ગ્રામસેતુ માર્ચ- ૨૦૨૪
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
કમ્મરના મણકાની વેદના શબ્દો દ્વારા કાગળ પર ઊતરતી ચાલી!
ચૌદ વર્ષની ઉંમરે એક કિશોરને કમ્મરના મણકાની વિચિત્ર બીમારી ઘેરી વળે છે. તેનાં બેથી અઢી વર્ષ પથારીમાં જ વીતે છે. પથારીમાં પડ્યો પડ્યો તરુણ કંટાળે જ ને? ખાસ વાંચનનો શોખ નહીં, પણ કંટાળીને પડ્યાં પડ્યાં વાંચવાનું શરૂ કરે છે અને તેને વાંચનનો ચસકો લાગે છે! ઘરમાં ત્યારે બીજાં તો પુસ્તકો ન હતાં. એક જૂનું રામાયણ મળી આવ્યું તેમાંથી જટાયુવધ જેવા પ્રસંગ ચિત્રો ગમ્યાં. નાનાભાઈ ભટ્ટનાં મહાભારતનાં પાત્રો’ તો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રસંગો’ વાંચી નાખ્યો. મણકાના દુખાવાને કારણે નિર્વસ્ત્ર અવસ્થામાં ખાટલા પર બાંધીને સૂવડાવી રખાતો તરુણ વાંચનનો રસિયો બને પછી તે જીવનભર વાચન-લેખન સિવાય કરે ય શું? બન્યું પણ એવું જ. દિનકર જોષી જેનું નામ આજે આઠમા દસકે સાહિત્યસર્જનની ઉપનિષદયાત્રામાં જ જીવન વિતાવે છે.
પછી તો હિતવર્ધક મંડળની લાઇબ્રેરીમાંથી રોજ એક પુસ્તક લાવવાનો ક્રમ થયો. કનૈયાલાલ મુનશી, ૨. વ. દેસાઈ, ઝવેરચંદ મેઘાણી પૂરા વાંચ્યા. સોળ વર્ષની ઉંમરે એક વાર્તા લખી : ગત આ અકસ્માતનું.’ ચાંદની વાર્તા માસિકમાં છાપવા મોકલી. છપાઈ તો નહીં, પણ પાછી ન આવી. દિનકરને કચોરી ખાવાનો શોખ. એકવાર કચોરી બાંધેલી તે છાપાંનું કાગળિયું જોયું તો તેમાં પેલી વાર્તા! તે છાપું હતું જનસત્તા. એક જ ગ્રુપનાં પ્રકાશન હોવાથી વાર્તા મોકલી ‘ચાંદની’માં ને છપાઈ જનસત્તા’માં! પણ પછી જ્યારે નવચેતન’માં ચાંપશી ઉદ્દેશીએ ‘સંભવામિ યુગે યુગે’ વાર્તા છાપી ત્યારે દિનકર જોશીને શેર લોહી ચડેલું. ત્યારે ઉંમર હતી એકવીસ વર્ષ. આમ તો ૧૯૫૦ થી લખવાનું શરૂ કર્યું છે, એ ગણીએ તો આજે છોત્તેર વર્ષના થયેલા દિનકર જોશી છેલ્લાં ત્રેસઠ વર્ષોથી લખે છે! સૂર્ય સમાન ઝળહળતા શબ્દોની આ ઉપાસના નહીં તો બીજું શું?
નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, આધ્યાત્મિક ચિંતનના સર્જક, મહાભારત અને રામાયણ આદિ પુરાણગ્રંથો અંગેના અભ્યાસગ્રંથોના લેખક, સંપાદક, કવિતાના આસ્વાદકાર તરીકે જેમનું નામ દેશભરમાં પ્રસિદ્ધ છે એવા કલમનરેશ દિનકર જોશીનું સર્જન હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ, તામિલ જેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થયું છે. સવાસોથી વધુ પુસ્તકો પ્રકાશિત થયું છે તેમાંથી પચાસ પુસ્તકો તો અન્ય ભાષાઓમાં છપાઈને દેશભરનાં વાંચકો સુધી પહોંચ્યાં છે.
ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ દિનકર જોશીનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં ક્રુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદ અલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથા ક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયૉર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઇન્ડો અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી”, શ્યામ બેનેગલની ફિલ્મ મેકિંગ ઑફ મહાત્મા’ની સાથે જ પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતિરત થયેલું નાટક માત્મા વર્સેસ ગાંધી’ પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકર્મા શ્રી દિનકર જોશી પણ એક હતા.
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી કોઈપણ એક લેખકને એના જીવનકાળ દરમિયાન મહત્તમ પાંચ વખત પુરસ્કૃત કરી શકે તેવો નિયમ છે. દિનકર જોશી પાંચ વાર પુરસ્કૃત થયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે વાર સન્માનિત આ સર્જકને “મેડમ બ્લેનેટેસ્કી પારિતોષિક’, સંસ્કાર ઍવૉર્ડ, ગિરનાર ઍવૉર્ડ પણ મળેલ છે. ૨૦૦૪માં દિનકર જોશીની લેખન કારકિર્દી નિમિત્તે મુંબઈની કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં દિનકર જોશીના ૧૧ ગ્રંથો એકી સાથે જુદી જુદી ભાષાઓમાં પ્રકાશિત થયા. સમગ્ર ભારતીય ભાષાઓના સાહિત્યમાં આ ઘટનાને એક વિક્રમ તરીકે સ્વીકારીને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝમાં સ્થાન આપવામાં આવ્યું. તેમના બહુ ચર્ચિત પ્રકાશનો પડછાયો’ પરથી તૈયાર થયેલ અંગ્રેજી નાટક “મહાત્મા વર્સેસ ગાંધી’નું નાટ્યું દિગ્દર્શન ફિરોઝખાને કર્યું. આ નાટક તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના વિશેષ નિમંત્રણથી રાષ્ટ્રપતિ ભવનમાં ભજવાયું, તો આ નાટક્ના શૉ યુરોપ, અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના શહેરોમાં પણ થયા. દિનકર જોશીની નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ પછી શ્રીકૃષ્ણ હવે નથી’ એવું જાણતાંવેંત વસુદેવ, દેવકી, દ્રૌપદી, રુક્મિણી, સત્યભામા, અક્રુર, ઉદ્ધવ અને રાધાના અંતરમાંથી કેવો ચિત્કાર સરી પડ્યો હશે એ કલ્પનાને દિનકર જોશી શ્યામ એકવાર આવોને આંગણે’માં શબ્દદેહ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ અને બંગાળીમાં અનુવાદિત આ ગ્રંથ ત્રણ સામયિકોમાં જુદી જુદી ભાષાઓમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થાય એ ગુજરાતી સર્જનનું ગૌરવ પૃષ્ઠ ગણાય! ગુજરાત, હૈદ્રાબાદ, મુંબઈ, ભોપાલમાં આ ધારાવાહિકરૂપે અનૂદિત થઈ.
દિનકર જોશીએ જીવનભર શું લખ્યું જ છે? અન્ય કંઈ ખરું કે નહીં?” આ પ્રશ્ન વજુદવાળો છે. ભાવનગરમાં ભડી ભંડારિયા નજીકનું નાનું ગામ નાગણિબા. ત્યાંના કર્મકાંડી બ્રાહ્મણ પરિવારમાં ચાર સંતાનોમાં એક તે દિનકર. મેટ્રિકમાં ૭૮% આલ્ફ્રેડ હાઇસ્કૂલમાંથી લઈ શામળદાસ કૉલેજના પ્રથમ વર્ષમાં બે મહિના માંડ કાઢ્યા. આર્થિક સ્થિતિ કથળી એટલે ભણવાનું પડતું મૂકી કલેક્ટર ઑફિસમાં સિત્તેર રૂપિયા પગારની નોકરી કરી. પછી વેસ્ટર્ન રેલવેમાં સ્ટેશન માસ્તર થયા, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં કલર્ક થયા. પણ ત્યારબાદ તો દેના બૅન્કમાં સળંગ સાડત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા. પરંતુ આ જીવ બૅંક અધિકારી તરીકે નહીં, બલ્કે સાહિત્યકાર તરીકે પ્રખ્યાત થયો. હાલ પણ ઘરથી નજીક કાંદિવલીમાં જ એક નાનું લેખનઘર વસાવ્યું છે, તેમાં નીચી ખુરશી પર આરામથી બેઠા બેઠા બોલે છે, બાજુમાં બેસી દીકરી લખતી જાય છે. કમ્મરના મણકા હજુ વેદના આપે છે. ગળામાં અને કમ્મરમાં પટ્ટો, બેસતી વખતી ખાસ ગાદી… છતાં દિનકરભાઈ પ્રસન્ન અને પ્રફુલ્લિત… સવારે વહેલા જમીને બાપ-દીકરી આવે તે સાંજે મોડેથી જમવા ટાણે લેખનઘરેથી સ્વગૃહે પ્રયાણ કરે. હાલ કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટીની કેટલીય શિક્ષણ સંસ્થાના વડીલ તરીકે માર્ગદર્શન આપે છે. એક માતબર કામ હાથ પર છે. ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ ગ્રંથોને વિવિધ ભારતીય ભાષાઓમાં અનુદિત કરાવીને, સંબંધિત ભાષાના સ્થાપિત પ્રકાશકો દ્વારા જ પ્રકાશિત કરાવવાના ઉદ્દેશથી ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ સ્થાપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં આ પ્રતિષ્ઠાનના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે અભિનવ કામગીરી કરી દિનકરભાઈ જોશીએ વીસ ગ્રંથો પ્રકાશિત કર્યા છે! ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, પૂર્વેની મહાભારતની સંશોધિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ કરી તેના પંદર ગ્રંથો તેઓએ પ્રગટ કર્યા છે! દિનકર જોશી જેમ જેમ વધારે લખતા જાય છે તેમ તેમ વધારે ખીલતા જાય છે. લખતાં લખતાં તાજા રહેવાનું તેમને ફાવી ગયું છે.