સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે.
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
(15)
શ્રી ભગવાને કહ્યું,
‘હે પાંડવ, જેને સંન્યાસ કહે છે, એને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈપણ માણસ યોગી નથી હોતો. જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે.’
‘જયારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય. યોગમાં આરૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય.’
ભગવાન શ્રીકૃષ્ણ છઠ્ઠા અધ્યાયના આરંભમાં અર્જુનને આટલી સ્પષ્ટતાથી વાત કરે છે અને “ચિત્તવૃત્તિ નિરોધ” એવા શીર્ષક સાથેના છઠ્ઠા અધ્યાયના મંડાણ કરે છે. આપણે એ જોયું છે કે ધ્યાનયોગના મૂળ ત્રણ પરિમાણો છે ::
ચિત્તની એકાગ્રતા રાખવી,
જીવનની પરિમિતતા ટકાવી રાખવી
અને સમદ્રષ્ટિને જાળવી રાખવી.
ચિત્તની એકાગ્રતાનો આપણે વિશેષ ઉલ્લેખ કરીને તેમના વિશેની વાત જાણી ગયા છીએ. પ્રશ્ન એ થાય કે એકાગ્રતા તો જોઈએ પણ સધાય કેવી રીતે ? તે સારું શું કરવું ? ભગવાન કહે છે કે, આત્મામાં મન પરોવી બીજા કશાનું ચિંતન ન કરવું. પણ એવું થાય ખરું ? મન શાંત, સ્વસ્થ કરવાની વાત મહત્વની ખરી પણ વિચારના ચક્કરો જોર કરીને ફરતા હોય તેને અટકાવ્યા વિના એકાગ્રતા કેવી રીતે આવે ? બહારનું ચક્ર ગમે ત્યારે એકવાર ફરતું અટકાવી શકાય પણ અંદરનું ચક્ર તો ફર્યા જ કરે છે. ચિત્તની એકાગ્રતાને માટે બહારના સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધુને વધુ જોશથી ફરવા લાગે છે. એક અગ્ર તરફ લક્ષ્ય સાધી આગળ વધીએ ત્યારે એક તરફ શૂન્યાગ્રતા છે, તો બીજી તરફ અનેકાગ્રતા છે.
કોઈકે વિનોબાજીને પૂછ્યું કે ધ્યાનમાં આંખ અર્ધી ઉઘાડી રાખવી એવું કેમ કહ્યું હશે ? વિનોબાજીએ કહ્યું : તમારા સવાલનો સાદો જવાબ આપું. આંખ પુરી મીંચી દેવાથી ઊંઘ આવે છે. બરાબર જોર કરીને ખુલ્લી રાખો તો ચારે બાજુ નજર ફરતી રહીને એકાગ્રતા થતી નથી. આંખ મીંચવાથી ઊંઘ આવે તે તમોગુણ, જોર કરીને ખુલી રાખવાથી નજર બધે ફર્યા કરે એ રજોગુણ ! આ બંનેમાંથી બચવા માટે થઈને વચલી સ્થિતિ બતાવવામાં આવી છે. એકાગ્રતાને માટે જીવનની શુદ્ધિ જરૂરી, બહારનું ચિંતન જલ્દી છૂટી જવું જોઈએ. ચિત્તની એકાગ્રતા ખુબ જ જરૂરી છે એટલી વાત ગળે ઉતરે તો જ એની શરૂઆત થાય. એક ગૃહસ્થીની બાબતમાં એક ભાઈ કહેતા હતા કે ગમે તેની ખોલીમાં જાય તો ગમે તેની ખોલીમાં શું ક્યાં છે એ તેના ધ્યાનમાં આવી જાય. સાંભળનાર ભાઈના મનમાં થયું : ‘હે ઈશ્વર, આ મહિમા મારે માથે ન મારીશ. પાંચ, પચાસ ચીજોની મનમાં નોંધ રાખનારો હું કઈ તેનો સેક્રેટરી થોડો છું ? કે પછી મારે ચોરી કરવી છે ? પહેલો સાબુ ત્યાં હતો અને પહેલું ઘડિયાળ પણે હતું એ બધું મારે શું કરવા જાણવું ? મારે એ બધું જાણીને કરવું છે શું ? આંખને આમ વધારે પડતી ભટકવાનું મારે છોડવું જોઈશે.’ એવું જ કાનનું. કાન ઉપર ચોકી રાખવાની. કાનની પણ વધારે પડતી નકામી પ્રવૃત્તિ ન થાય. જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવવાની છે. ખરાબ વસ્તુ જોવાની જ નહીં. ખરાબ કંઈ વાંચવાનું જ નહીં. નિંદા કરતી સ્તુતિ સાંભળવાની જ નહીં. દોષવાળી વસ્તુ ખપે જ નહીં. નિર્દોષ વસ્તુનું પણ વધારે પડતું સેવન ન જોઈએ. કોઈ ચીજ વધારે પડતી ન ન જોઈએ. ફળાહાર શુદ્ધ આહાર છે પણ તે યથેચ્છ ન હોવો જોઈએ. આ થાય તો જ જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવી શકાય. ત્રીજી ધ્યાનયોગની બાબત છે સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એટલે શુભદ્રષ્ટિ. તમે જ્યાં સુધી દ્રષ્ટિથી શુભ જુઓ નહીં ત્યાં સુધી ચિત્ત કદી એકાગ્ર થાય નહીં. સમદ્રષ્ટિ ધીમે ધીમે કેળવવી જોઈએ. એટલે કે આખી સૃષ્ટિ આપણને મંગલ મંગલ ભાસવી જોઈએ. અરે સૃષ્ટિ પર મને એટલો ભરોસો હોવો જોઈએ કે જેટલો ભરોસો મને મારી જાત પ્રત્યે છે.
એક સરસ પ્રસંગ ટાંક્યો છે વિનોબાજીના ગીતાઈમાં.. સ્વામી રામદાસ રામાયણ લખતા અને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારુતિ પણ તે સાંભળવાને ગુપ્ત રીતે આવીને બેસી જતા. સ્વામી સમર્થે લખ્યું કે, ‘મારુતિ અશોકવનમાં ગયો. ત્યાં તેણે ધોળા ફૂલ જોયા.’ તે સાંભળતા વેંત મારુતિએ છતા થઈને કહ્યું, ‘મેં ધોળા ફૂલ જરા પણ જોયા નથી. મેં જોયેલા તે ફૂલ લાલ હતા. તમે ખોટું લખ્યું છે સુધારો કરો.’ સ્વામી સમર્થ કહે, મેં લખ્યું છે તે બરાબર જ છે. તેં ધોળા જ ફૂલ જોયા હતા. મારુતિએ સામે દલીલ કરી, અરે, હું પોતે જોનારો કહું છું તો પણ ખોટું ? છેવટે તકરાર રાજા રામ પાસે પહોંચી. રામચંદ્રજીએ કહ્યું, ફૂલ ધોળા જ હતા. પણ મારુતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઇ ગઈ હતી, તેથી ધોળા સફેદ ફૂલો તેને લાલ દેખાયા… આ વાર્તા તો મીઠડી છે પણ એનો સાર એનાથી પણ વધુ મીઠો છે. દુનિયા તરફ જોવાની આપણી દ્રષ્ટિ જેવી હશે તેવી દુનિયા આપણને દેખાશે. (ક્રમશ:)
