જીવનમાં સાચો આનંદ મળ્યો નથી એટલે પછી માણસ કૃત્રિમ આનંદ શોધવા ફર ફર કરે છે. આનંદનો જાણે કે દુકાળ છે. 

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

                                                     (20)

ગીતાજીના સાતમા અધ્યાયમાં પોતાના જીવનનો પ્રસંગ ટાંકીને વિનોબાજી તો એવું કહે છે કે,  “નાનપણમાં એક વાર હું સિનેમા જોવા ગયો. જતી વખતે ગુણપાટ લેતો ગયો હતો. મારો આશય એ કે ઊંઘ આવે તો એના ઉપર સુઈ જવું. પડદા પર આંખને આંજી નાખનારી આગ હું જોવા લાગ્યો. બે ચાર મિનિટ સુધી જે જગજગતી સંજ્ઞા ચિત્રો જોઈ મારી આખો થાકી ગઈ અને હું ગુણપાટ પાથરીને સુઈ ગયો ને મેં કહ્યું કે પૂરું થાય એટલે ઉઠાડજો. રાતને પહોરે, ખુલ્લી હવામાં, આકાશમાં અને ચંદ્ર ને તારા વગેરે જોવાનું છોડીને શાંત સૃષ્ટિનો પવિત્ર આનંદ  છોડીને એ બંધિયાર થિયેટરમાં આગનાં ઢીંગલા નાચતા જોઈને લોકો તાળીઓ પાડે છે.  મને પોતાને તો એમાં કઈ સમજાણું નહીં. માણસ એટલો બધો નિરાનંદ કેમ છે એવો પ્રશ્ન આપણને થાય.”   

જીવનમાં આનંદ નથી એટલે પછી માણસ કૃત્રિમ આનંદ શોધવા ફર ફર કરે છે. આનંદનો જાણે કે દુકાળ છે. આવા આનંદમાં માણસ તલ્લીન થઈ જાય છે,  એનું કારણ શું ? સાચા આનંદનો તેને પત્તો લાગ્યો નથી એટલે તલ્લીન થઈ જાય છે. માણસ પડછાયાથી ભૂલીને તેની પાછળ પડ્યો. આજે પાંચ જ્ઞાનેન્દ્રિયોના આનંદનો જ તેઓ ભોગ કરે છે. જોવાની આંખની ઇન્દ્રિય ન હોત તો એમ માનત  કે દુનિયામાં ચાર ઇન્દ્રિયનો આનંદ છે. કાલે મંગળના ગ્રહ પરથી છ જ્ઞાનેન્દ્રિયવાળો માણસ પૃથ્વી ઉપર ઉતરે તો આ પાંચવાળો દિલગીર થઈને કહેશે અરે, આને મુકાબલે આપણે તો કેટલા બધા દુર્બળ છીએ? 

આપણે સરખામણી કરવા લાગ્યા એટલે તમને તમારી જાત દુર્બળ લાગવા લાગી. આપણે એવું માનીએ છીએ કે શુકન છે અને અશુકન છે, શુભ અને અશુભ છે. ઘણીવાર રાત્રે કુતરા ભસે અથવા તો ગધેડા ભુકે તો આપણે એને અપશુકનિયાળ માનીએ છે. વડોદરાની એક કોલેજમાં વિદ્યાર્થી તરીકે ભણતા હતા ત્યારે  યુરીપિયન ગવૈયા  આવ્યા હતા.  સારું ગાતા હતા. પોતાની કળા બતાવવામાં કમાલ કરતા હતા. પણ વિનોબાજી કહે છે ત્યાંથી ક્યારે નાસવાનું મળે એની હું રાહ જોતો હતો. એવું ગાયન  સાંભળવાની મને ટેવ નહોતી એટલે તેને મેં નાપાસ કરી નાખ્યા.  આપણા ગવૈયા ત્યાં જાય તો કદાચ ત્યાં નાપાસ થાય. સંગીતથી એક જણને આનંદ થાય છે તો બીજાને થતો નથી એટલે સાચો આનંદ નથી એ નકલી આનંદ છે. 

ખરા આનંદનું દર્શન થયું નથી ત્યાં સુધી છેતરનારા આનંદ ઉપર જોલા ખાઈએ છીએ. તો ખરો આનંદ ક્યાંથી મળે એનો ઉત્તમ માર્ગ ભક્તિ છે. એ રસ્તે આગળ જતા જતા પરમેશ્વરી કુશળતા સમજાતી જશે. તે દિવ્ય કલ્પના આવ્યા પછી બાકીની બીજી બધી જ કલ્પનાઓ આપોઆપ ઓસરી જશે. મીઠાઈની સેંકડો દુકાન હોય છતાં મીઠાઈનો પ્રકાર એકનો એક હોય છે. જ્યાં લગી સાચી વસ્તુ મળી નથી ત્યાં સુધી ચંચળ ચક્ર ની જેમ એક એક દાણો અહીંથી ખાશું, ત્યાંથી ખાશું અને રાજી થયા છીએ એમ માનીશું. તમે કોઈ પુસ્તક વાંચતા હો રાત્રે દિવા પાસે બેસીને તો દીવાની આસપાસ જીવડાં આવે. જીવડાં આવે એટલે ગરોળી આવે, જીવડાં જોઈને તેના આનંદનો પર ન રહે. ગરોળી રાજી થઈ જાય. પણ તે જીવડું ઝડપી લેવા જતી હતી એ જ સમયે જો જરાક તમારો હાથ હલી ગયો તો ગરોળી ભાગી જાય તેનું ધ્યાન જીવડાંમાં હતું. આપણને એમ થાય કે એ જીવડું ખાશે કે નહીં ખાય ? મને જે રસ મળ્યો તેવો જ રસ ગરોળીને મળે ખરો ? એ સમયે તમે ધારો કે રામાયણ વાંચતા હતા તો રસ ચાખતા આવડતું નહોતું છતાં પણ તમને આનંદ મળતો. સાચો રસ ચાખવા મળે તે માટેનું એક સાધન ભક્તિ છે. ભગવાન આપણને ભક્તિ શીખવે છે. 

ભગવાને ભક્તિના ત્રણ પ્રકાર કહ્યા: 

૧) સકામ ભક્તિ કરનારો, 

૨) નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારો અને 

૩) જ્ઞાની એટલે સંપૂર્ણ ભક્તિ કરનારો. 

નિષ્કામ પણ એકાંગી ભક્તિ કરનારાઓમાં પાછા ત્રણ પ્રકાર પડે. ભક્તિના વૃક્ષની આવી જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ડાળીઓ છે.

ભક્તો ચાર પ્રકારના છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાર્થી અને (૪) જ્ઞાની.

જે રોગ અથવા બીજાં શરીરદુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને ઘણા કરુણભાવથી યાદ કરતો હોય તે આર્ત ભક્ત કહેવાય છે. જેમકે, દ્રૌપદી, ગજરાજ, સુધન્વા.

જે રાત્રિદિવસ પ્રભુને શોધવા મચ્યો રહે છે, તે જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે.

જેમકે, સાધના કરનારા ઋષિમુનિઓ, પરિક્ષિત રાજા.

 જે શરીરસુખ, સ્ત્રીસુખ, પુત્રસુખ, રાજ્યસુખ, સ્વર્ગસુખ અને બીજા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિને માટે પ્રભુને યાદ કરે છે, તે યર્થાર્થી ભક્ત કહેવાય છે.

જેમકે, ધ્રુવ, વિભીષણ, સુગ્રીવ.

જે શરીરનાં સુખદુ:ખાદિ સહન કરી કોઈ ભોગ્ય પદાર્થની ઇચ્છા વિના અને

બીજી કોઈ વસ્તુને જાણવાની ઇચ્છા વિના પ્રભુનું ભજન કરવું એ મારી ફરજ છે એમ સમજી રાત્રિદિવસ પ્રભુભજનમાં લીન રહે છે,

તે જ્ઞાની ભક્ત કહેવાય છે. જેમકે, સનત્કુમાર, નારદ. (ક્રમશઃ)