
ઍમિટી એટલે દિવ્ય + પવિત્ર મૈત્રી નવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળા

કોઈ એવી સ્કૂલ હશે કે જેનું નામ નક્કી કરવા માટે પાંચસોથી વધુ સૂચનો મેળવવામાં આવ્યાં હોય? કોઈ એવી શાળા હોય કે જેની સ્થાપના ચાર શિક્ષક જીવોએ સાથે મળી આજથી ૨૭ વર્ષ પહેલાં કરી હોય? કોઈ એવી શાળા જોઈ છે કે જેનું સંચાલન By the teachers, of the teachers and for the teacher હોય? કોઈ એવું શિક્ષણ સંકુલ ખ્યાલમાં છે કે જ્યાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી લાલકિલ્લા પર થતી ધ્વજવંદન પરેડ જેટલી જ આન-બાન-શાનથી થતી હોય? એવી કઈં શિક્ષણ સંસ્થા છે કે જેના દ્વારા સ્થાપનાકાળથી આજ સુધી અભ્યાસ કરી જનાર વિદ્યાર્થીઓ સાથે પોતીકો આત્મીય નાતો બંધાયેલ હોય? કોઈ એવી શિક્ષણ સંસ્થા છે ગુજરાતમાં કે જેના આચાર્ય છાપામાં સરસ લેખ વાંચે કે પોતાના પર સુંદર એસ.એમ.એસ. આવ્યો હોય તો સ્ટાફરૂમમાં દોડી જઈ, વર્ગમાં જતા શિક્ષકોને રોકીને તેની સાથે share કરતા હોય? કઈ એવી શાળા હશે જે પોતાના બધા જ વાલીને સાથે લઈ ખાસ શૉ બુક કરાવી ‘તારે જમીન પર’ ફિલ્મ દર્શાવવાનું વિચારી શકે? કઈ સ્કૂલનું ભાવાવરણ એવું તંદુરસ્ત હશે કે જ્યાં સંચાલક આચાર્યના ખભે હાથ મૂકીને ખડખડાટ હાસ્ય વહેતું મૂકી શકે? કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં સંચાલક, આચાર્ય અને શિક્ષકો પોતાની પ્રામાણિકતાને પ્રયત્ન વગર પુરવાર કરી શકતા હોય? એવી સ્કૂલ ક્યાં જડે કે જ્યાં સંચાલક + સ્થાપક + આચાર્ય તરીકે રહેનાર વ્યક્તિ વિધિવત્ નિવૃત્ત થાય પછી પણ એ સ્કૂલ એવી જ ધબકતી ચાલતી હોય? આવી વિરલ, આવકારદાયક ઘટના જેવું transformation આપણાં પ્રવર્તમાન સંજોગોમાં શક્ય છે ખરું? અને છેલ્લી વાત… આ અને આવા પ્રશ્નોની યાદી ખાસ્સી લાંબી થાય અને છતાં કશુંક રહી ગયું હોય એવો અહેસાસ થાય તેવી કોઈ શાળા હોય તેવું માન્યામાં આવે છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા અને નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળાને ‘ફીલ’ કરવા માટે અને તમારે ભરૂચના દહેજ લિંક રોડ પર આવેલ ‘એમિટી સ્કૂલ’ની એક વાર નિરાંતે મુલાકાત લેવી જ પડે.
આ ‘વિશેષ’ કટારમાં આપણે વ્યક્તિવિશેષને મળીએ છીએ ત્યારે હજુ સુધી તો આપણે શાળાના જ ગુણગાન ગાયાં છે! પરંતુ મજા પડે એવી મજબૂરી એ છે કે : રણછોડ શાહની વાત માંડીએ તો ઍમિટી સ્કૂલ વિશે વાત થયા વગર ના રહે અને ઍમિટી સ્કૂલની વિગતો જાણીએ તો રણછોડભાઈ શાહની વાતો આવ્યા વિના ના રહે! એક જ સિક્કાની અભિન્ન બે બાજુઓ એટલે ઍમિટી સ્કૂલ અને રણછોડ શાહ, કારણો સ્પષ્ટ. રણછોડ શાહ અડીંગો જમાવી બેસનાર આચાર્ય ન હતા, એ શાળાનો ચૌટો ના છોડનાર સંચાલક નથી, એ ઘરેડબદ્ધ-ઘુવડગંભીર-ચીલાચાલુ શિક્ષણ નિયામક નથી, એ માત્ર જીવતા નથી, જીવંત પણ છે! હરપળ શિક્ષણ શ્વસે છે તેથી રણછોડ શાહ આજે સિત્તેર વર્ષે વિચારોમાં તાજા અને જીવનમાં ગતિવાન છે. એમણે શરત કરી છે કે મારા વિશે નહીં, ‘ઍમિટી સ્કૂલ’ નામના અમારા શિક્ષણપ્રયોગ વિશે લખો. પણ આ ઍમિટીઅન થૉટ’નાં બીજ ક્યાંથી રોપાયાં એ જાણવા ધરતીને ઓળખવી પડશે ને?
બાવીસ વર્ષની ઉંમરે શિક્ષકત્વના માર્ગે વળનાર રણછોડ શાહ B.Sc., M.Ed. છે, સળંગ સાડત્રીસ વર્ષનો માતબર શિક્ષણ અનુભવ ધરાવે છે. સાત વર્ષ વડોદરાની શાળામાં શિક્ષક રહ્યા. સાડા ચાર વર્ષ ડભોઈ, સુરત અને આણંદની ઍજ્યુકેશન કૉલેજમાં અધ્યાપક રહ્યા. ચાર વર્ષ સુધી ભારત સરકારના ઍજ્યુકેશન ઑફિસર તરીકે દારેસલામ ખાતે ગવર્નમેન્ટ ઑફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશન સાથે ડેપ્યુટેશન પર કાર્યરત રહ્યા. ત્યાંથી પાછા આવી ભરૂચની રૂંગટા વિદ્યા ભવનના પ્રિન્સિપાલ તરીકે છ વર્ષ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે બે વર્ષ કાર્ય કર્યું. આ બધું સરસ જ હતું, પણ રણછોડભાઈનો શિક્ષક જીવ મૂંઝાતો હતો. એમને તો શિક્ષકત્વ જીવવું હતું. ૧૯૮૬માં ઍમિટીનું બીજ રોપાયું. રણછોડભાઈ અને તેમનાં શિક્ષક પત્ની સંગીતાબેન, સહકર્મીઓ અને મિત્રો પ્રમેશબેન અને શૈલાબેને શિક્ષણનો સ્વસ્તિક રચ્યો. ઍમિટીમાં પહેલો પ્રવેશ લેનાર ‘ભૂલકાં-૧’નો વિદ્યાર્થી શૈલેષ પટેલ શાળાનો ઉદ્ઘાટક બન્યો! બસ, ત્યારથી આજ સુધી કેળવણીની હરણફાળ ભરવામાં ઍમિટીએ પાછું વાળીને જોયું નથી.
રણછોડ શાહ નાવીન્યના ઉપાસક અને વિચારશૈલી સભર પ્રવૃત્તિના સાધક, એ જાણે કે પ્રવૃત્તિની પાઠશાળા. એમને સૂઝે પણ એવું કે આપણને રણછોડભાઈ ઇનોવેશનના ઇકબાલ દીસે!
* એમિટીના મકાનનું ખાતમુહૂર્ત રક્તપિત્તના દર્દીઓના મસીહા, ગણિતના પ્રાધ્યાપક સુરેશ સોનીના વરહસ્તે થયું. ત્યાર પછી આ કૅમ્પસમાં તૈયાર થયેલ તમામ મકાનોનાં ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન શાળામાં કામ કરતાં શિક્ષકોના હસ્તે જ! * બાળકનાં ભણતરના પહેલાં વર્ષથી જ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક-એક પૂરકવાચનનું પુસ્તક દાખલ થયું છે. આ પુસ્તકોની પ્રતિ વર્ષ પસંદગી શ્રી રણછોડ શાહ પોતે કરે છે અને પોતાના દીકરા માટે કન્યા શોધતા હોય એટલી આત્મીયતાથી કરે છે. * ઍમિટીમાં પ્રત્યેક વર્ગને ચાર સામયિક વાચનભેટ રૂપે આપવામાં આવે છે. ઍમિટીમાં પ્રત્યેક શિક્ષકને પ્રતિ વર્ષ ચાર પુસ્તકોની ભેટ મળે છે, પરિણામે ઍમિટીના પ્રત્યેક શિક્ષક પાસે એક નાની નીજી લાઇબ્રેરી બની રહી છે. * કોઈપણ બાળકને સિદ્ધિ-પ્રાપ્તિએ ભેટ એટલે ખાસ ઉંમરને ધ્યાનમાં લઈ પસંદ કરેલું પુસ્તક. * વર્ષ દરમિયાન શાળામાં સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓનું ૧૯૮૬ થી સન્માન થાય છે. એક સમારંભ થાય તેનું નામ : નિયમિતતા અભિવાદન સમારંભ’. તેમાં શતશઃ હાજર રહેનાર વિદ્યાર્થીઓ અને સૌથી ઓછી રજા લેનાર કર્મચારીઓનું અભિનંદન થાય. * પ્રતિ વર્ષ ઉત્તમોત્તમ વિદ્યાર્થી શોધી ૨૬મી જાન્યુઆરીના શાનદાર સમારંભમાં Best Amitian Award આપી ગૉલ્ડ મૅડલથી સન્માન થાય. • ઍમિટીમાં સતત પંદર વર્ષ કાર્યરત કર્મચારીને નવાજવામાં આવે અને સન્માન પેટે પંદર હજાર અર્પણ કરવામાં આવે છે. * પ્રતિવર્ષ થીમ બેઇઝ્ડ વાર્ષિક દિન ઉજવાય. જેમાં માનવ સ્વાસ્થ્ય પ્રદર્શન (જીવંત અંગો સહિત), ભૃગુકચ્છથી ભરૂચ, કાવ્યમેળો, ગણિતદર્શન, ભારતની ભાષાઓનો નાટ્યમેળો, પ્રકૃતિ પ્રવૃત્તિનો સમાવેશ થાય. * શાળા-વિદ્યાર્થી-માબાપ અને સમાજને શાળાકાર્યથી પરિચિત કરતું સામયિક મૈત્રીસેતુ’ ઍમિટીનું અદકેરું પ્રદાન છે. સ્થાપનાકાળથી આજ સુધી વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પિત થાય. * તમામ કાર્યક્રમોની ઉદ્ઘોષણા અને વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ જ કરે અને અનૌપચારિક તાલીમ પામે. * વર્ષમાં ચાર ફૅકલ્ટી ડૅવલપમૅન્ટ ટ્રેનિંગ તો હોય જ.
ગુજરાતના લગભગ બધા જ શિક્ષણવિદો અને સાહિત્યકારો ઍમિટીમાં પદાર્પણ કરી ગયા છે. ભારતના ટોચના તજ્ઞો પણ અહીં આવી ગયા છે. વિદ્યાર્થીઓ વર્ષારંભે વિશેષ મુલાકાતથી કાર્ય શરૂ કરે. દર્દીઓની વચ્ચે કે જેલના કેદીઓ વચ્ચે કે વિકલાંગો વચ્ચે એક દિવસ ગાળે અને કરુણાની અનુભૂતિ કરે. ઍમિટીનો પરિસર-વિસ્તાર પૂરમાં ડૂબે તો તેને બચાવવા વિદ્યાર્થીઓ કેડ સમાયા પાણીમાં ઍમિટી પહોંચી સહાયમાં લાગે. ગુજરાત બોર્ડનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો તથા CBSEનું અંગ્રેજી માધ્યમ અહીં છે એટલે માહોલ કૉન્વેન્ટ સ્કૂલનો, પણ કલેજું ભારતીય સંસ્કૃતિનું… ૨૦૦૧માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી હવે માત્ર સંચાલક’ બનેલા રણછોડ શાહ પૂરો સમય ઍમિટીમાં યાદ રાખીને’ ગાળતા નથી. પોતે જે જે માનવીય કેળવણીના પ્રયોગો કર્યા છે તેને હવે તેઓ પુસ્તક રૂપે સમાજમાં મુકે છે.
શિક્ષણ અંગે દસ પુસ્તકો આપનાર રણછોડ શાહની ત્રણ ખૂબીઓ છે : (૧) તેઓ ટીમ બિલ્ડિંગના માણસ છે. (૨) તેઓ સેકન્ડ લાઇન ઑફ લિડરશિપ સફળતાથી ઘડી શક્યા છે. (૩) તેઓ દિવ્ય મૈત્રીના ઍમિટી” શબ્દને સાર્થક કરી શક્યા છે. પ્રયોગશીલ નથી તે શિક્ષક નથી. પ્રવૃત્તિશીલ નથી તે આચાર્ય નથી. પરિવર્તનશીલ નથી તે સંચાલક નથી. જ્યારે જે હોવું જોઈએ, ત્યારે તે જેમનામાં હતું કે છે, તે રણછોડભાઈ શાહ, મિલો તો જાનો.
