવ છે. આ સાંભળી રમેશે એક મજેદાર વાત કહી. મેં એકાદ બે કવિતાઓ જાણીતા મેગેઝિનોને છાપવા માટે મોકલી. પણ સંપાદક તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. છેવટે મેં એક છોકરીને નામે કવિતા મોકલી તો થોડા દિવસમાં તંત્રીએ મને લાંબો પત્ર લખ્યો. આટલું કહીને રમેશ એની સ્ટાઈલથી ખી… ખી… હસતો રહ્યો.
અમરેલી સ્ટેશનના બાકડા ઉપર આ બે મિત્રો ખુબ બેઠા. એ પછી રમેશ વસંતકુંજમાં કવિને મુકવા આવ્યો ત્યારે કવિએ તેને ‘સમર્પણ’માં છપાયેલી કવિતાનો અંક તેમજ પોતાના ફોટા સાથે પ્રસિદ્ધ થયેલો ‘કૃતિ’નો અંક આપ્યો. એ પછી કવિ પાસે સુરેશ જોશી સંપાદિત ‘મનીષા’નો એક અંક હતો તે આપ્યો. રમેશને કોઈ સલાહ ન આપી. ફક્ત એટલું જ કીધું: ઉત્તમ કવિતાઓ વાંચવી, માસ્ટરમાઈન્ડની સંગતિ રાખવી. અમારો રોજેરોજ મળવાનો સિલસિલો શરૂ થઇ ગયો. એવામાં ખબર આવ્યા કે, દિલ્હીમાં સાહિત્ય પરિષદનું અધિવેશન છે. કવિએ રમેશને કહ્યું, દિલ્હી આવવું છે ? રમેશનું મોઢું પડી ગયું. કહે મને ઓફિસમાંથી રજા નહીં મળે. મેં બધી રજા વાપરી નાખી છે. હું પરિષદનો મેમ્બર પણ નથી, કેવી રીતે આવું ? કવિએ તરત જ કીધું એની ચિંતા ન કર બસ તારે દિલ્હી આવવાનું છે. પિતાજીની લાગવગથી રમેશને રજા મળી ગઈ. અમરેલીથી બંને ગુજરાતના અધ્યાપક ભાનુબેન દેસાઈ સાથે ટ્રેનમાં બેસી ગયા. સાથે રાજકોટ રેડિયોના મૃદુલા જોશી પણ જોડાયા. તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે રમેશને દિલ્હીની પોલીસ જોઈને તરત ઉપમા સુજી અને કહે દિલ્હીની પોલીસ લાલ, બ્લ્યુ પેન્સિલ જેવી લાગે છે. અમે સૌ ખડખડાટ હસી પડ્યા. એવામાં પરિષદના દિવસે ચુનીલાલ મડીયા સહિત અનેક સાહિત્યકારો સાથે કવિએ રમેશનો પરિચય કરાવ્યો. રાજેન્દ્ર શુક્લ સાથે પણ રમેશનો પરિચય કરાવ્યો. એ વખતે રાજેન્દ્રે રમેશને કહ્યું, ‘કાં બચ્ચું ?’ આ બચ્ચું શબ્દથી રમેશ ભડકી ગયો. એક સાથે બે ત્રણ બીડીઓ પી ગયો, પછી કવિને કહે, મને બચ્ચું કેમ કહ્યો ? એના મનમાં સમજે છે શું ? કવિએ રમેશને શાંત પાડીને સમજાવ્યો. રાજેન્દ્ર શુક્લ બહુ મોટા કવિ છે. એનું એવું ખોટું ન લગાડવાનું હોય. એને ખબર નથી કે એ પોતે કોને બચ્ચું કહી રહ્યા છે. એને એ પણ ખબર નથી કે, તું કવિતા લખે છે.. માંડ માંડ રમેશ શાંત પડ્યો. આ આખો પ્રસંગ રમેશે પોતે જ દિવાળી અંકમાં લખ્યો હતો. એનો આપણી પાસે આધાર છે. એ પછી પરિષદ છોડીને એક ગુરુદ્વારામાં બંને ઉપડ્યા. ત્યાં શબદ કીર્તન ચાલતા હતા, એમાં જઈને બેસી ગયા. આ કીર્તનમાં એવા શબ્દો આવતા હતા કે, તુમ બિન કૌન હમારા??. કીર્તનમાં રમેશ ખુબ રોયો. કવિને પણ આંસુ આવી ગયા. એ પછી લંગરમાં તેઓ જમ્યા. પરિષદમાં રાતે કવિ સંમેલન હતું. એમાં કવિએ કવિતા વાંચવાની હતી. રમેશને તો નિમંત્રણ નહોતું. કવિની તો કોશિશ એવી પણ હતી કે, રમેશ કવિતા વાંચે. કવિએ સુરેશ દલાલને વાત કરી. સુરેશે કીધું, ભલે વાંચે. એ પછી રમેશે ‘યાવર’ નામથી લખેલી એક બે કવિતાઓ વાંચી. પઠનમાં થોડી તકલીફ પડી. પણ આત્મવિશ્વાસ એનો વધી ગયો.
દિલ્હીથી અમરેલી પાછા આવી ગયા પછી દરરોજ સ્ટેશનને બાંકડે બેસવાનું, ચિક્કાર બીડીઓ પીવાની, અને શ્રેષ્ઠ કવિતાઓ વાંચવાની ટેવ પડી ગઈ. એક સાંજે કવિએ બંગાળી કવિ જીવનાનંદદાસ ની કવિતા વાંચી. એ કવિતામાં વનલતા સેનનું પાત્ર આવે છે. આ કવિતા પુરી કર્યા પછી રમેશે બહુ ઉત્સુકતાથી પૂછ્યું, આ વનલતા સેન કોણ છે ? મેં કીધું, એ કવિતાનું પાત્ર છે, માત્ર પાત્ર. રમેશ નવી બીડી સળગાવે છે. એકાદ બે ફૂંક લઈને મને પૂછે છે, આવું પાત્ર હું ઉભું કરી શકું ? કવિએ કહ્યું અવશ્ય. એ પછી પગે ચાલતા ટાવર ચોક સુધી પહોંચી ગયા. કાશ્મીરી સોડા પીધી. પાન ખાધું. એકાદ બીડી સાથે પીને તેઓ છુટા પડ્યા. બીજે દિવસે વહેલી સવારે રમેશ વસંતકુંજમાં આવ્યો. નવાઈ લાગી કે અત્યારમાં ? રમેશે આવતાવેંત નવી લખેલી કવિતા કવિના હાથમાં મૂકી દીધી. એ કવિતા કવિના હાથમાં મૂકતા જ રમેશ બોલ્યો, મેં પણ કવિતામાં એક પાત્ર ઉભું કર્યું છે. એ કવિતાની ધ્રુવ પંક્તિઓ આ પ્રમાણે હતી::
લાવો લાવો કાગળિયો ને દોત, સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવામાં તલપે કપોત સોનલદેને લખીએ રે.
કવિ શ્રી અનિલ જોશી બહુ સ્પષ્ટ લખે છે કે, રમેશ પારેખ ને મારી બહુ ચિંતા થતી હતી. એક પત્રમાં મને લખ્યું હતું કે, અનિલ તારું સન્માન કરીને પૈસાની થેલી અપાય એવું આયોજન કરવું છે. પરંતુ મેં સ્પષ્ટ ના પાડી હતી. જવાબને લખ્યો કે, માએ મને જે સ્થિતિમાં રાખ્યો છે એમાં હું ખુશ છું. એ પછી આગળ જતાં મારા વન પ્રવેશની ઉજવણી કરવાની દરખાસ્ત રમેશે એક પત્ર દ્વારા કરી. એ પત્રના જવાબમાં મેં એ જ વખતે સૂઝેલી બે કાવ્ય પંક્તિ રમેશને મોકલી આપી: “ઝાડવું તો પહેલેથી જંગલમાં હોય કંઈક ગુલમોરનો વન પ્રવેશ હોય નહીં !”
ભરચક્ક જીવન જીવીને, પોતાને ગમતું કહેવા અને કરવાની જીદ્દ સાથે જીવીને આપણા કવિ અનિલ જોશીએ વિદાય લીધી છે, ત્યારે મૃત્યુ વિશેના તેઓના વિચારો “ગાંસડી ઉપાડી શેઠની” નામધારી જીવાઈ ગયેલ જીવનની વીતક કથા ના અંતે જાણીએ અને આપણી શબદાંજલિ ને વિરામ આપીએ.
“મને ખબર નથી કે હું કેવી રીતે મૃત્યુ પામવાનો છું. એ સત્ય છે કે મનુષ્ય જન્મ લેતી વખતે માત્ર એક જ માર્ગથી સૃષ્ટિ પ્રવેશ કરે છે પણ મૃત્યુના અનેક માર્ગ હોય છે. અમર થઈ જવાની ભ્રાંતિમાં હું જીવ્યો નથી. ભાઈ અને મકરંદ સાથેની સંગતીએ મને હતો એના કરતાં વધુ બાળક બનાવ્યો છે. કોઈ મને બહુ સરળતાથી છેતરી શકે અને ઉપયોગ પણ કરી શકે. આજે ત્યાંસી વર્ષની ઉંમરે પણ હું પરિપક્વ નથી થયો. પાકેલું ફળ સડી પણ જાય, જીવાત પણ પડે એટલે જ હું કાચી કેરીની જેમ જીવી ગયો છું. મારા આત્મકથાનક ના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેણે મને ખૂબ પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે. મારી જિંદગી અનેક હાથથી ઘડાય છે, એનો જ મહિમા છે. મારા કેન્દ્રમાં મા મારી સાથે રહી છે, એની મને સતત અનુભૂતિ થઈ છે. મારા કેટલાક સમકાલીન મિત્રો પાસે હું મા વિશે વાતો કરવા જાઉં ત્યારે તેઓ મને બાળક માનીને હસી કાઢતા હશે. ગુજરાતી સાહિત્યમાં પરિપક્વ થવું એટલે વ્યવહાર ડાહ્યા થવું, આંખ આડા કાન કરવા, ખરે ટાણે મોઢું બંધ રાખવું, ચાવવાના અને દેખાડવાના દાંત અલગ રાખવા, સત્તાના વ્હાલા થવું અને જ્ઞાનપીઠ એવોર્ડની રાહ જોવી..
હું કેવી રીતે મરી જઈશ એની મને ખબર નથી. સૌ પોત પોતાની ભીડમાં જીવે છે. કોઈ નાણાંભીડમાં છે, કોઈ વિચારધારાની ભીડમાં છે, કોઈ હિન્દુની ભીડમાં છે, કોઈ મુસ્લિમની ભીડમાં છે, કોઈ સરઘસની ભીડમાં છે, કોઈ અનામતની તો કોઈ સંઘની ભીડમાં છે.. અહીં ભીડની સાથે સાથે ચાલતી મારી એકલતાનું સંવેદન છે. મારી એકલતા હવે સાર્વજનિક થઈ ગઈ છે. અહીં મેં થોડા તડકાના ટુકડાઓ ખિસ્સામાં ભર્યા છે, પણ અંધકારની ખામોશી મને બોલાવે છે. કોઈને થપ્પડ માર્યા પહેલાની ખામોશી, મારા ખમીસના તૂટેલા બટનની ખામોશી, સોય દોરાની ખામોશી, ગોળી છુટ્યા પહેલાંની બંદૂકની ખામોશી, કંઈક લખતા પહેલા કોરા કાગળની ખામોશી, મારા બોલ્યા પહેલાંની ખામોશી, અરીસો ફૂટતા પહેલાની ચુપકીદી, ઉમાશંકરની ખામોશી, સુરેશ જોશીની ખામોશી હજી મારી આંગળીઓમાં ટાચકાની જેમ સંતાઈને બેઠી છે. કાલિદાસની શકુંતલા તો નસીબદાર હતી કે એની આંગળીમાં પહેરેલી ઓળખની વીંટી નદીની માછલીના પેટમાં સંતાઈ ગઈ હતી એટલે શકુંતલાને આશા હતી કે વીંટી જરૂર પાછી મળશે, પણ મારી ઓળખની વીંટી તો એક્વેરિયમ ની માછલી ગળી ગઈ છે, એકવેરિયમમાં કોઈ માછીમાર નથી. ડ્રેમ ગ્રિમ નામની એક કવિયત્રી પોતાની એક કવિતામાં લખે છે કે, જે પ્રેમ હતો જ નહીં એ પ્રેમને માટે હું ખૂબ આભારી છું. જે સ્મૃતિઓ આપણે ક્યારેય સાથે બેસીને શેર નથી કરી એ સ્મૃતિઓ માટે હું ખૂબ આભારી છું. જે સત્ય આપણે એકબીજાને કહ્યું જ નથી, એ સત્ય માટેનું ખૂબ જ આભારી છું. કેટલા જુઠાણા અને કેટલી બધી ઇજાઓએ મને સંપૂર્ણ બનાવી છે !! ઉમાશંકરે ‘છિન્ન ભિન્ન છું’ લખ્યું. સુરેશ જોશી એ ‘છિન્નપત્ર’ લખ્યું. સુરેશ જોશીના શબ્દો હજીયે મારા કાનમાં સંભળાય છે એ શબ્દો સાથે અહીં હું અપૂર્ણ વિરામ મુકું છું.
