શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઈન્ડ સેટ મને બહુ નડ્યો છે !

મારા સાડલાની બોર્ડરનો રંગ કાલે કેવો હશે તેની ચર્ચા થવા લાગી કોર્ટમાં !

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

સેવામૂર્તિ ડૉ. ઇલા ભટ્ટ. જેમના છેલ્લાં સાઠેક વર્ષોના જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’. હા, આ સેવા એટલે સાદી-સીધી કે નામ-દામ મેળવવાની સેવા નહીં. આ સેવા એટલે SEWA (Self Employed Women’s Association), સ્વાશ્રયી કામદાર મહિલા સંઘ.  સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં આમંત્રણથી યુનોની સંયુક્ત પરિષદને સંબોધનાર ડૉ. ઇલા ભટ્ટ આપણાં ગુજરાતના – અમદાવાદના – ખાડિયાના – દેસાઈની પોળના નિવાસી. બહુ યાદ કરે તેઓ ભાવથી એ દેસાઈની પોળનાં ગરબાને કે જ્યાં તેમના મા વનલીલાબહેન અને માસી તરુલતાબહેન લાંબા ઢાળના ગરબા ગવરાવતા અને આજુબાજુની પોળના લોકો એ સાંભળવા આવતા. “ભદ્રાયુભાઈ, આજે જ્યાં અખાનું પૂતળું મૂક્યું છે ને તે ઘર અમારું, ત્યાં કૂવો ઢાંકીને ચોક કર્યો છે,  બસ એ ગરબા ગાવાનો ચાંચરચોક અમારો.” અન્ય ગોઠવણને અંજામ આપવા જે વિદ્યાપીઠે ઉતાવળમાં કુલપતિ ઇલાબેનનું રાજીનામુ સ્વીકારી લીધું તે જ વિદ્યાપીઠમાં નિરાંત જીવે સંવાદ માંડેલો ત્યારે નિજી જિંદગીનાં કેટલાંય પૃષ્ઠો ખોલેલાં ઇલાબહેને.

સ્વાતંત્ર્યની ચળવળનો સમય હતો એ, જ્યારે ઇલા ભટ્ટનું તારુણ્ય અને યુવાની રંગે ચડ્યાં હતાં. શાળાના ગણિત શિક્ષક તલાટીસાહેબ પારસી હતી. ગણિત તો સરસ ભણાવે જ પણ હારોહાર જીવનનાં મૂલ્યોની વાતો પણ કરે. દેશને આઝાદ કરવાનો છે, દેશનું ચારિત્ર્ય ઘડવાનું છે. એવી વાતો થતી ત્યારે કૉલેજકાળમાં તો દેશનાં નવનિર્માણનાં સ્વપ્નો જોયાં હતાં. મહાત્માજીએ “શું કરવું” અને “કેમ કરવું” તે તો સ્પષ્ટ કરી આપેલું. ગામડામાં જાવ, ત્યાં કામ કરો, ગરીબો-પછાતો-વંચિતો માટે સમય આપો એવું કહેતા કૉલેજમાં અધ્યાપકો. મહાત્માજીની હત્યાનો સમય બરાબર યાદ ઇલાબહેનને. “સમાચાર મળ્યા કે બાપુની હત્યા થઈ છે ત્યારે મહોલ્લામાં ચર્ચા થયેલી કે જરૂર કોઈ મુસલમાને માર્યા હોવા જોઈએ  ગાંધીજીને, ત્યારે મારાં બા અને બાપુજીએ સૌને કહ્યું : ના, આપણા જ લોકોએ હત્યા કરી હશે. આપણો વિરોધ કરનારા જીવ લેવા સુધી ન જાય, એ કામ તો કોઈ અંદરના ને નજીકનાં જ કરી શકે… મારી બા બહુ રડી હતી. દાદાજીએ અઠવાડિયા સુધી મૌન રાખ્યું હતું. અમે પણ શુક્રવારે મૌન રાખતાં થયેલાં. શાળામાં શોકસભા થયેલી તેમાં મેં રચેલી જીવનની પહેલી કવિતા ૨જૂ કરી બાપુને અંજલિ આપેલી…’ 

ઇલાબહેન એગ્રેસિવ કે  ઍક્ટિવિસ્ટ પણ નહીં,  કારણ નાનપણમાં બીકણ, શરમાળ, હિંમત ન ચાલે એવાં. રમવા-કૂદવાનું ન મળ્યું કદી. જલ્દીથી મોટાં ને પીઢ થઈ જવાયું. ધ, સેન્સ ઑફ જસ્ટિસ ભારે. પોતે બેઠાં હોય તે જગ્યા પર પછી કોઈ બેસે તો તેને ઉઠાડે  અને ન ઊઠે તો તેને કહે : “ઊભા થાવ  નહીં તો હું કેસ કરીશ તમારા પર .’ આ વાત પિતાજી કહેતા. કશામાં ભાગ ન લેવો, ડિબેટમાં બોલવું નહીં, દલીલો મનમાં હોય પણ પહેલ કરીને કૂદી પડવું એવું કંઈ નહીં. એમાં એક ર્નિગ પોઈન્ટ આવ્યું . ૧૯૭૧ના સેન્સસની પ્રિ-ટેસ્ટનું કામ કૉલેજને સોંપાયું. કૉલેજ વતી આ કામમાં જોડાયાને નજીકના માછીવાસમાં પહેલીવાર જવાનું બન્યું. તેઓની બધી વિગતો પૂછવાની ને પછી લખવાની. ઘણો સમય માછીમારો વચ્ચે ગાળ્યો. ઘરે આવે ત્યારે કપડાંમાંથી માછીની વાસ આવે. ઘરના પૂછે તો શો જવાબ આપવો? ઇલાબહેન ધીમા અવાજે ભર્યા સાદે કહે : “આ સેન્સસે મારાં જીવનમાં મોટો વિસ્ફોટ કર્યો ! પહેલો અનુભવ હતો જિંદગીનો કે ગરીબોનાં ઝૂંપડાંમાં જવાનું ને જાણવાનું કે તે શું ખાય છે, કેમ જીવે છે, કેટલાં જન્મે છે, એમાંથી કેટલાં મરે છે, શું કરે છે, શું  કરતાં નથી? આપણા  ઘરથી આટલાક દૂર છે તે લોકો વિશે આપણને કશી ખબર નથી ?! આ તો બહુ સ્વાર્થી જીવન ગણાય. આ સમયમાં મારા વર્ગસાથી સાથે મૈત્રી થઈ ને એ પરિણયમાં પરિણમી.”

દાદા ધારાસણા મીઠા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના વડા. આમ ફિલ્મસર્જક, કુશળ અને સેવાભાવી. ગાંધીજીને વાંચતાં વાંચતાં બધું છોડી દીધું હતું ! ઇલાબહેનનો ઉછેર – ભણતર – વકીલાતનો આરંભ બધું સુરતમાં. પિતા અને કાકા બન્ને વકીલાત કરતા. દાદાએ કહ્યું કે બન્ને છોકરા એક જ કોર્ટમાં વકીલાત કરે તે બરાબર નહીં એટલે સુરત જવાનું થયું. મા વનલીલાબહેન બહુ ઉત્સાહી, ત્રણ ચોપડી ભણીને સાસરે આવેલાં પણ સાસરે આવીને આગ્રહપૂર્વક ભણ્યાં. દીકરી ઇલાએ જ્યારે બી.એ. કર્યું ત્યારે માએ મૅટ્રિક પાસ કર્યું! દીકરીને વકીલ બનાવવાનું શ્રેય માને જાય. પોતે અખિલ હિંદ મહિલા પરિષદમાં પણ કાર્ય કરે. “ભણવામાં રુચિ કેવી હતી, ઇલાબહેન ?” આ પ્રશ્ન પુછાતાં જ ઇલાબહેન ભટ્ટ તરત બોલી ઉઠેલાં  : “મને મારી રુચિ ન પૂછશો. મારાં માબાપની રુચિ પૂછો. તેઓનો ઉત્સાહ એટલો હતો કે મને ભણવા બેસાડી સીધાં ત્રીજા ધોરણમાં ! તેર વર્ષે મૅટ્રિક, સત્તર વર્ષે બી.એ., ૧૯ વર્ષે એલએલ.બી., વીસ વર્ષે મજૂર મહાજન સંઘમાં વકીલાત શરૂ, એકવીસ વર્ષે પહેલું બાળક, સત્તાવીશ વર્ષે બીજું બાળક અને પછી આઝાદ..’ તેઓની આઝાદીએ સમાજને કેટલું આપ્યું તેની કોઈ ગણતરી કે કોઈ ભાર વગરનાં  ઇલાબહેન હવે સદાકાળ આઝાદ થઇ ગયા. 

મજૂર મહાજન સંઘમાં જોડાયા ને ઇલાબહેને વકીલાત શરૂ કરી. તે સમયના સમર્થ વકીલ સોમનાથ દવેએ ગ્રેચ્યુટીના બિલનું પાયાનું કામ સોંપ્યું. મજૂરોના નાના નાના પ્રશ્નોના કેસોથી વકીલાતનો આરંભ થયો. બહુ નવું લાગતું ત્યારે કારણ બધા જ પુરુષો, કોર્ટમાં પણ અને મહાજનમાં પણ… મારા સાડલાની બોર્ડરનો રંગ કયો હશે કાલે, તેની પણ ચર્ચા થવા લાગી. હું જરા કૉન્શિયસ બની ગઈ અને તેમાંથી ઘણું શીખી! ૧૯૬૯માં હુલ્લડ થયાં તેમાં મિલકામદારો પહેલીવાર ભળ્યા એ ખેદજનક વાત હતી. શ્યામાપ્રસાદ વસાવડા જનરલ સેક્રેટરી. તેમની અને નાનાભાઈ શુક્લની સાથે હુલ્લડો દરમ્યાન બહુ કામ કર્યું. મડદાં ઊંચકી ટ્રકમાં ભર્યા ! મિલકામદારોનાં ધાડેધાડાં મદદ માટે મહાજનમાં આવવા લાગ્યાં. ઈલાબહેન ભટ્ટને કામ સોંપાયું કે ‘સર્વે કરી બહેનોને ક્યાં-કેવી ઈજા થઈ છે?” “આ લોકોનાં ઘર કેમ ચાલે છે?અને આ સર્વેએ ઇલા ભટ્ટના જીવનનો બીજો વિસ્ફોટ કર્યો ! જાણવા મળ્યું કે મિલકામદારોના – શ્રમિકોનાં ઘર તો બહેનોની કમાણીથી જ ચાલે છે. શાક વેચે છે, ખોળાં બનાવે છે, બાંધકામ મજૂરી કરે છે, લારી ખેંચે છે, ખેતમજૂરી કરે છે… અને આ લોકોને કોઈ રક્ષણ તો નથી, કારણ આ સ્વાશ્રયી વર્કર નથી,  માટે વર્કરનો કાયદો તેને લાગુ નથી પડતો. એ સમયે ૮૯% કામદારો એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય રક્ષણ તો હતું જ નહીં ! આ તે કેવું? ઇલાબહેન ભટ્ટે નક્કી કર્યું : “મારે વકીલાત નથી કરવી. અસંગઠિતોનું સંગઠન કેમ નહીં? જેના કોઈ માલિક નથી તેનું યુનિયન ન હોય તે કેમ ચલાવી લેવાય? જેમને કોઈ નામ જ નહોતું તેને અમે self Employed એવું નામ આપ્યું.” વર્કર અને યુનિયન શબ્દોને રીડિફાઈન કરનાર ઈલા ભટ્ટ ૧૯૭૨માં SEWA સ્થાપી, અરવિંદ બુચ પ્રમુખ અને ઇલા ભટ્ટ જનરલ સેક્રેટરી. ‘સેવા’નું રજિસ્ટ્રેશન કરાવવામાં નવ મહિના સંઘર્ષ કરવો પડ્યો. સોસાયટીનો માઇન્ડસેટ કારણભૂત હતો. ઇચ્છા એવી કે આ શ્રમજીવી અદૃશ્ય રહે તો અબોલ રહે અને તો જ શોષિત રહે! “ચૂલાની ડિઝાઈન બદલવી જોઈએ, લારીએ બ્રેક હોવી જોઈએ, લારી નીચે લટકીને સૂતાં શ્રમજીવીના બાળક માટે સગવડતા હોવી જોઈએ, માણસનો માણસ તરીકે સ્વીકાર થવો જોઈએ. વસાવડાસાહેબ, શંકરલાલ બૅન્કર, હંસાબહેન હજારે, ખંડુભાઈ દેસાઈ સૌની સાથે મળી ઘનિષ્ઠ કામ થયું. શનિવારે મહાજન સંઘમાં સ્વાધ્યાય થાય તેમાં ‘ગાંધી સિદ્ધાંતોની ચર્ચાથી કામનો પાયો નંખાય.” ઇઝરાયેલની લેબર ઍન્ડ કો-ઑપરેટિવ ઇન્સ્ટિટયૂટમાં નવ માસનો ડિપ્લોમા કોર્સ કરવા ઇલાબહેનને મોકલવામાં આવ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે, પણ તેનો નમૂનો ઈઝરાયેલે પૂરો  પાડ્યો છે. અહીંથી જીવનને સાર્થકતાનો રસ્તો મળ્યો. 

‘સેવા’ દ્વારા ત્રણ વાતો અમલમાં મુકાવી : (૧) “અમે છીએ તેની નોંધ લો”. (૨) ‘અમારે શું જોઈએ છે?” તે જાણો. (૩) “અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો.” પાથરણાવાળા પણ નેચરલ માર્કેટ છે, એવું સુપ્રિમ કોર્ટ સુધી લડી સેવાએ પ્રસ્થાપિત કર્યું. મજૂરી પણ સેવા છે તેવું સ્વીકૃત કરાવ્યું..” નાના શ્રમિકોને નાનું ધિરાણ આપનાર વચેટિયાને કાઢવા બૅન્ક શરૂ કરી. શ્રમિક રોજ એક રૂપિયો બૅન્કમાં મૂકી શકે, પચાસ રૂપિયા થાય એટલે બૅન્ક તેને ધિરાણ આપે. છ રાજ્યોમાં આ સેવા બૅન્ક આજે ધમધમે છે. સેવાએ યુનિયન, બેંકિંગ, વીમો, કાયદાકીય સલાહ, આવાસ યોજના અને હવે માઇક્રોફાઇનાન્સની યોજનાઓને અમલમાં મૂકી વિશ્વસ્તરે સૌને અચંબિત કર્યા છે. ‘સેવા’ના બાર લાખથી વધુ સભ્યો ! “સેવા’નાં વિધિવત્ પ્રધાનમંત્રીપદે ઈલાબેન ન હતા , છતાં તેની ખાસ કાળી ઑટોરિક્ષા જોઈને કોઈપણ અમદાવાદી કે ગુજરાતી સેવાના પર્યાય ઇલા ભટ્ટને ઓળખી જાય છે ! 

એકસોને પાંચ નાની સહકારી મંડળીઓમાં કાર્યવ્યસ્ત “સેવાના પુરસ્કર્તા ઈલાબેનની વાત કાને ધરવા જેવી છે : “આપણે ઊંચે જઈએ તેના બદલે વિરતારમાં ફેલાઈએ તે જરૂરી છે. ઘરકામ અને માતૃત્વ બહેનો માટે બોજો નથી, તે તો સ્ત્રીના પાવરના મોટા સૉર્સ છે.” છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પૂછેલો તે યાદ છે  : ‘તમને જિંદગીમાં સૌથી વધું શું નડયું  છે?’ જવાબ બેધડક અને સ્પષ્ટ હતો : “ શહેરી ભણેલા લોકોનો ટિપિકલ માઇન્ડસેટ બહુ નડયો છે ! આપણી માણસ પ્રત્યેની નિસ્બત ઘટતી જાય છે તેના બધા પ્રશ્નો છે!”