અજવાળું એટલે  જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

અજવાળું એટલે... જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

ફૂલછાબ : દીપોત્સવી અંક : 2023

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધના.

II ૐ શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II

અમારા નિવાસ ‘પ્રેમમંદિર’ ના પડોશમાં એક બુઝુર્ગ નારી રોજ સવારે બહાર ડોકાયા કરે અને જમણી દિશામાં કશુંક શોધ્યા કરે. મારી સવાર હિંચકે વીતે અને હું રોજનો પેલી ઘટનાનો સાક્ષી. શરુ શરૂમાં મને વિસ્મય હતું કે એ સન્નારી કોને શોધે છે ?? પરંતુ એક દિવસ હું તેમની શોધ પૂર્ણ થયાના આનંદનો પણ સાક્ષી બન્યો અને મારું  વિસ્મય વ્યક્તિગત ન રહેતા શાશ્વત બની ગયું.!!

જમણી દિશામાં જરાક સુરજ ડોકાયો ને તે સન્નારી અંદર ઉતાવળા પગલે દોડયાં અને પાણી ભરેલો ત્રામ્બાનો કળશયો (લોટો) લઈને બહાર બાલ્કનીમાં આવ્યાં, એમણે  જમણી દિશામાં હાથ જોડીને નમસ્કાર કર્યા અને પછી પેલા લોટામાંથી ધીમી ધારે પાણી રેડતા ગયાં અને બોલતા ગયાં ‘II શ્રી આદિત્યનારાયણ દેવતાભ્યો નમઃ II’ !! બસ પછી મુખ પર સંતોષનું સ્મિત ફરકાવતા અંદર જઈ  કામે લાગી ગયાં.

મારા મનને ઘડીક શાંતિ થઇ પણ પેલું વિસ્મય વ્યાપક બનીને જિજ્ઞાસામાં ફેરવાયું કે, આખો દિવસ તપતા આ સૂરજદેવ સામે પાણી રેડવાથી શો લાભ થાય ?? જિજ્ઞાસા ઝાલી ન રહી એટલે સાંજે એ સન્નારી ફળિયે બેસી સમવયસ્કો સાથે ગોઠડી કરતા હતા ત્યાં જઈને પૂછી નાખ્યું : ‘હેં, બા, તમે સવાર સવારમાં સૂર્યને શોધો ને જેવો દેખાય એટલે તરત તેની સામે પાણી રેડીને શ્લોક જેવું બોલો છો, તે આનો શો અર્થ ?’  તેઓ તો

                                                          (2)

અચંબામાં પડ્યા કે આ પાડોશી આવું શા સાટું પૂછવા આવ્યા હશે, પણ તરત તેઓએ ઠાવકાઈથી કહ્યું, ‘ભાઈ, એવું વિચારો તો કે સુરજ ઉગવાનું જ ભૂલી જાય તો,,, આપણું શું થાય ?  મને કયો તમે કે આપણો દિવસ શરુ થયો ક્યારે કહેવાય ? ઘોર અંધારી રાતમાંથી પહેલા પહોરે ઉજાસ થાય જ નહિ તો આપણી સવાર પડે ખરી ?? ભાઈ, જે આપણને સવારે ઉજાસ પાથરી ધીમેકથી કહે કે, ઉઠો વ્હાલા, એક નવો દિવસ તમારી ઝીંદગીને  ભેટ મળ્યો છે તે આનંદ કરી લ્યો !!! કહો જોઈએ, આવું કોઈ કહે તો  આપણે એનો આભાર માનવો જોઈએ કે નહીં  ?? તમે વાતે વાતે Thank You નથી કહેતા એકબીજાને ?? બસ, એમ જ, હું સવારમાં સુરજદેવને હાથ જોડી પ્રણામ કરું છું અને થોડું પાણી તેને અર્ઘ્ય  રૂપે ચડાવી  તેને ટાઢક વળે એવો ભાવ કરું છું, એને આપણા માટે આખો દિવસ તપવું સહેલું પડે ને ભાઈ..!! મારું વિસ્મય  હવે શાશ્વત બની ગયું અને મને સમજાયું કે, સૂર્ય બહાર પ્રકાશ પાથરે છે પણ કોઈ સજગ સન્નારીના હૃદયમાં અજવાળું અજવાળું કરી દે છે.

મને સ્વામી બ્રહ્મવેદાંતજીનું એક વિધાન યાદ આવ્યું : જે યાત્રા આપણે બેહોશી માં કરી રહ્યા હતા તે યાત્રા બોધપૂર્વક કરવી એનું નામ સાધનામને સમજાયું કે મારા પડોશી સન્નારી તો જાણ્યે અજાણ્યે સાધના કરી રહ્યા છે અને તેમણે મને કેવળ વાત નથી કરી પરંતુ મને સાધનાના માર્ગ તરફ આંગળી ચીંધી  છે.

ચીન નિવાસી અને વિશ્વના આધ્યાત્મ જગતના વિરલ પથદર્શી લાઓ ત્સુ  ત્રણ ખજાનાની વાત કરે છે:

મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત.

પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા,

ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ.

પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર,

અતિરેક હોય એટલે રહી શકે ભરપૂર

દુનિયાની આગળ થઈ જવાનો અભરખો હોય

                                                             (3)

એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર

પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી,

અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા,

તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ અને 

બધું લઈ જાય માત્ર મૃત્યુ તરફ.”

અને આમ જુઓ તો મૃત્યુ એ આખરી અજવાળું જ છે ને !! બહારનો  દીપ બુઝાય ત્યારે અંદરના દીપનું પ્રાગટ્ય થાય..બહાર પ્રકાશ ગયો અને અન્તઃકરણમાં અજવાસ થયો.

ગુરુ નાનક નિરંતર ઈશ્વરમાં મગ્ન રહેનાર સંત હતા. તેમને બાલ્યાવસ્થામાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ અવસર ઉપર દૂરના નજીકના સબંધીજન આવ્યા અને સૌ ભેગા થયા અને છેલ્લા તબક્કે એક વિસ્ફોટ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે નાનકડા નાનકજીએ કહ્યું કે, ‘હું યજ્ઞોપવિત પહેરીશ નહીં.’ કુટુંબના સૌ વડીલો એને સમજાવવા લાગ્યા અને પૂછ્યું કે, ‘એવું કેમ ?’ ત્યારે એણે જવાબ આપ્યો કે, ‘જે જનોઈ મેલું થઇ જાય, તૂટી જઈ શકે, બળી જઈ શકે અને જે મનુષ્યના સાથે જીવનની સીમા પછી પણ આવે નહીં એવું જનોઈ પહેરવાનો અર્થ શું છે ?’ બધા વિમાસણમાં પડી ગયા ત્યારે કોઈ એક બુઝૂર્ગે પૂછ્યું કે, ‘બરાબર છે એ નહીં  તો, તારે કેવું જનોઈ જોઈએ છીએ કે જે આલોક અને પરલોકમાં પણ તારું સાથીદાર બને ?’  આ લોકોની જિજ્ઞાસા હતી. બધા પ્રતીક્ષા કરતાં હતા કે, શું જવાબ મળે છે ત્યારે નાનકદેવજીએ કહ્યું, ‘જેમાં જ્ઞાનની કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ અને સત્યનો અર્ક હોય એ જનોઈ હું પહેરીશ કે જે આત્મા માટે આદર્શ હોય.’  એક નાનકડાં બાળકની આટલી  ઊંડાણભરી વાત ત્યારે જ બહાર આવે કે જયારે  અંદર અજવાળું અજવાળું હોય.

પ્રશ્ન થાય કે, આવું ક્યારે શક્ય બને ?? જવાબ તાઓ ઉપનિષદમાંથી મળે છે :

તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે,

ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે.

                                                     (4)

પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે,

ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિવિધાન આવે,

વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે,

ધૂંધળાને નહીં, સજ્જન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે.

વર્ધાથી બહાર પડતા સામાયિક ‘મૈત્રી’નાં ઓગસ્ટ-2023ના અંકમાં એક કોલમમાં કહેવાયેલી વાત કાલિંદીના શબ્દોમાં જાણીએ:

સર્વ શક્તિદાયિની પદયાત્રાનો એ ચોથો ભાગ છે. એમાં એક સરસ પ્રસંગ ચિત્ર મૂક્યું છે. પશ્ચિમ બંગાળથી હવે જઈશું પૂર્વ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજનું બાંગ્લાદેશ. અહીં બે જિલ્લાઓમાં કુલ સોળ  દિવસ સુધી પદયાત્રા થઈ. અહીંની સભાઓ એક આશ્ચર્ય પમાડે તેવી થઈ. નાના નાના ગામોમાં હજારોની સભા થતી હતી. કોણ કહેતું હશે લોકોને આ સભા અંગે કે આટલા બધા ઉમટી પડતા હશે ! ત્યારે કાર્યકર્તાઓની ફોજ નહોતી, પ્રચારની કોઈ યોજના નહોતી પરંતુ કોણ પહોંચાડી રહ્યું હતું આ વાત લોકો સુધી ? કોણ હતો તેનો સંદેશાવાહક ? કાનમાં કોઈ હળવો અવાજ બોલતો  હતો.  ચારો ઓર સે હવા આઈ, લોગો કે કાનોમેં બોલી,, આયા હે ફકીર ભારતકા લેકર પૈગામ મહોબ્બતકા. હવામાંથી સંદેશ મેળવીને લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ હતી, પણ શાંતિથી, એકાગ્રતાથી તેઓ વિનોબાજીને સાંભળતા હતા. આશાવાદી આર્ય નાયકમ પણ સાથે હતા. તેઓ કહેતા :  બાબા ભૂમિ તપ્ત છે, એને વરસાદનું પાણી મળી રહ્યું છે. વાત પણ સાચી હતી. પૂર્વ પાકિસ્તાનની હાલત એવી હતી કે, ત્યાં આવી જાહેર સભાઓ ક્યારેય થતી ન હતી. સંત ફકીરોની આહલેક  સાંભળીને ત્યાં ભેગા થવાનો મોકો પણ મળતો ન હતો. ખરેખર એ ભૂમિ પ્યાસી હતી, તપ્ત હતી. એવી શાંત એકાગ્ર શ્રોતાઓની આટલી વિશાળ પણ સભા ભારતમાં ક્યાંય થઇ ન હતી, પણ તેના ઉપર ફકીર વિનોબાજીનો મહોબ્બતનો પૈગામ જાણે મીઠો વરસાદ વરસાવી રહ્યો હતો.

                                                        (5)

વિનોબાજીની ભૂદાન પદયાત્રા ચાલી રહી હતી એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો. પ્રસંગ એવો હતો કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા પછી તેઓને ઈચ્છા હતી કે તેઓ સંત ઋષિ વિનોબાજીને મળે અને તેના આશીર્વાદ લે. વિનોબાજીની યાત્રા એ સમયે વર્ધા જિલ્લામાં ચાલી રહી હતી. પ્રધાનમંત્રીએ ખાસ કહેવડાવ્યું કે, ‘વિનોબાજીની ભૂદાન યાત્રા પૂર્વ નિયોજિત કાર્યક્રમ પ્રમાણે જ ચાલે. મારા કારણે તેમાં કોઈ બદલાવ ન કરવામાં આવે. હું તેઓ જે સ્થાન ઉપર હશે તે સ્થાન ઉપર જઈને તેમને મળીશ.’ એ દિવસે વિનોબાજીનો  મુકામ એક બહુ નાનકડા ગામમાં હતો. એ ગામમાં સ્કૂલ નહોતી, પંચાયત નહોતી. એનો કોઈ રૂમ ન હતો  કે કોઈ એવી વ્યક્તિનું મોટું મકાન પણ નહોતું. પ્રશાસન અધિકારીઓ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિચારે ચડ્યા કે આ બંને મળી શકે એવું સ્થાન કયું ? વિનોબાજીની વાત તો ઠીક છે પરંતુ તેમને ચિંતા હતી પ્રધાનમંત્રીની. આખરે એક ઘર પસંદ કરવામાં આવ્યું. ઘર એટલે માટીવાળી દિવાલોનો એક ઓરડો અને એના આગળના ભાગમાં ઉપર છાપરા મૂકેલ એક ઓસરી કહી શકીએ એવું. ઘરનો માલિક બહુ ખુશ હતો કે, એક સંત આજે આખો દિવસ આ ઘરમાં રહેવાના હતા. અને એમણે ૨૪ કલાક માટે પોતાના પરિવાર અને બળદને લઈને ખસી જવાનું પસંદ કર્યું. પ્રશાસનના  અધિકારીઓએ ઘરની સફાઈ કરી. વિનોબાજીના સાથીઓ પણ એ રૂમને સજાવવા લાગ્યા. ચાદર પાથરી, ચટાઈ પાથરી, ઓરડાના એક ખૂણામાં ચૂલો હતો એને સારા કપડાથી ઢાંકી દઈને એની ઉપર ફાનસ મૂકી દીધું. કારણ કે બહાર વાદળો હતા અને ઓરડામાં અંધારું. નક્કી થયેલા સમય ઉપર પ્રધાનમંત્રી આવ્યા. તેઓ પોતાની ગાડી અડધો માઈલ દૂર રાખીને ચાલીને આવ્યા. વિનોબાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સ્વાગત માટે રસ્તા ઉપર ઉભા રહ્યા. તેઓ શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના રૂમ માં લઇ ગયા. એક દોઢ કલાક સુધી બંનેએ એકાંતમાં વાતો કરી. વિદાય માટે જેવા તેઓ ઉભા થયા કે  એકદમ ચારે તરફથી આંધી શરૂ થઈ.  હવાનું એક બહુ મોટું વહેણ એ ઓરડામાં પણ ઘુસ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એ ગરીબ ઘરની આસપાસ જે સારું ઐશ્વર્ય હતું એ આ બંને મહાનુભવો પર પડયું  અને બંનેનું સન્માન કર્યું. ઐશ્વર્ય એટલે શું ? એ સમયે લાલ મરચું અને ડુંગળીના

                                                    (6)

છાલકાઓની વર્ષા  બંને ઉપર થઇ !  એમ કહેવાય કે ગરીબ ઘરની વિદાય લેતી વખતે ગરીબોની  સર્વોત્તમ ચીજથી બંનેનું સન્માન થયું. સામાન્ય રીતે તો પ્રધાન મંત્રીનું સન્માન કરવા માટે તો ફૂલ હોય, ગુચ્છા હોય, ફૂલમાળા હોય, નોટોની માળા હોય પણ આજે એવું નહોતું. પ્રધાનમંત્રી અને વિનોબાજી રૂમની બહાર આવ્યા ત્યારે બંને ઉપર કચરાના અંશો પડ્યા હતા. પ્રધાનમંત્રીની ટોપી ઉપર અને ખભા ઉપર પડેલો કચરો પ્રશાસકીય લોકો દૂર કરવા લાગ્યા,  પણ પ્રધાનમંત્રીએ આસ્તેથી તેઓનો હાથ દૂર કર્યો અને જઈને કારમાં બેસી ગયા. પ્રધાનમંત્રીનું આ પ્રકારનું સ્વાગત કે વિદાય બીજે ક્યાંય  હોય શકે ? સંભવ જ નથી લાગતું. કોઈ ઉત્તમ લેખકની  કલ્પના શક્તિ ન ચાલે એવી રીતે આ બનાવ બન્યો હતો. તેમ છતાં તે ચક્ષુ રેવ સત્યમ હતું. અદ્વિતીય હતું. આવું તો પદયાત્રામાં જ થઇ શકે. પરમભાગ્ય પદયાત્રીઓના કે આ બધું જોયું અને ચોતરફ ભૂદાનયાત્રાનું અજવાળું અજવાળું થઈ  રહ્યું.

સંત ફઝીલ એક દિવસ પોતાના દીકરાને પોતાના ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા. ત્યારે એક નિર્દોષ બાળકે પૂછ્યું, તમે મને દોસ્ત માનો છો ? ફઝીલે કહ્યું, હા. બાળકે ફરી પૂછ્યું,.. ‘અને ખુદને પણ દોસ્ત માનો છો ? બંનેની દોસ્તી એક દિલમાં રહી શકે નહીં હો !’ ફઝીલ સમજી ગયા.  આ ચેતવણી કદાચ ખુદા જ આપી રહ્યા હતા. એમણે તરત જ બાળકને ખોળામાંથી ઉતાર્યો અને પલાંઠી મારીને આરાધનામાં લીન થઇ ગયા. સંત સાફિયાન એક રાત્રે ફઝીલ પાસે આવ્યા અને પ્રેમ પૂર્વક અધ્યાત્મ ચર્ચા કરવા લાગ્યા. વિદાય લેતી સમયે સંતુષ્ટ સ્વરમાં તેઓએ કહ્યું કે, આજની રાત બધી રાતોથી વધુ સારી રહી છે અને આજનો જલસો બધા જલસામાં ખુબ ઉત્તમ રહ્યો છે. પ્રત્યુત્તરમાં ફઝીલે  કહ્યું : “આજ કી રાત સબ રાતો સે બુરી ઓર આજકા જલસા સબ જલસોસે બુરા રહા.’  તરત સાફિયાને પૂછ્યું,  કેમ એમ ? જવાબ મળ્યો :  આ આખી રાત તમે એ ચિંતામાં રહ્યા કે એવી વાત કહો જે મને પસંદ આવે અને હું એ ફિકરમાં રહ્યો કે એસી બાત કહું કી તુમ્હે પસંદ આયે. હમ દોનો અલ્લાહ સે કાફીર રહૈ. બંદે કે લિયે તન્હાઈ હી અચ્છી થી જહાં ઉસકા ખુદા કે સાથ સીધા વાસતા હે આ વિચારને લઈને સંત અબ્દુલ્લાએ કહ્યું

                                                          (7)

પરત જાઓ. તુમ ઇસલિયે આયે હો ના કિ  તુમ મુજસે બાતેં  કરો ઓર મેં તુમસે બાતેં  કરું. સત્સંગ ઉતના હી અચ્છા જીતને મેં રાહી કો રાહ બતાયી જાએ !!

એકનાથે કહ્યું છે: જબ તક રસનાકો જીત નહીં લિયા સમૂચિત બોલના આતા નહીં. એમાંથી પ્રશ્ન થયો કે,  કોઈ ખોટું બોલે તો પણ આપણે ચૂપ રહીને સહન કરતાં શીખવું જોઈએ,  પણ એવું થતું નથી. માનો કે,  આપણે એને વળતો જવાબ ન દઈએ, પરંતુ મનમાં તો પ્રતિવાદ રહેતો જ હોય છે. સૂફીનો જવાબ મળ્યો :  ચુપચાપ સહન કરવું પર્યાપ્ત નથી દોસ્ત,  કટુ બોલનારને આશીર્વાદ આપો,  એમનું શુભ ચિંતન કરો,  એમના ઉપર ઈશ્વરની કૃપા હો, એવું પણ વિચારવા લાગો ત્યારે વાત પુરી થશે. ફરી પ્રશ્ન થયો કે, ‘શૂન્ય બનવાની વાત સૌ કરે છે તો આ શૂન્ય બનવું એટલે શું ?’  જવાબ મળ્યો: શૂન્ય બનવું સહેલું છે. તમારા ચિત્તમાં ન કોઈ વિકાર હોય કે ન કોઈ વિચાર હોય એ સ્થિતિ શૂન્યાવસ્થા છે. 

 આપણે જાતને પૂછવાનું છે :

તમારાથી વધુ નિકટ શું ? કીર્તિ કે તમે સ્વયં ?

તમને વધુ વહાલું શું ? તમે સ્વયં કે સંપત્તિ ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ;

ધનના સંગ્રહની પાછળ પાછળ આવી જાય મોટી લૂંટ

એટલે જે જાણે સંતોષને, તે રહેશે, ના થશે કદી માનભંગ;

જે જાણે ક્યાં અટકી જવું, તે રહેશે કદી નાશવંત

પ્રાપ્ત કરો લક્ષ્ય પ૨મ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શાંતિમાં

અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી

જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ;

                                                           (8)

પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં.

પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;

તેનો અર્થ થયો : જવું નિયતિની પૂર્વસ્થિતિમાં

…અને એ પૂર્વસ્થિતિમાં મળી આવશે અજવાળું અને તેનું એકમાત્ર લક્ષ્ય હશે  કે પૂર્ણતાની દિશામાં  સતત ચાલતા જ રહેવાનું, સતત ચાલતા જ રહેવાનું…Just Let Go .

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

ગાંધીજીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ

શબ્દ સૃષ્ટિ :: ઓક્ટોબર : 2023 માટે દીર્ઘ લેખ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

(ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાંદિપની, પોરબંદર ખાતે યોજાયેલ સંસ્કૃતિ ચિંતન-2023માં આપેલ વ્યાખ્યાન)

જયારે ‘ગાંધીજી: એક શાશ્વત વિચાર’ની સામે વિપથગામી પરિબળો સતત જુદી જ વાતો કરવા બહાર આવી પડયા છે અને સંગઠિત થઈને એક પરમ સત્યને ઢાંકવાના પ્રયાસો કરે છે ત્યારે ગાંધીજીના  જીવનમાંથી  સંસ્કૃતિબોધ  તેવા  વિષય અંગેની ચર્ચા કરવી કે અભ્યાસ કરવો એ અતિ પાવન ઘટના છે . 

આપણે ગાંધીજીના જીવનમાં સંસ્કૃતિ બોધ એવા વિષય પર વિચાર કરીએ તે પહેલા આપણે સંસ્કૃતિ અને તેની પ્રવાહિતા વિષે ટૂંકમાં થોડું જાણવું જરૂરી છે. 

આપણે વિચારીએ કે આપણા હિન્દુસ્તાનમાં વર્ષોથી જે જ્ઞાનને સ્વીકૃત ગણવામાં આવ્યું છે, એને કેટલાક આધારોથી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દા.ત. વર્ષો સુધી એવું ચાલ્યું કે જે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન છે એ માન્ય છે, એટલે કે શાસ્ત્રોમાં દર્શાવેલું છે તે આપણી સંસ્કૃતિ છે એવું સ્વીકારીને જીવન જીવતા રહ્યા. એક ગાળો હતો કે જયારે શાસ્ત્ર પ્રામાણ્ય જીવન એ સાર્થક ગણાતું. ધીમે ધીમે કરતાં  જેમ જેમ માનવીય બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ એને પ્રશ્નો થતા ગયા અને પ્રશ્નો એવા થયા કે જે શાસ્ત્રોને આપણે પ્રમાણ ગણીએ છીએ એ શાસ્ત્રો ઉપર અત્યારે જુદું વિચારવું જોઈએ કે નહીં અને  એમાંથી એક બીજા પ્રકારનો પ્રવાહ શરૂ થયો જેને બુદ્ધિ પ્રામાણ્ય જીવન કહેવામાં આવ્યું. શાસ્ત્રો ખરા પણ જેમાં બુદ્ધિ પ્રમાણ આપે કે, ‘હા, આ બરાબર’ તેને માન્ય ગણવું. આવા શાસ્ત્ર પ્રામાણ્ય અને બુદ્ધિ પ્રામાણ્ય જીવન રીતિમાં ૧૮૧૫ માં  રાજા રામમોહન રાયે વેદાંત સારના અનુવાદની પ્રસ્તાવનામાં લખ્યું કે,  ‘શાસ્ત્ર અને બુદ્ધિ બંને એ નક્કી કરેલા માર્ગે ચાલવાનો સર્વથા પ્રયાસ કરીએ તો તે ઉચિત છે.’ એટલે કે એમણે શાસ્ત્રને પણ સ્વીકાર્યું અને બુદ્ધિને પણ સ્વીકારી. બંને એ નક્કી કરેલા શાસ્ત્ર અને બુદ્ધિ  પ્રામાણ્ય માર્ગ ઉપર ચાલીએ તો એ ઉચિત ગણાશે. રામમોહનરાય પછી આવ્યા કેશવચંદ્ર. કેશવચંદ્ર સાવ અલગ પડયા. એમણે એમ કહ્યું કે, કેવળ બુદ્ધિ પ્રામાણ્ય પણ પ્રયાપ્ત નથી, બદલાતા સમય સાથે જ્ઞાનની જોડાજોડ વિજ્ઞાન ચાલે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એક અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ શીર્ષક આપ્યું છે,  એટલે કે વિશિષ્ટ જ્ઞાનના આધારે કામ થવું જોઈએ એટલે કેશવચંદ્રના સમયથી કેવળ બુદ્ધિ પ્રામાણ્યનો સ્વીકાર ન થયો, પરંતુ વિજ્ઞાન પ્રામાણ્ય હોય એ પણ જરુરી ગણાવા  લાગ્યું. અહીં ગાંધીજીના વચનો આપણને યાદ આવે. ગાંધીજીએ કહ્યું કે, ‘જો મારા ધર્મ મતને લઈને વિજ્ઞાન નાશ પામે તેમ હોય તેના કરતા મેં જીવનભર હૃદયમાં સંગ્રહેલો મારો ધર્મમત નાશ  પામે એમ હું ઈચ્છું છું.’  ગાંધી તો ઘણા વર્ષો પછી થયા. પછી એમણે વ્યક્ત કરેલો આ મત એ કેશવચંદ્રના વિજ્ઞાન પ્રામાણ્યની વાતને ટેકો કરનારો  છે. આગળ વધીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ તે શાસ્ત્ર પ્રામાણ્યથી આગળ વેદ પ્રામાણ્ય ઉપર જવાનું કહેતો એક પ્રવાહ બન્યો. એમાં ઉમેરાયા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્યો. શ્રી રામકૃષ્ણદેવે તો બધા ધર્મોની એકતા ઉપર સીધો ભાર મુક્યો. એમનું આકલન પણ જાણવા જેવું છે : ‘બધા માણસો ધર્મના નામે ઝઘડતા જોવામાં આવે છે. હિન્દૂ, મુસલમાન, બ્રાહ્મણો , શાક્તો, વૈષ્ણવો, શૈવો બધા જ એકબીજા સાથે ઝઘડે છે. એ લોકો એટલો વિચાર નથી કરતા કે જેને કૃષ્ણ કહે છે, તે જ શિવ પણ છે અને આદ્યશક્તિ પણ તેનું જ નામ છે. ઈસુ અને અલ્લાહ પણ તેના જ નામ છે. એક જ રામના હજાર નામ છે. વસ્તુ તો એક જ છે, પણ નામ જુદા જુદા છે. બધા એક જ વસ્તુ મેળવવા મથે છે પણ દેશ કાળભેદે નામ જુદા વાપરે છે. એક જ તળાવને અનેક ઘાટ છે. એક ઘાટે હિન્દૂઓ લોટામાં પાણી ભરે છે અને તેને ‘જળ’ કહે છે. બીજા ઘાટે  મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને ‘પાની’ કહે છે. ત્રીજે ઘાટે ખ્રિસ્તીઓ પાણી  ભરે છે અને તેને ‘વોટર’ કહે છે. હવે કોઈ એમ કહે કે આ વસ્તુ ‘પાની’ કે ‘વોટર’ નથી, પણ જળ છે અથવા ‘જળ’  કે ‘પાની’ નથી પણ ‘વોટર’ છે તો તે સાચે જ હાસ્યાસ્પદ છે.’  આ જ વાત વેદમાં કહેલી  છે, II એકમ સત વિપ્રા બહુધા વદંતીII શ્રી રાકૃષ્ણદેવે બહુ જ સ્પષ્ટતાથી પોતાનો પાયો મજબૂત કરી દીધો. એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ આવ્યા એમણે કહ્યું  કે we believe not only in universal toleration but we accept all religions  as true અમે તો બધા ધર્મોને સાચા માનીએ છીએ. ગાંધીજીના પૂર્વગામી હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજીના ધર્માંતરની બાબતમાં એ જ વચનો એમણે  પણ કહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ‘મારી પાક્કી ખાતરી થઈ ગઈ કે આ ભૂખ્યા માણસો આગળ ધર્મની વાત કરવી મિથ્યા છે. તેમની ગરીબી અને તેમના દુઃખો ટાળવાનો પ્રયત્ન પહેલા કરવો જોઈએ. આને માટે ગરીબ હિંદના ઉદ્ધાર કરવા વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.’  એમનો ઉદેશ સ્પષ્ટ હતો, ગરીબ હિન્દનો ઉદ્ધાર. ગરીબો માટે તેઓ કહે છે કે,  ‘તેઓ આપણી પાસે રોટલો માંગે છે પણ આપણે એમણે રોડા આપીએ છીએ. ભૂખે મરતી પ્રજાની આગળ ધર્મની વાત કરવી એ તેનું અપમાન કર્યા બરાબર છે. ભૂખ્યા માણસ આગળ અધ્યાત્મ વિદ્યાની વાત કરવી એ તો તેનું બરાબર અપમાન કરવાનો માર્ગ છે.’ દરિદ્રનારાયણ શબ્દ આપનાર સ્વામી વિવેકાનંદ કહે છે કે,  ખ્રિસ્તી હિન્દૂ થઈ જાય એવું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. હિન્દૂ કે બૌદ્ધ ખ્રિસ્તી થઈ જાય એવું શું હું ઈચ્છું છું ? લગારે ય નહીં. ખ્રિસ્તીએ હિન્દૂ કે બૌદ્ધ થવાનું જ નથી. તે જ રીતે હિંદુએ ખ્રિસ્તી કે બૌદ્ધ થવાનું જ નથી પણ દરેક ધર્મએ બીજા ધર્મોની ભાવનાને અપનાવવાની છે અને છતાં પોતાનું વ્યક્તિત્વ સાચવી પોતાની રીતે વિકાસ સાધવાનો છે.’  આપણે આ જ વાતને ગાંધીના પરિપ્રેક્ષમાં જોઈશું ત્યારે લાગશે કે,  બંનેના વિચારોમાં સામ્યતા કેટલી છે. 

એક યાદગાર ઘટનાક્રમ નોંધવો જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ બુદ્ધ પુરુષોના જીવનક્રમમાં એ લોકો એકબીજાથી કેટલા નજદીક છે ? 

સાલ ૧૮૯૩ છે અને તેનો એપ્રિલ મહિનો છે કે ત્યારે ગાંધીજી મુંબઈથી નીકળી મે મહિનામાં નાતાલ પહોંચ્યા

૧૮૯૩ના ૩૧ મી મે સ્વામી વિવેકાનંદ ૧૧૦૯ ની ધર્મ પરિષદમાં પહોંચવા માટે મુંબઈ થી નીકળ્યા

૧૮૯૩ની ૧૬ મી નવેમ્બરે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતર્યા

૧૮૯૩ ની સાલ આપણા આખા ધર્મ અધ્યાત્મ જગતને માટે કેટલી મહત્વની છે તે દર્શાવવા આપણે આ ઘટનાક્રમ તપાસ્યો છે. ૧૮૯૩ માં જ એ ગાંધીજી મુંબઈથી નાતાલ જાય છે,  સ્વામી વિવેકાનંદ પણ શિકાગો ધર્મ પરિષદ માટે મુંબઈથી જાય છે અને એ જ સમયે મિસિસ એનીબેસન્ટ ભારતના કિનારે ઉતરે છે. યાદ રાખવા જેવું એ છે કે, એ સમયે ગાંધીજી ૨૪ વર્ષના હતા, વિવેકાનંદજી ૩૦ વર્ષના હતા અને એનીબેસન્ટ ૪૬ વર્ષના હતા. લગભગ લગભગ સમવયસ્કો અથવા સમકાલીનો એક સરખું વિચારીને કેવી રીતે જીવે છે તેનો આ સાદર નમૂનો છે. 

મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ પછી આવ્યા અને એમના જીવનમાં જે કંઈ  તેમણે સારતત્વ પ્રાપ્ત કર્યું હતું તેના આધારે તેના કેટલાક વિધાનો નોંધવા જરૂરી બને છે: ‘આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું એટલે કે ધર્મને તેઓએ વ્યાખ્યાયિત કર્યો કે તમે નીતિ પાળો પણ આત્માની દ્રષ્ટિએ પાળો એ  નીતિ  તમારો ધર્મ છે. અને સાથે કહ્યું કે, જે ધર્મ વ્યવહારમાં લાવી શકાય તે ધર્મ નથી.’ વ્યવહારમાં ઉતરવો જોઈએ તો જ એ ધર્મ છે. ૧૯૪૬ ના પહેલી ઓગસ્ટના હરિજન’માં તેઓએ નોંધ્યું કે, દરેક બાબતમાં સારી રીતે જીવવું એનું નામ મોક્ષ છે. મોક્ષનો અર્થ એથી વિશેષ પણ નથી અને એથી ઓછો પણ નથી.’ એટલે મોક્ષ માટે તેઓની પરિપાટી અતિ શુદ્ધ છે. દરેક બાબતમાં સારી રીતે જીવો તો એ મોક્ષ છે. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં એમણે બહુ જ સ્ફટિક સ્પષ્ટતાથી લખ્યું કે, ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયે ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને તે જ મોક્ષ છે. મારું ચલન વલન બધું એ જ દ્રષ્ટિએ થાય છે.’  ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત જીવન આવું મહાત્મા ગાંધીએ આપણને પ્રસ્થાપિત કર્યું.

સંસ્કૃતિ બોધને જો કેટલાક સૂત્રોમાં ઢાળવું હોય તો આ રીતે ઢાળી શકાય. 

@ જેને આપણે વ્યવહારમાં ઉતારી શકીએ તે ધર્મ નથી

@ આત્માની  દ્રષ્ટિએ પાળેલી નીતિ ધર્મ છે

@ ધર્મ એટલે નીતિ એટલે સત્ય + અહિંસાથી ઓતપ્રોત થયેલું જીવન. 

રાજકારણના ક્ષેત્રમાં પણ આત્મદર્શનનું કેટલું મહત્વ છે એ મહાત્મા ગાંધીએ કહ્યું, 

ધર્મ વિનાનું રાજકારણ મડદું છે. એને તો બાળી  મૂકવું જોઈએ

મારે મન તો ધર્મ વિનાનું રાજકારણ નિર્ભેળ મળ સમાન છે તેનો સદા ત્યાગ કરવાનો રહ્યો.’  

અર્થકારણ અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ ભેદ કરતો નથી અને એટલે હું માનું છું કે ગરીબોની સેવા તે ઈશ્વર સેવા, એક કીડીની સેવા તે ઈશ્વર સેવા, દુઃખીની સેવા તે ઈશ્વર સેવા.’  

આત્મકથામાં એમણે સુંદર વાત કરી. 

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય સધાય.’ 

આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે.’ 

અને અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.’ 

ગાંધીજીના મતે  અવિરત સેવા એ મોક્ષનું સાધન છે. આમ જોઈએ તો ગાંધીજી બેઝિકલી અદ્વૈતવાદી લાગે છે. રાજા રામમોહનરાયની જેમ ગાંધીજી પણ બુદ્ધિ પ્રામાણ્ય વધુ લાગે છે. ‘મંગળ પ્રભાત’ પુસ્તકના પૃષ્ઠ ૭૩ ઉપર તેઓએ નોંધ્યું છે કે, અવિરત સેવા મોક્ષનું સાધન હોય, એમના ધર્મદર્શનમાં  વૃત્તિનો ત્યાગ નથી બલ્કે અવિરત અશ્રાંત કર્મ એ જ એનું લક્ષણ છે. ઈશ્વર પોતે ચોવીસે કલાક એક શ્વાસે કામ કર્યા કરે છે. આળસ મરડવા સરખીયે ફુરસદ  લેતો નથી. તેના આપણે થઈ જઈએ અને આપણે તેનામાં ભળી  જઈએ એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ  અતંદ્રિત થવો જોઈએ. સમુદ્રથી છુટા પડેલા બિંદુને સારું આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી હોય ? સમુદ્રને ક્ષણનો  પણ આરામ છે જ ક્યાં ? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં  આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો. આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ એ મહા અશાંતિમાં શાંતિ મળે તે…’  ‘સત્યની શોધમાં સાધનો કઠણ છે તેટલા સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.’ આત્મકથાના શરૂઆતના પાંચમા પૃષ્ઠ ઉપર આટલો સ્પષ્ટ મત ગાંધીએ આપ્યો છે. એમણે નમ્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘નમ્રતા એટલે હું પણાનો આત્યંતિક ક્ષય. કાંઈ થવું એટલે ઈશ્વરથી, પરમાત્માથી, સત્યથી વિખુટા થવું. ટળી  જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમાં રહેલું બિંદુ સમુદ્રમાં રહેલી મહત્તા ભોગવે છે, પણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું અને પોતે પોતાપણાનો દાવો કરવા બેસે  એટલે તે જ ક્ષણે સુકાયું સમજો.. ‘મંગળ પ્રભાત’ નામના તેમના પુસ્તકમાં ૭૧ અને ૭૨ માં  પાના ઉપર આપણને  સુંદર રજુઆત જોવા મળે છે. મહાત્મા ગાંધીના જીવનક્રમમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે આવી હશે એનો એક આછેરો ખ્યાલ આપણે મેળવ્યો.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરતા એવું લાગે છે કે એમના જીવનમાં ત્રણ ગુણો બીજરૂપે રહ્યા છે. 

૧) સત્યની ઝંખના 

૨) સેવાવૃત્તિ અને 

૩) સમદ્રષ્ટિ. 

આ ત્રણ વિશિષ્ટ ગુણો આરંભથી જ ગાંધીજીના જીવનમાં બીજરૂપે રહ્યા છે એમના એ ગુણોના પોષણ અને સંવર્ધનમાં જે બાબતોએ અસર કરી છે એ ત્રણ બાબતો છે.

 ૧) ગાંધીકુળની ધાર્મિક પરંપરા, 

૨) માતાપિતાના સંસ્કાર અને 

૩) જ્યાં ગયા અને રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને વાતાવરણ. 

ગાંધીજીને મૂલવીએ ત્યારે એના બીજરૂપ ગુણોને યાદ રાખવા પડશે. અથવા તો એમ કહીએ કે ગાંધીજીના જીવનમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઉડીને આંખે વળગે તેવા ત્રણ બીજરૂપ ગુણો હશે… સત્યની ઝંખના, સેવાવૃત્તિ અને સમદ્રષ્ટિ. બીજરૂપ ગુણ હોય પણ તેનું પોષણ કરવું જરૂરી બનતું હોય છે. અને એના માટે પોષકતત્વો આપણને  વારસાગત રીતે મળતા હોય છે. મને સમજૉયું  છે કે, જયારે અસ્તિત્વ એવું નક્કી કરે છે કે જેના જીવનમાં બીજરૂપ ગુણો અતિ ઉત્તમ કક્ષાના મૂક્યા છે તે ગુણોનું પોષણ કરવા માટે પણ એને એ પ્રકારનું વાતાવરણ પણ  જોઈશે. પ્રસિદ્ધ લેખક પોલો કોએલોનું બહુ જ જાણીતું સર્જન છે ‘અલ્કેમીસ્ટ’, જેનું ગુજરાતી થયું છે, ‘કીમિયાગર’.. એમાં એક સીધી સાદી વાત છે કે, તમે મનોમન, નિષ્ઠાપૂર્વક કોઈ એક વાતને પુરવાર કરવામાં અથવા જીવંત કરવામાં લાગી જાઓ છો ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને એમાં પુરેપુરો ટેકો કરે છે, સહયોગ આપે છે. એટલે ગાંધીજીના જીવનમાં જે ત્રણ બીજરૂપ તત્વો હતા એ ત્રણને ટેકો કરવા માટે અને એ ગુણોનું પોષણ કરવા માટે ત્રણ એવી અવસ્થાઓ આવી એમના જીવનમાં. અને એ અવસ્થા એટલે ગાંધીકુળની પરંપરા, માતાપિતાના સંસ્કારો અને જ્યાં ગયા, જ્યાં રહ્યા ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનું વાતાવરણ. આ ત્રણ બાબતો એટલી અનુકૂળ થઇ કે ગાંધીજીવન એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનું ઘડતર આ ત્રણ + ત્રણ માંથી થયેલું દર્શાય છે.

આપણે જરા ઊંડાણથી વાત કરીએ. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી. આપણે એને ઓતાબાપા કહેતા. આ ઓતાબાપામાં ત્રણ ગુણધર્મો. એ સત્યપ્રિય, નીડર અને નિર્લોભી. ઘરમાં કૃષ્ણભક્તિ છતાં ઓતાબાપા રામાનંદના એક ખાખી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા અને ઘણો ખરો સમય એમણે રામકથા શ્રવણમાં વિતાવ્યો. અહીં  જોવાની ખૂબી છે કે તમે કૃષ્ણભક્ત હો તેમ છતાં તમે અન્ય કોઈ અવતાર પુરુષની વાત સાથે જીવનને જોડી શકો એ તમારી ઓપનનેસ છે.

દાદા પછી વાત કરીએ  પિતા  .બા. ગાંધીકરમચંદ ગાંધીની. એમાં ત્રણ ગુણધર્મો. તીક્ષ્ણ બુદ્ધિ , સત્યપ્રીતિ અને બહાદુરી. તીક્ષ્ણ બુદ્ધિ એટલી જોરદાર, સત્ય પ્રત્યેનો પ્રેમ એટલો લાગલગાટ  અને સત્ય કહેવામાં જોઈતી બહાદુરીના આધારે ક.બા.ગાંધીનું જીવન ઘડાયું. ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તેઓની તીવ્ર હતી. પરિણામે સાધુ સંતો અને સત ચરિત્ર વિદ્વાનોનો સંગ કાયમ તેઓ કરતા રહ્યા. આખી રાજ્ય વ્યવસ્થાનું કામ તેઓ સંભળાતા હતા એટલે પૂરો સમય વ્યસ્ત રહે છતાં પણ નિયમિત  દોઢ દોઢ કલાક અવશ્ય તેઓ કથા શ્રવણ કરતા. શ્રીમદ ભાગવત, તુલસીકૃત રામાયણ અને શ્રીમદ ભગવદ ગીતા. તેમના ત્રણ પ્રિય ગ્રંથો હતા. એ પાંચ જ ધોરણ ભણેલા. પણ તમે શું ભણો છો એનાથી કોઈ અર્થ નથી સરતો. તમારી અંદરથી કેટલું કોળવાનું શક્ય બને છે તેના ઉપર જીવન આધાર રહેલો છે. 

દાદા અને પિતા પછી આપણે માતાશ્રી પુતળીબાઈની વાત કરીએ તો એ  એક આદર્શ ગૃહિણી. સૌ જમી લે પછી જમે, વધેલું હોય તે જમે એ માતા પુતળીબાઈ. ગરીબ અને બિમારની સેવા કરવી એમનો આત્મીય શોખ. આશ્ચર્ય થાય જીવનમાં ક્યારેય નવા કપડાં કે નવા ઘરેણાંની એમને  ઈચ્છા થઇ નહોતી. મહાત્મા ગાંધી માતાનાં  આ ચરિત્રથી એટલા બધા પ્રભાવિત થયા કે એમના જીવન ઉપર સ્થાયી પ્રભાવ માતાનો પડ્યો કે એમણે ખુદે કહ્યું, મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પિતાની નથી પણ માતાની છે. એમની પવિત્રતાની છાપ હંમેશને માટે મારી ઉપર રહી ગઈ છે.” ગાંધીજીના જીવનમાં જોવા મળતો અણીશુદ્ધ આત્મશુદ્ધિનો આગ્રહ, આત્મસાક્ષાત્કારની તીવ્ર ઝંખના, નાના મોટા વ્રતો દ્વારા જીવનને ઘડવાની અખુટ શ્રદ્ધા, માંદા અને  કોઢિયાની સેવા કરવાનો સહજ પ્રેમ અને જાતે કષ્ટ વેઠીને પણ અન્યને સુખી કરવાની કરુણાશીલતાના ગુણો એ ગાંધીજીને સાધ્વી માતાના સંસ્કારોમાંથી મળેલું પરિણામ હતું, એમ તેઓ પ્રેમપૂર્વક સ્વીકારે છે. ગાંધીજીને કેટલીક બાબતોમાં પારંગત એવા માતા સામે એક નાનકડો વિરોધ હતો. આ સાધ્વી માતા રૂઢીવશ અસ્પૃશ્યતા પાળતા હતા. આ બાબતમાં કોઈ કોઈ વાર એમને માતા  સાથે બોલાચાલી પણ થઇ જતી. પોતાના બાળકો પાસે એ કેટલીક રૂઢિઓનું બહુ ચોક્કસ પાલન કરાવતા અને એમાં અસ્પૃશ્યતા માટે તો તેઓ બહુ જડ હતા. પોતાને ત્યાં મેલું સાફ કરવા આવનાર અંત્યજ ઉકાને ન અડવા તે મોહનદાસને સમજાવતા અને અડી જવાય તો આભડછેટ દૂર કરવા નહાવાનું કે કોઈ મુસલમાનના અંગરખાને અડી લેવાનો હુકમ કરતા. માતૃભક્ત મોહન માતાના હુકમનું પાલન તો કરી લેતો પરંતુ એમનું હૃદય તો એમનો વિરોધ જ કરતું. કોઈ કોઈ વાર તે માતા  સાથે મીઠો ઝઘડો કરતા અને કહેતા ઉકાને અડવામાં કોઈ ધર્મ નથી. અને કોઈ ધર્મ હોઈ  પણ શકે. એ પછી ઘરમાં ધાર્મિક શિક્ષણ આપનાર બ્રાહ્મણ પાસે જયારે તેઓએ  શ્રીરામ રક્ષા અને શ્રીવિષ્ણુ પંચકના સ્તોત્રો શીખ્યા ત્યારે જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ સ્તોત્ર બોલતા મોહનદાસના બાળ મને પ્રશ્ન કર્યો કે, ભગવાન જો સર્વત્ર હોય તો ઉકામાં શા માટે હોય ? એમને એ વસ્તુની પણ મૂંઝવણ થઇ કે રામરક્ષાના સ્તોત્રથી જો ભૂત વગેરેનું નિવારણ થઇ શકે તો અછુતનાં સ્પર્શથી થતા પાપનું નિવારણ શા માટે થઇ શકે

મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં એક પછી એક ઘટના એવી બનતી ગઈ કે તેમનો સંસ્કૃતિબોધ આપોઆપ ઘડાતો ગયો . ધર્મ, વ્યવહારો વગેરે માટેની આચારસંહિતા પણ એમાંથી ઘડાઈ ગઈ. ગાંધીજી નાનપણમાં ભૂત પ્રેત આદિથી ડરતા હતા. અને એ ભયમાંથી બચવાની ઔષધિરૂપે એમની આઈ રંભામાએ એમને રામનામનો મંત્ર આપ્યો હતો. બાળસુલભ શ્રદ્ધાથી મોહને એને અપનાવ્યો અને તેનો જાપ શરૂ કર્યો. અલબત્ત એ ઝાઝો વખત ટક્યો નહીં પણ બાળપણમાં રોપાયેલું રામનામનું એ બીજ ગાંધીના આગળના જીવનમાં અંકુરિત થઇ વિશાળ  વટવૃક્ષમાં પરિણમ્યું અને તેમના વ્યક્તિગત જીવનમાં સર્વ ઝંઝાવાતો ને બધી કસોટીઓમાં એકમાત્ર પ્રેરક ને ધારક બળ બન્યું. એમનો યશ તે પોતાની ભલી ભોળી રંભા આઈને આપે છે. જાણવાનું એ છે કે આ ચાર પાત્રો જેની હમણાં આપણે ચર્ચા કરી, પહેલા દાદા ઓતાબાપા, બીજા પિતાશ્રી . બા. ગાંધી, માતાશ્રી પુતળીબાઈ અને ચોથા રંભા આઈએ જાણ્યે અજાણ્યે ગાંધીજીનું સંસ્કાર ઘડતર કર્યું. જોવાની ખૂબી એ છે કે ‘સત્યના પ્રયોગો’ની અંદર આ રંભા આઈ અંગે ગાંધીજીએ એવું એક વિધાન કર્યું કે, ‘એમણે મને રામનામ લેવાનું કહ્યું કે જેથી કરીને અંધકારમાં મને ડર ન લાગે તે વાત મને સાચી લાગી. પણ એ વખતે મારો ભરોસો રામનામ કરતા રંભા આઇમાં ઝાઝો  હતો. એટલા માટે પછી રામનામ ઝાઝું  ટક્યું નહીં.’ નિખાલસતાની અને પ્રમાણિકતાની હદ ઓળંગીને આટલું સત્ય  ગાંધી જ કહી શકે. એક પછી એક એવા બનાવો બનતા ગયા કે આ ચાર પાત્રો એમના જીવનમાં સંસ્કૃતિનો પાયો નાખવા માટે અને સંસ્કારનું બીજારોપણ કરવા માટે આધારભૂત બન્યા તો કેટલીક ઘટનાઓ પણ એવી બની કે એ  ઘટનાએ આ બીજના અંકુરને  સૂર્યપ્રકાશનું કે જળાભિષેકનું કામ કર્યું. 

હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓ હજારો વર્ષોથી હિન્દૂ બાલમાનસ પર ધાર્મિક સંસ્કરોનું સિંચન કરતી આવી છે, એ કથાઓ પૈકી શ્રવણ અને હરિશ્ચન્દ્રની કથાઓએ મોહનદાસના બાળમાનસ ઉપર ઊંડી છાપ પાડી. એમના પિતાશ્રીએ એક નાટક ખરીદેલું, શ્રવણ પિતૃભક્તિ. એ નાટક મોહનદાસે બાળવયે વાંચ્યું. હવે એ વાંચતી વખતે જ એક ઘટના બની. એ દિવસોમાં કાચમાં ચિત્ર દેખાડનારા પાસે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઇ જાય છે, એ એમણે જોયું આ બંને વસ્તુની એમના ઉપર જબરી અસર થઇ. એમણે નોંધ્યું છે કે, ‘જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય બાબતમાં મારો દાવો છે. જગતમાં કોઈ મારા કરતાં  મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે તેને મારી પાસે લાવો હું જરા જોઈ લઉં.’  આ વાત મહાદેવભાઈની ડાયરીમાં નોંધવામાં આવી છે. હવે શ્રવણપિતૃભક્તિ નાટક એમણે વાંચ્યું  અને હરિશ્ચન્દ્ર નાટક એમણે જોયું. એ નાટકમાં એમણે એવું જોયું કે,  સત્યને હરિશ્ચન્દ્રની જેમ જે જીવી બતાવે તે  સાચા માણસ કહેવાય. ત્યારથી એમને ધૂન ચડી ગઈ કે સત્ય એકલું પૂરતું નથી પણ સત્યને જીવનમાં ઉતારીને વ્યવહારમાં સ્થાપિત કરી બતાવવું જોઈએ તો જ સાચું કહેવાય આ વાત એમના મન ઉપર સવાર થઇ ગઈ. ત્રીજી એ સમયની એક ઘટના એવી બની કે જે ઘટના વિષે ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે. તુલસી રામાયણ  પોતાના પિતાની છેલ્લી માંદગી સમયે એમણે લાધા મહારાજના ખુબ મીઠા સ્વરે સાંભળ્યું. ભક્તિ ભાવમાં તરબોળ બનીને તુલસીકૃત રામાયણ સાંભળવા અને ગાઈ સંભળાવવા એ સાથે બેસી જતા. એમણે મુગ્ધભાવે આ સાંભળ્યું અને લખ્યું કે, રામાયણ શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે.’ (આ વિધાન ‘આત્મકથા’ના પૃષ્ઠ ૩૧ પર નોંધ્યું છે.)  હવે એ જ સમયે રાજકોટમાં ભાગવતની કથા પણ એમણે સાંભળી પણ કથાકાર બહુ રસ પેદા ન કરી  શક્યા એટલે એ વખતે એમના પર બહુ અસર ન થઇ. અહીં એ પણ નોંધવા જેવું છે કે કથા સાથે કથાને કહેનાર કથાકારની શૈલી બહુ મહત્વની છે, મોહનદાસ ગાંધીને એ સમયે કથા કરતાં કથાકારની શૈલી ન જચી એથી ભાગવતની અસર ન થઈ. પરંતુ મહાત્મા ગાંધીના ૨૧ દિવસના ઉપવાસ દરમ્યાન મદનમોહન માલવિયાજી જેવા ભગવત ભક્તને મુખેથી ભાગવતના કેટલાક ભાગો સાંભળ્યા પછી એમને  પ્રતીતિ થઈ કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ  ઉત્પન્ન કરી શકાય. શ્રવણ પિતૃભક્તિ નાટક, ત્યારબાદ હરિશ્ચન્દ્ર નાટક, ત્યારબાદ તુલસી રામાયણ , ત્યારબાદ ભાગવત કથા અને પછી મનુસ્મૃતિ. પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર એમને હાથ લાગ્યું. એમણે વાંચી કાઢ્યું પણ એની બહુ અસર ન થઈ. એમના વાંચનથી નીતિ શબ્દ અને નીતિ અર્થ ઉપરની એની આસ્થા ગાઢ બની ખરી અને ‘આખું જગત નીતિ ઉપર નભેલું છે’, એ સત્ય સમજાયું,  ત્યારથી નીતિ ઉપરની શોધનો આરંભ થયો. પણ મનુસ્મૃતિ એ સમયે એમના ઉપર કોઈ મોટી અસર કરી ન શક્યું. આ  વાતના સંદર્ભમાં એકબીજી સુંદર મજાની અસર થઈ એ અસર આપણે નોંધવી જોઈએ.

નીતિનું ચિંતન ચાલતું હતું એ જ સમયે કવિ શામળનો નીતિવિષયક એક છપ્પો મોહનદાસના વાંચવામાં આવ્યો. હવે અહીંયા કલ્પના એ નોંધવા જેવી છે કે એક પુસ્તક કે એક નાટક જેટલી અસર કરી શકે એટલી એક છપ્પો પણ અસર કરી શકે. એ કવિ શામળનો છપ્પો એમણે વાંચ્યો અને એના મન ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. ગાંધીજી આત્મકથાના પૃષ્ઠ ૩૭ પર લખે છે કે, એ છપ્પાએ  મારા ઉપર સામ્રાજ્ય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્છવું અને કરવું મારો અનુરાગ થઈ પડ્યો એના અગણિત અખતરા આદર્યા.  કયો હતો એ છપ્પો ? અહીં એ છપ્પાની પણ આપણે નોંધ લઈએ.

પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે

આપણ ઘાસે દામ. કામ મહોરોનું કરીએ

આપ ઉગારે પ્રાણ, તે તણા દુઃખમાં મરીએ

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન વાચા, કર્મે કરી

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્યો સહી

શામળ કહે છે કે, અવગુણની સામે તમે જો ગુણ કરી બતાવો તો જ તમે જગતને જીત્યા બરાબર ગણવું જોઈએ. આ કવિ શામળના નાનકડા છપ્પાની એમની ઉપર અસર થઈ.

આમ, આપણે તારવ્યું કે ગાંધી જીવન ઘડવામાં મૂળ ત્રણ ગુણો અને ત્રણ ગુણોને સહયોગ કરે  તેવું પોષણતત્વ પણ ગુણોમાં મળ્યું, જીવનના ચાર એવા એવા પાત્રો કે જેણે જીવનને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો અને આ જીવન પાત્રો ઉપરાંત જેની ખુબ મોટી અસર થઈ એ મોટામાં મોટી અસર શ્રવણપિતૃભક્તિ નાટક, હરિશ્ચન્દ્ર નાટક, તુલસી રામાયણ, ભાગવત કથા, મનુસ્મૃતિ અને કવિ શામળનો નીતિ વિષયક છપ્પો આટલી વાત ગાંધીના જીવનમાં સંસ્કૃતિ બોધને સ્થાયી કરવા  માટે પર્યાપ્ત બની રહી.

ગાંધીજીના જીવનમાંથી સાંસ્કૃતિક બોધને તારવવા માટે થઈને ગાંધીજીએ પોતે લખેલા કે ઉચ્ચારેલા કેટલાક સુવિચાર જેવા વાક્યો આપણને ઘણો  ટેકો કરી શકે એમ છે. 

૪ ડિસેમ્બર ૧૯૨૪ ના યંગ ઈન્ડિયા’માં ગાંધીજી નોંધે છે કે, ‘એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબડ્યા કરે એમ હું માનતો નથી. હું અદ્વૈતમાં માનું છું, હું માનવજાતની બલ્કે જીવમાત્રની મૂળગત એકતામાં માનું છું, આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન પણ થાય.’ 

ધર્મ મંથનના પૃષ્ઠ ૨૨ અને ૨૩ ઉપર તેઓ નોંધે કે, ‘શાસ્ત્રો વાંચવાની અને સમજવાની ચાવી મને હાથ લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં અપ્રમાણ છે. શાસ્ત્ર બુદ્ધિથી પર નથી. બુદ્ધિગ્રાહ્ય ન હોય તે શાસ્ત્રને આપને પડતા મેલી શકીએ છીએ.’  સંસ્કૃતિમાં કઈ બાબતોનો સ્વીકાર અને કઈ બાબતોનો અસ્વીકાર એની આટલી નિખાલસ વ્યાખ્યા ગાંધી સિવાય કોઈ આપી ન શકે. 

હરિજનબંધુ’ના ૧૯૩૬ ના ૬, ડિસેમ્બરના અંકમાં એક નાનકડી વાત પણ બહુ જ પથદર્શન વાળી વાત : હું દરેક ધર્મશાસ્ત્ર વિશે તેમજ ગીતા વિશે પણ મારી બુદ્ધિ ચલાવું છું. શાસ્ત્ર વચનને મારી બુદ્ધિની જગા લેવા દેતો નથી.’ એટલે કે શાસ્ત્રનું વચન છે એટલે તમારો વિવેક એક બાજુ મુકો કે તમારી કરુણા એક બાજુ મુકો એમાં ગાંધીજી માનતા નથી. 

ગાંધી:જીવન અને વિચાર નામના એક પુસ્તકમાં ૩૨૪ માં પૃષ્ઠ ઉપર તેઓ બહુ જ સ્પષ્ટ રીતે આપણને વાત કરે છે. જે માણસ ઈશ્વરને તત્વરૂપે ઉપાસતો હોય તેને મૂર્તિ કે મંદિરની જરૂર હોય,’ તેમ છતાં માણસ સ્વભાવે મૂર્તિ પૂજક છે એટલે ગાંધીજી કહે છે કે, મૂર્તિ પૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા કરતી નથી. છતાં હું માનું છું કે મૂર્તિ પૂજા મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. પ્રાર્થનામાં સાકાર મૂર્તિનો મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન મેં અવશ્ય આપ્યું છે.’ 

આપણને ગાંધીજીના જીવનમાંથી મૂલ્યબોધ મેળવવા માટેની કવાયત કરી રહ્યાં હોઈએ ત્યારે આ બધા વિધાનો બહુ મોટું પથદર્શન કરે છે. 

જવાહરલાલ નહેરુએ બહુ જ સુંદર વાત ગાંધીજીની ઓળખ માટે કહેલી. એમણે કહ્યું કે, ‘આ બોખા મોઢા વાળા મહાત્માની વાતો આજે આપણને ખોખલી લાગે તેમાં એ બોખા મોઢાનો  દોષ નથી. આપણી  વિપથગામી મનોવૃત્તિનો દોષ છે.’  જવાહરલાલે આ વાત કહેતા એની આત્મકથામાં ખોટું નથી કહ્યું કે, મહાત્માજીનું હાસ્ય જોવાનું સૌભાગ્ય જેને મળ્યું નથી તે મહાત્માજીને ઓળખતો નથી.’  જ્યાં સુધી સંકલ્પનાની સ્પષ્ટતા અથવા વિચારની  સ્પષ્ટતાની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગાંધીજીથી ઉચ્ચ વ્યક્તિ આપણને સમાજ જીવનમાંથી મળવી  મુશ્કેલ છે. 

મહાદેવભાઈ ગીત ગાતા હતા. ‘મીરાંબાઈ બલિહારી’, ત્યાં ગાંધીએ વચ્ચે કહ્યું, ‘હું આમાં  નથી માનતો. તું માને ખરો ?’ મહાદેવભાઈએ કહ્યું, ‘હા,  હું માનું.’  વિનોબાજીને પૂછ્યું, ‘મીરાંબાઈ તે  આવું ગાતા હશે ?’ ગાંધી કહે, ‘અંદરનો અવાજ આવે તો જ હું તો ઉપવાસ કરું તેના સિવાય ન કરું.’  વિનોબાજીએ તરત જ સ્પષ્ટ કહ્યું, ‘તમને ઉપવાસ કરતી વખતે અંદરનો અવાજ સંભળાય છે, તો મીરાંને કેમ ન સંભળાય ?’ આવી નિખાલસ ટકોર ગાંધીજી સમક્ષ  તમે કરી શકો અને છતાં ગાંધીજી  સાથે તમે રહી શકો ત્યારે ગાંધીના જીવનના સંસ્કૃતિબોધની વાત જાણી શકો અથવા સમજી શકો. 

એક પ્રસંગ મારે નોંધવો છે. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ માં મહાદેવભાઈ દેસાઈ વિશેની જીવન-વાત નારાયણ દેસાઈએ લખી છે,  એ પુસ્તકમાંથી આ પ્રસંગ છે. જે હું યાદદાસ્તના આધારે કહું છું. ૧૫ મી ઓગસ્ટ અને ૧૯૪૨ નો સમય હતો. આગાખાન પેલેસ પૂનાનો એ પ્રસંગ. મહાદેવભાઈએ કહ્યું,  ‘બાપુ, તમે આમરણાંત ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું છે તે ન કરો તો ચાલે.  તમે ઉપવાસ ન કરશો તમને કંઈક થઇ જશે તો ?’  ગાંધીજીએ જવાબ આપ્યો. ‘તો શું કરું ? સ્વતંત્રતા મળતી નથી, અંગ્રેજો જતા નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ મહાદેવભાઈએ કહ્યું, ‘ના બાપુ, પણ ઉપવાસથી તમારા જીવન ઉપર જોખમ વધશે.’  ગાંધીએ તરત જ જવાબ આપ્યો.  ‘તું સાંભળ. તું મારો બાપ અને હું તારો દીકરો લે ટુવાલ મને નવડાવજે.’  બીજે દિવસે મહાદેવભાઈ રૂમમાં હતા અને ડો. સુશીલા નૈયર તેમની પાસે ગયા તો જોયું કે,  મહાદેવભાઈ નિશ્ચેતન પડ્યા હતા. એમણે તપસ્યા અને તેઓ બાપુ પાસે દોડ્યા અને કહ્યું : ‘બાપુ, બાપુ, મહાદેવભાઈ ગયા. બાપુ મહાદેવ તો ગયા.’ મહાત્મા ગાંધીને ધ્રાસકો  પડી ગયો. ‘એમના ગયા પહેલાં  તો મારે જવાનું હતું.’ ગાંધીજી ત્યાંથી ઊભા પગલે મહાદેવભાઈના રૂમમાં પહોંચ્યા. યરવડા જેલનો એ કિસ્સો. બાજુમાં બેસીને કહેવા લાગ્યા,ઉઠો, મહાદેવ ઉઠો..’. આશ્ચર્ય થયું સૌને. ડો. સુશીલા નૈયરને વધુ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. એ આવું બોલે ? જયારે ખબર પડી ગઈ કે, એ નિશ્ચેતન છે તો પણ આવું બોલે કે  ‘ઉઠો મહાદેવ ઉઠો.’ ? એમણે ગાંધીજીને પૂછી નાખ્યું, ‘તમે તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો અમને શીખવ્યા છે અને તમે આવું કેમ કર્યું ?’ ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં એનો સાંસ્કૃતિક સિંહ ફાળો આપણને જોવા મળે છે. “તને ખબર નથી મહાદેવ ૨૫ વર્ષનો હતો, ત્યારે મારી પાસે આવેલો. કોઈ દિવસ એણે મારી આજ્ઞા ઉથાપી નથી. મેં બોલાવ્યો અને એણે જવાબ આપ્યો છે, એટલે મને લાગ્યું કે, હું પોકારી જોઉં, કદાચ ઊંડે ઊંડે જીવ હશે તો હું કહીશ કે ‘ઉઠો મહાદેવ ઉઠો’ તો એ જરૂર ઉઠશે.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback