અસ્મિતા વિશેષ સંવાદ : 10

ઓશો સદીઓ સુધી જીવંત રહે તેવા ચિંતકનું નામ છે. જેમને વિદ્રોહી કહેવામાં આવ્યા તે ઓશોના પરમ સાધક અને ઓશોના હસ્તે દીક્ષા લેનાર સ્વામી સત્ય વેદાંતજી સાથેનો અસ્મિતા વિશેષ સંવાદ અવિસ્મરણીય રહ્યો. ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને દીક્ષા આપવાની જવાબદારી સોંપી તે સત્ય વેદાંતજી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી ડોક્ટરેટ કરેલ વ્યક્તિવિશેષ છે. સવામી સત્ય વેદાંતજી  મિસ્ટિક સેન્ટ ઓશો સાથેના અનુભવો વહેંચે છે…

“ 10th જાન્યુઆરી 1975  આઈ લેફ્ટ શિકાગો ફોર પુના. એક વર્ષ પૈસા ભેગા કરીને હું મુંબઈ આવ્યો.એટલે ત્યાં જયારે ટ્રેનમાં હું આવતો હતો તો મારી સામે એક પારસી ભાઈ બેઠા હતા.  એણે પૂછ્યું ક્યાં જાઓ છો ? મેં કીધું, હું જાઉ છું ભગવાન રજનીશ આશ્રમ. તો કહે રજનીશ આશ્રમ ? ના ના ના ત્યાં ના જાઓ,  ત્યાં જવા જવા જેવું નથી…મેં કીધું , હું તો ત્યાં જવા માટે જ  આવ્યો છું ને હું તો જવાનો છું. એ કહે તને ખબર છે ત્યાં શું થાય છે ? મેં કીધું,  મને ખબર નથી હું તો ત્યાં ક્યારેય ગયો નથી.  તો કહે જયારે તમે એની સામે બેસો ને તો તમને હિપ્નોટાઈઝ કરી નાખશે.  મેં કીધું તો હવે શું કરવું ? તો કહે  તમે જયારે બેસો તો હાથમાં પિન રાખજો તો હિપ્નોટીઝ્મ કામ નહીં કરે. એને મારી પર શું દયા આવી તો મને એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કીધું કે,  કશું પણ થાય તો તમે સીધા મારે ત્યાં આવતા રહેજો.  મેં કીધું,  થેન્ક યુ વેરી મચ. . મને એવો વિચાર આવ્યો કે એક વ્યક્તિ એવી છે કે જે માત્ર ઓડીઓ સાંભળે છે એને મળવા દોડી આવે છે અને બીજી વ્યક્તિ જે એને મળી નથી જાણતી નથી એ તમને ટાંકણી  પિન રાખવા કહે છે…!!!

પછી ત્યાં સ્ટેશન પાસે એક લોજ હતી,  ત્યાં સમાન મુક્યો અને સમાન મૂકી  હું આશ્રમ તરફ આવ્યો. એ વખતે શું થયેલું કે ઓશો હમણાં જ પુના આવ્યા હતા ૧૯૭૪ માં ત્યાંથી શિફ્ટ થયાં હતા એટલે આશ્રમનું બધું ગોઠવાતું હતું.

પુના આશ્રમમાં મા યોગ લક્ષ્મી ઓશો ના સેક્રેટરી હતા એ ઓશો નું બધું સાચવતા હતા,  તો એમની સાથે મારો કોરોસ્પોન્ડસ  થયેલો હતો. એટલે જેવો હું એની ઓફિસ પહોંચ્યો તો કહે,  આ ગયે ભાઈ આપ ? ..મૈને કહા,  હા મૈં  આ ગયા.મેં કહ્યું કે ભગવાનના દર્શન થશે ? તો એણે કહ્યું, ખબર નહીં દર્શન થાય, ન થાય …મેં કીધું,  What do you mean દર્શન થાય નહીં થાય.. હું શિકાગો થી એના દર્શન કરવા આવ્યો છું..  તમે કલ્પના કરી શકો કે,  મને કેટલો ધક્કો લાગ્યો હશે. કારણકે આટલી બધી અનસર્ટેઈનિટી માટે કહે …ખબર નહીં દર્શન થાય ન થાય. તો માએ કહ્યું તમે સવારે છ વાગ્યે આવો,  સક્રિય ધ્યાન કરો અને પછી નવ  વાગે ઓશો નું પ્રવચન છે પછી જોઈએ શું થાય છે ?   મને  એટલી નિરાશા થઈ કે એટલે દૂરથી આવ્યો છું,  શું થશે દર્શન થશે કે નહીં..

જાન્યુઆરીનો મહિનો હતો ઠંડી એટલી હતી એટલે સવારે છ  વાગ્યે મારાથી એ ધ્યાન ન થયું પણ નવ  વાગ્યે એમનું પ્રવચન હતું ઉપર ગેલેરીમાં લગભગ ૩૦-૩૫ સાધકો અમે બેઠા હતા અને ઓશો આવ્યા. તે વખતે એમણે કબીર ઉપર વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી. અને સર,  એણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. મને જરા પણ ખ્યાલ નહીં શા માટે રડવું આવે છે… કોઈએ કશું કહ્યું નહોતું, કોઈની સાથે વાત થઈ નથી, આરામથી નાઈ ધોઈને આવી ગયો હતો. એ દોઢ કલાક સુધી બોલતા રહ્યા હું દોઢ કલાક સુધી રડતો રહ્યો. મને હજુ ખબર નથી કે શા માટે રડવું આવતું હતું. રડયા કર્યો,  રડયા કર્યો ક્યારે ઉઠીને એ જતા રહ્યા મને ખ્યાલ નથી. દોઢ કલાક પછી હું ત્યાંથી ઊઠયો ને આમ તેમ ચક્કર લગાવતો હતો એટલામાં કોઈને કીધું,  આવો આવો મા લક્ષ્મી તમને એની ઓફિસમાં બોલાવે છે… એ કહે,  આજે દર્શન થઈ ગયા … તો હું ઉછળવા મંડયો.  મને કલ્પના નહોતી કે એટલા વહેલા દર્શન થઈ જશે, એમણે  કહ્યું તમે સાંજે ગેઇટ પર પહોંચી જજો કોઈ તમને ત્યાંથી અંદર લઈ જશે અને ત્યાં તમને દર્શન થશે.

૧૦ મી ત્યાં પહોંચ્યો હતો. ૧૧ મી એ સાંજે ત્યાં અંદર લઈ જવામાં આવ્યો. ત્યાં એવું હતું કે ઓશો આવીને ખુરશી ઉપર બેસતા અને સામેથી બધા લોકો આવતા અને ખુરશીની બાજુ માં બેસતા…ખબર નહીં કોઈએ એવી વ્યવસ્થા કરી હશે તો મને ઓશોના પગ પાસે જગ્યા આપી ને ત્યાં બેસાડયો. ઓશો આવ્યા. આ બાજુ બધાં સન્યાસીઓ બેઠા હતા. મા તરૂ હતી, મા દર્શન હતી એમને પૂછ્યું,  કેમ છો, બધું કેમ ચાલે છે.. કોઈના માતાની તબિયત વિશે પૂછ્યું.  એમ કરતા કરતા સામે એક બ્રિટિશ મહિલા બેઠી હતી.  એ ત્રણ અઠવાડિયાથી આવી હતી એ આજે પાછી જવાની હતી. તો એણે કહ્યું ભગવાન તમે મને એવું મેડિટેશન સજેસ્ટ કરો કે હું ઘરે જઈને કરી શકું. તો એમણે મનીષા  ને કહ્યું કે એને પ્રાર્થના ધ્યાન બતાવો. પ્રાર્થના  ધ્યાન ઘણું સુંદર હોય છે.  એમાં ઘૂંટણ પર બેસી બંને હાથ આકાશ તરફ રાખી એવી કલ્પના કરવાની હોય કે વિશ્વની બધી ઉર્જા તમારી ઉપર ઉતરી રહી છે. આશીર્વાદ વરસી રહ્યો હોય એવો અનુભવ કરવાનો. પછી જયારે એમ લાગે કે શરીર ઉર્જાથી ભરાઈ ગયું છે ત્યારે માથું પૃથ્વી પર ટેકવી દેવાનું..એવું સાત વખત કરવાનું. સાત થી વધુ નહીં, સાતથી ઓછું નહીં…એ એની પ્રક્રિયા છે જે એને બતાવી. 

અને પછી ત્યાં એક ભારતીય મહિલા બેઠી હતી એને ૪-૫ વર્ષનું બાળક હતું,  એ બહુ ચિંતામાં હતી.  એણે કીધું ભગવાન આને કાગળ ખાવાની બહુ ટેવ છે. તો ભગવાને કહ્યું,  એમ કરો એને તમારા ખોળામાં સુવડાવો.  ઓશોએ ૫ – ૭ સેકન્ડ એની સામે જોયું અને બાજુ કાગળ હતા,  જેમાં એ નામ કે કશુંક એવું લખતા હતા,  એ આપ્યું ને કહ્યું લે.. ખા.. તો બાળક ‘નહીં નહીં હવે હું ક્યારેય નહીં ખાઉં…મને નહીં જોતું’…ઓશો એ કીધું,  હવે ક્યારેય કાગળ નહીં ખાય,  ચિંતા ન કરો પણ એને એની રીતે મોટો થવા દો. એટલું કહીને એની વાત પુરી થઈ. 

પછી એની નજર મારા  ઉપર પડી. હું સાચું કહું છું નકલ તો હું કરી ના શકું, એટલો મીઠો મધ જેવો અવાજ,   તમે કલ્પના ન કરી શકો એવો રેશમ જેવો કોમળ અવાજથી એણે મને પૂછ્યું,  તમારે કંઈ કહેવું છે ? તમારે કંઈ  કહેવું છે તો ચીસ પાડીને રડી પડયો અને એમનાં ચરણોમાં પડીને મેં કહ્યું કે,  ભગવાન,  હવે તમે મને કદી ન છોડતા …  ભગવાન હવે તમે મને કદી ન છોડતા..  એવું મારા મુખેથી નીકળતું હતું. ઓશોએ કહ્યું,  નહીં નહીં,  હવે હું તને નહીં છોડું,  ક્યારેય નહીં છોડું, શિકાગોમા પણ તારી સાથે જ રહીશ. બધું મારા પર છોડી દે…

સર, જયારે જયારે મેં એમના ચરણસ્પર્શ કર્યા છે આટલા વર્ષોમાં,  ૪૫ વર્ષ એમની સાથે થયાં મને,  જયારે હું કઈ કહેવા જાઉ તો કહે,  બધું મારા પર છોડી દે… 

(અલબત્ત, અહીં એ નોંધાતા દુઃખ થાય છે કેઆ સંવાદનું શૂટિંગ કર્યાના  ત્રણેક મહિનામાં જ સ્વામી સત્ય વેદાંતજી પરલોક સિધાવ્યા. ..ૐ શાંતિ:)