અસ્મિતા વિશેષ : (33)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@ gmail.com
ગુજરાતનું હીરા ઉદ્યોગમાં અવ્વલ દરજજાનું નામ સ્થાપિત કરનાર શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા. યુવાની સુધી તો એને સૌ ‘ ગોવિંદો’ કહેતા, પણ આજે સૌ તેમને પ્રેમભાવથી ‘ગોવિંદકાકા’ કહીને આદર આપે છે. શ્રી ગોવિંદકાકા સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ આપણને કોઠા સૂઝથી કાર્ય અને વિચારને અમલમાં મુકવાની ધગશ કેવા પરિણામ લાવી શકે, તેની બારાક્ષરી શીખવે છે. ચાલો, તેઓની જીવનગાથાની એક ઝલક મેળવીએ.
“અમારી કંપનીમાં એવું sentence છે કે, તમે વ્યસન છોડો અગર કંપની છોડો. આખી કંપની નિર્વ્યસની છે. છ સાત હજાર લોકો ! અમારા ભત્રીજા સવજીભાઈની કંપનીમાં ય પણ એમ. અમારા કાકા ભત્રીજાની કંપનીઓમાં ૧૪ હજાર લોકો છે, એ સૌ નિર્વ્યસની છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. વ્યસન એટલે દારૂની જ વાત નથી, પણ નો ટોબેકો, નો સિગાર, કોઈ વસ્તુ નહીં. તો એ લોકોનું જીવન તો બન્યું પણ અમને શું ફાયદો ? અમે જેને ફેમિલી મેમ્બર માનીએ છીએ એ લોકોને નિર્વ્યસની કર્યા તો આજે અમારા છોકરા નિર્વ્યસની થયા. અમને એ ફાયદો થયો કે આખું ફેમિલી કે ખાનદાન નિર્વ્યસની બન્યું. એટલે કર ભલા તો હોગા ભલા. એટલે બહુ જન હિતાય એમ કહીએ છીએ ત્યારે સર્વજન્ માં આપણો જણ આવી જાય છે.
એક યુનિક પદ્ધતિ અમારા ફેમિલીમાં એ પણ છે કે, છોકરાઓને અમે ૫ કે ૬ વીક માટે unknown જગ્યાએ મોકલીએ છીએ. જેટલા છોકરાઓ અમારા ફેમિલીમાં મોટા થાય એને કોલેજકાળ દરમિયાન એમણે બહાર જવાનું. જવાનું એટલે એને કાંઈ ખબર ન હોય કે એણે ક્યાં જવાનું ? એની આખી એક સિસ્ટમ છે કે જે બે જણાને આ વખતે જવાબદારી સોંપી હોય તો એ બે જણા બધું કરે. પછી ત્રણ છોકરા જવાના હોય કે ચાર એ લોકોને સ્ટેશન ઉપર જઈને જ કહેવામાં આવે કે તારે બેંગ્લોર જવાનું છે, તારે ચંદીગઢ જવાનું છે. પછી જ એને સેકન્ડ ક્લાસની ટિકિટ આપવામાં આવે. એને પાંચ હજાર રૂપિયા સાથે આપ્યા હોય અને કહ્યું હોય કે, તારે પાછો આવે ત્યારે કેટલા વધારીને આવે છે એ તારે જોવાનું. એ બધા જ છોકરાઓની નોખી નોખી સ્ટોરી બને છે. ઉદાહરણ કે, એ લોકો એમ કહે કે, અમે મેકડોનાલ્ડ સામે જ હોય પણ ઈચ્છા થાય તે ખવાય તો નહીં, કારણકે એટલા બધા પૈસા તો હોય નહીં, કમાણી હોય નહીં, પૈસા ખૂટી જાય એટલે સમજાય કે આપણે રોજ મેકડોનાલ્ડમાં જતા ત્યારે તો સહેલું લાગતું હોય પણ અમને ખબર પડી કે મેક્ડોનાલ્ડની કિંમત તો જેની પાસે પૈસા નથી એને છે, અમને નથી. એટલે હવે એમને સમજાય કે આ જે ખાવા માટે જઈએ છીએ એ કેટલું મહત્વનું છે.
હમણાં જ ત્રણ મહિના પહેલા છોકરા જઈને આવ્યા. જે છોકરાઓ જાય એનું વજન ચાર, પાંચ કે છ કિલો ઓછું થાય. ચાર વીકમાં આખી દુનિયામાં પોતાનું કોઈ જ ન મળે. એને એ જ શહેરમાં જવાનું કે જ્યાં પહેલાં કોઈ દિવસ ગયો નથી. એને કોઈ સ્માર્ટ ફોન નહીં આપવાનો કે એ કશું શોધી શકે. એટલે તો એને નોકિયાનો ફોન સાદો ફોન આપેલો હોય. પંદર વર્ષ પહેલાં મારો દીકરો ગયો ત્યારે તો મોબાઈલ જ ન હતો. એસટીડી માંથી રોજ એક ફોન કરવાનો.. હવે તો પોતાના ફોન હોય એટલે કરી દે. એટલે રોજ એના મેસેજ લઇ લેવાના પણ એ બે જ જણાને ખબર હોય. ઘરમાં બધાને એમ કહેવામાં આવ્યું હોય કે, એ આફ્રિકા ગયા છે કે સ્કીઈંગ કરવા હિમાલય ગયા છે, કે જ્યાં મોબાઈલ ન લાગે એવી રીતે આખું પ્લાન બનાવે. હવે તો ફેમિલીમાં પણ બધાને સમજ પડવા મંડી કે આ ભલે ક્યે ફોન નથી લાગતો, પણ એ લોકોને ક્યાંક મોકલેલા છે. છોકરાઓ આવ્યા હોય ત્યારે ભેટી ભેટીને જે બધા રડારડ કરે ને હરખના આંસુ આવે એ આખી દુનિયા જ જુદી છે.
પણ આ તો જીવનનો ક્યાંય ન મળે એવો અનુભવ પ્રાપ્ત થાય. હા એ અમારા ચાર છોકરાઓ ગયા હતા એણે એમ કીધું કે, આ એક મહિનાનો અનુભવ અને ચાર વર્ષની કોલેજને તમે સરખાવો તો એક મહિનાનો જે અનુભવ છે એમાં શીખવાનું વધારે મળ્યું. ચાર વર્ષની કોલેજ આટલું ન શીખવાડે. એટલે વિનોબાજી કહેતા કે જીવન પોતે જ અભ્યાક્રમ છે. અમને વિચાર આવ્યો કે આપણે છોકરાઓને કહીએ છીએ કે, અમે આમ કરતા અને આમ સાપ અમારા ઘરમાં આતા મારતા ને મને બે વાર વીંછી કરડ્યો ‘તો એવી બધી વાત કરીએ તો એમાં કોઈને રસ નથી આપણી વાત સાંભળવામાં.. એ જુવાનિયાઓ કહે કે, એ ભાઈ, એ તમારો ત્યારનો સમય હતો, અત્યારે શું હવે એમ થાય ?? એટલે એને આ પ્રેક્ટિકલ નોલેજ આપો એટલે એ જાતે જ સમજે. આપણે કઈ કહેવું જ નથી કે જીવન કેવું હોય એટલે અમે આ રસ્તો શોધ્યો કે આ અસલ દુનિયા એ લોકો જોઈ લે કે લોકો કેવી રીતે જીવે છે.”
