તુકારામ મહારાજ કહે છે:  વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો…એક જ શબ્દ હરિ નામ.

ભદ્રાયુ વછરાજાની    bhadrayu@@gmail.com

                                (32) 

શ્રીમદ ગીતાજીના નવમા અધ્યાયના સંદર્ભમાં ટાંકી શકાય તેવી ગોસ્વામી તુલસીદાસજીની બે પંક્તિઓ : 

કો જાને કો જેહિ જમપુર, કો સુરપુર પર ધામકો 

તુલસી હી બહુત  ભલો લાગત, જગજીવન રામ ગુલામ કો. 

એટલે કે મરણ પછી મળનારું સ્વર્ગ તેની બધી કથા અહીં શા કામની ? સ્વર્ગમાં કોણ જાય છે, નરકમાં કોણ જાય છે તે તો કોણ કહી શકે ? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઇને રહેવામાં જ મને આનંદ છે,  એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ જેટલી હોય એટલી મીઠાશ આ નવમા અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં આ જ આંખો વડે અનુભવાય એવું ફળ જીવતાં જીવ અનુભવ આવે તેવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાઈએ તો તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં પ્રસ્તુત છે. આવી મૃત્યુલોકના જીવનની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યાની વાતો આ નવમા અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે. પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપી રહ્યા છે.

જે ધર્મનો ગીતાસાર છે તેને વૈદિક ધર્મ કહે છે. વૈદિક ધર્મ એટલે વેદમાંથી નીકળેલો  ધર્મ. પૃથ્વીના પડ  પર જે કઈ પ્રાચીન મોજુદ છે તેમનું વેદ પહેલું લખાણ માનવામાં આવે છે. તેથી ભાવિક લોકો તેને અનાદિ માને છે અને આથી વેદ પૂજ્ય ગણવામાં આવ્યા છે. આવા એ વેદમાં જે ધર્મ બીજરૂપે હતો  તેનું વૃક્ષ વધતા વધતા છેવટે તેને ગીતાનું દિવ્ય મધુર ફળ બેઠું. ફળ સિવાય ઝાડનું આપણે શું ખાઈ શકીએ ? વેદ ધર્મના સારનો એ સાર તે આપણી  ગીતા છે, પણ વેદને એમ ને એમ તો નહીં સમજી શકાય એટલે કેટલાક કૃપાળુ સંતોએ કહ્યું કે, લાવો આપણે આ વેદોનો રસ કાઢીએ અને વેદોનો સાર ટૂંકમાં કાઢીને દુનિયાને આપીએ. તુકારામ મહારાજ કહેતા કે વેદે પાર વગરની વાતો કરી પણ તેમાંથી અર્થ આટલો જ સધાયો. એ અર્થ કયો ? એક જ શબ્દ હરિ નામ. હરિ નામ એ વેદનો સાર છે. રામનાથી મોક્ષ અવશ્ય મળશે સ્ત્રીઓ, છોકરા, શુદ્ર, વૈશ્ય, અણઘડ, રોગી, દુબળા, પાંગળા સૌ કોઈને માટે મોક્ષની છૂટ થઇ. વેદના કબાટમાં પુરાઈ રહેલો મોક્ષ ભગવાને રાજમાર્ગ ઉપર લાવીને મૂકી આપ્યો. મોક્ષની સીધી સાદી યુક્તિ એમણે બતાવી. જેનું જે સાદું જીવન, જે સ્વ ધર્મ કર્મ તેને જ યજ્ઞમય કાં ન કરી શકાય ? બીજા યજ્ઞોની શી જરૂર છે ? તારું રોજનું સાદું જે સેવાકર્મ છે એ જ તું યજ્ઞરૂપે ઈશ્વરને ધરી દે. 

પરમેશ્વર ક્યાંય છુપાઈને બેઠો છે એવું નથી. ઈશ્વરને ક્યાંકથી ખોદી કાઢવાનો છે એવું પણ નથી. ઈશ્વર સામે જ ઉભા છે. તમામ લોકો ઈશ્વરની મૂર્તિ છે. શ્રી ભગવાન કહે છે, આ માનવરૂપે પ્રગટ થયેલી હરિ મૂર્તિનો તું અનાદર કરીશ નહીં. ઈશ્વર પોતે સચરાચરમાં પ્રગટ થઈને રહેલા છે. તેને શોધવાના કોઈ કૃત્રિમ પ્રયાસો કરવાની જરૂર નથી. સીધો સાદો ઉપાય છે તું જે જે સેવા કરે તેનો સબંધ રામની સાથે જોડી દે એટલે તારું કાર્ય પૂરું. રામનો ગુલામ થા.  પેલો કઠણ વેદમાર્ગ, પેલો યજ્ઞ, પેલા સ્વાહા ને સ્વધા, પેલું શ્રાદ્ધ, પેલું તર્પણ એ બધું મોક્ષ તરફ લઇ તો જશે પણ તેમાં અધિકારી અને અનાધિકારીની ભાંજગડ  ઉભી થાય છે. આપણે એમાં પડવા જેવું નથી તું એટલું જ કર કે જે કઈ કરે તે પરમેશ્વરને અર્પણ કર. તારી પ્રત્યેક કૃતિનો સબંધ તું એની સાથે જોડી દે. નવમો અધ્યાય બહુ ટૂંકમાં આ વાત આપણને સમજાવે છે, તેથી ભક્તોને તે બહુ મીઠો લાગે છે તેની મીઠાશની વાત હવે આપણાં  ગળે ઉતરી જશે.

શ્રી ભગવાનનો  અને શ્રી વ્યાસજીનો અનુભવ એક જ છે એનું કારણ એ છે કે હકીકતમાં શ્રી કૃષ્ણ અને શ્રી વ્યાસ બંને એકરૂપ છે.  બંનેના જીવનનો સાર એક અને એ કોઈ જાતની વિદ્વતા  કે કર્મકલા નહીં પરંતુ સાદી સીધી ભોળી ભક્તિ. ભોળી ભવિક સ્ત્રી ‘ હું હું’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી, તેવું અહીં કહેવામાં આવ્યું છે. યાદ હોય તો મહાભારતમાં જનકસુલભા સંવાદ નામે એક પ્રકરણ છે.  જનક રાજા જ્ઞાનને સારું એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઉભો કર્યો છે. આપણે ભલેને સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નથી એવું આજે પણ ચર્ચા કર્યા કરીએ પણ સુલભા ખુદ રાજા જનકને બ્રહ્મ વિદ્યા આપે છે, એ વાત વ્યાસજીએ કહી. સુલભા એક સામાન્ય સ્ત્રી છે અને જનક કેવડો મોટો સમ્રાટ છે !! કેટલી વિદ્યાઓથી સંપન્ન છે!! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા. એવું જ પેલી તુલાધાર વૈશ્યની વાત. પેલો જાજલી બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારું જાય છે. તુલાધાર કહે કે, ત્રાજવાની દાંડી સીધી રાખવામાં મારું બધું જ્ઞાન છે. એટલે કે બીજું હું કઈ જાણતો નથી ‘ જે કર્મ કરી રહ્યો છું તેનો સાક્ષી ઈશ્વર છે એમ માનીને હું મારો ધર્મ જાળવું છું.’  એક વ્યાધની કથા પણ હતી. વ્યાધ મૂળમાં કસાઈ પશુઓને મારી સમાજની સેવા કરે. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરુએ વ્યાધની પાસે જવાનું કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી, કસાઈ તે વળી કેવું જ્ઞાન આપતો હશે ? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો ?  એ તો પોતાનો  ધંધો કરતો હતો, માંસ કાપતો હતો. માંસને ધોતો હતો, સાફ કરીને માંસ વેચવાનું ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, મારું આ કર્મ જેટલું થઇ શકે તેટલું હું ધર્મમય કરું છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડીને હું કર્મ કરું છું અને મા બાપની હું સેવા કરું છું.’  આવા આ વ્યાધીને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઉભી કરી. આ વાતો દ્વારા આ ઘટનાઓ દ્વારા એટલું જ કહેવાનો અર્થ છે કે ક્રિયાક્લાપમાં  કે કર્મકાંડમાં કે યજ્ઞ યજ્ઞાદિના શાસ્ત્રોમાં અટવાવાને બદલે તમે જે કરો છો તે ઈશ્વરની સાક્ષીએ કરો અને એમાં જે પ્રાપ્ત થાય છે એ બધું ઈશ્વરને અર્પણ કરો તેવું આપણને આ અધ્યાય કહી રહ્યો છે.