
વર્તમાન ગુજરાતમાં જે વિચારકો અને વિચાર પ્રસારકો છે તેમાં ભદ્રાયુભાઈ વછરાજાની એક અગ્રણી છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ જગતમાં નોંધનીય કાર્ય કર્યું છે. યુનીવર્સીટી ક્ષેત્રે તેમણે તાલીમ સંદર્ભે અને જાતીય શિક્ષણ બાબતે ધ્યાનાકર્ષક કામ કર્યું છે. નિવૃત થયા પછી પણ તેમણે વિવિધ ક્ષેત્રે કામો કર્યા છે અને આજે પણ સક્રિય રહી તેમના જ્ઞાનનો લાભ અનેક સંસ્થાઓને આપે છે.
આ સાથે, સમાંતરે, તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય રહી અનેક વિષયો પર લખે છે અને વક્તવ્યો દ્વારા વિચારોને જનતા સમક્ષ પહોંચાડે છે. વિવિધ વિષયો પર તેમણે ત્રીસથી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, ગાંધીજી, ગીતા જેવા વિવિધ વિષયો પણ ખેડાણ કર્યું છે. અનુવાદ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં પુન: ભગવદ ગીતા પર એક મનનીય પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે જેના પર અગણિત વિચારકોને મનન કરવાનું અને લખવાનું ગમ્યું છે. પ્રાચીન કાળથી માંડીને આજ સુધી તેના પર ટીકાઓ લખાતી રહી છે. ગીતાની ખૂબી એ છે કે તે ખૂબ જ મનનીય ગ્રંથ છે. ઉપનીષદોનો સાર છે. ઉપનીશદો તો ગાઢ ચિંતન ધરાવતા અને અનુભૂતિયુક્ત ઋષિઓ દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં ચાંચ ડુબાડવી કોઈ વિરલનું કામ છે. એટલે જ ભગવાન વ્યાસે તેના સાર રૂપે ગીતા સર્જી છે. અને, આમ તો, ગીતા પણ સમજવી એટલી જ કઠિન છે. છતાં વાંચતી વેળા એવું લાગ્યા કરે કે તે સમજાય છે. અને ત્યારે વાચકને એવી અનુભૂતિ થાય કે પોતાને જે સમજાયું છે તેને વ્યક્ત કરવું જોઈએ. એટલે શંકરાચાર્યથી લઈને આજ સુધી તેના પર અસંખ્ય ટીકાઓ પ્રકાશિત થઇ છે. આ પુસ્તક તેમાં ઉમેરો કરે છે.
પણ ભદ્રાયુભાઈ પોતાના જોખમી સાહસ બાબતે સજાગ છે. તે નોંધે છે કે :” વરસતા વરસાદનાં વહેતા પાણીમાં કાગળની હોડી તરતી મુકવા સિવાય મારી કોઈ કાબેલિયત નથી તેમ જાણવા છતાં ગીતાના અગાધ સમુદ્રમાં મારી લેખિનીના હલેસા બનાવી હું નાનકડું હોડકું લઈ તરી જવા નીકળ્યો છું તેનું મને ભાન છે.”
ગીતાનો તેમને શરૂઆતથી જ પરિચય છે. સમજ વધી પછી ગીતાના અનેક ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો જેમાં તેમને વિનોબાજીનું પુસ્તક “ ગીતા પ્રવચનો” અત્યંત ગમી ગયુ અને તેનું સતત અધ્યનન કરતા રહ્યા છે એટલું જ નહિ પણ પાંચસોથી વધારે લોકોને તે પુસ્તક ભેટ આપી આ પુસ્તકનો વ્યાપક પ્રસાર પણ કર્યો છે.
કોરોના દરમ્યાન તેમણે પુન: ગીતાનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અનેક ભાષ્યો વાંચ્યા. શિક્ષકની ટેવ મુજબ દરેક અધ્યાયમાંથી મહત્વના મુદાઓ તારવતા ગયા. પછી તેના પર પોતાનું અવલોકન લખ્યું જે તેમણે પોતાની કોલમમાં રજુ કર્યું. તેના તેમને અનુકૂળ પ્રતિભાવો મળ્યા જેનાથી ઉત્સાહિત થઇ તેમણે આ પુસ્તક “ ભદ્ર્ગીતા” પ્રકાશિત કર્યું છે. ૨૨૦ જેટલા દળદાર પાનાવાળું આ પુસ્તક તેના શીર્ષકથી જ આકર્ષક બન્યું છે. ભગવાન કૃષ્ણના ચરણો પાસે બેઠેલ અર્જુન અને તેમના સામે વિશ્વરૂપ દેખાતા કૃષ્ણનો ફોટો જ વાચકને આકર્ષી જાય છે ને વાંચવા પ્રેરે છે. છેલ્લા પૂઠે મોરારી બાપુનો સંદેશ પણ વાચકને પ્રેરે છે.
ભદ્રાયુભાઈ કહે છે કે આ પુસ્તક કોઈ ભાષ્ય નથી. વિવેચન પણ નથી. પણ એક વિદ્યાર્થીએ કરેલ “હોમવર્ક” છે. તેમણે ગીતાને વિસ્મયથી જોઈ-તપાસી છે. આ વિસ્મય વહેંચવાનો તેમનો પ્રયાસ છે. ગીતાના અનંત આકાશને તેમણે આ પુસ્તક રૂપી બારીના આકાશ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે.
પુસ્તકમાં તેમણે અઢાર અધ્યાયને ૬૫ પ્રકરણમાં વહેંચી દીધા છે. દરેક અધ્યાયને પણ ત્રણ-ચાર પેટા પ્રકરણમાં વહેંચી મુદાવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ તો તેમને દરેક મુદાને પોતાની જ સમજ પ્રમાણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમના પર જે ગ્રંથોનો પ્રભાવ પડ્યો છે તેના વિચાર અને અર્થઘટન તેમના અભ્યાસમાં સતત દેખાઈ આવે છે. સૌથી વધારે પ્રભાવ વિનોબાજીનો દેખાય છે. લગભગ દરેક પાને તેમનું એકાદ અવતરણ તો જોવા મળે જ છે. પોતે જે મૌલિક વિચાર રજુ કરે છે તેના ટેકા માટે પણ વિનોબાજીના વિચારનો સહારો લે છે. આ સાથે દરેક નવો અધ્યાય શરુ કરે છે ત્યારે તેને સંક્ષેપમાં સમજાવવા માટે તેઓ સ્વામી રામસુખદાસની ગીતાનો સીધો જ આધાર લે છે.
પણ તેમના વિચારને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે લાગે છે કે તેઓ ગીતામાં રહેલ ત્રણે મુદાઓ- કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તીયોગને- વિસ્તૃત રીતે સમજાવે છે. અને આ સમજ તેઓ વર્તમાન સમાજને અને વ્યક્તિઓના માનસને ધ્યાનમાં રાખી સમજાવે છે. ભલે તેઓ પોતાને વિદ્યાર્થી માને છે, પણ તેઓ તેજસ્વી વિદ્યાર્થી છે જે દરેક બાબતને ઝડપથી સમજીને તેનો સાર કહેવા સક્ષમ છે. વિનોબા કે રામસુખદાસજીને ઊંડાણથી સમજ્યા છે ને તેને સરળ ભાષામાં વ્યક્ત કરે છે. સમાંતરે ગાંધીજી, કિશોરલાલભાઈ, શ્રી મોટા વગેરેના ગીતા સંબંધી વિચારોને પણ આપી ગીતાને વદારે વ્યાપકતાથી સમજાવે છે.
પુસ્તકની બે બાબત ધ્યાન ખેંચે છે. એક તો દર છ અધ્યાય પુરા થાય પછી તેઓ આ બધા અધ્યયોના વિચારોને સાર રૂપે મુકી દે છે. આનો ફાયદો એ છે કે કદાચે કોઈ સમગ્ર પુસ્તક ન વાંચી શકે, તો આ સાર વાંચીને પણ પુસ્તકનો, એટલે કે ગીતાના વિચારોને, સમજી શકે છે. અથવા જેમણે આ પુસ્તક વાંચી લીધું છે, પણ પછી પણ તેનું અધ્યયન ચાલુ રાખવા માગે છે, તેઓ પણ સમગ્ર પુસ્તક ન વાંચી આ છ-છ અધ્યાયોનું દોહન ફરી ફરી વાંચી પોતાના અભ્યાસને ચાલુ રાખી શકે છે.
બીજું, દરેક પ્રકરણના અંતે ગીતાના જ વિચારોને સ્વતંત્ર રીતે એકાદ ફકરામાં મુક્યા છે. તે પણ નવરાશના સમયમાં મમળાવવા માટે ઉપયોગી બને છે. આમ, સમગ્ર પુસ્તક વાંચે, છ-છ અધ્યયોના સાર વાંચે કે દરેક પ્રકરણના અંતે આપેલ વિધાનો વાંચે, વાચકને તો દરેકમાં ચિંતનનો જ લાભ મળ્યા કરે છે. આ રીતે, એકી સાથે ભદ્રાયુભાઈ વાચકને વિવિધ દૃષ્ટિકોણથી ગીતાનો અભ્યાસ કરવા કે તેના વિષે ચિંતન કરવા પ્રેરે છે.
ભગવદ ગીતા તો એક સનાતન, વ્યાપક, અનંતની ઝાંખી આપતો ગ્રંથ છે. તેને ગમે તેટલી વાર વાંચીએ, કદી સંતોષ નથી થવાનો. જેમ વંચાશે તેમ તૃપ્તિ પણ થશે અને વધારે વાંચવા-વિચારવાની ઝંખના વધશે. અને આ અધ્યયન, સંભવ છે, ક્યારેક વાચકને સાધક થવા તરફ દોરશે. ગીતા માત્ર વાંચવા-વિચારવાનો ગ્રંથ નથી, સાથે નિદિધ્યાસનનો, એટલે કે જીવવાનો, પણ ગ્રંથ છે. વાંચીને જીવાશે તો વાચક-સાધક-પણ અર્જુન જેમ બોલી ઉઠશે કે “ મારો પણ મોહ નષ્ટ થઇ ગયો છે અને હું પણ સ્થિત થઇ ગયો છું.” તે પણ વિશ્વરૂપનો સ્પર્શ કરી કૃતકૃત્ય થઇ જશે. ભદ્રાયુભાઈનું આ પુસ્તક, તેમના જ શબ્દોમાં, તેમાં નાની હોડી થઇ અનંતના કિનારે લઈ જવાનો નાનકડો પ્રયાસ કરે છે.
( “ ભદ્ર્ગીતા “ : ભદ્રાયુ વછરાજાની : પ્રકાશક : નવભારત પબ્લીકેશન્સ, ૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ – 380009, ફોન : ૦૭૯-૨૬૫૮૩૭૮૭ : કીમત : રૂ. ૬૦૦. )
