સદ્અનેસતબંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

‘સ’ અક્ષર હકાર છે. 

‘સ’ અક્ષર સત્યનો દ્યોતક છે. 

સારપ, સકારાત્મક, સર્જનાત્મક અને કલ્યાણકારી હોય તે સત સથવા સદ. 

હૈયે વસે તે ભાવના. 

હાથથી ઉતરે તે કર્મ. 

આ હૈયા અને હાથની જુગલબંધીમાં મસ્તક વચ્ચે આવવાનું ટાળે ત્યારે સદભાવના અને સત્કર્મનો યોગ રચાય.

સદભાવના અને સત્કર્મ એ શબ્દો નથી, આપણી આંતરિક લાગણી છે, દિવ્ય ભેટ છે, કારણ એ જન્મ સાથે જ આપણી માટીમાં ભળેલ છે. 

ઉમાશંકર જોશીએ કહ્યું :

ત્રણ વાનાં  મુજને મળ્યાં, હૈયું – મસ્તક – હાથ

ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ !

પણ નાથ જબરો છે, એણે હૈયું અને હાથની વચ્ચે મસ્તક નામધારી મમરો મૂકી દીધો ! માનવ માત્ર આ મસ્તકના કારણે ધંધે લાગી ગયો. હૈયે જન્મેલી લાગણી હાથ દ્વારા પ્રકટ થાય એ પહેલાં મસ્તકમાંથી આંટો લગાવીને આવી હોય એટલે સદભાવનાની પ્રત્યેક અભિવ્યક્તિ સત્કર્મ જ હોય તેવું નક્કી નહીં ! બસ, અહીં થયો ગોટાળો. શરૂ થઇ ચડસાચડસી. મેં જે કર્યું તેને સત્કર્મ ગણવું કે નહીં તે સામેનાનું મસ્તક નક્કી કરે અને મેં જે વિચાર્યું તે સદભાવનાથી વિચાર્યું કે નહીં તે પણ કસોટીની એરણે ચડે !

સદભાવના અને સત્કર્મ : બે સારા શબ્દો, બે દિવ્ય ભાવો આ કળિયુગમાં રાજકારણીઓની હડફેટે ચડી ગયા. શાસ્ત્રાર્થના બે શબ્દો વાણીવિલાસ બની રહ્યા ! સદભાવનાના નામે તમાશો અને સત્કર્મના નામે ખેલ થવા લાગે તેને ઘોર કળિયુગ ગણવો, એવી વ્યાખ્યા કરવાનું મન થાય તેવો માહોલ જામ્યો છે… ત્યારે સદભાવના અને સત્કર્મ ખરેખર કેવાં હોય ? જવાબ ખોળતાં ખોળતાં એક પુસ્તકની આંગળી પકડાઈ ગઈ…

“એ દિવસોમાં હું શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીમાં રહેતો હતો. નિત્યના ક્રમ પ્રમાણે સાંજના ભોજન પછી સમુદ્રકિનારે ફરવા જતો. ટમટમતા તારાઓની વચ્ચે રાત્રીના પ્રારંભે મોજાઓનો ગંભીર નાદ સંભળાતો હતો. અચાનક મારી નજર એક બાળક પર પડી. તેણે લીલી ચડ્ડી પહેરી હતી હું સમજી ગયો કે આશ્રમની શાળાનો વિદ્યાર્થી છે. આશ્રમની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લીલી ચડ્ડી પહેરે છે, તેમનું ગ્રીન ગ્રુપ કહેવાય છે. બાળક હશે દસેક વર્ષનું. બાળક સમુદ્રના મોજાં સાથે રમવામાં મશગુલ છે. થોડી વાર સમુદ્રના પાણીની અંદર જાય છે. મોજું આવતા દોડીને બહાર નીકળે છે. ફરી અંદર જાય છે. બાળકની આ જોખમી રમત જોઈને મને ધ્રાસ્કો પડયો. પોન્ડિચેરીનો દરિયો તે જોખમી ગણાય છે, અંધારું છે, બાળક નાનું છે. મોજાં સાથે બલ્કે ધીંગામસ્તી ચાલુ રાખી, તેમાં એકાદ મોજાંથી તો તે માંડ બચ્યું. હું બૂમ પડી ઊઠયો : ‘અરે, બેટા ! આ તું શું કરી રહ્યો છે ? મોજું ખેંચી જશે તો ? બહાર નીકળી જા. એકલો દરિયાકિનારે ફરી આવીશ નહીં..’

બાળક ખસિયાણો પડી તુરત પાણીમાંથી બહાર નીકળી આવ્યો. તેના બંને પગ લગભગ આખા જ ભીના હતા. ચડ્ડી પણ થોડી ભીની થઇ ગયેલી. બાળકની નજીક જઈને હું ફરીથી બોલ્યો : ‘બેટા ! આ રીતે મોજાં સાથે રમત ન કરાય. મોજું અંદર ખેંચી જાય તો શું થાય ? રમવા માટે અહીં ક્યાં ઓછી રમતો છે ?  ફરી ક્યારેય દરિયાકિનારે એકલા નહીં આવવાનું હો…’ બાળક ચૂપચાપ છાત્રાલય તરફ ચાલવા લાગ્યો.. મને લાગ્યું કે પ્રકરણ અહીં પૂરું થયું. 

પણ પ્રકરણ હવે શરૂ થાય છે. બાળકના ગયા પછી તુરત અંધારામાંથી એક વ્યક્તિ મારી પાસે આવી. તે આશ્રમની શાળાના શિક્ષક અને ગૃહપતિ હતા. શાંત અને સ્વસ્થ ભાવે મારી પાસે ઉભા રહ્યા. અંધારામાં પણ અમારી આંખો મળી. થોડા વધુ નજીક આવીને બોલ્યા : ‘આપે જે કર્યું તે ઠીક કર્યું છે અને સદભાવથી કર્યું છે, પણ આપ એવી છાપ લઈને ન જશો કે એ બાળકની સંભાળ લેનાર અહીં કોઈ નથી. હું એ બાળકનો શિક્ષક છું અને એ બાળકની રમત છુપાઈને જોઈ રહ્યો હતો. માત્ર સલામતીની દ્રષ્ટિએ જોઈએ તો તમારું વલણ બરાબર છે, પરંતુ જીવનમાં સલામતી જ સર્વસ્વ નથી. સલામતી જ જોઈએ તો પીંજરાનો પોપટ મુક્ત પંખી કરતા વધુ સલામત છે, પણ તેની પાસે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી અને લાંબે ગાળે તે ઉડ્ડયનની સ્વતંત્રતા નથી ત્યાં વિકાસ ક્યાં છે ? અને વિકાસહીન જીવનમાં જીવન ક્યાં છે ? એ બાળક જે અનુભવી રહ્યો હતો તેનું પણ મૂલ્ય છે, જુઓ આ અંધકાર. આ આકાશ, આ તારાઓ, આ સમુદ્ર ! આ મોજાંઓ ! આ રેતી અને તેની સાથે બાળકની મુક્ત અને નિર્ભય રમત ! એક બાળક માટે આ અનેરો અનુભવ છે. બાળક આવા રોમાંચક અનુભવોમાંથી તૃપ્ત થઈને બહાર આવે તે એના જીવનવિકાસનો ભાગ છે. બૌદ્ધિક વિકાસ જ પર્યાપ્ત નથી, હ્ર્દયનો વિકાસ પણ થવો જોઈએ ને ?

બાળકને છાત્રાલયમાંથી સમુદ્ર તરફ દોડતો આવતો જોઈને તુરત જ હું એની પાછળ પાછળ આવ્યો છું. મેં તેને  રોક્યો નહીં  કારણ મારે એને આ અનુભવમાંથી પસાર થવા દેવો હતો. હું પોતે સારો તરવૈયો છું અને આ જોખમ વિશે જાગૃત છું. મુશ્કેલી ઊભી થાત તો જાનના જોખમે પણ હું તેને બચાવી લેત. મારી હાજરીને લીધે તે સલામત હતો. છાત્રાલયમાં ગયા પછી, હું તેને આ રીતે એકલા ન રમવા સમજાવીશ પણ ખરો, પણ આ વખતે તો મારે તેને આ મૂલ્યવાન અનુભવમાંથી પસાર થવા દેવો હતો અને એટલે મેં તેને રોક્યો નહીં આપનો સદભાવ અને મારુ સત્કર્મ, બંને ધન્ય થયાં…’ 

મારા ચિત્તમાં જાણે પ્રકાશ ફેલાઈ ગયો. મન ઘડીભર જાણે કે સ્તબ્ધ બની ગયું. મારું મસ્તક મનોમન એક સાચા  શિક્ષકના ચરણોમાં ઢળી પડયું. મનમાં ને મનમાં ‘ધન્ય, ધન્ય’ ના ઉદગારો નીકળી ગયા..’ સદ્અનેસતબંને જેમની સાથે જોડાય તેને સારપના દ્યોતક બનાવે છે.. 

એક અભૂતપૂર્વ શિક્ષક શ્રી ભાણદેવજીનું લખેલું એ પુસ્તક : શિક્ષકનું દર્શન. (પ્રવીણ પ્રકાશન, એસ. ટી. સામે, રાજકોટ – ૩૬૦૦૦૧) શ્રી ભાણદેવજી  તત્વજ્ઞાન સાથે M. A. , લોકભારતી સણોસરામાં છ વર્ષ અધ્યાપન અને છાત્રાલય – સંચાલન કર્યું. પછી યોગવિદ્યાનો શાસ્ત્રીય અભ્યાસ લોનાવાલા ખાતે સાત વર્ષ. હાલ જોધપર નદી, મોરબી પાસે પરમની શોધમાં ધૂણી ધખાવી બેઠા છે. ઉપરના પ્રસંગમાં બાળકને પાણીમાંથી બહાર લાવવા મથનાર અને અંતે ધન્ય થનાર તે શ્રી ભાણદેવજી  …! એટલે કમાલ…  અક્ષર સાથેસાક્ષર  અને  આંકડા સાથેસાંકડા !!