જ્યોતિભટ્ટ નું પહેલું ચિત્ર

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

 

ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંધા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે નીરખતાં? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણ વાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કેનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.

બાલમંદિરથી ધો૨ણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘ૨શાળા. દસ વર્ષના હતા ત્યા૨થી જ્યોતિભાઈને ન. પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની, પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફોટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વેલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પોસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું તોતોચાન.’ એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હ૨ભાઈ- માધવજીભાઈ પટેલ-જગુભાઈ શાહ. શિન-રિવ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહ્લાદ પારેખ ઘરશાળામાં, એટલે વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘ગુભાઈ સારા ચિત્રકાર – સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કૅમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…. જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે. પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હિરજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. જુગુપ્સા.’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે : ‘આ ચિત્ર ગંદું અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’

ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન. એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે

જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો ક૨વા મળતાં ભીંત પર. ધ્રાંગધ્રા કોંગેરા ભરાયેલી. તેની રાજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આતિભાસ પાક્કો બંધાવ્યો, વાતાવ૨ણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠ્યપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહ્લાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો ક૨વાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી.. ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે

એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ. એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન. એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમા કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે. પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું,’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયા૨ નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે. ૧૯૫૪માં નેહરુએ પાર્લામેન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશાં કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ’ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે. જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લૅન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ. એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફેલોશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ / ફેલોશિપ તથા વચ્ચે ટ્રાવેલ ગ્રાન્ટ. ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયૉર્કમાં બેસી ચિત્ર, ફોટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ એકૅડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.

ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એક વાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમા૨’, મનીષા’, ‘ક્ષિતિજમાં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની બિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમેજ ક્રિએટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફોટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંત૨૨ાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફોટોગ્રાફ હતો એ.

જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : “આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપ ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્કાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટનાં સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શે૨ ક૨વામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?’·