આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ?

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

(24)

શ્રીમદ ભગવદ ગીતાનો આઠમો અધ્યાય હકીકતમાં આપણને મૃત્યુ માટેની તૈયારી કરતા શીખવવા માટેનો અધ્યાય છે. એક અર્થમાં એ ભવ્ય મૃત્યુ માટેની જીવન સાધના પણ ગણી શકાય. આમ તો આ અધ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ છે. સમશ્લોકી ગીતા અનુવાદમાં શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા આઠમા અધ્યાયના શીર્ષકનો ભાવાનુવાદ કરે છે “યોગીનો દેહત્યાગ.”

ભગવાનને અર્જુન સતત પ્રશ્નો પૂછવા લાગ્યા છે. અને એ પ્રશ્નો પૂછવામાં તે દૈનંદિન બાબતોની સાથે ધર્મ, અધ્યાત્મ, કર્મ વગેરે સુધી પહોંચી ગયા છે. અર્જુન આઠમા અધ્યાયના આરંભમાં સીધો જ પ્રશ્ન પૂછે છે કે, બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું છે ? કર્મ શું છે ? હે, પુરુષોત્તમ, તમે મને એ જણાવો કે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ એ વળી શું છે ? અંત વેળાએ યતિએ એટલે કે યોગીએ તમને જાણવા હોય તો કેમ જાણવા ? મને સ્પષ્ટ ભાષામાં તે જણાવો. અને આટલા બધા પ્રશ્નોના જવાબમાં શ્રી ભગવાન ટૂંકાને ટચ જવાબ આપે છે:

જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ છે,

પ્રાણીમાત્રને વિષે સ્વસત્તાથી જે રહે છે તે અધ્યાત્મ છે,

પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનાર સૃષ્ટિ વ્યાપાર તે કર્મ કહેવાય છે.

અધિભૂત તે મારુ નાશવંત સ્વરૂપ છે.

અધિદૈવત તે તેને વિષે રહેલું મારું જીવસ્વરૂપ છે.

હે મનુષ્યમાં શ્રેષ્ઠ ! અધિયજ્ઞ આ દેહને વિષે રહેલું, પણ યજ્ઞ વડે શુદ્ધ થયેલું, જીવસ્વરૂપ છે.

વાત જરા વિગતે જાણવા જેવી છે. માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું છે. આપણા દ્વારા અસંખ્ય ક્રિયાઓ થયા જ કરે છે. સ્થૂળ પ્રમાણમાં ગણતરી કરીએ તો ચોવીસ કલાકના દિવસમાં કેટલી ક્રિયાઓ થઇ આપણને જોવા મળે. આમ ઝડપથી ગણીએ તો પણ ખાવું, પીવું, બેસવું, બોલવું, ઊંઘવું, ફરવા જવું, લખવું, કામ કરવું, વાંચવું આમ બોલતા જ રહીએ. વળી ક્રિયાઓ કરતા રહીએ છીએ તે દરમિયાન તરહ તરહના સ્વપ્નાઓ, રાગ અને દ્વેષ, માન અને અપમાન, સુખ અને દુઃખ એમ ક્રિયાના અનેક પ્રકારોનો આપણને પરિચય થાય છે. એક નાનકડું ઉદાહરણ લઈએ ઊંઘી જવાનું, તો ઊંઘતી વખતે એક કલાક પછી મને ઉઠાડજો એવી સૂચના આપીને આપણે ઊંઘી જઈએ અને દોઢ બે કલાક સુધી કોઈ ઉઠાડે નહીં તો જેને ઉઠાડવાની જવાબદારી, એ જવાબદાર માણસ છે એમ માનીને આપણે પોતે સોંપી હતી એના પ્રત્યે તાત્કાલિક મનની અંદર રાગ દ્વેષની ભાવના ઉભી થશે. ક્રિયા ખુબ નાની છે. છતાં એક પ્રકારનો પ્રતિભાવ આપણા મનમાં રજીસ્ટર થાય છે. મન ઉપર આ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા જ કરે છે. એટલે કોઈ એમ પૂછે કે જીવન એટલે શું ? તો જીવન એટલે સંસ્કાર સંચય એવી વ્યાખ્યા શ્રી વિનોબાજી કરે છે.

વિચારનો મુદ્દો એ છે કે સંસ્કાર સારા પણ હોય અને નરસા પણ હોય અને બંનેની માણસના જીવન ઉપર અસર હોય. હવે જુઓ બાળપણની ક્રિયાઓ છે એનું તો બહુ સ્મરણ રહેતું નથી. પાટી ઉપર જેમ લખેલું ભૂંસી નાખ્યું હોય એવું બચપણનું થઇ જાય. માની લઈએ કે પૂર્વ જન્મ જેવું કશું છે તો પૂર્વ જન્મના સંસ્કારો તો સાવ ભુલાય ગયેલા હોય. તે એટલે સુધી કે આપણે શંકા કરવા લાગીએ કે ખરેખર પૂર્વ જન્મ હતો કે નહોતો. આ જન્મનું બાળપણ પણ યાદ ન આવતું હોય તો પૂર્વ જન્મની વાત કેવી રીતે કરવી ? આપણે જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઇ છે એવું નથી. કેટલીક ક્રિયાઓ અને કેટલાક જ્ઞાન એવા હોય છે કે જે આપોઆપ થયા જ કરે છે. એક પ્રયોગ કરીએ. રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાન બનેલી બધી જ ક્રિયાઓ યાદ કરવા જઈએ તો આપણને ખબર પડશે કે બધું યાદ હોતું નથી. જે જે નજર સામે દેખાય છે એવા કામ તાત્કાલિક યાદ આવી જશે, કોઈની સાથે ખુબ તકરાર થઇ હોય તો એ યાદ આવશે, તે દિવસની મબલક કમાણી થઇ હોય તો તે યાદ આવશે. જે બહાર તરી આવતી મોટી મોટી વાતો છે એના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઉતરી જાય છે. એટલે કે મુખ્ય ક્રિયા યાદ રહે છે અને બાકીની છે એ ધીમે ધીમે ઝાંખી થતી જાય છે.

જરા વિચારો તો કે આપણે જે કરીએ છીએ તેમાંથી કેટલું સભાનતાપૂર્વક કરીએ છીએ અને કેટલું ક્રિયાકાંડ રૂપે યાંત્રિક બનીને કરીએ છીએ ? છ મહિનાનું આપણને યાદ રહે, અથવા વર્ષનું યાદ રહે, અથવા પાંચ વર્ષનું યાદ રહે તો એ તારણ રૂપે બહુ થોડી મહત્વની વાતો આપણને ચિરસ્થાયી નોંધાય છે. અને આ નોંધાયેલી વાતો છે એના સંસ્કાર બને છે. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર સંપત્તિની છે. અનેક સંસ્કારોના સરવાળા બાદબાકી કરતા કરતા તદ્દન ચોખ્ખું અને માપસરનું કશું જમા રહે તો એ આપણા જીવનની સિલક કહેવાય. જીવનની છેલ્લી ક્ષણ આવે ત્યારે આપણો આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આ જન્મારામાં શું કર્યું ? કેમ કર્યું ? કેટલો નફો થયો ? કેટલી ખોટ થઇ ? આ બધી જ વાત એ સમયે યાદ આવે છે. અને ગીતાનો આઠમો અધ્યાય આપણને એવું સમજાવવા માંગે છે કે તમે મૃત્યુની પળે જે વિચાર લઈને બેસી ગયા છો અથવા તો તમારું મન જે વિચાર સાથે અનુબંધ બાંધીને બેસી ગયું છે એ વિચાર લઈને તમે આવતા જન્મમાં પણ આવવાના છો. ગીતા એને વાસના કહે છે. ખાવાની ચીજ ઉપર વાસના બેસી જાય, ઘરના કોઈ વ્યક્તિ પ્રત્યે આપણી વાસના બેસી ગઈ હોય. લાગણી હોય, પ્રેમ હોય પણ અધૂરપ હોય, પૂર્ણતા ન હોય અને એના પ્રત્યે જો આપણને અભાવ રહી ગયો હોય તો આ એ અભાવ સાથે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે ભવિષ્યમાં પણ અભાવ લઇને જન્મે છે. એટલે યાદ રાખવું એ પડે કે જીવનના છેલ્લા તબક્કામાં આપણા જીવનનો સાર મધુર હોવો જોઈએ.

જીવનની છેલ્લી ઘડી રુડી બનવી જોઈએ. અને એ બનાવવા માટે આપણે આખું જીવન મહેનત કરવી જોઈએ. આપણામાં કહેવત છે કે, ‘જેનો અંત રૂડો તેનું સઘળું રૂડું’. એટલે કે છેવટે શું આપણી પાસે રહેવાનું છે વિચારમાં, ક્રિયામાં અથવા રોજબરોજના વ્યવહારમાં એ યાદ રાખીને આજે વ્યવહાર કરવો જોઈએ. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રભાહ વહાવીએ. રાત દિવસ મનનું એવું વલણ બનાવીએ તો આપણા દેહનો ત્યાગ એક યોગીના દેહત્યાગ જેવો સફળ બને. (ક્રમશ:)