અસ્મિતા વિશેષ સંવાદ :: (31)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
ખુબ અજાણ વ્યક્તિઓ દ્વારા પ્રસ્તુત થઇ રહેલ લોકવિદ્યા, લોકવાદ્ય, લોકનૃત્ય, લોકકથા,,,,વગેરેને ખોજીને તેને સંગોપી લેવા માટે જીવનભરનો પુરુષાર્થ કરનાર શ્રી જોરાવરસિંહ જાદવે અસ્મિતા વિશેષ સંવાદ દરમ્યાન અચંબિત કરી મૂકે તેવી વાતો કરી. એક નાની શી ઝલક…
“મને કહેવામાં આવ્યું કે બેન્કની રજત જયંતી છે એ નિમિત્તે એક અદભુત લોકકળાનો કાર્યક્રમ કરવો છે. બજેટની કોઈ લિમિટ નથી. તમને યોગ્ય લાગે એવા કલાકારો તમે લઇ આવો. તો અમે તો સૌરાષ્ટ્રની રાસ મંડળી, ગરબા ગ્રુપ અને ભવાઈ કલાકારો બધાને લાવવાનું નક્કી કર્યું પછી મને થયું કે પેલી ગુલાબીને આપણે આમાં લાવવી જોઈએ. એટલે મેં ચેરમેનને વાત કરી, સાહેબ એક મદારણ છે અને ખુબ સરસ નૃત્ય કરે છે. એ તો ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને મને કહે, આ રજત જયંતીમાં દસ હજાર લોકો ભેગા થાય અને તમે મદારણને નચાવશો ? તમારે મને બેંકમાં રહેવા દેવો છે કે કઢાવી મુકવો છે ? અઠવાડિયા પછી એના મેનેજરને મોકલ્યા. મને કહે, સાહેબ આપણે પેલી મદારણને મળવા જવું છે, ચેરમેન એનો કાર્યક્રમ રાખવાની ના નથી પડતા પણ મને કહે કે, તમે જઈને જોઈ આવો તો જ લાવવાની, નહિતર ના પડી દઈશું. ગુલાબી અને તેના સાથીદારોનો માઉન્ટ આબુ ઉપર પ્રોગ્રામ હતો. રાજસ્થાનના કલાકારોને ટુરીઝમે બોલાવેલા તો ત્યાં શોધતા શોધતા અમે રાજસ્થાન ટુરિઝમની ઓફિસ ગયા, તો દરવાજા આગળ એક રાજસ્થાની લોકોનું ટોળું. બધા ભાઈઓ ને બાઈઓ બેઠેલી. મેં એને પૂછ્યું, ગુલાબી યહાં આયી હે ? તો એક બાઈ મારી સામે ઊંચું જોઈને કહે, ક્યા કામ હે ગુલાબી કા ? મેં કીધું, મુઝે ઉનસે મિલના હે. તો કહે, મૈ તો ગુલાબી હું. ઓળખાય નહીં એવા કપડાં પહેરેલા. મેલા ઘેલા કપડાં અને તેથી ઘડીક ભર તો મેં પણ એને ન ઓળખી . મેનેજર તો ઘડીક મારી સામે જોવે અને ઘડીક એની સામે જોવે પછી મને કહે સ્ટેજ ઉપર સારા કપડાં તો પહેરશે ને ? મેં કીધું, તમે જુઓ તો ખરા. પછી બધી વાતો કરી અને કહે, શામકો મેરા પ્રોગ્રામ હૈ, ટુરિઝમવાલોકા, આપ નખી તાલાબ પર આ જાના… અને સાંજે એણે જે કરબેલીયન નૃત્ય રજૂ કર્યું એ જોઈને મેનેજર મને કહે કે, સાહેબ બીજાને કોઈને લાવો કે ન લાવો પણ આપણા પ્રોગ્રામમાં ગુલાબોને તો આપણે ચોક્કસ લઇ જવાની છે. મેં એની જોડે વાત કરી, મહેસાણા એક પ્રોગ્રામ છે ત્યાં આવવાનું છે, એણે કહ્યું, આ જાઉંગી…એક જ વાક્ય એનું, ‘હા, સાહેબ આ જાઉંગી.’ મહિના પછી પ્રોગ્રામ હતો. મહેસાણાના પ્રોગ્રામમાં ચાર પાંચ આઇટમો પછી ગુલાબીને મૂકી અને એણે કાળા કપડાં પહેરીને અરરર …અરરર .. કરીને જે જમાવટ કરી કે લોકો ઉભા થઈને છ વખત once more once more કરાવીને જંપ્યા !! પછી તો એને ત્યાંથી અમે અમદાવાદ લઇ આવ્યા અને રાજકોટ અને ભાવનગર કાર્યક્રમ કર્યો અને પછી અમદાવાદ દૂરદર્શન ઉપર એમનું ઇન્ટરવ્યૂ કર્યું.. તો ઇન્ટરવ્યૂમાં એણે સરસ કલાભર્યા નૃત્ય રજૂ કર્યાં અને થોડી પ્રશ્નોત્તરી કરી. એ ઇન્ટરવ્યૂ સંગીત નાટક અકાદમી દિલ્હીના સેક્રેટરીએ જોઈને મને ફોન કરીને બધી વિગત માંગી કે, ભાઈ આ કલાકાર કોણ છે, ક્યાંના છે ? એ વર્ષ હતું ૧૯૮૫ ની સાલનું. અને ગુલાબીને દિલ્હી બોલાવીને એને કહ્યું કે, ફ્રાન્સમાં ઇન્ડિયન ફોલ્ક આર્ટ ફેસ્ટિવલ છે, વહાં તુજે જાના હે… સીધી એને ફ્રાન્સના પ્રોગ્રામમાં મોકલી. ગુલાબીમાંથી ગુલાબો થઇ અને વિશ્વવિખ્યાત ડાન્સર ગુલાબો તરીકે સુપ્રસિદ્ધ થઇ છે. અને હા, એ કશું ભણી નથી. આખી સહી કરતા પણ આવડતું નથી. પણ ફ્લાઈટમાં એકલી જ પ્રોગ્રામ કરવા જાય છે. વર્ષમાં ત્રણ ચાર મહિના તો ફ્રાન્સમાં જ હોય છે. આ ગુલાબોને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ખિતાબ અર્પણ કરેલ છે.”
