ઉત્તમ સાહિત્ય અને ક્લાસિક ચિત્રોના સર્જક શ્રી ગુલામ મોહમ્મદ શેખ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.

કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.

શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.

શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.

“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું  કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !

મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!

મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’

પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.

**

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ