
આ પ્રશ્નનો કોઈ પુસ્તકિયો જવાબ તો હોય જ નહીં. તેમ છતાં પ્રશ્ન છે કે : જીવન જીવવાના માર્ગ કેટલાં? પ્રશ્ન છે તો ઉત્તર પણ હશે. ઉત્તર હશે તો તેની શોધ પણ હશે. કદાચ આ શોષ જીવન જીવવાનો એક માર્ગ હોઈ શકે. વીજળીના ચમકારે મોતીડાં પરોવાઈ જાય એ જીવનનો એક માર્ગ અને સાત-સાત હેલોજનના ભડકા વચ્ચે સોય શોધી ના જડે તે જીવનનો બીજો એક માર્ગ. આ બંનેના અણધાર્યા અનુભવ થાય તે વળી નવો માર્ગ ! આપણી સામે દ્વન્દો ઊભાં કે કે હોય, પેરાડોક્સ હોય, વિકલ્પો હોય અને ત્યારે જ પ્રશ્ન વિશેષ સર્જાય કે : જીવન જીવવાના માર્ગ કેટલા? સાચા-ખોટાનો માર્ગ પકડવો કે સારા-ખરાબનો ? ‘એકામતા’ પર ધ્યાન આપવું ‘સજાગતા’ પર? ‘શ્રેષ્ઠ’ની ઉપાસના કરવી ‘શુભ’ ની ? ‘જાણકારી’નું જોર વધારવું ‘હિતકારી’નું ? ‘દુઃખ’થી ડરવું કે ‘દોષ’ થી? ‘સગવડ’ને વળગવું કે ‘સ્વતંત્રતા’ ને કે ? ‘જાણીએ’ તે મહત્વનું કે ‘સમજીએ’ તે ? આ રહ્યા સપ્ત માર્ગો. પણ પસંદગી મારે ને તમારે કરવાની. યોગ્ય શું ને અયોગ્ય શું તે નક્કી આપણે કરવાનું.
સાદી ને સીધી વાત કરું? જીવન જીવવાના બે રસ્તા : ‘ગણતરીનો રસ્તો’ અને ‘કવિતાનો રસ્તો’. કેલ્ક્યુલેશન અને પોએટ્રી. Step by step અને of its own. કેલ્ક્યુલેશનમાં સાયન્સ આવે, ટેકનોલોજી આવે, મેથેમેટિક્સ આવે, ઈકોનોમિક્સ આવે, ગોઠવેલું – પ્રયોજેલું બધું આવે. જયારે પોએટ્રીમાં આર્ટ આવે, મ્યુઝિક આવે, બ્યુટી આવે, લવ આવે, સહજ સ્ફુરતું બધું આવે. સમજી સમજીને જીવો તે ગણતરીનો માર્ગ અને જીવી જીવીને સમજો તે કવિતાનો રસ્તો… એ જુદી વાત છે કે નાનપણથી આપણને ગણતરીના બાદશાહ બનાવવાની કોશિશ આપણી સંસ્કૃતિ કરતી આવે છે. નાનું બાળક કોઈકનું જોયેલું શીખે છે, પછી તે મા-બાપ હોય, શિક્ષકો હોય, મુલ્લા-પાદરી-પૂજારી હોય કે પછી કહેવાતો નેતા-અભિનેતા હોય. બસ, અહીંથી બધું પ્રાયોજિત શરૂ થાય છે. તમને ગમે કે ન ગમે, પણ જે વ્યવસ્થા છે તેમાં ગોઠવાઈ જુઓ, ધીમે ધીમે ગોઠી જશે, તમે conditined થઈ જશો અને તમે કવિતાનો, ખળખળ વહેવાનો, ચીલો ચાતરવાનો, તમને ગમતી વ્યવસ્થા સર્જવાનો માર્ગ હંમેશ માટે ભૂલી જશો. સમાજનું, સંસારનું, કુટુંબનું, સંસ્કૃતિનું આ પ્રાયોજિત પડૂયંત્ર છે. આપણે તેમાં એવા સલવાઈ જઈએ છીએ કે આપણને સલવાઈ જવું વહાલું લાગે છે. !
આમાંથી બચી જવાનો કોઈ ત્રીજો માર્ગ છે?… હા, જરૂર છે. વિશ્વ આજે પણ જેને ખૂલીને સ્વીકારવા તૈયાર નથી તે તોફાની ચિંતક ઓશો ત્રીજો માર્ગ દર્શાવે છે. તમારી પાસે બે રસ્તા છે. પહેલા ગણતરીના માર્ગે તમે ચાલો તેવું પાકું પપંત્ર ગોઠવાયું છે, બીજા કવિતાના માર્ગે તમે ચાલવા ઈચ્છો છો પણ તમારી સમજ કે તમારી સ્વતંત્રતા ટૂંકી પડે છે, તો હવે શું કરવું ?.. ઓશો ત્રીજો માર્ગ ચીધે છે. અને તે છે ‘ધ્યાનનો માર્ગ’, ધ્યાનમાર્ગ આપણને જીવન બહુપરિમાણીય સ્તરે જીવવાની મોકળાશ કરી આપે છે. ધ્યાનનો માર્ગ અથરો નથી જ નથી. હા, ધ્યાનમાં પાટિયાં મારી દુકાનો ખોલી કેટલાય મહાનુભાવોએ પોતાના જીવનનો ‘ગણતરીનો રસ્તો’ હાઈવે કરી નાખ્યો છે. ધ્યાનમાર્ગે કશું જુદું કરવાનું નથી, જે કરીએ છીએ તે સજગતાથી કરવાનું છે. હું કરું છું તે મારે જોતાં શીખવાનું છે. આ જોતાં આવડે તો સહજતાથી જીવતાં આવડે. મારામાંથી બહાર નીકળી જઈને હું જોઉં કે હું કેમ જીવી રહ્યો છું, તે જીવન જીવવાનો ઉત્તમ માર્ગ. પણ આપણે આપણામાંથી બહાર નીકળી શકીએ ? હા. જરૂર. પણ તે પહેલાં આપણે આપણામાં પુરેપુરા અંદર ઊતરી જવું પડે. જે છે તે અંદર છે ને?
