ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com

ભારોભાર કરુણાથી છલકતું એક સર્જક હૃદય વિશ્વકોશના સ્ટુડીઓમાં ત્રણ કલાક પોતાની આભા છોડી ગયું એવો અનુભવ જેમણે કરાવ્યો તે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સાથેના આત્મીય સંવાદના કેટલાંક સ્મરણો…

“મારી બા એ બિલકુલ સૌરાષ્ટ્રની એક અભણ સ્ત્રી. આ પહેલું વાક્ય હું કાયમ એના માટે બોલું એ સૌરાષ્ટ્રની એક એવી અભણ સ્ત્રી કે જેને હું પૂછું, તું કેમ ભણી નહીં ? તો કહે, અમારા જમાનામાં છોકરીઓ ભણતી નહોતી. બીજું હું એને  પૂછું કે,  તને આ બધું સૂઝે છે ક્યાંથી ? કારણ કે એને કવિતાઓ ગાવાની ટેવ પડી ગઈ હતી. પોતે ઘરને કોઈ દિવસ તાળું ન મારે. હું બગીચામાં રમતો હોઉં ધૂળમાં,  તો એ શાક લેવા ગઈ હોય તો જાય અને જતા જતા ઘરની જાળી તરફ, પગથિયાં તરફ ડોક્યું કરીને ગાતી જાય, હું હમણાં જઈને આવું છું, મારું ઘર સાચવજે ગોવિંદા... એનામાં શ્રદ્ધા જબરજસ્ત હતી. એને હું પૂછું કે, તેં  ભગવાનને જોયો છે ? તો આ શ્રદ્ધા કોની પર રાખે છે ? તો એ હંમેશા કહેતી કે,  શ્રદ્ધા છે એ હંમેશા આપણી અંદરથી આવે છે. તેની પાસેથી ઘણા ઘણા એવા શબ્દો, ઘણી એવી વાતો શીખ્યો જે મને પછી ખબર પડી કે એના પ્રમાણ તો બહાર મળે છે, બહારના ગ્રંથોમાં મળે છે. ગ્રંથો પ્રમાણે એના જીવનમાં કંઈ જોવા ન મળ્યું. પણ એના જીવનમાં જે કંઈ જોવા મળતું હતું, એ ગ્રંથોમાં મળતું હતું. બીજું એની પાસેથી જીવનમાં શીખ્યો કે દરેક વસ્તુ સ્વીકારી લેવી. એ સુખની કલ્પના ના કરે, દુઃખની કલ્પના ના કરે. જયારે જે પરિસ્થિતિ થાય એનો એ સ્વીકાર કરી લે. ક્યારેક મને એની સામે વાંધો પણ પડતો કે આવું કેમ ? ક્યારેક મને એની બાળપણની વાતો કરે ત્યારે અમદાવાદની અંદર કોલસાનું રેશનિંગ હતું. આ અમદાવાદમાં ૧૯૪૭ પહેલાં કોલસાનું રેશેનિન્ગ  હતું ઘણી બધી હાડમારીઓ વચ્ચે ઘરની અંદર ચૂલો કરીને જીવતું હતું એ જમાનામાં એવી વાતો કરે કે જે મારા જન્મ પહેલાની હતી. પછી હું એને કહું કે, કોઈ દિવસ તને ભગવાન સામે વાંધો નથી પડતો ! તું માંગે છે ખરું ભગવાન પાસે  ? તો એ કહે, ભગવાન પાસે માંગવાનું નહીં ,,એટલે મેં કીધું,  તો શું કરવાનું ? મને કહે,  હંમેશા ભગવાન પાસે આપણે શાંત થતા શીખવાનું,, આ મારા માટે બહુ મોટી વાત હતી કારણ કે હું તો હંમેશા રસ્તે ચાલતો હોઉં ને જો સામે ગાય આવતી હોય તો પણ બીક લાગે કે, આ શિંગડું મારશે તો ? એટલે હું એ બીજા ત્રીજા ધોરણમાં ભણતો છોકરો પ્રાર્થના કરી લઉ કે, હે  ભગવાન,  આ ગાયથી મને બચાવેલી લેજે. કોઈક વાર કૈક મૂંઝવણ થાય કે  જયારે હોમવર્ક કરીને લઇ ન ગયો હોય ત્યારે મને થાય કે આજે સાહેબ મારું હોમવર્ક ન તપાસે તો સારું ભગવાન,  મને બચાવી લેજે. કોઈક વાર નાના નાના સુખો માંગી લેતો ભગવાન પાસે. ને મારી બા કહે કે, ભગવાન પાસે કશું માંગવું નહીં. મેં કીધું, કેમ ? તો કહે, કદાચ ખોટું માગ્યું હોય તો ? તો પછી.. મેં કહ્યું ભગવાન,  ક્યાં આપે જ છે ?  તો એ મને કહે,  ભગવાન કોઈને આપતા પણ નથી અને કશું કોઈનું લઇ પણ નથી લેતા !!  આ એમની પાસેથી પહેલું મળેલું માર્ગદર્શન સિદ્ધાંત. મેં કીધું,  તો ભગવાન શું કરે છે. તો મને કહે છે કે,  બસ જોયા કરે અને હાથ આમ કરીને કહે કે તથાસ્તુઃ ,, આ વસ્તુએ મને એટલો બધો અંદરથી ઘડ્યો. આ એક જ વાકય તથાસ્તુઃ વાળું અને મને થયા કરે કે,  હું કશું ખોટું તો થાય કે ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? કંઈક મનમાં વિચાર આવે ખોટો ને ભગવાન તથાસ્તુઃ કહી દેશે તો ? આ માંદા પડ્યા તો હજી તબિયત બગડી જશે એવું નથી વિચારવું હવે જલ્દી સાજા થશે એવું વિચારવું છે. તો મારા વિચારોને વળાંક આ રીતે મળ્યો. આ બાળપણ…

માતા પિતા બંને એડવાન્સ કહેવાય કારણ કે એ લોકોની જે વાતો સાંભળી છે મેં, એ વાતો ઉપરથી મને એમ લાગ્યા કરે છે કે ગામની અંદર એ માત્ર બધાને પ્રેમ કરતા હતા. સૌના કુટુંબીજન હોય એવું લાગ્યા કરે. મારા બાના મૃત્યુ વખતે એના ગામથી બધા એ કહ્યું કે, તમે ક્યારે આવશો મારે ગામ ? તો મને થયા કરતું હતું કે, આ લોકો બધા જે પત્રો લખે છે તો મને લાગતું કે આ બધા પત્રો ઔપચારિકતા ખાતર લખે છે. આટલા બધા લોકો શું કામ પત્રો લખે ? અનુકૂળતાએ લગભગ એકાદ મહિના પછી ગામ ગયો તો મને એવું હતું કે,  લગભગ ૨ – ૩ કલાકમાં બધાને મળીને પતી જશે અને પાછો અમદાવાદ આવતો રહીશ. પણ લોકો આવતા રહ્યા, લોકો મળતા રહ્યા સાંજ સુધી મળતા રહ્યા. સાંજ સુધી મળતા રહ્યા ત્યારે પહેલી વાર બા ના મૃત્યુ ઉપર જે એ વખતે રડેલો તેવો જ રડ્યો કારણ કે મારા મનમાં એમ થતું હતું કે બા સંઘર્ષમાં ઉછરેલી છે એટલે પૈસાની કંજૂસ છે. કોઈક વાર લાગતું હતું કે,  બા બધાની પાસે કાયમ પૈસા માંગી લે છે એટલે જરૂર એને કોઈકને ઘરમાં કુટુંબીજનોને આપવા હશે. પણ એની કંઈ  ખબર નહોતી પડતી. હું એમ કહું ને કે બા મારો પગાર વધ્યો તો કહે,  એમ,  કેટલો વધ્યો ? તો હું કહું,  બા ૫૦૦ રૂપિયા વધ્યો. તો એ કહે કે,  એ ૫૦૦ રૂપિયા મને આપજે. કોઈક વાર ઓચિંતું એમ કહે કે,  બેટા એક કામ કરને તાંબાના બે ઘડા લઇ આપ ને.. હું કહું કે આપણા ઘરમાં તો કઈ જરૂર નથી તો પણ લાવી આપવા પડ્યા હોય. કોઈક મને મળવા આવ્યું હોય તો એ કહે કે,  મારે સાડીની દુકાન છે તો એને કહે કે આ તમને પૈસા આપું તમે ૫ સાડીઓ લાવી આપજો ને. મને ખબર નહોતી પડતી આ શું છે ? ગામમાં માવજીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ એને અમે મામા કહેતા. અને પછી એ ગામ મને  હું ભાણકો કહેતું. મજાની વાત એ હતી કે જે બધા મળવા આવતા ગયા. એમાં કોઈકે કહ્યું કે તમારી બા એ તો અમારી દીકરીનું મોસાળું કર્યું હતું. કોઈ આવીને કહે કે, અમારી દીકરીનું કરિયાવર એમણે કર્યું હતું, કોઈ કહે મારા છોકરાના છોકરાને રમકડાં લાવી આપતા હતા અમદાવાદથી કોઈ કહે કે, ગરમ સ્વેટરો લાવી આપતા હતા. તો મને લાગ્યું કે જે બહુ કંજૂસાઈમાં રહેતી હતી જે કાયમ અમારી પાસેથી પૈસા માંગી જ લેતી હતી, એના પૈસા ખરેખર જાય છે ક્યાં… એમની પાસેથી હું પ્રેમ કરતા શીખ્યો, હું સહજ રહેતા શીખ્યો. સૌનો સ્વીકાર. એટલે હું મજાકમાં પણ કહેતો કે તું સૌનો સ્વીકાર નથી કરતી, માત્ર દુઃખનો સ્વીકાર કરે છે. તારા જીવનમાં સુખ તો ક્યાં આવ્યું ?  એના માટે એક શેર લખ્યો હતો :

કટકે કટકે તું જીવ કાપે છે,

કયો ગજ છે તું કોને માપે છે ?  (ઈશ્વરને માપે છે કે તારી જાતને માપે છે. )”

5478 5471